Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મેગ્નેટીક મહારાષ્ટ્ર : કન્વર્જન્સ-2018ના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે કરેલા સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીએ મેગ્નેટીક મહારાષ્ટ્ર : કન્વર્જન્સ-2018ના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે કરેલા સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીએ મેગ્નેટીક મહારાષ્ટ્ર : કન્વર્જન્સ-2018ના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે કરેલા સંબોધનનો મૂળપાઠ


 

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રીમાન સી. વિદ્યાસાગર રાવજી, મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, દેશ-વિદેશથી આવેલા ઉદ્યોગપતિઓ અને અન્ય મહાનુભાવો. મેગ્નેટીક મહારાષ્ટ્રમાં આપ સૌનું સ્વાગત છે.

સમૃદ્ધ અને સંપન્ન મહારાષ્ટ્રનું નિર્માણ કરનારા મેગ્નેટીક મહારાષ્ટ્રને મારી ખૂબ ખૂબ – શુભેચ્છા.

ભાઈઓ-બહેનોને મારા નમસ્કાર.

મને વિજ્ઞાનનું જીણવટપૂર્વકનું બહુ જ્ઞાન નથી, પરંતુ મને જણાવવામાં આવ્યું છે કે મેગ્નેટિક ક્ષેત્રમાં દિશા અને તીવ્રતા બંનેનો સમાવેશ હોય છે.

અહીં આવતા પહેલા હું નવી મુંબઈ હવાઈમથક અને જેએનપીટીનાં કાર્યક્રમમાં હતો. આજે આ બે કાર્યક્રમ મહારાષ્ટ્રનાં મેગ્નેટિક ક્ષેત્રની દિશા અને તીવ્રતા, બંનેની એક ઝલક છે. જો કે એ પણ સત્ય છે કે તમે કેન્દ્રબિંદુની જેટલા વધુ નજીક હોવ છો, મેગ્નેટીક લાઈનની શક્તિ પણ એટલી જ અનુભવી શકો છો.

આજે અહીં આ આયોજનમાં તમારો આ ઉત્સાહ, તમારો આ જોશ, આ પૂર્ણ ઉત્સાહભર્યું વાતાવરણ એ વાતની સાબિતી છે કે મેગ્નેટીક મહારાષ્ટ્રની મેગ્નેટીક લાઈન કેટલી શક્તિશાળી છે.

સાથીઓ, આ આયોજન સહકારી સ્પર્ધાત્મક સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આજે દેશનાં દરેક રાજ્યોમાં પરસ્પર એક હરિફાઈ થઈ રહી છે, સ્પર્ધા થઈ રહી છે.

નિર્માણ, કૃષિ, કાપડ, સ્વાસ્થ્ય સુવિધા, શિક્ષણ, સૌર ઉર્જા, એવા દરેક અલગ – અલગ ક્ષેત્રોમાં રોકાણને આકર્ષવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન દેશના અલગ – અલગ રાજ્યોમાં થઈ રહ્યું છે.

રાજ્ય પોતાની – જરૂરિયાતો પ્રમાણે કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થવું જોઈએ, તેના પર ધ્યાન કેન્દ્રીત કરે છે.

હાલમાં જ મને આસામમાં “એડવાન્ટેજ આસામ” રોકાણ પરિષદમાં ભાગ લેવાની તક મળી હતી. કેટલાક વર્ષો પહેલા, કોઈ વિચારી શકતું નહોતું કે ઉત્તર-પૂર્વમાં રોકાણને લઈને આટલું સારૂ બ્રાન્ડિંગ થઈ શકે છે.

ઝારખંડ, મધ્યપ્રદેશ, કેટલાય રાજ્યોમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતથી જે પરંપરા શરૂ થઇ, તેનો પ્રભાવ આજે આખા દેશમાં જોવા મળી રહ્યો છે.

સાથીઓ, હું મહારાષ્ટ્ર સરકારને આ આયોજન માટે ખૂબ – ખૂબ શુભેચ્છા પાઠવું છું. છેલ્લા ત્રણ વર્ષોમાં મહારાષ્ટ્ર સરકારે રોકાણનાં વાતાવરણને મજબૂત કરવા માટે અભૂતપૂર્વ પગલાઓ ઉઠાવ્યા છે. રાજ્ય સરકારના નિંરંતર પ્રયત્નોને વર્લ્ડ બેંકે પણ ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસનાં ક્રમાંકમાં વિક્રમી બદલાવ લાવવામાં ઘણી મોટી મદદ કરી છે. ફડણવીસ સરકારે મહારાષ્ટ્રનાં પરિવર્તનમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે.

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસનાં 10 માંથી 9 પરિમાણો, જેમકે વીજળી મેળવવામાં સરળતા, ટેક્સ ચૂકવવામાં સરળતા આ દરેક વસ્તુમાં સુધારો થવો પોતાનામાં મોટું નોંધપાત્ર પરિબળ છે.

એટલા વ્યાપક સ્તર પર બદલાવ આવે છે જ્યારે નીતિ સુધારણાનાં માધ્યમથી શાસનમાં એક નવી કાર્ય સંસ્કૃતિ વિકસિત થાય છે. જ્યારે પરિયોજનાઓની સામે આવતી મુશ્કેલીઓને ઉકેલવા માટે પ્રક્રિયાઓની ડી-બૌટલ-નેકિંગ કરાય છે, જ્યારે આંતર-વિભાગીય સહકાર વધે છે. ત્યારે નિર્ણયો સમય મર્યાદામાં લેવાય જાય છે.

જે મેગ્નેટીક ક્ષેત્રની મેં પહેલા વાત કરી હતી, તે આવી રીતે જ સર્જાય છે. તેનો પ્રભાવ રોકાણ પર દેખાય છે, રાજ્યોનાં વિકાસમાં દેખાય છે અને તેનું કારણ એ છે કે, ગયા વર્ષે મહારાષ્ટ્ર નિર્માણ પરિયોજનાઓનાં કુલ ખર્ચમાં દેશનાં દરેક રાજ્યોથી આગળ હતું. ફ્રૉસ્ટ અને સુલેવોન્સના ક્રમાંકમાં મહારાષ્ટ્રને સર્વાંગી વિકાસમાં દેશનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય દર્શાવવામાં આવ્યુ હતું. વર્ષ 2016-17માં દેશમાં જેટલા પણ સીધા વિદેશી રોકાણો આવ્યા છે, તેનું લગભગ 51 ટકા રોકાણ મહારાષ્ટ્રમાં થયું છે. આ રીતે જ્યારે ફેબ્રુઆરી 2016માં મેક ઈન ઈન્ડિયા સપ્તાહ ઉજવાયું, તો ઔદ્યોગિક ક્ષેત્રમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનાં કરારો થયા. તેમાંથી 2 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ પર કાર્ય પણ શરૂ થઈ ગયું છે.

આજે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા નિર્માણ પ્રકલ્પો આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યાં છે. દિલ્હી – મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કૉરિડોર પરિયોજનાને સમગ્ર દુનિયાની 100 ખાસ નવી પરિયોજનામાંની એક ગણવામાં આવે છે. નવી મુંબઈ હવાઈમથકનું નિર્માણ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નિર્માણ, આવનારા દિવસોમાં આ ક્ષેત્રના કરોડો લોકોનાં જીવનમાં ખુબ મોટુ પરિવર્તન આનાથી થવાનું છે. આ ઉપરાંત મુંબઈ, નવી મુંબઈ, પૂના, નાગપુરમાં તૈયાર થનારૂ લગભગ – 350 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક પણ અહીં વિકાસ અને રોકાણ, બંનેની નવી સંભાવનાઓ લઈને આવે છે.

સાથીઓ, એક ખાસ પ્રોજેક્ટ જેની હું ચર્ચા કરવા માંગુ છું, તે મહારાષ્ટ્ર સમૃદ્ધિ કૉરિડોર. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોને, અહીંના કૃષિ ક્ષેત્ર, કૃષિ આધારિત ઉદ્યોગોનાં વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. મહારાષ્ટ્રમાં 700 કિલોમીટર લાંબા સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવેનું નિર્માણ, એક્સપ્રેસવેના કિનારે સ્માર્ટ સીટી જેવા 24 નવા નોડ્સનો વિકાસ, રાજ્યના ઓછામાં ઓછા 20 થી 25 લાખ લોકો માટે રોજગારીની નવી તકો આમાં સમાયેલી છે.

મને આનંદ છે કે હવે મહારાષ્ટ્ર સરકારે રાજ્યને દેશનું પહેલુ ટ્રીલિયન ડોલર અર્થતંત્રવાળું રાજ્ય બનાવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. શિવાજી મહારાજની ભૂમિ પર કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી અને મને અપેક્ષા છે કે તેમના આશીર્વાદથી મહારાષ્ટ્ર સરકાર આ લક્ષ્યને પણ સિદ્ધ કરશે અને આ રાજ્ય દેશનું ટ્રીલિયન ડોલર અર્થતંત્ર ધરાવતુ પ્રથમ રાજ્ય બનશે.

સાથીઓ, હું માનું છું કે દેશનો વિકાસ ત્યારેજ સંભવ છે, જ્યારે રાજ્યનો પણ વિકાસ થાય. મહારાષ્ટ્રનો વિકાસ ભારતનાં વધતા સામર્થ્યનું પ્રતિક છે, કે આપણે આ રીતે મોટા લક્ષ્યને પાર કરી રહ્યા છીએ. આ દેશમાં બદલાતા વિચાર, બદલાતી પરિસ્થિતિનું જીવતું જાગતું ઉદાહરણ છે.

મને યાદ છે કેટલાક વર્ષો પહેલા જ્યારે ભારત પહેલીવાર ટ્રિલીયન ડૉલર ઈકોનોમી ક્લબમાં આવ્યું હતું તો કેટલી મોટી – મોટી હેડલાઈન બની હતી. પરંતુ ત્યારબાદ કેટલાક વર્ષો ગોટાળાઓની ભેટ ચઢી ગઈ. દેશમાં ત્યારે એક અલગ રીતનું વાતાવરણ બની રહ્યું હતું, ત્યારે ટ્રિલીયન ડૉલર ક્લબની નહીં, નાજૂક પાંચની વાત થતી હતી.

છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષોમાં સરકારનાં નિરંતર પ્રયાસનું પરિણામ છે કે હવે ફાઈવ ટ્રિલીયન ડૉલર ક્લબની વાત થવા લાગી છે. દુનિયાની મોટી-મોટી એજન્સીઓ કહી રહી છે કે હવે પછીનાં કેટલાક વર્ષોમાં ભારત ફાઈવ ટ્રિલીયન ડૉલર ક્લબમાં સામેલ થઈ જશે.

સાથીઓ, આ વિશ્વાસ એમ જ નથી આવ્યો. આની પાછળ, મૈત્રીપૂર્ણ લોકો, મૈત્રીપૂર્ણ વિકાસ અને મૈત્રીપૂર્ણ રોકાણનું વાતાવરણ બનાવવાનો એક દ્રષ્ટિકોણ છે, આની પાછળ પ્રયાસ છે. નાના-નાના મુદ્દાઓને પકડીને, નાના-નાના પડકારોને સમજીને, અમે સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યા છીએ. શાસનને અમે એ સ્તર પર લઈ ગયા છીએ, જેમાં સરકારનો અવરોધ ઓછામાં ઓછો હોય.

સાથીઓ, દેશ પ્રગતિ ત્યારે કરશે જ્યારે સર્વાંગી દ્રષ્ટિકોણ હોય. જ્યારે સમાવેશી દ્રષ્ટિકોણ હોય અને સંકલનશીલ હોય. આજે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ જ્યાં રાજ્ય નીતિ સંચાલિત છે, પ્રશાસન પ્રદર્શનથી સંચાલિત છે, સરકાર જવાબદાર છે, લોકશાહી ભાગીદારીપૂર્ણ છે. આપણે ન્યુ ઇન્ડિયાનાં નિર્માણ માટે દેશમાં એક પારદર્શક કાર્યશૈલી બનાવી રહ્યા છીએ, જે સરકારી તંત્ર પર ઓછામાં ઓછી આશ્રિત હોય. એના માટે નિયમોને સરળ બનાવાઈ રહ્યા છે, પ્રક્રિયાઓને સરળ બનાવાઈ રહી છે, જ્યાં કાયદાને બદલવાની જરૂર છે, ત્યાં કાયદાઓ બદલી રહ્યા છીએ. જ્યાં કાયદો નાબૂદ કરવાની જરૂરીયાત હોય, ત્યાં કાયદાઓ નાબૂદ કરી રહ્યા છીએ.

અહીં ઉપસ્થિત તમારામાંથી કેટલાકને ખબર હશે કે પાછલા ત્રણ વર્ષમાં ભારત સરકારે 1400 થી વધુ કાયદા નાબૂદ કર્યા છે. જે નવા કાયદા બનાવાઈ રહ્યા છે, તેમાં પણ એ વાતનું ધ્યાન રખવામાં આવી રહ્યું છે કે, જે કાર્યને વધુ ગૂંચવણભર્યું ન બનાવે, પરંતુ તેને સરળ કરે. સરકારી પ્રક્રિયાઓની સાથે માનવ થી માનવ ઈન્ટરફેસ જેટલું ઓછું થઈ શકે એ અમે કરી રહ્યા છીએ. પછી શ્રમ કાયદાની વાત હોય, કરવેરા પાલનની વાત હોય, અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી દરેક પ્રક્રિયા સરળ બનાવી રહ્યા છીએ.

મિત્રો, અમે માનીએ છીએ, સંભાવના + નીતિ + આયોજન + પ્રદર્શન એટલે પ્રગતિ તરફ પ્રયાણ

આ વિચારનું પરિણામ છે આજે રાષ્ટ્રીય હાઈવે બનાવવાની ઝડપ, નવી રેલવે લાઈનોનાં નિર્માણની ઝડપ, રેલવે લાઈનોનાં વિજળીકરણની ઝડપ, સરકાર દ્વારા ઘર બનાવવાની ઝડપ, પોર્ટ્સ પર માલનાં પરિવહનની ઝડપ, સોલાર પાવરની ક્ષમતામાં વધારાની ઝડપ, પહેલાની સરખામણીમાં હું બીજી પણ પચાસ વસ્તુ જણાવી શકું છું, જે પહેલાની સરખામણીમાં બે બે ગણી, ત્રણ ગણી થઈ ગઈ છે.

સાથીઓ, અમે એક તરફ સ્રોતોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે, બીજી તરફ સ્રોતો આધારિત વિકાસ નીતિઓ તરફ આગળ વધ્યા છીએ અને વિકાસ નીતિ આધારિત બજેટ પર ભાર આપી રહ્યા છીએ. પાછલા ત્રણ-ચાર વર્ષોમાં અમારી સરકારે જે બજેટમાં સુધારા કર્યા છે, બજેટ સાથે જોડાયેલ વિચારોને બદલ્યા છે, તે આખા દેશમાં માત્ર એક નવી કાર્ય સંસ્કૃતિ જ નહીં, પરંતુ સામાજિક – આર્થિક જીવનમાં પણ પરિવર્તન લાવી રહ્યું છે.

રેલવે બજેટ, આજે બજેટનો એક ભાગ બની ગયો છે. બજેટમાં પહેલા, પ્લાન, નોન-પ્લાનની જે કૃત્રિમ દિવાલ હતી, તે અમે નાબૂદ કરી નાંખી છે. બજેટનાં સમયને પણ બદલીને હવે એક મહીના પહેલા કરી દીધું છે.  આ બધા નિર્ણયોનાં લીધે હવે બજેટમાં ફાળવેલી રકમ વિભાગોની પાસે સમય પહેલા પહોંચી જાય છે, યોજનાઓ પર કાર્ય કરવા માટે વિભાગોને હવે વધારે સમય મળી રહ્યો છે. ચોમાસા લીધે કામની ગતિ ધીમી થઈ જતી હતી. તેની અસર ઘણી હદ સુધી સમાપ્ત થઈ ગઈ છે.

સરકારે જે માળખાકીય ફેરફારો કર્યા છે, નીતિઓમાં બદલાવ કર્યા છે, તેનો લાભ દેશનાં ખેડૂતોને, ગરીબોને, દલિતો-પછાતો અને સમાજના વંચિતો સુધી પહોંચે એ બાબત દર વર્ષે અમારા બજેટ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે, પુનર્સ્થાપિત કરવામાં આવે છે.

સાથીઓ, અમારા બજેટનો ખર્ચ સિમિત નથી, અમારું બજેટ માત્ર ઉત્પાદન સુધી સિમિત નથી, અમારૂ બજેટ પરિણામલક્ષી છે. અમે 2022 સુધી સૌના માટે ઘર, 2019ના અંત સુધી સૌને માટે વીજળી, આ દરેક ક્ષેત્રો પર પહેલાથી જ કાર્ય થઈ રહ્યું છે.

આ વર્ષનાં બજેટમાં દરેક માટે સ્વચ્છ ઈંધણ, સૌના માટે સ્વાસ્થ્ય, આ બંને વિચાર પર ઝડપથી કાર્યો થઈ રહ્યા છે. અમે ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મફતમાં ગેસ જોડાણ આપવાનું લક્ષ્ય 5 કરોડ પરીવારોથી વધારી 8 કરોડ પરિવારો કરી દીધું છે. ભારતમાં કુલ પરિવારોની સંખ્યા લગભગ 25 કરોડ છે. જેમાંથી 8 કરોડ પરિવાર.

આ માત્ર અમુક યોજનાઓની વાત નથી, પરંતુ આ બતાવે છે કે અમે કંઈ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. દેશના ગરીબથી ગરીબ વ્યક્તિનાં સામાજિક – આર્થિક કલ્યાણ, તેનું સામાજિક અને નાણાકીય સમાવેશનની આ ફિલસુફી અમારા બજેટની એક આધારભૂત માન્યતાનાં રૂપમાં તમે અનુભવ કરી રહ્યા હશો.

જનધન યોજના, સ્વચ્છ ભારત મિશન, સ્કીલ ઈન્ડિયા, ડીજીટલ ઈન્ડિયા, મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, જેવી અનેક અગણિત યોજનાઓ દેશનાં ગરીબોને, નિમ્ન મધ્યમ, મધ્યમ વર્ગને, નવયુવાનોને, મહિલાઓને સશક્ત કરી રહી છે.

સાથીઓ, અમે સ્વાસ્થ્ય સુવિધા સાથે જોડાયેલી જે મોટી પહેલનું એલાન કર્યું છે, તે દુનિયાભરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. મોટા – મોટા ઉદ્યોગ જગતના લોકો અહીં છે, તેમનું સંચાલક મંડળ પણ અહીં બેઠું છે. તમને ખબર હશે કે ખાનગી કંપનીઓમાં કેવા પગારનાં સ્લેબ સુધી એ વ્યક્તિને આખા પરિવાર માટે 5 લાખ રૂપિયા સુધીનાં સ્વાસ્થ્ય વીમા મળે છે. સામાન્ય રીતે 60-70 હજારથી લઈને એક-દોઢ લાખ રૂપિયાની આવકવાળા વ્યક્તિને આ પ્રકારનું સ્થાન મળે છે.

હવે આ જ સરકાર એવી છે કે જેણે આયુષ્માન ભારત યોજના અંતર્ગત આખા વર્ષમાં એક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો દેશના ગરીબ થી ગરીબ વ્યક્તને આપવાનો નિર્ણય કર્યો છે અને લગભગ 10 કરોડ પરિવારો, એટલે કે 50 કરોડ થી વધુ લોકોને આનો લાભ મળવાનો છે. આ યોજના ગંભીર બિમારીઓનાં લીધે લોકોને ગંભીર આર્થિક સંકટનાં બેવડા મારથી પણ બચાવશે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત અમે દેશની મોટી પંચાયતોમાં દોઢ લાખ વેલનેસ સેન્ટર ખોલવાનું પણ નક્કી કર્યું છે. તમે વિચારી શકો છો કે આ નિર્ણય દેશની સ્વાસ્થ્ય સુવિધા પ્રણાલીને કેવી રીતે બદલી નાંખશે. આ યોજના દેશમાં પરવડે એવી સ્વાસ્થ્ય સંસ્થઆઓ, નવા ડૉક્ટરો, નવા પેરા મેડિકલ સ્ટાફ, સ્વાસ્થ્ય સંભાળ સાથે જોડાયેલ દરેક ક્ષેત્ર માટે એક ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

દેશનાં શૈક્ષણિક માળખાને મજબૂત કરવા માટે પણ અમે એક નવી પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત અમારી સરકાર આવનારા ચાર વર્ષોમાં દેશની શિક્ષણ પદ્ધતિમાં સુધારા માટે એક લાખ કરોડ રૂપિયાનો યોજના ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખી આગળ વધી રહી છે.

આ રીતે દેશના નવયુવાનોમાં સ્વ રોજગાર અને ખાસ કરીને એમએસએમઈ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવા માટે અમે મુદ્રા યોજનાનો વિસ્તાર વધારી રહ્યા છીએ. જ્યારથી આ યોજના શરૂ થઈ છે, ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ સાડા દસ કરોડ રૂપિયાની લોન મંજૂરી કરાઈ છે. લોકોને ગેરંટી વગર અત્યાર સુધીમાં 4 લાખ 60 હજાર કરોડ રૂપિયાનું ધિરાણ આપી દેવાયું છે. આ વર્ષના બજેટમાં પણ અમે 3 લાખ કરોડ રૂપિયાની મુદ્રા લોન આપવાનો નિર્ણય કર્યો છે.

આવા અલગ-અલગ મિશન, દેશના ગરીબ, દેશના મધ્યમવર્ગના સરળ જીવનને પ્રોત્સાહિત કરી રહ્યા છે. લોકોનું જીવન જેટલું સરળ થશે તેટલા જ લોકો સશક્ત પણ થશે. જેટલા લોકો સશક્ત થશે તેટલો જ આપણો સામાજિક અને આર્થિક વિકાસ ઝડપથી થશે.

જેમ કે હું દેશના ગ્રામીણ વિસ્તારની વાત કરું તો આ વર્ષે બજેટમાં અમે કૃષિ, ગ્રામીણ માળખાના વિકાસ માટે 14 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાનો નક્કી કર્યો છે. આ રકમ ખેતી પ્રવૃત્તિઓ પર તો ખર્ચ કરાશે, ઉપરાંત ગામડાંઓમાં 3 લાખ કિલોમીટરથી વધુ માર્ગો બનશે, 51 લાખ નવા ઘર બનશે, લગભગ બે કરોડ નવા શૌચાલય બનાવાશે, પોણા બે કરોડ ગરીબનાં ઘરોમાં વીજળી જોડાણ અપાશે.

આ બધા પ્રયત્નો કૃષિ વિકાસને પ્રોત્સાહિત કરશે, ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીની લાખો સંભાવનાઓને પણ ઉત્પન્ન કરશે. આ વર્ષે અમે દેશના માળખાકિય વિકાસ પર ખર્ચનું બજેટ પણ એક લાખ કરોડ રૂપિયાથી વધુ વધાર્યું છે. નવા પુલ, નવા માર્ગો, નવી મેટ્રો, નવા હવાઈમથકો, મુંબઈ જેવા મોટા શહેરની મોટી મહત્વાકાંક્ષાઓ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને દેશના મધ્યમ વર્ગની મહત્વાકાંક્ષાને સંબોધિત કરે છે.

સાથીઓ, આજે આ વૈશ્વિકરણમાં, વિક્ષેપ અને અસંતોષના યુગમાં આપણે વર્તમાનની સાથે જ ભવિષ્યની જરૂરિયાતોને જોતા આગળ રસ્તો બનાવવો પડશે અને એ આપણે સૌએ સાથે મળીને કરવો પડશે. જ્યારે આપણે સૌ, દેશની જરૂરિયાતોને સમજીને કાર્ય કરીશું, દેશના લોકોની મહત્વાકાંક્ષાને સમજતા કાર્ય કરીશું, ત્યારે જ નવા ભારતને આપણા સંકલ્પને પણ પૂર્ણ કરી શકીશું. ત્યારે જ ભારતનાં વિશાળ જનસમુદાયનાં લાભની સાથે આપણે ન્યાય કરી શકીશું.

મને પૂર્ણ આશા છે કે, મહારાષ્ટ્ર સરકાર, અહીંની અમલદારશાહી, અહીંનાં કરોડો નાગરિકો, પોતાના સંકલ્પને પૂર્ણ કરશે અને સમય પહેલા પૂર્ણ કરશે.

અંતમાં, મેગ્નેટીક મહારાષ્ટ્રની પ્રભાવશાળી જનતા જનાર્દનને, અહીંના પરિશ્રમી લોકોને, ઉદ્યમિઓને, તેમનો આભાર પ્રગટ કરી હું મારી વાત સમાપ્ત કરું છું. ફરી એક વાર આ સમારોહને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. દેશ-દુનિયામાંથી આવેલા દરેક મહાનુભાવોને વિશ્વાસ અપાવું છું કે, ભારત સરકાર, રાજ્ય સરકારોની સાથે જોડાઈને રાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જો દુનિયાની 1/6 વસતિનું ભલું થશે તો દુનિયાનું કેટલું ભલું થશે, એટલું અનુમાન તમે પણ લગાવી શકો છો.

ખૂબ – ખૂબ ધન્યવાદ !!!

 

NP/J.Khunt/GP/RP