Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશનની ગવર્નિંગ કાઉન્સિલની સૌપ્રથમ બેઠક યોજાઈ

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશનની ગવર્નિંગ કાઉન્સિલની સૌપ્રથમ બેઠક યોજાઈ


બીજી જૂન, 2016ના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન (એનએસડીએમ)ની ગવર્નિંગ કાઉન્સિલની સૌપ્રથમ બેઠક યોજાઈ હતી.

બેઠકને સંબોધતા પ્રધાનમંત્રી શ્રીએ કૌશલ્ય અંગે હાલની પરિસ્થિતિનું યોગ્ય આલેખન અને કૌશલ્ય અંગે ભવિષ્યની જરૂરિયાતો ઓળખી કાઢવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી શાળાના બાળકો અને માતા-પિતાને જોબ માર્કેટમાં ઊભરતા પ્રવાહોથી સારી રીતે માહિતગાર બની શકે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આવી જ પ્રક્રિયા દ્વારા વૈશ્વિક સ્તરે કૌશલ્ય ધરાવતી માનવશક્તિની જરૂરિયાતનું આકલન કરવું જોઈએ, જેથી ભારત કૌશલ્યપૂર્ણ કામદારો માટે વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળી શકે.

પ્રધાનમંત્રીએ સલામતિનાં ધોરણોના ચુસ્ત અમલ તેમજ સોફ્ટ સ્કિલ્સ કૌશલ્ય વિકાસનો અભિન્ન ભાગ હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીઓ, ગૃહ (સ્વતંત્ર હવાલો) તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી રાજીવ પ્રતાપ રૂડી, માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની, સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમોના મંત્રી શ્રી કલરાજ મિશ્ર અને પ્રત્યાયન તેમજ માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત તાતા જૂથના સાયરસ પી. મિસ્ત્રી, ફ્લિપકાર્ટના સ્થાપક અને સીઈઓ શ્રી સચિન બંસલ, ટીમ લીઝ સર્વિસીઝના અધ્યક્ષ અને સ્થાપક મનીષ સભરવાલ સહિત કંપની અગ્રણીઓએ ભાગ લીધો હતો.

બેઠકમાં લેવાયેલા કેટલાક મહત્ત્વના નિર્ણયો આ મુજબ છે ઃ

• વર્ષ 2016-2017માં કૌશલ્ય તાલીમ હેઠળ ઓછામાં ઓછા 1.5 કરોડ લોકોને આવરી લેવા.

• ભારતમાં કૌશલ્ય વિકાસની ઈકોસિસ્ટમમાં ગુણવત્તા લાવવા માટે સપ્ટેમ્બર, 2016 સુધીમાં સેન્ટ્રલ બોર્ડ ફોર સ્કિલ્સ સર્ટિફિકેશન સ્થાપવું.

• પ્રવર્તમાન એન્જિનિયરીંગ કોલેજોમાં વણવપરાતી માળખાકીય સવલતોનો ઉપયોગ કૌશલ્ય તાલીમના અભ્યાસક્રમો માટે કરવો.

• નફો કરી રહેલા જાહેર ક્ષેત્રનાં એકમો (પીએસયુ) માટે આ વર્ષ દરમિયાન એપ્રેન્ટિસશીપ્સ કુલ માનવશક્તિના 10 ટકા કરવી ફરજિયાત બનાવાશે. ખાનગી કંપનીઓ પણ આ મુજબ વર્તે તેવી અપેક્ષા રહેશે.

• ભારતના મહત્ત્વાકાંક્ષી યુવાોને તાલીમ આપવા માટે આ વર્ષે 500 પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્રો ખોલવામાં આપશે, જેમાં વિના મૂલ્યે કૌશલ્ય તાલીમ આપવામાં આવશે.

• દેશનાં સ્થળાંતરી પ્રદેશોમાં આ વર્ષે 50 જેટલાં વિદેશી રોજગાર કૌશલ તાલીમ કેન્દ્રો ખોલવામાં આવશે.

• યુવાનોમાં કૌશલ્ય તાલીમની મહત્ત્વાકાંક્ષા જાગૃત કરવા દેશભરનાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો (આઈટીઆઈ), કેન્દ્રિય તાલીમ સંસ્થાનો, પીએમકેવીવાય તાલીમ કેન્દ્રો, ટૂલરૂમ્સ વગેરેમાં 500 રોજગાર ઉત્સવો યોજાશે.

• વર્ષ 2016-2017 દરમિયાન ભારતના યુવાનોનાં કૌશલ્યો ઓળખવા માટે ઈન્ડિયા સ્કિલ્સ નામે રાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધા યોજાશે. આ વાર્ષિક આયોજન રહેશે.

• આઈટીઆઈનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂરો કરનારા ઉમેદવારોની સફળતાની નોંધ લેવા માટે આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે પદવીદાન યોજાશે.

• આગામી એક વર્ષ દરમિયાન, આઈટીઆઈની ક્ષમતા 18.5 લાખથી વધુ વધારીને 25 લાખ કરવી અને 5000 કરતાં વધુ નવી આઈટીઆઈ સ્થાપવી.

• વિવિધ કાર્યક્રમો હેઠળ અનૌપચારિક એપ્રેન્ટિસશીપ્સ દ્વારા પરંપરાગત કૌશલ્યોની નોંધ લેવી, તેનું જતન કરવું અને તેને પ્રોત્સાહન આપવું.

પરિપ્રેક્ષ્ય

65% ભારતીયો 35 વર્ષથી ઓછી વય ધરાવે છે. વર્ષ 2025 સુધીમાં વિશ્વમાં કામકાજ કરી શકે તેવી વય ધરાવતી વસતીમાં લગભગ દર પાંચમાંથી એક વ્યક્તિ (18.5 ટકા) ભારતીય હશે. ભારતના વસ્તીવિષય લાભનો ફાયદો ઉઠાવવા તેમજ કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવા માટે નવી ચૂંટાયેલી એનડીએ સરકારે નવેમ્બર, 2014માં સૌપ્રથમવાર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા (એમએસડીઈ) માટે સમર્પિત નવું મંત્રાલય સ્થાપ્યું હતું, જે કૌશલ્ય વિકાસના પ્રયત્નો હાથ ધરી શકે અને તેનું સંકલન સાધી શકે. સ્કિલ ઈન્ડિયા, આ નવા મંત્રાલય હેઠળ હાથ ધરાયેલી યોજના છે.

એમએસડીઈને વારસામાં એક તદ્દન ભાંગી પડેલી ઈકોસિસ્ટમ મળી હતી. કેન્દ્ર સરકારનાં 21 મંત્રાલયો અને વિભાગો 50 કરતાં વધુ કૌશલ્ય તાલીમ કાર્યક્રમો હાથ ધરી રહ્યાં હતાં અને માહિતી તેમજ જ્ઞાનની ઉપલબ્ધિ માટે અસહકારભર્યા (સિલો) માહોલમાં કાર્યરત હતા. યોજનાઓ વચ્ચે પરસ્પર વિરોધાભાસી ધોરણો, દેખરેખનું કથળેલું તંત્ર, જુદા જુદા મૂલ્યાંકનો અને પ્રમાણપત્રોની પ્રથાઓ અને સફળતા માટે સુસંગત દ્રષ્ટિકોણના અભાવને કારણે આ પગલાંની અસરકારકતા મર્યાદિત હતી. અગાઉ આ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન બોર્ડ અથવા પ્રધાનમંત્રીના નેશનલ કાઉન્સિલ ઑફ સ્કિલ ડેવલપમેન્ટ – 2008 જેવા પ્રયત્નો કરાયા હતા – હકીકત એ હતી કે જુદી જુદી સંસ્થાઓ હેઠળ અનેક મંડળીઓ હતી અને અમલીકરણમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ હતો, તેનાથી આ સંસ્થાનો બિનઅસરકારક બની હતી.

એમએસડીઈએ પ્રમાણમાં ખૂબ ટૂંકા ગાળામાં મહત્ત્વનાં લક્ષ્યાંકો હાંસલ કર્યાં છે. માત્ર છ જ મહિનામાં કૌશલ્ય તાલીમ અને ઉદ્યોગસાહસિકતાની ઈકોસિસ્ટમની મુખ્ય સંસ્થાઓને મંત્રાલય હેઠળ લાવવામાં આવી હતી. માત્ર આઠ મહિનામાં જ એમએસડીઈએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા માટે રાષ્ટ્રીય નીતિ ઘડી હતી, જે ભારતમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને ઉત્તેજન આપવાના બહુચર્ચિત વિઝનને સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી. એમએસડીઈએ કૌશલ્ય તાલીમના પ્રયત્નોનાં સંકલન અને તેનું પ્રમાણ વધારવા માટે ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન તૈયાર કર્યું હતું. આ બંને નીતિવિષયક પગલાંઓનો 15મી જુલાઈ, 2015ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિધિવત્ આરંભ કરાયો હતો.

આ મિશન હેઠળ દેશભરમાં કૌશલ્યને લગતી પ્રવૃત્તિઓ માટે સાધનરૂપ બનવા, સંકલન સાધવા, અમલીકરણ કરવા અને દેખરેખ રાખવામાં આવે છે. મિશનમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોના મુખ્ય ભાગીદારોને સાથે મળીને ત્રિસ્તરીય માળખા સાથે મિશનની એક જ છત્રછાયા હેઠળ લાવવામાં આવ્યા છે, જેમાં નીતિ વિષયક ભૂમિકા માટે ગવર્નિંગ કાઉન્સિલ, સંકલનની ભૂમિકા માટે સ્ટિયરીંગ કમિટી અને અમલીકરણ માટે મિશન ડાયરેક્ટોરેટ (એક્ઝિક્યુટિવ કમિટી સહિત) સામેલ છે. મિશનની ગવર્નિંગ કાઉન્સિલનું વડપણ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી સંભાળે છે અને તેઓ ‘સ્કિલિંગ ઈન્ડિયા’ વિશે પોતાના વિઝન દ્વારા માર્ગદર્શન આપે છે.

ભારતમાં વ્યાવસાયિક તાલીમની ઈકોસિસ્ટમમાં સ્કિલ ઈન્ડિયાએ પરિવર્તનનો પવન ફૂંક્યો છે. છેલ્લા એક વર્ષમાં મિશન હેઠળ 1.04 કરોડથી વધુ યુવાનો તાલીમબદ્ધ બન્યા. આ આંકડો પાછલા વર્ષના નોંધાયેલા ડેટા કરતાં 36.8 ટકા ઊંચો છે. હાલની વ્યવસ્થામાં 60 ટકા જેટલી તાલીમ સીધી એમએસડીઈ હેઠળ અપાય છે, જ્યારે 40 ટકા અન્ય કેન્દ્રિય મંત્રાલયો હેઠળ અપાય છે. એમએસડીઈની ફ્લેગશિપ યોજના છે, પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય), જે 15મી જુલાઈ, 2015ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા શરૂ કરાઈ હતી. આ યોજના હેઠળ 20 લાખ કરતાં વધુ લોકોને એમની પસંદગીના કૌશલ્ય માટે તાલીમ અપાઈ, જેમાંથી 40 ટકા મહિલા ઉમેદવારો છે.

ઝડપ, માપ, ધોરણો અને સાતત્યપૂર્ણતા, એનએસડીએમનાં આ ચાર મુખ્ય સિદ્ધાંતો છે. ગવર્નિંગ કાઉન્સિલની પ્રથમ બેઠકનું ધ્યેય આ પ્રત્યેક સિદ્ધાંત પર થયેલા વિકાસની સમીક્ષા કરવી અને ઉચ્ચ ધોરણો જાળવી રાખવાની સાથે સાથે ઝડપથી વધતા જતા કૌશલ્ય તાલીમના પ્રયત્નો માટે નક્કર એજન્ડા વિશે ચર્ચા કરવાનું હતું.

AP/J.Khunt/GP