પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને મોઝામ્બિકના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયો વચ્ચે સમજૂતિ કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
મોઝામ્બિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ફિલિપ ન્યૂસીની ભારત યાત્રા દરમ્યાન ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અને મોઝામ્બિક સરકારના ખનિજ સંસાધન અને ઉર્જા મંત્રાલય વચ્ચે એક સંમતિપત્ર પર 5 ઓગસ્ટ, 2015ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સંમતિપત્રથી બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવામાં મદદ મળી રહેશે.
પૂર્વભૂમિકાઃ
આ સંમતિપત્રનો હેતુ સહકારી સંસ્થાગત સંબંધોનો પાયો સ્થાપિત કરવાનો છે, જેથી એકબીજાને લાભ, સમાનતા અને પારસ્પરિકતાના આધાર પર નવીન અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં તકનીકી દ્વિપક્ષીય સહયોગ, નિવેશ સંવર્ધન અને ભાગીદારીને પ્રોત્સાહન મળી શકે. સહયોગના ક્ષેત્રો હેઠળ નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં વિશેષ પ્રશિક્ષણ પાઠ્યક્રમોના સંચાલન માટે નવીન અને નવીનીકરણીય ઉર્જા સાથે સંકળાયેલી પદ્ધતિના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. જેથી આ સહયોગ ક્ષેત્ર હેઠળ અનુસંધાન અને વિકાસ તથા નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રે ટેકનોલોજીના હસ્તાંતરણ, વિભિન્ન પ્રકારની નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અનુભવોનું આદાનપ્રદાન, સૌર, પવન, બાયોમાસ, જીઓથર્મલ અને જૈવ ઈંધણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત દ્વિપક્ષીય ખાનગી ક્ષેત્રવાળા નવીનીકરણીય ઉર્જા પ્લેટફોર્મની સ્થાપના, વૈજ્ઞાનિક મુલાકાતો અને પરસ્પર સંમતિવાળા અન્ય ક્ષેત્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
AP/J.Khunt/GP