Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને ચીનનું બીજું અનૌપચારિક શિખર સંમેલન


1. ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગે 11 અને 12 ઓક્ટોબર, 2019નાં રોજ ભારતનાં ચેન્નાઈમાં તેમનું બીજું અનૌપચારિક શિખર સંમેલન યોજ્યું હતું.

2. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક, લાંબા ગાળાનાં મુદ્દાઓ પર મૈત્રીપૂર્ણ વાતાવરણમાં અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.

3. તેમણે રાષ્ટ્રીય વિકાસ માટે તેમનાં સંબંધિત અભિગમો પણ વહેંચ્યાં હતાં.

4. તેમણે સકારાત્મક રીતે દ્વિપક્ષીય સંબંધોની દિશાનું મૂલ્યાંકન કર્યું હતું તથા આંતરરાષ્ટ્રીય મંચ પર બંને દેશોની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરવા ભારત-ચીન દ્વિપક્ષીય આદાનપ્રદાન કેવી રીતે ગાઢ કરી શકશે એનાં પર ચર્ચા કરી હતી.

5. બંને નેતાઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીય સ્થિતિસંજોગોમાં મહત્ત્વપૂર્ણ પુનર્ગઠન જોવા મળે છે. તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ભારત અને ચીન તમામ દેશો નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની અંદર તેમનો વિકાસ કરી શકે એવી શાંતિ, સુરક્ષિત અને સમૃદ્ધ દુનિયા માટે કામ કરવાનાં સામાન્ય ઉદ્દેશો વહેંચે છે.

6. તેમણે એપ્રિલ, 2018માં ચીનનાં વુહાનમાં યોજાયેલી પ્રથમ અનૌપચારિક શિખર સંમેલન દરમિયાન થયેલી સર્વસમંતિઓ પર ભાર મૂક્યો હતો કે, હાલના આંતરરાષ્ટ્રીય સ્થિતિસંજોગોમાં સ્થિરતા માટે ભારત અને ચીન મહત્ત્વપૂર્ણ છે તથા બંને પક્ષો વિવેકસર તેમનાં મતભેદો દૂર કરશે તેમજ કોઈ પણ મુદ્દા પર વિવાદ ન સર્જાય એનું ધ્યાન રાખશે.

7. બંને નેતાઓ સંમત થયા હતા કે, ભારત અને ચીન નિયમ આધારિત અને સમાવેશક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવવા અને એને આગળ વધારવા સામાન્ય હિત ધરાવે છે, જેમાં 21મી સદીની નવી વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ હોય એવા સુધારાઓ સામેલ છે. બંને નેતાઓ સંમત થયા હતાં કે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સંમત વેપારી પદ્ધતિઓ અને નિયમો પર પોતાનાં હિતને ધ્યાનમાં રાખીને પ્રશ્રો ઉઠાવવામાં આવે છે, ત્યારે નિયમ આધારિત બહુપક્ષીય વેપારી વ્યવસ્થાને સાથસહકાર આપવો અને એને વધારે મજબૂત કરવી મહત્ત્વપૂર્ણ છે. ભારત અને ચીન ઉદાર અને સર્વસમાવેશક વેપારી સમજૂતીઓ માટે સંયુક્તપણે કામ કરવાનું જાળવી રાખશે, જેનાથી તમામ દેશોને લાભ થશે.

8. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય વિકાસલક્ષી પડકારોનું સમાધાન કરવા તેમનાં સંબંધિત દેશોમાં મહત્ત્વપૂર્ણ પ્રયાસો હાથ ધરવાનું મહત્ત્વ પણ વ્યક્ત કર્યું હતું, જેમાં આબોહવામાં પરિવર્તન અને સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી) સામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંબંધમાં તેમનાં વ્યક્તિગત પ્રયાસોથી લક્ષ્યાંકો હાંસલ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ મળશે.

9. બંને નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આતંકવાદ આંતરરાષ્ટ્રીય સમસ્યા તરીકે જળવાઈ રહી છે. વિશાળ અને વિવિધતાસભર દેશો તરીકે તેમણે એ સુનિશ્ચિતતા કરવા સંયુક્ત પ્રયાસો કરવાનાં જાળવવાનાં મહત્ત્વને ઓળખ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય દુનિયાભરમાં આતંકવાદી જૂથોને તાલીમ આપવા, ધિરાણ કરવા અને સાથસહકાર આપવા સામે માળખાને મજબૂત કરશે તેમજ એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે.

10. મહાન પરંપરાઓ સાથે મહત્ત્વપૂર્ણ આધુનિક સભ્યતાઓ તરીકે બંને નેતાઓએ બંને દેશોનાં લોકો વચ્ચે સાંસ્કૃતિક સમજણ વધારવા સંવાદને વેગ આપવાનાં મહત્ત્વ પર ભાર મૂકવાનાં મહત્ત્વને ઓળખ્યું હતું. બંને નેતાઓ એ બાબતે પણ સંમત થયા હતાં કે, ઇતિહાસની બે પ્રાચીન સભ્યતાઓ તરીકે તેઓ સંવાદ વધારવા તથા દુનિયાનાં અન્ય દેશોમાં સંસ્કૃતિઓ અને સભ્યતાઓ વચ્ચે સમજણ વધારવા સંયુક્તપણે કામ કરી શકે છે.

11. તેમણે વિસ્તારની શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા નિખાલસ, સર્વસમાવેશક, સમૃદ્ધ અને સ્થિર વાતાવરણ ઊભું કરવું મહત્ત્વપૂર્ણ છે એ વિચારો પર સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે પારસ્પરિક લાભદાયક અને સંતુલિત વિસ્તૃત સંપૂર્ણ આર્થિક ભાગીદારી માટે વાટાઘાટો સંપન્ન કરવાનાં મહત્ત્વ પર પણ સંમતિ વ્યક્તિ કરી હતી.

12. બંને નેતાઓએ છેલ્લાં 2,000 વર્ષમાં ભારત અને ચીન વચ્ચે સદીઓ જૂનાં વાણિજ્યિક જોડાણો અને લોકો વચ્ચેનાં સંપર્ક પર આદાનપ્રદાન કર્યું હતું, જેમાં મહત્ત્વપૂર્ણ દરિયાઈ સંપર્કો સામેલ હતાં. આ સંબંધમાં બંને નેતાઓ તમિલનાડુ અને ફુજિયાન પ્રાંત વચ્ચે સિસ્ટર-સ્ટેટ સંબંધો સ્થાપિત કરવા, અજંતા અને દુન્હુઆંગ વચ્ચેનાં અનુભવોની જેમ મહાબલિપુરમ અને ફુજિયાન પ્રાંત વચ્ચે અભ્યાસનું જોડાણ કરવા એકેડમિક સંબંધો સ્થાપિત કરવાની શક્યતા ચકાસવા તેમજ સદીઓથી આપણાં વિસ્તૃત સંપર્કોની દૃષ્ટિએ ભારત અને ચીન વચ્ચે દરિયાઈ સંબંધો પર સંશોધન હાથ ધરવા સંમત પણ થયા હતાં.

13. બંને નેતાઓએ તેમના સંબંધિત અર્થતંત્રોનાં વિકાસ માટેનાં લક્ષ્યાંકો પર તેમનું પારસ્પરિક વિઝન વહેંચ્યું હતું. તેઓ સંમત થયા હતાં કે, ભારત અને ચીનમાં એકસાથે પારસ્પરિક લાભદાયક તકો વિકસાવવામાં આવશે. બંને પક્ષો સકારાત્મક, વ્યવહારિક અને ખુલ્લો અભિગમ સ્વીકારવાનું જાળવી રાખશે તેમજ મૈત્રી અને સાથસહકારની સાધારણ દિશાને અનુરૂપ એકબીજાની નીતિઓ અને કામગીરીઓની પ્રશંસા વધારશે. આ સંબંધમાં તેઓ પારસ્પરિક હિતની તમામ બાબતો પર વ્યૂહાત્મક સંચાર વધારવા જાળવી રાખવા પણ સંમત થયા હતાં તેમજ સંવાદની વ્યવસ્થાનો સંપૂર્ણ ઉપયોગ કરીને ઉચ્ચ-સ્તરીય આદાનપ્રદાનોને વેગ આપશે.

14. બંને નેતાઓનો એવો દૃષ્ટિકોણ હતો કે, સંબંધોની સકારાત્મક દિશાએ દ્વિપક્ષીય સંબંધોને વધારે ઊંચાઈએ લઈ જવાની શક્યતાઓ ઊભી કરી છે. તેમણે સંમતિ વ્યક્ત કરી હતી કે, આ પ્રયાસમાં બંને દેશોની જનતાનાં સાથસહકારની પણ જરૂર છે. આ સંદર્ભમાં બંને નેતાઓએ વર્ષ 2020ને ભારત-ચીન સાંસ્કૃતિક અને નાગરિક આદાનપ્રદાનનું વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો તથા સંમતિ વ્યક્ત કરી હતી કે, વર્ષ 2020માં ભારત અને ચીનનાં રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી થશે, જે અંતર્ગત તમામ સ્તરે સંબંધોને ગાઢ બનાવવા માટે આ વર્ષનો સંપૂર્ણ ઉપયોગ થશે, જેમાં બંને પક્ષો વચ્ચેનાં સંસદો, રાજકીય પક્ષો, સાંસ્કૃતિક અને યુવા સંગઠનો તેમજ સૈન્ય દળો સામેલ થશે. બંને દેશોનાં રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરવા 70 પ્રવૃત્તિઓનું આયોજન થશે, જેમાં શિપ વોયેજ પર કોન્ફરન્સ સામેલ હશે, જેમાં બંને દેશોની પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે ઐતિહાસિક જોડાણનાં મૂળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.

15. બંને દેશો તેમનાં આર્થિક સાથસહકારને ગાઢ બનાવવાનાં અને તેમની વિકાસલક્ષી ભાગીદારી મજબૂત કરવાનાં પ્રયાસો સ્વરૂપે બંને નેતાઓએ ઉચ્ચ-સ્તરીય આર્થિક અને વેપારી સંવાદની વ્યવસ્થા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે, જેનો ઉદ્દશ વેપારી અને વાણિજ્યિક સંબંધો વધારવાનો છે તેમજ બંને દેશો વચ્ચે વેપારી સંતુલનને વધારવાનું છે. તેઓ ઉત્પાદનમાં ભાગીદારી વિકસાવીને ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં પારસ્પરિક રોકાણને પ્રોત્સાહન આપવા સંમત પણ થયા હતાં તેમજ ઉચ્ચ સ્તરીય આર્થિક અને વેપારી સંવાદની પ્રથમ બેઠકમાં આ વિચારને વિકસાવવા તેમનાં અધિકારીઓ કામગીરી સુપરત કરી હતી.

16. બંને નેતાઓએ બાકીનાં મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું છે, જેમાં સરહદ સાથે સંબંધિત પ્રશ્રો સામેલ છે. તેમણે વિશેષ પ્રતિનિધિઓની કામગીરીને આવકારી છે અને તેમને રાજકીય માપદંડો અને માર્ગદર્શક સિદ્ધાંતો પર આધારિત વાજબી, તટસ્થ અને પારસ્પરિક સ્વીકાર્ય સમજૂતી માટે બંને પક્ષો સંમત હોય એવા માળખા પર પહોંચવાનાં પ્રયાસોને આગળ વધારવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં બંને દેશો માર્ગદર્શક સિદ્ધાંતો પર સંમત થયા હતાં. તેમણે તેમની સમજૂતીઓ પર ભાર મૂક્યો હતો કે, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાનાં પ્રયાસો જળવાઈ રહેશે તેમજ બંને દેશો આ ઉદ્દેશો પાર પાડવા માટે વધારાનાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ (બંને પક્ષો વચ્ચે વિશ્વાસ વધારવા માટેનાં પગલાં) પર કામ કરવાનું ચાલુ રાખશે.

17. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ શીએ આ પ્રકારની અનૌપચારિક બેઠકનાં આયોજનની પ્રશંસા કરી હતી તથા આ બેઠકોથી બંને દેશનાં નેતાઓને સંવાદને વધારે ગાઢ બનાવવાની અને પારસ્પરિક સમજણને પ્રોત્સાહન આપવાની મહત્ત્વપૂર્ણ તક મળે છે એવો સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો હતો તેમજ અગાઉ ચીનનાં વુહાનમાં અને હાલમાં ચેન્નાઈમાં યોજાયેલી આ પ્રકારની બેઠકો આગળ જળવાઈ રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ શીએ પ્રધાનમંત્રી મોદીને ત્રીજા અનૌપચારિક બેઠક માટે ચીન આવવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

 

RP