પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે અન્ય પછાત વર્ગોનાં પેટા-વર્ગીકરણ સંબંધિત મુદ્દાની તપાસ કરવા માટે રચિત પંચનો સમયગાળો વધારવાની મંજૂરી આપી દીધી છે. પંચનો સમયગાળો 12 અઠવાડિયા એટલે કે 2 એપ્રિલ, 2018 સુધી વધાવામાં આવ્યો છે. તેનાં પરિણામે પંચ વિવિધ હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી અન્ય પછાત વર્ગોનાં પેટા-વર્ગીકરણનાં મુદ્દા પર એક સંપૂર્ણ રિપોર્ટ સુપરત કરવા માટે સક્ષમ થશે.
પંચની રચના બંધારણની કલમ 340 અંતર્ગત રાષ્ટ્રપતિની મંજૂરી સાથે 02 ઓક્ટોબર, 2017નાં રોજ કરવામાં આવી હતી. એ સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે, પંચનાં અધ્યક્ષ કામગીરી સંભાળશે પછી 12 અઠવાડિયાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
પૃષ્ઠભૂમિ
ન્યાયાધિશ (નિવૃત્ત) શ્રીમતી જી રોહિણીની અધ્યક્ષતામાં પંચે 11 ઓક્ટોબર, 2017નાં રોજ પોતાની કામગીરી શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધી પંચે અનામતની જોગવાઈ ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તથા રાજ્યનાં પછાત વર્ગનાં પંચો સાથે વાતચીત કરી છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ઉચ્ચ શિક્ષણનાં અભ્યાસક્રમોમાં અન્ય પછાત વર્ગોનાં પ્રવેશનાં સંદર્ભમાં 197 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનાં આંકડા મંગાવ્યાં છે. પંચે સરકારી વિભાગો, સરકારી બેંકો, નાણાકીય સંસ્થાઓ અને કેન્દ્રિય જાહેર ક્ષેત્રનાં સાહસોની સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગનાં સભ્યોને રોજગાર સંબંધિત આંકડા પણ મંગાવ્યાં છે, જેથી તેમની અનામતની અસમાનતાનું આકલન કરી શકાય. આ આકલન અંતર્ગત અન્ય પછાત વર્ગોની કેન્દ્રિય યાદીમાં સામેલ જાતિઓ/સમુદાય સામેલ છે.
વિસ્તૃત રિપોટ તૈયાર કરવા માટેનાં આ કાર્યમાં સામેલ આંકડાં મોટા પાયે છે અને તેમનાં વિશ્લેષણમાં વધારે સમય લાગવાથી પંચે પોતાનો સમયગાળો 12 અઠવાડિયા વધારવાની વિનંતી કરી હતી.
GP