પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજકીય બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ દર્શાવે છે કે વર્તમાન સરકાર રાષ્ટ્ર અને સમાજના સર્વગ્રાહી હિતો અને મૂલ્યો માટે પ્રતિબદ્ધ છે.
ભારતના બંધારણની કલમ 246 મુજબ, વસ્તી ગણતરી એ સંઘનો વિષય છે જે સાતમી અનુસૂચિમાં સંઘની સૂચિમાં 69 પર સૂચિબદ્ધ છે. કેટલાંક રાજ્યોએ જ્ઞાતિઓની ગણતરી કરવા માટે સર્વેક્ષણો હાથ ધર્યા છે. પરંતુ આ સર્વેક્ષણો પારદર્શકતા અને ઇરાદામાં ભિન્ન ભિન્ન છે, જેમાંથી કેટલાંક માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જ હાથ ધરવામાં આવ્યાં છે. જેણે સમાજમાં શંકાઓ સર્જી છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈને અને આપણા સામાજિક તાણાવાણા રાજકીય દબાણમાં ન આવે તે માટે જ્ઞાતિગણતરીને અલગ સર્વે તરીકે હાથ ધરવાને બદલે મુખ્ય વસ્તી ગણતરીમાં સમાવવાનો નિર્ણય લેવાયો છે.
આ સુનિશ્ચિત કરશે કે સમાજ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બને અને દેશની પ્રગતિ અવરોધ વિના ચાલુ રહે. ઉલ્લેખનીય છે કે, જ્યારે સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે તેનાથી સમાજના કોઈ પણ વર્ગમાં તણાવ પેદા થયો ન હતો.
સ્વતંત્રતા પછીથી હાથ ધરવામાં આવેલી તમામ વસ્તી ગણતરીની કામગીરીમાંથી જાતિને બાકાત રાખવામાં આવી હતી. વર્ષ 2010માં તત્કાલીન વડાપ્રધાન સ્વ.ડૉ.મનમોહન સિંહે લોકસભાને આશ્વાસન આપ્યું હતું કે, જાતિગત વસ્તી ગણતરીનો મામલો કેબિનેટમાં ધ્યાનમાં લેવામાં આવશે. આ વિષય પર વિચાર વિમર્શ કરવા માટે મંત્રીઓનું એક જૂથ રચવામાં આવ્યું હતું અને મોટા ભાગના રાજકીય પક્ષોએ જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવાની ભલામણ કરી હતી. આમ છતાં, અગાઉની સરકારે સામાજિક–આર્થિક અને જાતિ ગણતરી (એસઈસીસી) તરીકે ઓળખાતી જાતિગત વસ્તી ગણતરીને બદલે સર્વેક્ષણનો વિકલ્પ પસંદ કર્યો હતો.
AP/IJ/GP/JD