પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્લોમાં નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી જોનાસ ગહર સ્ટોર સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. ભારત અને નોર્વે વચ્ચેના ગાઢ સંબંધોના પ્રતીકરૂપ એક વિશેષ સદ્ભાવના અંતર્ગત, આજે સવારે ઓસ્લો એરપોર્ટ પર આગમન સમયે પ્રધાનમંત્રી સ્ટોર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બંને નેતાઓએ ભારત-નોર્વે સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી હતી, જેમાં વેપાર અને રોકાણો, ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) ના અનુવર્તી પગલાં, આબોહવા પરિવર્તન સંબંધિત કામગીરી (ક્લાઇમેટ એક્શન) અને ઊર્જા સંક્રમણ (એનર્જી ટ્રાન્ઝિશન), બ્લુ ઇકોનોમી (સમુદ્ર આધારિત અર્થતંત્ર) અને સમુદ્ર શાસન, સંશોધન અને ઉચ્ચ શિક્ષણ, આર્કટિક અને ધ્રુવીય સહયોગ, અવકાશ તેમજ પ્રતિભા ગતિશીલતા (ટેલેન્ટ મોબિલિટી) નો સમાવેશ થાય છે. તેઓ સંબંધોને ‘ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ‘ (હરિત વ્યૂહાત્મક ભાગીદારી) ના સ્તર સુધી લઈ જવા સંમત થયા હતા, જે ટકાઉપણું અને હરિત વિકાસ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
બંને નેતાઓ આર્થિક અને વ્યાપારી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિશાળ સંભાવનાઓ હોવા અંગે સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ ભારતમાં નોર્વેજીયન સાહસો દ્વારા વધુ રોકાણ કરવાનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ 2030 સુધીમાં ભારત અને નોર્વે વચ્ચેના વર્તમાન વેપારના મૂલ્યને બમણું કરવાના લક્ષ્યને રેખાંકિત કર્યો હતો અને TEPA હેઠળ 100 અબજ યુએસ ડોલર (USD) ના રોકાણની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તેમજ ભારતમાં 10 લાખ (1 મિલિયન) નોકરીઓની વિભાવનાને સાકાર કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં ગતિશીલ જોડાણ તરફ કામ કરવા માટે વ્યવસાયિક પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા.
નેતાઓએ તેમની ટીમોને બ્લુ ઇકોનોમીમાં સહયોગ ઊંડો કરવા માટેની કામગીરી સોંપી હતી, જેમાં દરિયાઈ ઇકોસિસ્ટમ સંરક્ષણ, જહાજ નિર્માણ (શિપબિલ્ડિંગ), ગ્રીન શિપિંગ, ટનલ નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અવકાશ, એઆઈ (AI), રોબોટિક્સ, સાયબર સુરક્ષા, નાવિકોની તાલીમ, મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચરનો સમાવેશ થાય છે. તેઓએ UNCLOS ના સિદ્ધાંતોને પુનઃપુષ્ટ કર્યા અને નોર્વેના ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિએટિવમાં જોડાવાને આવકાર્યું. પ્રધાનમંત્રી મોદીએ નોર્વેને જૂન 2026 માં ફ્રાન્સમાં યોજાનારા ‘ભારત ઇનોવેટ્સ 2026′ માં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા. તેમણે બંને દેશો વચ્ચે સ્ટાર્ટ-અપ ઇનોવેશન હબ અને ગ્રીન ઇનોવેશન હેકાથોન સ્થાપવાનો પણ સુઝાવ આપ્યો હતો.
પર્યાવરણ અને નવીનીકરણીય ઊર્જામાં સહયોગ પર ભાર મૂકતા, બંને નેતાઓએ કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS), ઓફશોર વિન્ડ (દરિયાકાંઠાના પવન ઊર્જા પ્રોજેક્ટ્સ) જેવી વિશિષ્ટ ટેકનોલોજીમાં વધુ સહયોગ કરવા અને ભારતમાં સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સમાં નોર્વે દ્વારા મોટા રોકાણો કરવા આહવાન કર્યું હતું.
પર્યાવરણીય રીતે જવાબદાર પ્રથાઓને પુનઃપુષ્ટ કરીને, નેતાઓ આર્કટિકમાં ધ્રુવીય સંશોધન અને લોજિસ્ટિક્સને મજબૂત કરવા સંમત થયા હતા. તેઓએ નવીનીકરણીય ઊર્જા, મહાસાગરો, આબોહવા, આરોગ્ય, મહત્વપૂર્ણ ખનિજો, ઊભરતી ટેકનોલોજી અને આઈટી (IT) સહિત સંશોધન અને નવીનતા (ઇનોવેશન) માં સંયુક્ત કાર્ય પર ભાર મૂક્યો હતો. ઉચ્ચ શિક્ષણમાં, તેઓ સંયુક્ત ડિગ્રી પ્રોગ્રામ્સ, લાયકાતોની પરસ્પર માન્યતા અને વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીની ગતિશીલતાની શક્યતાઓ શોધવા સંમત થયા હતા.
તેઓએ બહુપક્ષીય મંચો પર સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી અને પરસ્પર હિતના મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. નોર્વેના પ્રધાનમંત્રીએ સુધારાવાદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતના કાયમી સભ્યપદ માટે નોર્વેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ સરહદ પારના આતંકવાદ સહિત આતંકવાદની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરી હતી અને આ જોખમને પહોંચી વળવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવા વિનંતી કરી હતી.
તેઓએ સંરક્ષણ સહયોગ અને સંરક્ષણ ઔદ્યોગિક જોડાણમાં રહેલી સંભાવનાઓની નોંધ લીધી, ડિજિટલ પબ્લિક ગુડ્સમાં ત્રીજા દેશના સહયોગની શક્યતાઓ ચકાસવા સંમતિ દર્શાવી, અને ડિજિટલ પરિવર્તનને વેગ આપવા માટે ‘જોઇન્ટ વર્કિંગ ગ્રુપ ઓન ડિજિટલાઇઝેશન‘ (ડિજિટલાઇઝેશન પર સંયુક્ત કાર્યકારી જૂથ) ની સ્થાપના કરવા સંબંધિત મંત્રાલયોને કામગીરી સોંપી.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી સ્ટોર અને નોર્વેના લોકોનો તેમના ભવ્ય આતિથ્ય સત્કાર બદલ આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રી સ્ટોરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની ગતિ જાળવી રાખવા સંમત થયા હતા.
IJ/JY/JD