Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ માળખાકીય સવલતોના મહત્વના પ્રોજેક્ટોની સમીક્ષા કરી

પ્રધાનમંત્રીએ માળખાકીય સવલતોના મહત્વના પ્રોજેક્ટોની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીજળી, કોલસો, આવાસ, બંદરો અને ડિજિટલ ઈન્ડિયા સહિતના માળખાકીય સવલતોના ક્ષેત્રના મહત્ત્વના પ્રોજેક્ટોની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે વીજળીની સુવિધા નહીં ધરાવતાં તમામ ગામડાંઓમાં વીજળીકરણની પ્રક્રિયા ઝડપી ગતિથી ચાલી રહી છે. વીજળી નહીં ધરાવતાં આશરે 18,500 ગામડાંઓમાંથી લગભગ 6,000 ગામડાંઓમાં વીજળીકરણનું કામ પૂરું થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રીને એમ પણ જણાવાયું હતું કે આ મહત્ત્વપૂર્ણ પહેલની પ્રગતિનો અહેવાલ જિયો-ટેગિંગ સહિત વાસ્તવિક સમય દર્શાવતી આધુનિક ટેકનોલોજી ધરાવતી એપ્લિકેશન્સ દ્વારા મેળવવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં દૂર છેવાડાના તેમજ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે સોલર પેનલ્સ જેવાં ઑફ-ગ્રિડ સોલ્યુશન્સ વાપરવામાં આવી રહ્યાં છે. દેશભરમાં એલઈડી બલ્બ્સના વિતરણનાં કામકાજમાં પ્રગતિની પણ પ્રધાનમંત્રી શ્રીએ સમીક્ષા કરી હતી.

વર્ષ 2022 સુધીમાં 175 ગિગા વૉટ્સ (જીડબલ્યુ) રીન્યુએબલ (નવિનીકરણીય) ઉર્જાની ક્ષમતાનું લક્ષ્યાંક હાંસલ કરવા માટેની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. રીન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતા 39.5 ગિગાવોટ થઈ ચૂકી છે.

કોલ ઈન્ડિયા લિમિટેડે છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્પાદનમાં સરેરાશ માત્ર ત્રણ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જેની સરખામણીએ આ વર્ષે 9.2 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

પ્રધાનમંત્રી શ્રીએ દેશની તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાના કાર્યમાં વેગ વધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. તેમણે દેશભરના મહત્ત્વનાં પ્રવાસન સ્થળો ખાતે વાય-ફાય કનેક્ટિવિટી ઉપલબ્ધ બનાવવાના કામમાં થયેલી પ્રગતિ વિશે પણ માહિતી માંગી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં આવાં 12 સ્થળોએ વાય-ફાય કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીનેએ માહિતી પણ આપવામાં આવી હતી કે માઓવાદીઓથી અસરગ્રસ્ત વિસ્તારોના ગામડાંઓમાં મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં પ્રગતિ થઈ છે. આ વિસ્તારોમાં અત્યાર સુધીમાં 1371 ટાવરો સ્થાપવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ સહુને આવાસના કાર્યની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને આધુનિક ટેકનોલોજી અને સ્થાનિક કક્ષાએ બાંધકામના સામાન અને પદ્ધતિઓનો યોગ્ય સમન્વય કરીને આ યોજનાના અમલીકરણની ઝડપ વધારવા જણાવ્યું હતું.

બંદરોના ક્ષેત્રની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી શ્રીએ અધિકારીઓને આંતરરાષ્ટ્રીય ધોરણોની સમકક્ષ આવવા માટે મુખ્ય બંદરો ખાતે વહાણનો કાર્ય પૂર્ણ થવાનો સરેરાશ સમય – એવરેજ ટર્નએરાઉન્ડ ટાઈમ સુધારવા માટે તાત્કાલિક ધોરણે કામ હાથ ધરવાની સૂચના આપી હતી. બોર્ડર કમ્પ્લાયન્સ – સરહદ પરના નિયમોના પાલન માટેની સમયરેખામાં જબરદસ્ત ઘટાડો અને દેશની અંદર તટપ્રદેશોમાં શિપિંગની પ્રવૃત્તિઓ વધારવા માટેનાં પગલાં વિશે પણ ચર્ચા થઈ હતી.

J.Khunt/GP