Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘સીપીએસઈ સંમેલન’ને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજિત ‘સીપીએસઈ સંમેલન’માં હાજરી આપી હતી.

 

આ દરમિયાન પ્રધાનમંત્રી સમક્ષ વિવિધ વિષયો (થીમ) પર રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં વેપાર, શાસન વ્યવસ્થા, માનવ સંસાધનનું વ્યવસ્થાપન, નાણાકીય પુનર્ગઠન, નવોન્મેષ અને ટેકનોલોજી તથા નવા ભારત માટે વિઝન 2022 સામેલ છે.

 

આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ આ સંમેલનને જાહેર ક્ષેત્રની દિશામાં એક નવી શરૂઆત સમાન ગણાવ્યુ હતું.

 

આ પ્રસંગે થયેલી રજૂઆતોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રનાં સાહસો (પીએસયુ)ને તેમનાં સંચાલનમાં વ્યાપક સ્વતંત્રતા આપી છે, જેથી તેઓ પોતાનું પ્રદર્શન સુધારી શકે. તેમણે કહ્યું હતું કે, પીએસયુએ સ્વતંત્રતા પછી રાષ્ટ્રનિર્માણ અને દેશનાં અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

 

તેમણે કહ્યું હતું કે, જાહેર ક્ષેત્રનાં સાહસો (પીએસઈ) માટે નફો કરવો અને સામાજિક લાભનું સર્જન કરવું બંને અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પીએસઈ કર્મચારીઓનાં નોંધપાત્ર યોગદાન માટે તેમની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વીજળીની સુવિધાથી વંચિત તમામ ગામડાઓમાં વીજળી પહોંચાડવી અને ગરીબોને એલપીજી કનેક્શન સુલભ કરાવવા, જેવા મુખ્ય સરકારી લક્ષ્યાંકોને પાર પાડવા પીએસઈ કર્મચારીઓની મહેનત વિના સંભવિત નથી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં પ્રાપ્ત વિશિષ્ટ પ્રતિષ્ઠા જ પર્યાપ્ત નથી, પરંતુ નવાં પડકારોને અનુરૂપ પોતાને ઢાળવા પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગસાહસ અને નવીનતા 21મી સદીમાં માર્ગદર્શક સિદ્ધાંત હોવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, પ્રોત્સાહન, કલ્પના અને સંસ્થાનું નિર્માણ – સફળતા માટેની ત્રણ ચાવી છે.

 

પ્રધાનમંત્રીએ પીએસઈને આહ્વાન કર્યું હતું કે, તેઓ ટેકનોલોજી અને પ્રક્રિયાઓમાં પરિવર્તન મારફતે ‘નવા ભારત’નું નિર્માણ કરવામાં મદદ કરે. તેમણે કહ્યું હતું કે, આ માટે પીએસઈને ‘5-P‘ની ફોર્મ્યુલાની જરૂર પડશે, જેમાં પર્ફોર્મન્સ (કામગીરી), પ્રોસેસ (પ્રક્રિયા), પર્સોના (છબી), પ્રોક્યરમેન્ટ (ખરીદી) અને પ્રીપેર (તૈયારી) સામેલ છે.

 

આ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં તેમણે વહીવટ અને નાણાકીય કામગીરીમાં શ્રેષ્ઠ, પારદર્શકતા અને પ્રક્રિયાઓમાં ‘જેમ’ જવાબદારી પ્લેટફોર્મ મારફતે તથા એમએસએમઈથી ખરીદી અને ટેકનિકલ અવરોધો જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને રોબોટિક્સ માટે તૈયાર રહેવાનો ઉલ્લેખ કર્યો હતો.

 

તેમણે‘નવા ભારત’ માટે પીએસઈ સમક્ષ પાંચ પડકારો હોવાનું જણાવ્યું હતું –

 

  • વર્ષ 2022 સુધી ભારતીય પીએસયુ કેવી રીતે પોતાની ભૂ-વ્યૂહાત્મક પહોંચને મહત્તમ કરશે?
  • વર્ષ 2022 સુધી ભારતીય પીએસયુ કેવી રીતે દેશનાં આયાત બિલને લઘુતમ કરશે?
  • વર્ષ 2022 સુધી ભારતીય પીએસયુ કેવી રીતે નવીનીકરણ અને સંશોધનનો સમન્વય કરશે?
  • વર્ષ 2022 સુધી ભારતીય પીએસયુનાં સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ભંડોળનાં મહત્તમ ઉપયોગ માટેની યોજના શું હશે?
  • વર્ષ 2022 સુધી ભારતીય પીએસયુ દેશને કયું નવું વિકાસ મોડલ આપશે?

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વની 500 સૌથી મોટી કંપનીઓમાંથી 25 ટકા કંપનીઓ કોઈ ને કોઈ દેશનાં સરકારી ક્ષેત્ર હેઠળ આવે છે. તેમણે સૂચન કર્યું હતું કે, ભારતીય પીએસયુ પોતે અન્ય દેશોની પીએસયુ સાથે જોડાઈ શકે છે અને વિદેશમાં રોકાણ માટે એક વ્યાપક વ્યૂહરચના તૈયાર કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, પીએસયુ ભારતનાં આયાત બિલને ઓછું કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સીએસઆઈઆર, આઈસીએઆર વગેરેમાં ઉપલબ્ધ સુવિધાઓ ઉપરાંત સીપીએસઈમાં આધુનિક આરએન્ડડી (સંશોધન અને વિકાસ) માળખાગત માળખું પણ છે. સાથે-સાથે તેમણે કહ્યું હતું કે, નવીનીકરણ અને સંશોધનનો સમન્વય કરવાની જરૂર છે. આ સંદર્ભમાં તેમણે સીપીએસઈ અને સરકારી વિભાગો વચ્ચે તથા વધારે માહિતીનાં આદાન-પ્રદાનમાટે આહ્વાન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, સીપીએસઈનાં સીએસઆર સંબંધિત ખર્ચ દરેક વર્ષ મુખ્યત્વે એક વિશિષ્ટ વિષય(થીમ) પર કેન્દ્રીત હોવો જોઈએ. આ સંદર્ભમાં તેમણે આ સફળતાનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે આ પ્રકારનાં સીએસઆર ખર્ચનો ઉપયોગ શાળાઓમાં શૌચાલય નિર્માણ માટે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિકાસની એક સારી થીમ તૈયાર થઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, સીપીએસઈ પોતાનાં સીએસઆર હેઠળ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ પણ શરૂ કરી શકે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સીપીએસઈ અનેક ક્ષેત્રો જેમ કે કાગળરહિત કાર્ય સંસ્કૃતિ, કેશલેસ લેવડદેવડ અને કચરાનું વ્યવસ્થાપનમાં આદર્શ સ્વરૂપે કામ કરી શકે છે.

 

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, સીપીએસઈ ‘નવા ભારત’નાં સ્વપ્નને સાકાર કરવામાં પોતાની તરફથી વ્યાપક યોગદાન કરશે.

 

RP