Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતીય સહાય સાથે સંપૂર્ણ શ્રીલંકામાં આકસ્મિક એમ્બ્યુલન્સ સેવાનાં વિસ્તરણ પ્રસંગે વીડિયો લિન્ક મારફતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંપૂર્ણ શ્રીલંકામાં ભારતીય સહાય સાથે આકસ્મિક એમ્બ્યુલન્સ સેવાનાં વિસ્તરણનાં પ્રસંગે વીડિયો લિન્ક દ્વારા સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે જાફનામાં શ્રીલંકાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રાનિલ વિક્રમાસિંઘે જોડાયા હતાં.

પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ અહીં પ્રસ્તુત છેઃ

મારાં મિત્ર અને શ્રીલંકાનાં આદરણીય પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રાનિલ વિક્રમાસિંઘે

પ્રોફેસર મૈત્રી વિક્રમાસિંઘે

શ્રીલંકાનાં આદરણીય મંત્રીઓ,

શ્રીલંકામાં ભારતનાં હાઈ કમિશનર,

ઉત્તર પ્રાંતનાં આદરણીય મુખ્યમંત્રી,

શ્રીલંકાનાં આદરણીય સાંસદો,

આદરણીય ધાર્મિક નેતાઓ,

વિશિષ્ટ મહેમાનો,

અને મિત્રો,

નમસ્કાર

આયુબોવાન

વણક્કમ

મને લાઇવ વીડિયો લિન્ક મારફતે આજે જાફનામાં તમારી સાથે વાત કરી આનંદથયો.

મને વધારે ખુશી એ વાતની છે કે, આ પ્રસંગે સમગ્ર શ્રીલંકામાં રાષ્ટ્રીયઆકસ્મિક એમ્બ્યુલન્સ સેવાનું વિસ્તરણ થયું છે.

આ પ્રસંગે ભારત અને શ્રીલંકાની વિકાસલક્ષી ભાગીદારીએ વધુ એક મોટી સફળતા મેળવી છે.

મારાં મિત્ર પ્રધાનમંત્રી વિક્રમાસિંઘેએ વર્ષ 2015માં શ્રીલંકાની મારી મુલાકાત દરમિયાન શ્રીલંકામાં આ પ્રકારની વ્યવસ્થા સ્થાપિત કરવાની વાત કરી હતી.

મને અત્યંત ખુશી છે કે જુલાઈ, 2016માં આ પશ્ચિમ અને દક્ષિણ પ્રાંતમાં આ સેવાનાં પ્રથમ તબક્કાની શરૂઆત થઈ હતી.

ગયા વર્ષે મેં શ્રીલંકાની મારી મુલાકાત દરમિયાન મેં શ્રીલંકાનાં મૈત્રીપૂર્ણ લોકોને વચન આપ્યું હતું કે, ભારત સમગ્ર શ્રીલંકામાં પ્રી-હોસ્પિટલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસનું વિસ્તરણ કરવા માટે કામ કરશે.

મને એ વાતનોઆનંદ છે કે, ભારતે સમયસર તેનું વચન પૂર્ણ કર્યું છે અને આપણે આજે આ સેવાનાં બીજા તબક્કાની શરૂઆત થઈ છે.

મને એ વાતની પણ ખુશી છે કે, આ વિસ્તરણનો તબક્કો ઉત્તર પ્રાંત સાથે શરૂ થયો છે. ભારતને તમારાં ભૂતકાળના દુઃખો દૂર કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે સંયુક્તપણે કામ કરવાની ખુશી છે.

હું જાણું છું કે આ સેવા સાથે સંકળાયેલા લોકોને ભારતમાં તાલીમ મળી છે. આનાથી આવશ્યક કૌશલ્યો અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન પણ મળશે.

મિત્રો,

આ માત્ર જોગાનુજોગ નથી કે, શ્રીલંકામાં આ પ્રથમ પ્રતિસાદ સેવા સ્થાપિત કરવામાં અને તેનું વિસ્તરણ કરવામાં તેનાં ભાગીદાર બનવાનો ભારતને વિશેષાધિકાર મળ્યો છે.

સારાં અને નરસાં એમ બંને પ્રકારનાં સમયમાં ભારત હંમેશા શ્રીલંકા માટે પ્રથમ પ્રતિસાદ(responder) આપનાર બની રહ્યું છે અને ભવિષ્યમાં પણ બની રહેશે.

બે લોકશાહી અને વૈવિધ્યપૂર્ણ દેશોનાં નેતાઓ તરીકે બંને પ્રધાનમંત્રીઓ, હું અને વિક્રમાસિંઘે વિકાસનાં લાભ સમાજનાં તમામ વર્ગો સુધી પહોંચાડવામાં માનીએ છીએ.

શ્રીલંકાના દરેક નાગરિકોની આશા-આકાંક્ષાઓને પૂર્વ કરવા માટે રાષ્ટ્રપતિ મહામહિમ સિરીસેના અને પ્રધાનમંત્રી વિક્રમસિંઘેના પ્રયાસોની હું સરાહના કરૂ છું.

મિત્રો,

મેં પ્રધાનમંત્રી તરીકે શ્રીલંકાની બે વાર મુલાકાત લીધી છે અને આ મુલાકાતની ખૂબ સારી યાદો મારા હૃદયમાં છે. મને શ્રીલંકાવાસીઓએ જબરદસ્ત પ્રેમ આપ્યો હતો અને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.

વળી જાફનાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનવાનું સદનસીબ પણ મને મળ્યું હતું. હું ગયા વર્ષે યુએન વેસાખ દિવસની ઉજવણીમાં સહભાગી પણ થઈ શક્યો હતો. આ બધા અવિસ્મરણીય અનુભવો હતા.

મિત્રો,

અત્યારે દુનિયાનાં તમામ રાષ્ટ્રો તેમનાં પડોશી દેશો સાથે ગાઢ રીતે જોડાયેલા છે, મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે.

જ્યારે હું શ્રીલંકાનો વિચાર કરું છું, ત્યારે હું તેને પડોશી રાષ્ટ્રની સાથે-સાથે દક્ષિણ એશિયાનો અતિ વિશેષ અને વિશ્વસનિય ભાગીદાર દેશ તથા હિંદ મહાસાગર પરિવારનો સભ્ય દેશ ગણું છું.

અમે સહિયારી પ્રગતનું સ્વપ્ન ધરાવીએ છીએ અને તેને સાકાર કરવા માટે શ્રીલંકા સાથે અમારી વિકાસલક્ષી ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે એવું મારું માનવું છે.

જ્યારે ત્રણ વર્ષ અગાઉ મને શ્રીલંકાની સંસદને સંબોધન કરવાનું સન્માન મળ્યું હતું, ત્યારે મેં બંને પડોશી રાષ્ટ્રોની ભૌગોલિક નિકટતાને ગાઢ સંબંધોમાં પરિવર્તિત કરવા માટે શક્ય તમામ પગલાં લેવાની જરૂરિયાત વિશે વિગતવાર વાત કરી હતી.

મહાત્મા ગાંધીએ વર્ષ 1927માં જાફનાનાં વિદ્યાર્થી કોંગ્રેસનાં આમંત્રણને માન આપીને શ્રીલંકાની મુલાકાત લીધી હતી. એ સમયે તેમણે દક્ષિણમાં મટારાથી પ્રવાસ કરીને ઉત્તરમાં પોઇન્ડ પેડ્રો સુધી સફર કરી હતી. એ મુલાકાતમાં તેમણે જે વાત કરી હતી એ મને અત્યારે યાદ આવે છે. તલાઈમન્નાર મારફતે પરત ફરતાં અગાઉ તેમણે જાફનામાં સ્વાગત સમિતિને કહ્યું હતું કેઃ “મેં જાફનાને જે સંદેશ આપ્યો છે એ સંપૂર્ણ સીલોન્સને લાગુ પડી શકે છેઃ ચાલો આપણે એકબીજાનાં સંપર્કમાં રહીએ, એકબીજા સાથેનું આદાન-પ્રદાન વધારીએ.”

અત્યારે મારે તમને એ જ સંદેશ આપવો છે. આપણાં બંને દેશોનાં લોકોએ એકબીજાનાં સતત સંપર્કમાં રહેવું જોઈએ, જેથી આપણે એકબીજાને વધારે સારી રીતે જાણી શકીએ, વધારે સારી રીતે સમજી શકીએ અને વધારે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવી શકીએ.

નવું ભારત જે રીતે આકાર લઈ રહ્યું છે એનો અનુભવ લેવા માટેહું તમનેભારત આવવા આમંત્રણ આપું છું.

મને એ જાણીને આનંદ થયો છે કે, તમારાં મહામહિમ પ્રધાનમંત્રી વિક્રમાસિંઘે ઓગસ્ટની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે. હું તેમને ભારતમાં સુવિધાજનક સફર અને આનંદદાયક રોકાણની શુભેચ્છા પાઠવું છું.

તમારો આભાર. તમારો ખૂબ-ખૂબ આભાર.

 

RP