Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટને પેપરલેસ બનાવવાના પગલાં સ્વરૂપે ડિજિટલ ફાઇલિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટને પેપરલેસ બનાવવાના પગલાં સ્વરૂપે ડિજિટલ ફાઇલિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અપલોડ કરી હતી, જે ડિજિટલ ફાઇલિંગની શરૂઆત છે અને સુપ્રીમ કોર્ટની કામગીરીને પેપરલેસ બનાવવા તરફનું પગલું છે.

આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધિશ શ્રી જસ્ટિસ જે એસ ખેહારે ચાલુ વર્ષે 2 એપ્રિલના રોજ અલ્હાબાદ હાઈ કોર્ટની સ્થાપનાના 150મા વર્ષની ઉજવણીને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, એ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્ટની કામગીરીને સરળ બનાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. ડિજિટલ ફાઇલિંગ એપ્લિકેશનના લાભ સમજાવતા ભારતના મુખ્ય ન્યાયાધિશે આ પહેલને ન્યાય વ્યવસ્થામાં ટેકનોલોજીના પ્રવેશ તરફ હરણફાળ સમાન ગણાવી હતી.

એપ્લિકેશન પર પ્રેઝન્ટેશન બતાવતા શ્રી જસ્ટિસ ખાનવિલ્કરે કહ્યું હતું કે, આ નવી પહેલ “સબ કા સાથ, સબ કા વિકાસ”નું ઉદાહરણ બની જશે.

કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી શ્રી રવિશંકર પ્રસાદે આ ડિજિટલ નવીનતા માટે સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકત્ર થયેલા લોકોને બુદ્ધપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે 10 મેને 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતની વર્ષગાંઠ તરીકે પણ યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ અલ્હાબાદમાં 2 એપ્રિલના રોજ ભારતના મુખ્ય ન્યાયાધિશે વેકેશન દરમિયાન ઓછામાં ઓછા થોડા દિવસ કેસોની સુનાવણી કરવા ઉચ્ચ ન્યાયતંત્રને કરેલી અપીલ યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની અપીલ પ્રેરક હતી તથા સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ પાસેથી આ સંબંધમાં તેમને આનંદ થાય તેવા સમાચાર મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ જુસ્સો હકારાત્મક પરિવર્તન લાવશે અને જવાબદારીની ભાવના વધારશે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી સામાન્ય લોકોમાં વિશ્વાસ પણ જન્મશે, જે નવા ભારતનું ‘મહત્વપૂર્ણ પાસું’ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ ટેકનોલોજીને ઘણી વખત હાર્ડવેર ગણવામાં આવી હતી અને એટલે માનસિકતા બદલવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સંસ્થાની અંદર સંયુક્તપણે ટેકનોલોજી અપનાવી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, પેપરલેસ પહેલ પર્યાવરણને બચાવે છે એટલે ભવિષ્યની પેઢીઓ માટે ઉપયોગી સેવા છે.

પ્રધાનમંત્રીએ ટેકનોલોજીના લાભ વિશે બોલતા તાજેતરમાં આયોજિત “હેકેથોન”ને યાદ કરી હતી, જેમાં ભારત સરકારના તમામ મંત્રાલયોની 400 સમસ્યાઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમનું સમાધાન કરવા ભારતની વિવિધ યુનિવર્સિટીઓના 42,000 વિદ્યાર્થીઓએ 36 કલાક ફાળવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મંત્રાલયોએ આ કવાયતના ઘણાં પરિણામો અપનાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, “ઇન્ફોર્મેશન ટેકનોલોજી” અને “ભારતીય પ્રતિભા”નો સમન્વય “ભવિષ્યના ભારત”નું સર્જન કરશે.

ટેકનોલોજીના વિષય પર પ્રધાનમંત્રીએ “આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ”ની અસરો અને શક્યતાઓ વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી લોકો ગરીબોની મદદ કરવા આગળ આવ્યા હતા. આ સંદર્ભમાં તેમણે એલપીજી સબસિડી છોડવાની “ગિવ-ઇટ-અપ” મૂવમેન્ટની સફળતાને યાદ કરી હતી. તે જ રીતે તેમણે સમગ્ર દેશમાં ડૉક્ટર્સની દર મહિનાના 9મા દિવસે ગરીબ ગર્ભવતી મહિલાઓની નિઃશુલ્ક સારવાર કરવાની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. આ રીતે તેમણે વકીલોને ગરીબો અને જરૂરિયાતમંદોને કાયદાકીય સહાય કરવા આગળ આવવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે શ્રી જસ્ટિસ દીપક મિશ્રા અને શ્રી જસ્ટિસ જે ચેલમેશ્વર પણ ઉપસ્થિત હતા.

TR