Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફ્રાન્સમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ


ફ્રાન્સના ગણમાન્ય નાગરિક અને અહિં પોતાની મહેનત અને પોતાના કૌશલ્ય વડે ભારત અને ફ્રાન્સનું ગૌરવ વધારનારા આપ સૌ સાથીઓને નમસ્કાર.

ભાઈઓ અને બહેનો ભારત અને ફ્રાન્સની મિત્રતા સંપૂર્ણ રીતે અતૂટ છે અને આ મિત્રતા નહિં એક રીતે મિત્રતાથી પણ કંઈક આગળ છે. તે નવી નથી પરંતુ વર્ષો જૂની છે. એવો કોઈ અવસર કે વૈશ્વિક મંચ નહિં હોય જ્યાં આપણે દેશોએ એકબીજાનું સમર્થન ન કર્યું હોય અને સાથે કામ ન કર્યું હોય અને એટલા માટે આજનો દિવસ દોસ્તીના નામે છે.

સાથીઓ, સારી મિત્રતાનો અર્થ એ છે… સુખ દુઃખમાં એકબીજાનો સાથ આપવો પછી ભલે જે પણ પરિસ્થિતિ હોય. જ્યારે ભારત અથવા ફ્રાન્સમાં કોઈ પણ સારી ઉપલબ્ધી મળે છે તો આપણે એકબીજા માટે ખુશ થઈએ છીએ. મને લાગે છે કે ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના સમર્થકોની સંખ્યા કદાચ જેટલી ફ્રાન્સમાં છે તેના કરતા પણ વધુ ભારતમાં હશે. જ્યારે ફ્રાન્સે ફૂટબોલ વિશ્વ કપ જીત્યો હતો તો તેની ઉજવણી ભારતમાં પણ ખૂબ જોર શોરથી ઉજવવામાં આવી હતી.

સાથીઓ, એ જ રીતે આપણે દુઃખની ક્ષણમાં પણ તેટલી જ ઘનિષ્ઠતા સાથે એકબીજાની સાથે ઉભા રહીએ છીએ. તેનું ઉદાહરણ ફ્રાન્સમાં થયેલા એર ઇન્ડિયાના બે વિમાન અકસ્માતોનું આ સ્મારક પણ છે. તે અકસ્માતોમાં અનેક ભારતીય યાત્રીઓનું અવસાન થયું હતું. તેમાં ભારતના મહાન વૈજ્ઞાનિકોમાંના એક ડૉક્ટર હોમી જહાંગીર ભાભા પણ હતા. ભારતના તે મહાન સપૂતને અને અન્ય ભારતીયોને જેમણે આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા તેમને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું.

સાથીઓ, આ સ્મારકનો દરેક પથ્થર આપણા નાગરિકોની એકબીજાની માટે સંવેદનશીલતાની જીવતી જાગતી સાબિતી છે. અમે નમન કરીએ છીએ સૈ જરવેના તે ગાઇડ્સને જેમણે દુર્ઘટના બાદ વિમાનના કાટમાળની શોધમાં દિવસ રાત કામ કર્યું. વિપરીત પરિસ્થિતિઓમાં કામ કર્યું. આજે તે ગાઇડ્સના પરિવારજનોને પણ ટેકનોલોજીના માધ્યમથી સંપર્કનો અવસર મળ્યો છે. હું તે ગાઇડ્સનો અને તેમના સ્વજનોનો પણ ભારત તરફથી આદરપૂર્વક આભાર પ્રગટ કરું છું. હું સૈ જરવેના મેયરનો આભાર વ્યક્ત કરું છું. જેમણે આ સ્મારકને બનાવવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. હું ફ્રાન્સની સરકાર, રાષ્ટ્રપતિ મૈક્રોન અને ફ્રાન્સની જનતાનો મને આમંત્રિત કરવા બદલ આપ સૌને મળવાનો અવસર આપવા બદલ પણ આભાર વ્યક્ત કરું છું.

એક વાયદો કર્યો હતો, તમને યાદ છે કે નહિં મને ખબર નથી… મને યાદ છે અને સામાન્ય રીતે રાજનેતાઓને વાયદા ભૂલવાડી દેવામાં મજા આવતી હોય છે. પરંતુ હું તે નાતનો નથી અને એટલા માટે હું પોતે વાયદો યાદ કરાવું છું. મેં કહ્યું હતું કે ભારત આશાઓ અને આકાંક્ષાઓના નવા સફર પર નીકળવાનો છે અને આજે જ્યારે તમારી વચ્ચે આવ્યો છું તો વિનમ્રતા સાથે, ખૂબ વિશ્વાસની સાથે કહી શકું છું કે અમે માત્ર તે સફર પર જ નથી નીકળી પડ્યા પરંતુ 130 કરોડ ભારતવાસીઓના સામુહિક પ્રયાસો વડે ભારત ઝડપી ગતિએ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. એ જ કારણ છે કે આ વખતે ફરીથી દેશવાસીઓએ પહેલા કરતા પણ વધુ પ્રચંડ જનાદેશ આપીને અમારી સરકારને સમર્થન આપ્યું છે. ફરી એકવાર અમને દેશની સેવા કરવાનો અવસર આપ્યો છે. આ જનાદેશ માત્ર એક સરકારચલાવવા માટે નથી પરંતુ નવા ભારતના નિર્માણમાટે છે. એક એવું નવું ભારત જેની સમૃદ્ધિ, સભ્યતા અને સંસ્કૃતિ તેનાપર સમગ્ર વિશ્વને ગર્વ થાય અને જે 21મી સદીની આધુનિકતાનું પણ નેતૃત્વ કરે. એવું નવું ભારત જેનું લક્ષ્ય વેપાર કરવાની સરળતા પર હોય અને જે જીવન જીવવાની સરળતાને પણ સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પગલા ભરે.

સાથીઓ, ભારતમાં પાછલા પાંચ વર્ષોમાં ઘણા બધા હકારાત્મક પરિવર્તનો થયા છે. આ પરિવર્તનોની કેન્દ્રમાં ભારતની યુવા શક્તિ, ભારતના ગામડાઓ, ગરીબ, ખેડૂત આ નારી શક્તિ એ તેના કેન્દ્ર બિંદુમાં રહ્યા છે. હું ફૂટબોલ પ્રેમીઓના દેશમાં આવ્યો છું અને જ્યારે ફૂટબોલ પ્રેમીઓની વચ્ચે આવ્યો છું તો તમે સારી રીતે જાણો છો કે ગોલનું શું મહત્વ હોય છે. અને એટલા માટે હાંસલ કરવું છે તો ગોલ જ કરવાનો હોય છે. અમે છેલ્લા પાંચ વર્ષમાં કેટલાક એવા ગોલ રાખ્યા છે જે પહેલા અશક્ય માનવામાં આવતા હતા. પરંતુ જૂથ બંધીની ભાવના વડે અમે તે લોકોને, તે લક્ષ્યોને સાકાર કરીને દેખાડ્યા છે.

સાથીઓ, સમગ્ર દુનિયામાં એક નિર્ધારિત સમયમાં સૌથી વધુ બેંક ખાતા જો કોઈ દેશમાં ખુલ્યા છે તો તે ભારતમાં ખુલ્યા છે. સમગ્ર દુનિયાની આજે સૌથી મોટી આરોગ્ય વીમા યોજના જો કોઈ દેશમાં ચાલી રહી છે તો તે દેશનું નામ છે ભારત. આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલ લોકોની સંખ્યા કેટલી વધુ છે તેનો અંદાજો આજે એ જ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકા, કેનેડા, મેક્સિકોની જે કુલ વસતિ છે તેને જો આપણે જોડી દઈએ તો તેના કરતા પણ વધુ, તેના કરતા પણ વધુ લોકો ભારતની આ યોજનાના લાભાર્થી છે.

સાથીઓ, સમગ્ર દુનિયામાં ટીબીને ખતમ કરવાનું લક્ષ્ય વર્ષ 20૩૦ સુધીનું રાખવામાં આવ્યું છે સમગ્ર વિશ્વએ 20૩૦ સુધીમાં આ કામને પૂરું કરવાનું નક્કી કર્યું છે. પરંતુ આ નવું ભારત છે, તમને ગર્વ થશે કે જે ગતિએ અમે આનાપર કામ કરી રહ્યા છીએ તેનાથી ભારત આ લક્ષ્યને પાંચ વર્ષ પહેલા 2025માં જ પૂરું કરી નાખશે. એ જ રીતે સીઓપી-2021માં જળવાયું પરિવર્તનનું જે લક્ષ્ય 20૩૦ માટે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તેમાંથી મોટાભાગના લક્ષ્યોને ભારત આવતા એક દોઢ વર્ષોમાં પ્રાપ્ત કરી લેશે.

જુઓ, હિન્દુસ્તાન એ જ છે, ગાંધી પણ એ જ છે, તમે પણ એ જ છો, ગાંધીની શતાબ્દી પણ ઉજવવામાં આવી, ગાંધીના સવા સો વર્ષ પણ ઉજવવામાં આવ્યા. આ વખતે ગાંધીના 150 વર્ષ ઉજવવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં દુનિયાના 124 દેશોના ટોચના ગાયકો, સંગીતકારોએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ… એ ગાઈ લીધું છે.

સાથીઓ, આજે અનેક અભ્યાસો થઇ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારત પોતાની ગરીબીને ખૂબ ઝડપથી દૂર કરી રહ્યું છે, આપણે ગરીબીમાંથી બહાર આવી રહ્યા છીએ, એ પણ અમારું એક લક્ષ્ય હતું જેને અમે ઝડપથી પૂરું કરવામાં લાગેલા છીએ. ભારત આજે નવી ઊર્જાથી ભરેલું છે અને તેનું પ્રતિક છે કે ભારત આજે સ્ટાર્ટ અપની દુનિયામાં પણ ઘણું આગળ છે. નાના નાના શહેરોના પ્રતિભાશાળી યુવાનો એક એક થી ચઢે એવા અનેક ઇનોવેશન કરી રહ્યા છે.

સાથીઓ, એ પણ સત્ય છે કે પાછલા પાંચ વર્ષોમાં અમે દેશની અનેક કુરીતિઓને રેડ કાર્ડ પણ આપ દીધું છે. આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, ભાઈ ભત્રીજાવાદ, પરિવારવાદ, જનતાના પૈસાની લૂંટ, આતંકવાદ, જે રીતે લગામ કસવામાં આવી રહી છે એવું પહેલા ક્યારેય નથી થયું.

સાથીઓ, નવા ભારતમાં થાકવા કે અટકવાનો સવાલ જ પેદા નથી થતો. નવી સરકારને બન્યા એને વધુ દિવસો નથી થયા. હજુ માત્ર 75 દિવસ થયા છે, સો દિવસ થવાના પણ બાકી છે. અને આ દિવસો તો કોઈની માટે હોય છે, સરકાર બન્યા પછી સ્વાગત સમારોહના હોય છે, ફૂલમાળાઓ હોય છે, જય જયકાર ચાલે છે, અમે તે ચક્કરમાં ન પડ્યા. માત્ર 75 દિવસ પૂરા થયા પરંતુ સ્પષ્ટ નીતિ અને સાચી દિશાના મંત્ર વડે પ્રેરિત થઇને એક પછી એક અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. નવી સરકાર બનતા જ જળ શક્તિની માટે એક નવું મંત્રાલય બનાવવામાં આવ્યું જે પાણી સાથે સંબંધિત બધા જ વિષયોને સમગ્રતયા રૂપમાં જોશે. ગરીબ ખેડૂતો અને વેપારીઓને પેન્શનની સુવિધા મળે તેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ તલાક એક અમાનવીય કૃતિ, નારીનું સમ્માન અને તેને જીવનભર ત્રણ તલાકની તલવાર લટકતી રહે, અમે તેને ખતમ કરી નાખી. કોઈ માને કે ના માને, કોઈ લખે કે ન લખે, કોઈ બોલે કે ના બોલે, કોઈ બોલી શકે કે ન બોલી શકે પરંતુ આ કરોડો દીકરીઓના આશીર્વાદ આવનારી સદીઓ સુધી ભારતનું ભલું કરવાના છે.

મુસ્લિમ બહેન દીકરીઓની સાથે આવો અન્યાય નવું ભારત કઈ રીતે સ્વીકાર કરી શકે તેમ છે. એ જ રીતે બાળ સુરક્ષા અને આરોગ્યના ક્ષેત્રમાં પણ સરકારે અનેક મહત્વપૂર્ણ ક્રાંતિકારી પગલાઓ ભર્યા છે. આજે આ વાતની ઘણી ચર્ચા છે… આ વખતે અમારી સંસદનું સત્ર છેલ્લા છ દાયકાઓ કરતા પણ વધુ ઉત્પાદક રહ્યું છે. એટલે કે છેલ્લા સાંઠ વર્ષોમાં જેટલા પણ સંસદના સત્રો થયા છે તેમાં જેટલું કામ થતું હતું એક એક સત્રમાં તેના કરતા વધુ કામ આ વખતે થયું છે. તે કેમ થયું… શા માટે થયું?…. અરે મોદી છે તો શક્ય છે એટલા માટે નથી થયું. એ એટલા માટે થયું છે કે દેશની જનતાએ થપ્પો માર્યો છે. આ સવા સો કરોડ દેશવાસીઓની તાકાત છે, તે લોકશાહીની તાકાત છે અને તેનું દબાણ પણ હોય છે જે દેશહિતના કામ કરવા માટે દરેકને પ્રેરિત પણ કરે છે, મજબૂર પણ કરે છે.

આપ સૌ જાણો છો કે 7 સપ્ટેમ્બરે આપણા સૌનું ચંદ્રયાન ચંદ્ર પર ઉતરવાનું છે. આ ઉપલબ્ધી પછી ચંદ્ર પર ઉતરનારો ભારત દુનિયાનો ચોથો દેશ બની જશે.

બહેનો અને ભાઈઓ, ભારતમાં થઇ રહેલી આ પ્રગતિની વચ્ચે ફ્રાન્સની સાથે અમારા સદીઓ જૂના સંબંધો દિવસે ને દિવસે મજબૂત થયા છે. એક બીજાની જરૂરિયાતોને ધ્યાનમાં લઇ, એકબીજાની પ્રત્યે સંવેદનશીલતા, એક બીજા પ્રત્યે વિશ્વાસને લઇને અમે આગળ વધી રહ્યા છીએ. ભારત અને ફ્રાન્સ એક બીજાની માટે લડ્યા પણ છે અને જીવ્યા પણ છે. બંને દેશોએ ખભે ખભો મિલાવીને દુશ્મનો સાથે મુકાબલો કર્યો છે. આ જ એ ધરતી છે જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધમાં 9 હજાર ભારતીય સૈનિકોએ ફ્રાન્સના સૈનિકોની સાથે માનવતાના પક્ષમાં લડતા લડતા પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી અને અહિં રહેનારા દરેક હિન્દુસ્તાનીએ આ 9 હજારનો આંકડો ક્યારેય ભૂલવો ન જોઈએ.

સાથીઓ, અમે કટ્ટરવાદ અને ઉગ્રવાદનો સામનો ભારતમાં જ નહિં પરંતુ ફ્રાન્સની ધરતી પર પણ કર્યો છે. અમારી મૈત્રી મજબૂત આદર્શો પર બનેલી છે. બંને દેશોના ચરિત્રનું નિર્માણ ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’ના પારસ્પરિક મુલ્યો વડે થયું છે. આજે જો ભારત અને ફ્રાન્સ દુનિયાના મોટા જોખમો સામે લડવામાં નજીકનો સહયોગ કરી રહ્યા છે તો તેનું કારણ પણ આ પારસ્પરિક મૂલ્યો જ છે. પછી તે આતંકવાદ હોય કે પછી જળવાયું પરિવર્તન. લોકશાહીના મુલ્યોને આ જોખમો પાસેથી બચાવવાની આ અમારી સંયુક્ત જવાબદારીને અમે ખૂબ સારી રીતે સ્વીકારી છે. ભારત અને ફ્રાન્સના સંબંધોની બીજી વિશેષતા એ છે કે અમે પડકારોનો સામનો માત્ર વાતોથી નહિ મજબૂત કાર્યવાહી દ્વારા કરીએ છીએ. દુનિયામાં જળવાયું પરિવર્તનની વાતો તો બહુ થાય છે પરંતુ તેનાપર અમલ થયાનું ઘણું ઓછું જોવા મળે છે. અમે અને ફ્રાન્સે સાથે મળીને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલ કરી, આજે તેમાં આશરે દુનિયાના 75 દેશો સક્રિય રૂપે જોડાઈ ચૂક્યા છે. અને જળવાયું પરિવર્તનના ગ્લોબલ વોર્મિંગની વિરુદ્ધ આઈએસએ જમીન પર સાચા અર્થમાં લાવી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો આજકાલ આપણે 21મી સદીના ઇન્ફ્રાની વાતો કરીએ છીએ, દરેક વ્યક્તિ આગામી પેઢીનું ઇન્ફ્રા, આગળની પેઢીનું ઇન્ફ્રા બોલતો રહે છે. પરંતુ અહિં મારો ઇન્ફ્રાનો અર્થ થોડો જુદો છે. અહિયાં હું જ્યારે તમારી વચ્ચે આવ્યો છું ફ્રાન્સની ધરતી પર આવ્યો છું ત્યારે મારો ઇન્ફ્રાનો અર્થ છે આઈએન ઇન્ડિયાની માટે એફઆરએ – ફ્રા ફ્રાન્સની માટે ઇન + ફ્રા (IN+FRA ) એટલે કે ઇન્ડિયા અને ફ્રાન્સનો તાલમેલ એલાયન્સ ઇન્ફ્રા… સોલર ઇન્ફ્રાથી લઈને સામાજિક ઇન્ફ્રા સુધી, ટેકનિકલ ઇન્ફ્રાથી લઈને સ્પેસ ઇન્ફ્રા સુધી, ડિજિટલ ઇન્ફ્રાથી લઈને ડીફેન્સ ઇન્ફ્રા સુધી… ભારત અને ફ્રાન્સનું એલાયન્સ મજબુતીથી આગળ વધી રહ્યું છે.

ભારતમાં સ્માર્ટ શહેરી વ્યવસ્થાઓના નિર્માણ અને બુદ્ધિમત્તાવાળા ટ્રાન્સપોર્ટેશનમાં ભાગીદારી વડે પણ બંને દેશોને લાભ મળી રહ્યો છે. ભાઈઓ અને બહેનો, ફ્રાન્સમાં ભારતીય વૈજ્ઞાનિકો અને ભારતમાં ફ્રેંચ ટેકનોલોજીનું ઘણું સન્માન છે. તમારામાંથી કેટલાય લોકો ફ્રાન્સમાં ભારતની વૈજ્ઞાનિક પ્રતિભાને રજૂ કરી રહ્યા છો. એકેડમિક એનર્જી એરોસ્પેસ ટેકનોલોજી અને બીજા હાઈટેક વિસ્તારોમાં બંને દેશોના સિગ્નેચર પ્રોજેક્ટ્સ જોડાયેલા છે. ફ્રાન્સમાં દુનિયાના એકમાત્ર ફ્યુઝન રીએક્ટર બનાવવામાં પણ ભારતીય પ્રતિભા ભાગીદાર છે. આ વર્તમાન સદીનો ખૂબ જ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ છે. જ્યારે આ ટેકનોલોજી આવનારી પેઢીઓને અપાર ઊર્જા ઉપલબ્ધ કરાવશે તો તેમાં તમારું પણ યોગદાન રહેશે. જરા વિચારો એટલો ગર્વ થશે દરેક ભારતીયને.

સાથીઓ, ભારત સાથેનો તમારો સંબંધ માટીનો છે… ભારત સાથે તમારો સંબંધ માટીનો છે તો ફ્રાન્સ સાથે મહેનતનો સંબંધ છે. તમારી સફળતાઓ ફ્રાન્સની માટે ગૌરવનો વિષય તો છે જ સાથે જ તે ભારતને પણ ગૌરવાન્વિત કરે છે. ભારતીય મૂળના લોકોએ ફ્રાન્સીસી જાહેર જીવનમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કોઈ વ્યક્તિ ફ્રાન્સની સંસદના સભ્ય છે. જ્યારે ભારતીય પ્રતિભાઓને ફ્રાન્સનું સન્માન પ્રાપ્ત થાય છે તો અમારું પણ માથું ગર્વથી ઊંચું થઇ જાય છે… મને એ વાતની પણ ખુશી છે કે તમે ફ્રાન્સના રીવાજો અને કાયદાઓનેઅપનાવવાની સાથે સાથે પોતાની વિશેષ ભારતીયતાને સંભાળીને રાખી છે.

મને જણાવવામાં આવ્યું છે કે ગણપતી મહોત્સવ પેરિસના કલ્ચરર કેલેન્ડરની મુખ્ય વિશેષતા બની ગયો છે. ગણેશ ચતુર્થીના દિવસે એક રીતે પેરીસ સુક્ષ્મ ભારતમાં પલટાઈ જાય છે. એટલે કે હમણાં થોડા જ દિવસો બાદ અહિયાં ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ પણ સાંભળવા મળશે.મારી શુભકામનાઓ તમારી સાથે છે અને આવતીકાલે જન્માષ્ટમીનું પવિત્ર પર્વ પણ છે. હું તેની માટે પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
સાથીઓ, આ વર્ષે અમે બધા મહાત્મા ગાંધીની 150મી જયંતિ અને ગુરુ નાનકદેવજીનું 550મું પ્રકાશ પર્વ પણ ઉજવવા જઈ રહ્યા છીએ. હું આશા રાખું છું કે તમારામાંથી કેટલાક લોકોએ ગાંધી ક્વીઝમાં પણ ભાગ લીધો હશે જો રહી ગયા છો તો હજુ પણ અવસર છે.

ભાઈઓ અને બહેનો દેશના વિકાસની માટે તમારું યોગદાન ભારતની માટે બહુ મોટી તાકાત છે. ભારત અને ફ્રાન્સના સંબંધોની મજબૂતીના મૂળમાં પણ માત્ર સરકારો જ નથી પરંતુ તમારા જેવા નાગરિકો છે. તમે જ ફ્રાન્સમાં ભારતના પ્રતિનિધિ છે, તમે જ ભારતનો અવાજ છો, તમે જ ભારતની ઓળખ છો.

મને વિશ્વાસ છે કે ભારતના આ અવાજને તમે હંમેશા હંમેશા માટે બુલંદ કરતા રહેશો અને હું હંમેશ હંમેશા એટલા માટે જ કહું છું કે હવે હિન્દુસ્તાનમાં કામચલાઉ વ્યવસ્થા નથી. તમે જોયું હશે સવા સો કરોડનો દેશ ગાંધી અને બુદ્ધની ધરતી છે, રામ અને કૃષ્ણની ભૂમિ છે, કામચલાઉને કાઢતા કાઢતા 70 વર્ષ નીકળી ગયા. કામચલાઉને કાઢવામાં 70 વર્ષ મને તો ખબર નથી પડતી કે હસવાનું છે કે રોવાનું છે.

સાથીઓ, રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને કાયમી વ્યવસ્થાઓની સાથે પાક્કા આધારની સાથે દેશ ચાલી નીકળ્યો છે, ચાલતો રહેશે, લક્ષ્યને પણ હાંસલ કરશે, મંજિલને પણ પ્રાપ્ત કરશે… આ બધા વિશ્વાસની સાથે ફરી એકવાર આપ સૌનો ખૂબખૂબ આભાર.

આભાર…

ભારત માતાની જય ……

ભારત માતાની જય ……

ભારત માતાની જય ……

*******

DK/NP/J. Khunt/RP