Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પરિવહન અને આવાસ ક્ષેત્રમાં માળખાકિય યોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે માર્ગ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય), ગ્રામીણ મકાન, શહેરી મકાન, રેલવે, હવાઈ મથક અને બંદર ક્ષેત્ર જેવા માળખાગત ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક લગભગ બે કલાક ચાલી હતી, જેમાં માળખાકિય સુવિધા સાથે સંબંધિત મંત્રાલયો, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલયનાં ટોચનાં અધિકારીઓ સામેલ થયાં હતાં.

નીતિ આયોગનાં સીઈઓ શ્રી અમિતાભ કાંતે એક પ્રસ્તુતિકરણ મારફતે જણાવ્યું હતું કે, માર્ગ નિર્માણનાં ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન દરરોજ 26.93 કિલોમીટર માર્ગનું નિર્માણ થયું છે, જ્યારે નાણાકીય વર્ષ 2013-14માં દરરોજ 11.67 કિલોમીટર માર્ગનું નિર્માણનું કાર્ય થયું છે.

પ્રધાનમંત્રીને પરિવહન ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશનમાં થયેલી પ્રગતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્યાર સુધી રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ (આરએફઆઇડી) ટેગ રજૂ થયાં છે અને ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન દ્વારા ટોલની આવકમાં 22 ટકાનો વધારો થયો છે. માર્ગની સ્થિતિ વિશે જાણકારી આપનાર ‘સુખદ યાત્રા’ એપથી ફરિયાદ કરવાની સુવિધા પણ મળે છે. આ એપને અત્યાર સુધી એક લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. પ્રધાનમંત્રીએ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનનાં ક્ષેત્રમાં ઝડપથી કામ કરવાની સૂચના આપી છે.
પીએમજીએસવાય અંતર્ગત ગ્રામીણ માર્ગો સાથે અત્યારે 88 ટકા રહેણાક વિસ્તારો જોડાઈ ગયા છે. જ્યારે વર્ષ 2014થી 2018 દરમિયાન 44,000 ગામડાં આ માર્ગો સાથે જોડાયાં હતાં, ત્યારે અગાઉનાં ચાર વર્ષ દરમિયાન ફક્ત 35,000 ગામડાં જ આ માર્ગો સાથે જોડાયાં હતાં. ‘મેરી સડક’ એપ 10 પ્રાદેશિક ભાષાઓમાં શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 9.76 લાખ લોકોએ તેને ડાઉનલોડ કરી છે. માર્ગનાં જીઆઇએસ મેપિંગનું કામ ચાલુ છે અને અત્યાર સુધીમાં 20 રાજ્યોએ ભૂ-સ્થાનિક ગ્રામીણ માર્ગ સૂચના વ્યવસ્થા (જીઆરઆરઆઈએસ)ને અપનાવી છે. ગ્રીન ટેકનોલોજી અને બિનપરંપરાગત સામગ્રી એટલે કે ખરાબ પ્લાસ્ટિક જેવા કચરાનો ઉપયોગ ગ્રામીણ માર્ગો બનાવવામાં થઈ રહ્યો છે.

આ જ રીતે રેલવે ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. એની ક્ષમતામાં અને રોલિંગ સ્ટોકમાં વધારે વધારો થયો છે. નવી રેલવે લાઇનો પાથરવામાં આવી છે અને ઘણી રેલવે લાઇનને બમણી કરવામાં આવી છે. આ પ્રગતિ વર્ષ 2014થી 2018 દરમિયાન થઈ છે. એટલે કે 9,528 કિલોમીટર રેલવે લાઇનનું નિર્માણ થયું છે, જે અગાઉનાં ચાર વર્ષનાં ગાળામાં થયેલા રેલવે લાઇનનાં નિર્માણથી 56 ટકા વધારે છે.

આ જ રીતે છેલ્લાં ચાર વર્ષમાં 2014 થી 2018 સુધીમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવાસીઓની સંખ્યામાં 62 ટકાનો વધારો થયો છે, જ્યારે તેની અગાઉનાં ચાર વર્ષનાં ગાળામાં ફક્ત 18 ટકાનો વધારો થયો હતો. ઉડાન યોજના હેઠળ ટૂ અને થ્રી ટિઅર શહેરોમાં 27 નવા હવાઈ મથકો ખુલ્યાં છે અને તેનું સંચાલન થઈ રહ્યું છે.
બંદર ક્ષેત્રમાં 2014 થી 2018 વચ્ચે પરિવહનમાં 17 ટકાનો વધારો થયો છે.

ગ્રામીણ આવાસ ક્ષેત્ર બાબતે પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2014 થી વર્ષ 2018 દરમિયાન એક કરોડથી વધારે મકાનોનું નિર્માણ થયું છે, જ્યારે અગાઉનાં ચાર વર્ષનાં ગાળામાં ફક્ત 25 લાખ મકાનોનું નિર્માણ થયું હતું. મકાનનાં નિર્માણ અને તેની સાથે સંબંધિત ક્ષેત્રોમાં તેજી આવવાથી રોજગારીમાં વધારો થયો છે. એક સ્વતંત્ર અભ્યાસમાં જણાવ્યા મુજબ, નિર્માણનાં સમયમાં ઝડપથી ઘટાડો થયો છે. 2015-16 દરમિયાન મકાનનાં નિર્માણમાં 314 દિવસનો સમય લાગતો હતો, જ્યારે આ જ કામ 2017-18માં ફક્ત 114 દિવસમાં પૂરું થઈ જાય છે. અપત્તિના સમયમાં ટકી રહેવા માટે સક્ષમ હોય એવા પરવડે તેવી કિંમતના ઘરોનાં નિર્માણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે એની ડિઝાઇન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

શહેરી મકાન ક્ષેત્રને લઈને નિર્માણની નવી તકનીક અપનાવવા પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરૂ થયા પછી અત્યાર સુધી આ યોજના અંતર્ગત 54 લાખ મકાનોનાં નિર્માણની મંજૂરી આપવામાં આવી છે.

NP/J.Khunt/GP/RP