પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયને આધિન એક સરકારી સાહસ રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડ (એનએસઆઈસી) અને રશિયાનાં જેએસસી-રશિયન લઘુ અને મધ્યમ વેપાર નિગમ (આરએસએમબી નિગમ) વચ્ચે સમજૂતીકરાર પર હસ્તાક્ષર કરવા મંજૂરી આપી દીધી છે. રશિયાનાં રાષ્ટ્રપતિનાં ભારતમાં આગમન દરમિયાન સમજૂતીકરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
સમજૂતીકરારનો ઉદ્દેશ બંને દેશોનાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો વચ્ચે સહયોગને વધારવાનો છે. એનાથી બંને દેશોનાં એમએસએમઈ ક્ષેત્રમાં નક્કર રૂપરેખા અને સક્ષમ વાતાવરણ પેદા થશે. એમઓયુ મારફતે બંને દેશોની શક્તિઓ, બજારો, ટેકનોલોજીઓ, નીતિઓ વગેરેને સમજવામાં સક્ષમ બનીશું. સમજૂતીકરાર મારફતે બંને દેશોનાં ઉદ્યોગો વચ્ચે સહયોગ વધશે અને એમએસએમઈ ક્ષેત્રમાં ટેકનોલોજી હસ્તાંતરણ, સંયુક્ત સાહસ અને વેપારી ભાગીદારીનાં સંબંધમાં સતત વેપારી જોડાણ શરૂ કરવામાં મદદ મળશે. ક્ષમતા નિર્માણ, ઉદ્યોગસાહસિકતાનાં વિકાસની શરૂઆત, પ્રદર્શનો મારફતે એકબીજાનાં બજારમાં ભાગીદારી વધારવાનાં વિષયને પણ સમજૂતીકરારમાં સામેલ કરવામાં આવ્યાં છે.
આ સહયોગથી ભારતીય એમએસએમસી ક્ષેત્રમાં નવા તકો માટે દ્વાર ખુલશે એવી આશા છે. નવા બજાર, સંયુક્ત સાહસ, ઉત્કૃષ્ટ વ્યવહારો અને ટેકનોલોજીકલ કનેક્ટિવિટી મારફતે એની પૂર્તિ કરવામાં આવશે. એનએસઆઈસીને આ પ્રકારનાં સહયોગનો બહુ અનુભવ છે એટલે સમજૂતીકરારની પ્રવૃત્તિઓ લાગુ કરવા માટે આ એક ઉચિત સંસ્થા છે.
****
RP