Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી સરદાર સરોવર ડેમ દેશને સર્મપિત કરશે, ગુજરાતમાં બે જનસભા સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2017ના રોજ ગુજરાતમાં કેવડિયા ખાતે દેશને સરદાર સરોવર ડેમ અર્પણ કરશે.

તાજેતરમાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારીને 138.68 મીટર કરવામાં આવી હતી, જેથી 4.73 મિલિયન એકર ફીટ (એમએએફ)ના વપરાશને પાત્ર સંગ્રહની સુવિધા ઊભી થઈ છે. તેનાથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા સહભાગી રાજ્યોને મોટો લાભ થશે.

પ્રોજેક્ટથી નર્મદા નદીના પાણીને વિશાળ નહેર અને પાઇપલાઇનના નેટવર્ક મારફતે ગુજરાતના પાણીની તંગી અનુભવતા વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદ મળી છે. પ્રોજેક્ટમાંથી આશરે 10 લાખ ખેડૂતોને સિંચાઈનો લાભ મળવાની અપેક્ષા છે તથા વિવિધ ગામડાઓ અને શહેરોને પીવાના પાણીનો પુરવઠો પહોંચવાથી 4 કરોડ લોકોને ફાયદો થવાની શક્યતા છે. પ્રોજેક્ટ જળ પરિવહન માટે દુનિયામાં વિશાળ માનવીય પ્રયાસમાંનો એક ગણાય છે. તેમાંથી વર્ષે એક અબજ હાઇડ્રોપાવરના એકમનું ઉત્પાદન થશે એવી અપેક્ષા છે.

ડેમ સાઇટ પરથી પ્રધાનમંત્રી સાધુ બેટની મુલાકાત લેશે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની આઇકોનિક પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંબંધિત સ્મારકનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આ પ્રોજેક્ટના કામની પ્રગતિની સમીક્ષા કરશે. પ્રોજેક્ટમાં 182 મીટરની ઊંચાઈ ધરાવતી પ્રતીમા, પ્રદર્શન હોલ, સ્મારક બાગ અને વિઝિટર સેન્ટર સામેલ છે.

પ્રધાનમંત્રી નર્મદા મહોત્સવના સમાપન સમારંભમાં હાજર રહેશે અને ડભોઈમાં જનમેદનીને સંબોધિત કરશે. તેઓ ઇવેન્ટ દરમિયાન નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સ મ્યુઝિયમ માટે શિલારોપણ કરશે.

પછી પ્રધાનમંત્રી અમરેલીની મુલાકાત લેશે. તેઓ એપીએમસીના નવા માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને મધમાખી ઉછેર કેન્દ્રનું શિલારોપણ કરશે. તેઓ અમરેલીમાં સહકાર સંમેલનને સંબોધિત પણ કરશે.

 

TR