Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ પ્રેસિડેન્શિયલ ડિસ્ટિન્ક્શનથી સન્માનિત કરાયા

પ્રધાનમંત્રીને ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ પ્રેસિડેન્શિયલ ડિસ્ટિન્ક્શનથી સન્માનિત કરાયા


એક વિશેષ સમારોહમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે સેશેલ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. પેટ્રિક હર્મિની દ્વારા પ્રેસિડેન્શિયલ ડિસ્ટિન્ક્શન – ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ એનાયત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને તેમના હરિત નેતૃત્વ, અને વિકાસશીલ દેશોના હિતોને આગળ વધારવાના પ્રયાસો તેમજ બ્લુ ઇકોનોમી (સમુદ્ર આધારિત અર્થતંત્ર)ને પ્રોત્સાહન આપવા, ક્લાઇમેટ એક્શન, સમુદ્ર સંસાધનોના ટકાઉ સંચાલન અને નાના દ્વીપ વિકાસશીલ દેશોની વિકાસલક્ષી આકાંક્ષાઓ પ્રત્યેની તેમની લાંબા સમયથી ચાલી રહેલી પ્રતિબદ્ધતા માટે આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે આ પ્રતિષ્ઠિત સન્માન કોઈને એનાયત કરવામાં આવ્યું હોય.

પ્રધાનમંત્રીએ આ સન્માન એવા તમામ દેશોને સમર્પિત કર્યું છે જેઓ પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માન્યતા એવા સમયે મળી છે જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, જે વિશેષ મિત્રતાને વધુ વધારવામાં ઘણી મદદ કરશે. આ સન્માન પ્રધાનમંત્રીની હરિત પૃથ્વી (ગ્રીનર પ્લેનેટ) પ્રત્યેની લાંબા સમયથી ચાલી રહેલી પ્રતિબદ્ધતાને સ્વીકારે છે, જેમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન), મિશન લાઇફ (Mission LiFE – લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ), ‘એક પેડ મા કે નામ‘ , ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, વગેરેનો સમાવેશ થાય છે. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીને એનાયત કરાયેલા આવા સન્માનોની શ્રેણીમાં આ નવીનતમ સન્માન છે, જેમાં એફએઓ એગ્રીકોલા મેડલ, સિઓલ શાંતિ પુરસ્કાર અને યુએન (UN) ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડનો સમાવેશ થાય છે.

આ સન્માન ક્ષમતા નિર્માણ, પર્યાવરણીય કાર્યવાહી, ટકાઉ વિકાસની પહેલો અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સહિયારી પ્રાથમિકતાઓને આગળ વધારવામાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની વધતી જતી ભૂમિકાને સેશેલ્સ દ્વારા આપવામાં આવતા મહત્વને રેખાંકિત કરે છે.

SM/IJ/JD