Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી આયોગનાં નવાં સંકુલનું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી આયોગનાં નવાં સંકુલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આ બિલ્ડિંગનું નિર્માણ નિર્ધારિત સમય પહેલા પૂરું થઈ ગયું છે, જેનાં માટે નિર્માણકાર્યમાં સામેલ તમામ એજન્સીઓ પ્રશંસાને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગને પર્યાવરણને અનુકૂળ રેટિંગ ગૃહ – IV પ્રદાન કરવામાં આવ્યું છે, જે ઉર્જાની બચત સુનિશ્ચિત કરશે અને પર્યાવરણ સંરક્ષણમાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, નવી માહિતી વ્યવસ્થાથી કેન્દ્રીય આયોગની કાર્ય પ્રણાલીમાં ઉત્તમ સમન્વય અને એકીકરણ સંભવ થશે.

સીઆઈસી દ્વારા મોબાઇલ એપ શરૂ કરવા વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી લોકોને પંચની ઓફિસમાં અપીલ કરવામાં સરળતા થશે અને તેઓ પંચ દ્વારા ઉપલબ્ધ થનારી જાણકારી સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકતાંત્રિક અને ભાગીદારીપૂર્ણ શાસન માટે પારદર્શકતા અને જવાબદારી અનિવાર્ય છે. તેમણે કહ્યું હતું કે, આ દિશામાં કેન્દ્રીય માહિતી આયોગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેમણે કહ્યું હતું કે, આ સંસ્થા વિશ્વાસ પર આધારિત શાસન માટે પ્રેરણા સ્વરૂપે કામ કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સશક્ત નાગરિક” આપણાં લોકતંત્રનો સૌથી મજબૂત સ્તંભ છે, છેલ્લાં ચાર વર્ષથી કેન્દ્ર સરકાર લોકોને વિવિધ સંસાધનો થકી સૂચના અધિકાર પ્રદાન કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, પહેલો સ્તંભ છે પૂછો. તેમણે આ સંદર્ભમાં માઈ ગવ નાગરિક ભાગીદારી મંચનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બીજો સ્તંભ સૂચનો સાંભળવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર સીપીગ્રામ્સ અથવા સોશિયલ મીડિયામાંથી પ્રાપ્ત સૂચનોને નિખાલસતા પૂર્વક ગ્રહણ કરે છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ત્રીજો સ્તંભ સંવાદ છે. તેમણે કહ્યું હતું કે, તેનાથી નાગરિકો અને સરકાર વચ્ચ એક સંબંધ સ્થાપિત થાય છે. તેમણે કહ્યું હતું કે, ચોથો સ્તંભ અમલીકરણ છે. તેમણે આ સ્તંભ વિશે જાણકારી આપી હતી કે, જીએસટીનાં અમલીકરણ દરમિયાન ફરિયાદો અને સૂચનો પર સક્રિય અનુવર્તી કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતુ કે, પાંચમો સ્તંભ સૂચનાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર પોતાનાં કાર્યો વિશે નાગરિકોને જાણકારી પ્રદાન કરે એ તેની જવાબદારી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકારે રિયલ ટાઇમ અપડેટ એટલે કે વાસ્તવિક સમય પર અદ્યતન જાણકારી, ઓનલાઇન ડેશબોર્ડ મારફતે પ્રદાન કરવામાં આવે તેવી નવી વ્યવસ્થા શરૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સૌભાગ્ય અને ઉજાલા જેવા કાર્યક્રમોની પ્રગતિ વિશે માહિતી પ્રદાન કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે માંગવામાં આવતી માહિતી સંબંધિત વિભાગો અને મંત્રાલયોની વેબ પોર્ટલો પર અપલોડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, પારદર્શકતા અને નાગરિકો સેવાઓમાં સુધારો કરવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રીતે યોજનાઓની જાણકારી પણ વાસ્તવિક સમયે પ્રાપ્ત કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહે પ્રગતિની એક બેઠકમાં કેદારનાથમાં જીર્ણોદ્ધાર કાર્યોની પ્રગતિની સમીક્ષા એક ડ્રોન કેમેરા મારફતે કરવામાં આવી હતી. તેમણે જાણકારી આપી હતી કે, પ્રગતિ બેઠકોમાંથી 9 લાખ કરોડ રૂપિયાથી વધારેની પરિયોજનાની ઝડપ વધારવામાં મદદ મળી છે.

પ્રધાનમંત્રીએ ડાયરેક્ટોરેટ ઑફ સપ્લાય એન્ડ ડિસ્પોઝલને બંધ કરવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે સરકાર ઈ-માર્કેટ અથવા જીઈએમ પ્લેટફોર્મ મારફતે ખરીદી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, તેનાથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં મદદ મળી છે અને સરકારી ખરીદીમાં પારદર્શકતા આવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, સરકાર-જનતા પરસ્પર સંવાદ વચ્ચે માનવીય હસ્તક્ષેપ ઓછો થયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જેટલી પારદર્શકતા વ્યવસ્થામાં વધશે, તેટલો જ સરકાર પર લોકોનો ભરોસો વધશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સ્થિતિ-સંજોગો અને ભાવિ પડકારોને ધ્યાનમાં રાખીને દરેક જવાબદાર સંસ્થાની આ જવાબદારી છે કે તેઓ પોતાનાં અધિકારો અને ફરજો વચ્ચે સંતુલન સ્થાપિત કરે.

RP