Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોનું પાલન કરવા આહ્વાન કર્યુ


 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોને જાળવવાનું આહ્વાન કર્યુ હતું. તેઓ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) અને કરતારપુર કૉરિડોરના ઉદઘાટનના પ્રસંગે ડેરા બાબા નાનક ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતીની સ્મૃતિમાં સિક્કો પણ બહાર પાડ્યો હતો.

ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડેરા બાબા નાનકના પવિત્ર સ્થળે તેઓ વિશેષ કરતારપુર કૉરિડોર રાષ્ટ્રને સમર્પિત કરતાં ગર્વની લાગણી અનુભવે છે.

અગાઉ શિરોમણી ગુરૂદ્વારા પ્રંબધક સમિતિ દ્વારા પ્રધાનમંત્રીનું કોમી સેવા પુરસ્કાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તે આ કમળ શ્રી ગુરૂ નાનક દેવજીના ચરણોમાં અર્પણ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 550મી ગુરૂ નાનક જયંતીના અવસરે ICP અને કરતારપુર કૉરિડોરનું ઉદઘાટન એક સુખદ આશીર્વાદ છે જે હવે પાકિસ્તાનમાં ગુરૂદ્વારા દરબાર સાહિબનો પ્રવાસ કરવાની સરળતા પુરી પાડશે.

પ્રધાનમંત્રીએ SGPC, પંજાબ સરકાર અને સરહદ પાર યાત્રાળુઓની અવર-જવર માટે સુવિધા પુરી કરવા નિર્ધારિત વિક્રમજનક સમયમાં કૉરિડોરનું નિર્માણ કરનારાઓ પ્રત્યે પણ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને સરહદની બીજી બાજુ આ બાબત શક્ય બનાવવા માટે કામગીરી કરનાર તમામ લોકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ શ્રી ગુરૂ નાનક દેવજીને માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્રોત ગણાવ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુરૂ નાનક દેવજી માત્ર ગુરૂ જ નથી પરંતુ ફિલસૂફી અને આપણા જીવનને આધાર આપતો સ્તંભ છે. તેમણે જણાવ્યું હતું કે ગુરૂ નાનક દેવજીએ આપણને વાસ્તવિક મૂલ્યો થકી જીવન જીવવા માટે મહત્વનું જ્ઞાન આપ્યું છે અને પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ ઉપર આધારિત આર્થિક વ્યવસ્થા પણ આપી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુરૂ નાનક દેવજીએ સમાનતા, ભાઇચારા અને સમાજમાં એકતા વિશે જ્ઞાન આપ્યું છે અને તેઓ વિવિધ સામાજિક દૂષણો દૂર કરવા માટે લડ્યા હતા.

કરતારપુરને નાનક દેવજીના દૈવી આભામંડળથી ભરપૂર પવિત્ર સ્થાન ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કૉરિડોર હજારો ભક્તો અને યાત્રાળુઓને સહાય કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોથી સરકાર દેશના ભવ્ય વારસા અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. અને તેમણે જણાવ્યું હતું કે ગુરૂ નાનક દેવજીની 550મી જન્મ જયંતીના પ્રસંગે સમગ્ર દેશભરમાં અને વિશ્વમાં આપણાં દૂતાવાસો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે તેમણે યાદ કર્યુ હતુ કે ગુરૂ ગોવિંદ સિંહની જન્મજયંતી સમગ્ર દેશભરમાં ઉજવવામાં આવી હતી. તેમણે આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો કે ગુરૂ ગોવિંદ સિંહજીના માનમાં ગુજરાતમાં જામનગર ખાતે 750 પથારીઓ ધરાવતી આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યુનેસ્કોની મદદથી યુવા પેઢીના ફાયદા માટે ગુરૂ વાણીનો વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સુલતાન પુર લોધીને ઐતિહાસિક નગર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને ગુરૂ નાનકજીના તમામ મહત્વપૂર્ણ સ્થાનોને જોડતી એક વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેન શ્રી અકાલ તખ્ત, દમ દમ સાહિબ, તેજપુર સાહિબ, કેશગઢ સાહિબ, પટના સાહિબ અને હજૂર સાહિબને જોડે છે અને આ સ્થાનો પર હવાઇ સેવાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ સેવા પુરી પાડવા અમૃતસર અને નાંદેડ વચ્ચે વિશેષ ફ્લાઇટ શરૂ થઇ છે. આજ રીતે અમૃતસરથી લંડન વચ્ચે એર ઇન્ડિયા પણ એક ઓમકારનો સંદેશો ફેલાવી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એક વધુ મહત્વનો નિર્ણય લીધો છે જે સમગ્ર વિશ્વમાં વસી રહેલા શીખ પરિવારો માટે ફાયદાકારક સાબિત થશે. વિદેશમાં અનેક વર્ષોથી વસી રહેલા લોકો માટે ભારતમાં આવવા માટેની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે. હવે અનેક પરિવારો વિઝા અને OCI કાર્ડ માટે અરજી કરી શકે છે. તેઓ સરળતાથી તેમના પરિવારોને મળી શકશે અને પવિત્ર સ્થાનોની મુલાકાત લઇ શકશે.

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બીજા બે નિર્ણયો શીખ સમુદાયને મદદ કરશે. એક છે અનુચ્છેદ 370 દૂર કરવાનો, તે હવે જમ્મુ અને કાશ્મીર તથા લેહમાં શીખ સમુદાયને મદદ કરશે અને તેઓ દેશના અન્ય નાગરિકોની જેમ જ સમાન અધિકારો મેળવી શકશે. આજ રીતે નાગરિકતા સુધારા ખરડા થકી શીખ લોકો સરળતાથી દેશના નાગરિક બની શકશે.

તેમણે જણાવ્યું હતું કે ગુરૂ નાનક દેવજીથી લઇને ગુરૂ ગોવિંદજી સુધી અનેક આધ્યાત્મિક ગુરૂઓએ તેમનું જીવન એકતા અને ભારતની સુરક્ષા માટે સમર્પિત કર્યુ હતું. અનેક શીખોએ તેમનું જીવન ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત કર્યુ હતું. આ વાતને સ્વીકૃતિ આપવા કેન્દ્રએ અનેક પગલાંઓ લીધા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જલિયાવાલા બાગના સ્મારકને વિકસાવવામાં આવી રહ્યું છે. શીખ વિદ્યાર્થીઓની કૂશળતા અને સ્વ-રોજગારીમાં વધારો કરવા નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે આશરે 27 લાખ શીખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવી હતી.

 

RP