Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન-2018ની ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કર્યું; વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ કેન્દ્રોમાં સહભાગીઓ સાથે વાચ-ચીત કરી; આઇપીપીપી એટલે કે ઇન્નોવેટ, પેટન્ટ, પ્રોડ્યુસ અને પ્રોસ્પરનો મંત્ર આપ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 માર્ચ, 2018) વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉનની ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કર્યું હતું.

પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન-2018નાં સહભાગીઓને સહભાગી શાસનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

તેમણે યુવા પેઢીમાં અત્યંત આશા વ્યક્ત કરી હતી અને પછી તેમને નવા ભારતનાં વિઝનને સાકાર કરવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હું ક્યારેય યુવાન વ્યાવસાયિકો, યુવાન સીઇઓ, યુવાન વિજ્ઞાનીઓ અને યુવાન સનદી અધિકારીઓ સાથે વાત કરવાની તક જતી કરતો નથી.” તેમણે ઉમેર્યું હતું કે, “મને ખુશી છે, યુવાનો આપણાં દેશને પ્રગતિનાં પંથે દોરી જવા વિચારી રહ્યાં છે. સ્માર્ટ ઇન્ડિયાનાં સ્માર્ટ ઇન્નોવેટર્સ સાથે સામેલ થવું ખુશીની વાત છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોઈ પણ દેશની સૌથી મોટી મૂડી શ્રમ શક્તિ અને ઇચ્છાશક્તિ છે, એક વખત લોકો પરિવર્તન કરવાનો નિર્ણય કરી લે છે પછી બધું શક્ય છે. પણ સરકારની સૌથી મોટી ભૂલ એ છે કે, તે પોતે એકલા હાથે પરિવર્તન કરી શકે છે, એવું વિચારે છે.

પ્રધાનમંત્રીએ ગયા વર્ષની હેકાથૉનની સરખામણીમાં ચાલુ વર્ષની હેકાથૉનમાં સહભાગીઓની સંખ્યામા વધારો થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “મેં જણાવ્યું છે કે અગાઉની હેકાથૉન દરમિયાન હાથ ધરવામાં આવેલા મોટા ભાગનાં પ્રોજેક્ટ્સ પૂર્ણ થયાં છે.”

પ્રધાનમંત્રીએ નવીનતા અને આઇપીપીપી એટલે કે ઇન્નોવેટ (નવીનતા), પેટન્ટ (એકાધિકાર), પ્રોડ્યુસ (ઉત્પાદન) અને પ્રોસ્પર (સમૃદ્ધિ)નાં મંત્ર પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “આ ચાર સ્ટેપ આપણાં દેશને ઝડપી વિકાસ તરફ દોરી જશે, તેના માટે આપણે નવા સંશોધનો કરવા પડશે, તેને પેટન્ટ કરી, સરળતાથી ઉત્પાદન કરી અને તેને ઝડપથી લોકો સુધી પહોંચાડીએ તો તે લોકોને સમૃદ્ધ બનાવશે, નવોન્મેષમાં આપણી દુનિયાનાં પડકારો ઝીલવાની તાકાત રહેલી છે એટલે આપણે વિચારવું જોઈએ કે આપણાં નવા સંશોધનો આપણાં સાથી નાગરિકોનાં જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે.

પ્રધાનમંત્રીએ સંશોધન અને નવીનતાઓ સુલભ કરવા સરકારનાં વિવિધ નિર્ણયો સમજાવ્યાં હતાં –

  • અટલ ટિન્કરિગં લેબમાં શિક્ષણ અને અભ્યાસની વિભાવનાઓ પર આધારિત આધુનિક તકનિકની શરૂઆત કરવી, જેનો લાભ ધોરણ 6થી ધોરણ 12નાં વિદ્યાર્થીઓને મળશે.
  • આઇઆઇટી, આઇઆઇએસસી અને એનઆઇટી જેવી સંસ્થાઓમાં દર વર્ષે બી.ટેક, એમ.ટેક અને એમએસસીનાં આશરે 1000 વિદ્યાર્થીઓને પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ પ્રદાન કરવી. આ વિદ્યાર્થીઓને પાંચ વર્ષનાં ગાળા માટે દર મહિને રૂ. 70,000થી રૂ. 80,000 નાણાકીય સહાય મળશે.
  • ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વધારે સ્વાયતત્તા આપવા ધ્યાન કેન્દ્રીત કરવું.
  • 20 વૈશ્વિક કક્ષાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્સલન્સ ઊભી કરવાની દિશામાં કામ કરવું.

પોતાનાં સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયા કેવી રીતે એક બ્રાન્ડ તરીકે સ્થાપિત થયું અને હવે સમગ્ર વિશ્વમાં તે લોકપ્રિય થયું છે તેનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચાર વર્ષ અગાઉ ભારતમાં મોબાઇલ ફોનનાં બે ઉત્પાદન એકમો હતાં, જ્યારે અત્યારે દેશમાં આશરે 120 ફેક્ટરીઓ ધમધમી રહી છે. તેમણે એકત્ર થયેલા લોકોને વર્ષ 2013-14ની સરખામણીમાં પેટન્ટ રજિસ્ટ્રેશન અને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં આશરે ત્રણ ગણો વધારો થયો હોવાની જાણકારી પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ સહભાગીઓને હેલ્થ-હેકાથૉન, લો-હેકાથૉન, આર્કિટેક્ચર-હેકાથૉન, એગ્રિકલ્ચર-હેકાથૉન અને રૂરલ હેકાથૉન જેવા વિવિધ ક્ષેત્રોમાં હેકાથૉનની સંભવિતતા ચકાસવા અપીલ કરી હતી. તેમણે ભાર મૂક્યો હતો કે, “આપણે આ વિવિધ હેકાથૉન માટે નવીનતા ધરાવતા કૃષિ, ઇજનેરી, આર્કિટેક્ટ, ડૉક્ટર, વકીલો, મેનેજરની જરૂર છે. આ પ્રકારની હેકાથૉન યુવા પ્રતિભાઓને મંચ પ્રદાન કરશે.” તેમણે દર્શકો સાથે પ્રગતિની બેઠકો મારફતે વિકાસલક્ષી પરિયોજનાઓનાં રિયલ ટાઇમ મોનિટરિંગનાં અનુભવને પણ વહેંચ્યો હતો. 

RP