Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મલાયલા મનોરમા ન્યુઝ કોન્ક્લેવ 2019ને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મિત્રો,

શ્રી મેનન મેથ્યુ, શ્રી જેકબ મેથ્યુ, શ્રી જયંત જેકબ મેથ્યુ, શ્રી પ્રકાશ જાવડેકર અને ડૉ. શશી થરૂર, વ્હાલા મહેમાનો, નમસ્કારમ્,

મલાયલા મનોરમા ન્યુઝ કોન્ક્લેવ 2019ને સંબોધન કરતાં હું અત્યંત આનંદ અનુભવુ છું. કેરળની પવિત્ર ધરતીને તથા તેની અનોખી સંસ્કૃતિને હું સલામ કરૂ છું. આ આધ્યાત્મિક અને સામાજિક જ્ઞાનની ભૂમિ છે, જેણે ભારતને આદિ શંકર, મહાત્મા અય્યાનકલી, શ્રી નારાયણ ગુરૂ, ચતમ્બી સ્વામીગલ પંડિત કરૂપ્પન, સંત કુરિયાકોસે ઇલિયાસ ચવારા, સંત આલ્ફાન્સો અને અન્ય મહાન દિકરા અને દિકરીઓ આપ્યા છે. કેરળ ખાસ કરીને, વ્યક્તિગત રીતે મારા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. મને કેરળની મુલાકાત લેવાની અનેક તકો મળી છે. મને લોકોના આશીર્વાદ પ્રાપ્ત થયા તે પછી મોટી જવાબદારી સાથે મેં સૌ પ્રથમ જે કામ કર્યું તેમાં ગુરૂવાયુર શ્રી કૃષ્ણ મંદિરના દર્શનનો સમાવેશ થાય છે.

મિત્રો,

મલાયલા મનોરમા ન્યુઝ કોન્ક્લેવને મારા સંબોધનને કારણે ભારે કુતૂહલ પેદા થયું છે. સામાન્ય રીતે એવુ બનતું હોય છે કે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ એવા મંચ પર જવાનુ પસંદ કરે છે કે જેમની વિચાર પ્રક્રિયા તે વ્યક્તિના પોતાના વિચાર વિશ્વ સાથે મળતી આવતી હોય. હું પણ એવા વાતાવરણની વચ્ચે હોવાનો આનંદ વ્યક્ત કરૂ છું, પણ સાથે-સાથે એ બાબત પણ જણાવવા માંગુ છું કે વ્યક્તિની વિચાર પ્રક્રિયા કોઈ પણ હોઈ શકે છે, પણ હું માનું છું કે તેને ધ્યાનમાં લીધા વગર વ્યક્તિઓ અને સંગઠનો વચ્ચે સતત અને સળંગ સંવાદ ચાલુ રહેવો જોઈએ.

આપણે દરેક બાબતમાં સંમત ન હોઈએ તેવું જરૂરી હોતું નથી, પરંતુ જાહેર જીવનમાં વિવિધ પ્રવાહો માટે પૂરતો વિનય-વિવેક હોવો જોઈએ. જેથી આપણે એક બીજાના દૃષ્ટિકોણને સાંભળી શકીએ. હું આજે અહિં એક એવા મંચ પર છું, જ્યાં એવા ઘણાં લોકો હશે કે જેમની વિચાર પ્રક્રિયા મારા વિચારો સાથે સમાનતા ધરાવતી નહિં હોય, પરંતુ પૂરતો વિચાર કરતા લોકોની રચનાત્મક ટીકા સાંભળવા માટે હું હંમેશાં ખૂબ જ આશાવાદી હોઉં છું.

મિત્રો,

હું એ બાબત જાણુ છું કે મલાયલા મનોરમા એ છેલ્લા એક દાયકા કરતાં પણ વધુ સમયથી મલયાલી માનસનો એક હિસ્સો બની રહ્યું છે. તેણે કેરળના લોકોને તેના અખબારી અહેવાલોના માધ્યમથી વધુ જાગૃત બનાવ્યા છે. આ અખબારે ભારતની આઝાદીની લડતને ટેકો આપવાની ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. ઘણા યુવાનો અને ખાસ કરીને જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં સામેલ થઈ રહ્યા હોય તેમણે તમારી યર બુક વાંચી જ હશે! આ રીતે તમે અનેક પેઢીઓથી ખૂબ જ જાણીતા છો. હુ તમારી સાથે આ મજલમાં સામેલ થયેલા તમારા તમામ તંત્રીઓ, રિપોર્ટરો અને સ્ટાફના લોકોને સલામ કરૂ છું.

મિત્રો,

આ કોન્કલેવના આયોજકોએ ખૂબ જ રસપ્રદ વિષય ન્યુ ઇન્ડિયા પસંદ કર્યો છે. વિવેચકો તમને પૂછશે કે શું તમે પણ હવે મોદીજીની ભાષા બોલો છો? હું માનુ છુંકે તમારી પાસે આ સવાલનો જવાબ તૈયાર હશે! પરંતુ જ્યારે તમે મારા દિલની નિકટ છે તેવો વિષય પસંદ કર્યો છે ત્યારે મને પણ ન્યુ ઇન્ડિયાની ભાવના અંગે મારો કેવો ખ્યાલ છે તે તમને જણાવવાની હું અહિં તક લઈશ.

મિત્રો,

હું હંમેશાં એવુ કહેતો રહ્યો છું કે, આપણે આગળ વધીએ કે ન વધીએ, આપણે પરિવર્તન અંગે ખુલ્લુ દિલ ધરાવતા હોઈએ કે ન હોઈએ, પણ ભારત ખૂબ ઝડપથી બદલાઈ રહ્યુ છે અને આ ફેરફાર થઈ રહ્યો છે તે એક સારી બાબત છે. ન્યુ ઇન્ડિયાની ભાવનાના કેન્દ્રમાં વ્યક્તિગત અપેક્ષાઓ અને સંયુક્ત પ્રયાસો અને રાષ્ટ્રીય પ્રગતિ માટેનો માલિકી ભાવ પડેલો છે. ન્યુ ઇન્ડિયા એક સહભાગી લોકશાહી છે, એક નાગરિકલક્ષી સરકાર અને અત્યંત આગ્રહી નાગરિક વર્ગ પડેલો છે. ન્યુ ઇન્ડિયા એ એક પ્રતિભાવ આપતા લોકો અને પ્રતિભાવ આપતી સરકારનો યુગ છે

માનવંતા મહેમાનો, ઘણાં વર્ષો સુધી એક એવી સંસ્કૃતિ પ્રવર્તમાન હતી કે જેમાં મહત્વાકાંક્ષાને ખોટું કામ અને ખરાબ શબ્દ ગણવામાં આવતો હતો. તમારા સંપર્કોને આધારે દરવાજા ખૂલતા હતા. તમારી સફળતાનો આધાર તમે ઓલ્ડ બોયઝની ક્લબમાં છો કે નહિં તેના પર આધાર રાખતો હતો. મોટા શહેરો, મોટી સંસ્થાઓ અને મોટા પરિવારોનુ મહત્વ રહેતુ હતું. લાયસન્સ રાજ અને પરમીટ રાજની આર્થિક સંસ્કૃતિ વ્યક્તિની મહેચ્છાઓ વચ્ચે અટકીને ઉભી રહી જતી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે અને બહેતર બની છે. આપણે સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ ધબકતા તંત્રમાં ન્યુ ઇન્ડિયાની ભાવના જોઈ શકીએ છીએ. હજારો પ્રતિભાશાળી યુવકો અદ્દભૂત મંચનુ સર્જન કરી રહ્યા છે અને પોતાની સાહસ ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે. રમત-ગમતના મેદાનમાં પણ આપણને આવી ભાવના જોવા મળે છે.

જ્યાં આપણી હાજરી ભાગ્યેજ વર્તાતી હતી તેવાં નવા-નવા ક્ષેત્રોમાં ભારત હવે ઉત્તમ કામગીરી દર્શાવી રહ્યું છે. સ્ટાર્ટ -અપ હોય કે રમત-ગમત હોય, તેમાં કોની શક્તિનો ધબકાર વર્તાઈ રહ્યો છે ? નાના ગામડાં અને શહેરોના હિંમતવાન યુવાનો આ કામ કરી રહ્યા છે, જેમના ગામોના નામ મોટા ભાગના લોકોએ પહેલાં સાંભળ્યા પણ નહિં હોય. આ લોકો મોટાં બેંક બેલેન્સ ધરાવતા સુસ્થાપિત પરિવારમાંથી આવતા નથી હોતા. તેમનામાં જે તત્વ વિપુલ પ્રમાણમાં છે તે છે સમર્પણ ભાવ અને મહત્વાકાંક્ષા. તે આ મહત્વાકાંક્ષાનુ ઉત્કૃષ્ટતામાં રૂપાંતર કરીને ભારતને ગૌરવ અપાવી રહ્યા છે. મારા માટે આ ન્યુ ઇન્ડિયાની ભાવના છે. આ એક એવુ ભારત છે કે જેમાં વ્યક્તિની અટક સાથે કોઈ નિસ્બત નથી, પરંતુ જે બાબત મહત્વની પૂરવાર થાય છે તે છે પોતાનુ નામ પ્રચલિત કરવાની ક્ષમતા. આ એક એવું ભારત છે કે જેમાં ભ્રષ્ટાચાર ક્યારેય વિકલ્પ બની શકતો નથી. કોઈ પણ વ્યક્તિ હોય તેની ક્ષમતા જ કામ કરી જતી હોય છે.

મિત્રો,

ન્યુ ઇન્ડિયા એ કેટલાક પસંદગીના લોકોનો અવાજ પણ નથી. તે 130 કરોડ ભારતીયોમાંથી દરેક વ્યક્તિનો અવાજ છે અને મીડિયાના વિવિધ મંચ માટે લોકોનો અવાજ સાંભળવો ખૂબ જ મહત્વનો બની રહે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક નાગરિક પોતાના દેશ માટે એક અથવા બીજુ કામ કરવાની ઈચ્છા ધરાવે છે. દરેક નાગરિક દેશ માટે યોગદાન આપી શકાય તે માટે કશુંક જતુ કરવા તૈયાર છે. દાખલા તરીકે સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાવાના કદમનું જ ઉદાહરણ લઈએ તો આ માત્ર નરેન્દ્ર મોદીનો વિચાર કે પ્રયાસ નથી. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી આવી રહી છે ત્યારે ભારતના લોકોએ જાતે જ ભારતને આ સીંગલ યુઝ પ્લાસ્ટીકથી મુક્ત કરવાનું સ્વિકારી લીધુ છે. આ એક એવો ખૂબ જ વિશેષ સમય છે કે જ્યારે આપણે રાષ્ટ્રની કાયાપલટ કરી શકીએ તેવી કોઈ તકને છોડવી જોઈએ નહી.

મિત્રો,

એક સરકાર તરીકે વ્યક્તિગત મહેચ્છાઓને પાર પાડવા માટે અને ભારતને બહેતર બનાવવા માટે સામુહિક પ્રયાસો હાથ ધરીને શક્ય તે બધું જ કર્યું છે. જીવન જીવવામાં સરળતા (‘Ease of Living’) અંગોનાં કદમ હોય કે ભાવોને નિયંત્રણમાં રાખવાની વાત હોય કે, દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની વાત હોય કે પછી પાંચ વર્ષમાં 1.25 કરોડ મકાનો બાંધવાની વાત હોય, તમામ ગામોમાં વીજળી પહોંચાડવાની વાત હોય, કે પછી આરોગ્ય કે શિક્ષણ અંગેની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાની વાત હોય, અમારા પ્રયાસો હંમેશાં યુવાનો માટે યોગ્ય અને ક્ષમતા પેદા કરે તેવુ વાતાવરણ ઉભુ કરવાની વાત હોય, જે પ્રમાણમાં અને જે વ્યાપકતાથી સરકારે કામ કર્યું છે તે બાબત મગજને અચરજ પમાડે તેવી છે. અમે ખૂબ જ ઝડપ દર્શાવીને છેલ્લામાં છેલ્લા સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. બેંકોનાં 36 કરોડ ખાતા ખોલવામાં આવ્યાં છે. નાના એકમોને 20 કરોડ ધિરાણો આપવામાં આવ્યાં છે. 8 કરોડથી વધુ લોકોને ગેસનાં જોડાણો મળે તેની ખાતરી રાખીને રસોડાંને ધૂમાડા મુક્ત કર્યાં છે. માર્ગ બાંધકામમાં પણ બમણી ઝડપ દાખવવામાં આવી છે.

આ તો માત્ર થોડાંક ઉદાહરણો છે, છતાં મને જે બાબતનો સૌથી વધુ આનંદ થાય છે અને મારા મતે જે બાબત ન્યુ ઇન્ડિયાનું હાર્દ છે તે એ છે કે લોકો કેવી રીતે પોતાનો સ્વાર્થ છોડીને સામાજિક હિતને ધ્યાનમાં રાખ્યું છે. અન્યથા ઝીરો બેલેન્સ ખાતા હોવા છતાં શા માટે ગરીબમાં ગરીબ વ્યક્તિઓ જન ધન ખાતામાં રૂ. 1 લાખ કરોડથી વધુ રકમ જમા કરાવે. શા માટે મધ્યમ વર્ગના લોકોએ પોતાની ગેસ સબસિડી છોડી દીધી? માત્ર એક જ વાર વિનંતી કરવાથી મોટી ઉંમરના લોકોએ તેમનાં રેલવે કન્સેશન ત્યજી દીધાં ?

શક્ય છે કે એક સદી પહેલાં ગાંધીજીએ જેની વાત કરી હતી તે આપમેળે ઉદ્દભવેલી ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું પાલન કરવાની ભાવના હોઈ શકે. આજે ભારતની કાયાપલટ થતી જોવાની નિખાલસ ઈચ્છા હોય કે પછી તે માટે સક્રિય ભૂમિકા બજાવવાની ઈચ્છા પણ હોઈ શકે છે. કરવેરો ભરનારા લોકોની સંખ્યા વધી રહી છે તેનાથી કોઈ અચરજ થતું નથી. લોકોએ ભારતને આગળ ધપાવવાનો નિર્ણય કરી લીધો છે !

મિત્રો,

તમે એવા પરિવર્તનનો અનુભવ પણ કર્યો હશે કે જેને અગાઉ તદ્દન અશક્ય માની લેવામાં આવતુ હતું. હરિયાણા જેવા રાજ્યમાં સરકારી નોકરીઓમાં ભરતી પારદર્શક પદ્ધતિથી કરવામાં આવે એવું વિચારી પણ શકાતુ નહોતું. પરંતુ તમે હરિયાણાના કોઈ પણ ગામમાં જાઓ લોકો તમને જે પારદર્શક રીતે ભરતી થઈ છે તેની વાત કરતા હોય છે. હવે રેલવે સ્ટેશનો ઉપર લોકો વાઈ- ફાઈનો ઉપયોગ કરતા હોય તે જોવાની બાબત સામાન્ય બની ગઈ છે.

કોણે માન્યુ હતુ કે આ બધુ વાસ્તવિક રીતે સાકાર થશે. અગાઉ પ્લેટફોર્મ માલ સામાન અને પેસેન્જરો સાથે સંકળાયેલાં રહેતાં હતાં, પણ હવે બીજા કે ત્રીજા વર્ગના શહેરોના વિદ્યાર્થીઓ સ્ટેશન પર જાય છે ને ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરે છે અને ઉત્તમ પરિણામો લાવે છે. આ એ જ સિસ્ટમ છે, લોકો પણ એ જ છે, પરંતુ જમીન પર વ્યાપક ફેરફારો થયા હોવાનું જોઈ શકાય છે.

મિત્રો,

ભારતમાં જે રીતે ભાવનાત્મક પરિવર્તન થયું છે તે બાબતની માત્ર બે શબ્દોનો ઉપયોગ કરીને સમિક્ષા કરીને વાત થઈ શકે છે. પાંચ વર્ષ પહેલાં લોકો પૂછતા હતા કે શું આપણે કરી શકીશું ? (will we?) શું આપણે કોઈ પણ દિવસે ગંદકીથી મુક્ત થઈ શકીશું ? શું આપણે ક્યારેય પોલિસી પેરાલિસીસથી મુક્ત થઈ શકીશું ?શું આપણે ક્યારેય ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકીશું ? આજે લોકો કહે છે કે હા, કરી શકીશું. આપણે સ્વચ્છ ભારત બનીશું. ભ્રષ્ટાચારથી મુક્ત ભારત.આપણે સુશાસનને એક જન આંદોલન બનાવીશું. અગાઉ જ્યારે Will શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને નિરાશાવાદી અર્થમાં લેવામાં આવતો હતો. હવે તેમાં એક યુવાનોથી ભરપૂર રાષ્ટ્રના એક આશાવાદી સૂરની ભાવનાનુ પ્રતિબિંબ પડે છે.

મિત્રો,

આપણી સરકાર કેવી રીતે સમગ્રપણે ન્યુ ઇન્ડિયાની ભાવના સાકાર કરવા કામ કરી રહી છે તેનુ હું તમને એક ઉદાહરણ આપવા માગુ છું. આપ સૌ જાણો છો કે ખૂબ જ ઝડપ દાખવીને ગરીબો માટે 1.5 કરોડ આવાસોનું નિર્માણ કર્યું છે. અગાઉની સરકારની સરખામણીમાં આ એક મોટો સુધારો છે. ઘણા લોકો મને કહે છે કે યોજનાઓ અને ભંડોળો તો અગાઉની સરકાર વખતે પણ હતા. તો પછી તમે અલગ શું કર્યું છે? એ લોકોને આવો સવાલ કરવાનો અધિકાર છે.

સૌ પ્રથમ તો અમે એ વાસ્તવિકતા અંગે સભાન હતા કે અમે માત્ર મકાનો બાંધી રહ્યા નથી પણ ઘરનુ નિર્માણ કરી રહયા છીએ. આથી અમે માત્ર ચાર દિવાલો ઉભી કરવાના અભિગમથી અળગા રહયા. અમારો અભિગમ વધુ સુવિધાઓ પૂરી પાડવાનો હતો. વધૂ મૂલ્ય પૂરૂ પાડવાનો હતો. કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર ઓછા સમયમાં વધુ મૂલ્ય પૂરૂ પાડવાનો હતો.

અમારી સરકારે જે ઘર બાંધ્યાં તેમાં આર્કિટેકચરના જડ અભિગમને અપનાવવામાં આવ્યો નથી. અમે લોકોની સ્થાનિક જરૂરિયાતો અને ઈચ્છાઓ અનુસર ઘરનુ બાંધકામ કર્યું છે. પાયાની તમામ જરૂરિયાતો પૂરી પાડવા માટે અને અમે વિવિધ સરકારી યોજનાઓનો સમન્વય કર્યો છે કે જેથી આ ઘરોને વીજળી, ગેસનું જોડાણ, ટોયલેટ, અને તમામ જરૂરી સુવિધાઓ મળી રહે.

એમાં વધુ મૂલ્ય પૂરૂ પાડવા માટે અમે લોકોની જરૂરિયાતો સાંભળી હતી અને અમે માત્ર ઘરના વિસ્તારમાં જ વધારો કર્યો હતો એટલું જ નહી, પણ બાંધકામ માટેની રકમમાં પણ વધારો કર્યો હતો. અમે આ પ્રક્રિયામાં મહિલાઓ સહિત સ્થાનિક કારીગરો અને શ્રમિકોનો પણ સમાવેશ કર્યો હતો. આ મકાનો કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર તથા ઓછા ખર્ચમાં મળી રહે તે માટે અમે ટેકનોલોજીને એક મહત્વનુ ઘટક બનાવ્યું હતું. વિવિધ તબક્કે બાંધકામમાં થયેલી પ્રગતિની તસવીરો અપલોડ કરવામાં આવતી હતી અને વહિવટી પ્રક્રિયાનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરવામાં આવતુ હતુ. નાણાંની સીધી તબદીલી કરવાને પરિણામે કોઈ લીકેજની સંભાવના રહેતી ન હતી અને સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થતો હતો. હવે તમે થોડાક પાછળ જઈને વિચાર કરશો તો જણાશે કે અમે આમાંની કોઈ એક જ દરમિયાનગીરીને કારણે સફળ બની શક્યા ન હતા. માત્ર ટેકનોલોજી કે પછી યોજનાઓનો સમન્વય કરવા માત્રથીજ સમસ્યાઓ હલ થઈ જતી નથી. તમામ દરમ્યાનગિરીઓ એક સાથે હાથ ધરવામાં આવે ત્યારે જે પરિણામો મળે તેનાથી સમગ્રલક્ષી ઉપાય હાથ ધરી શકાયા હતા. અમારી સરકારની કામગીરીની ગુણવત્તાની આ નિશાની છે.

મિત્રો,

અમારા ન્યુ ઇન્ડિયાના વિઝનમાં આ દેશમાં જે લોકો રહે છે તેમની જ માત્ર કાળજી રાખવાનો સમાવેશ થતો નથી. આપણો ભારતીય સમુદાય બહાર જયાં પણ વસતો હોય, અમારા માટે તે ગૌરવરૂપ હોય છે અને તે ભારતના વિકાસમાં યોગદાન આપતો રહે છે. જ્યારે પણ વિદેશમાં વસતા ભારતીયને કોઈ સમસ્યા નડી હોય, અમે તે સમસ્યા હલ કરવામાં મોખરે રહયા છીએ. જ્યારે વેસ્ટ એશિયાના વિવિધ ભાગોમાં ભારતીય નર્સોને બંદીવાન બનાવવામાં આવી હતી ત્યારે તેમને ભારતમાં પરત લાવવા બાબતે પ્રયાસોમાં અમે કોઈ કસર રાખી ન હતી. આમાંની મોટાભાગની નર્સો દક્ષિણ ભારતની હતી. કેરળના વધુ એક પુત્ર ફાધર ટોમને બંદીવાન બનાવવામાં આવ્યા ત્યારે પણ અમે સમાન પ્રકારની ભાવના સાથે કામ કર્યું હતું. યેમેનથી ઘણા લોકો પરત આવ્યા હતા.

મેં પશ્ચિમ એશિયાના કેટલાક દેશોની મુલાકાત લીધી છે, જેમાં ત્યાં વસતા ભારતીયો સાથે સમય પસાર કરવાની બાબત એ મારા એજન્ડામાં અગ્ર સ્થાને હોય છે.હું હમણાં જ બહેરીનની મુલાકાત લઈને પરત આવ્યો છું. ત્યાં ઘણાં ભારતીય લોકો વસે છે, પરંતુ ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ત્યાં મુલાકાત લીધી ન હતી. આ સન્માન મારા માટે બાકી રાખવામાં આવ્યું હતું! તે સમયે જે ભાવનાત્મક નિર્ણયો લેવામાં આવ્યા તેમાં રાજવી પરિવારે જેલમાં સજા ભોગવી રહેલા 250 ભારતીયોને માફ કરીને છોડી દેવામાં આવ્યા હતા તે ઘણી મહત્વની બાબત છે. આ પ્રકારે ઓમાન અને સાઉદી અરેબિયાના રાજવીઓએ પણ કેદીઓને માફ કર્યા હતા અને આ વર્ષની શરૂઆતમાં ભારતીય હજ યાત્રીઓનાં ક્વોટામાં વધારો કરવામાં આવ્યો હતો.

મિત્રો, મારી તાજેતરની યુએઈની મુલાકાત દરમ્યાન ત્યાં રૂપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું અને બહેરીનમાં પણ ટૂંક સમયમાં રૂપે કાર્ડ લોન્ચ થશે. ડિજિટલ આર્થિક વ્યવહારોને વેગ આપવા ઉપરાંત આ ઘટનાથી ગલ્ફમાં કામ કરતા લાખો ભારતીયોને સહાય થશે. અને તે પોતાના વતનમાં નાણાં મોકલી શકશે. હાલમાં મને જ્યારે ભારતના ગલ્ફ દેશોના અગાઉ કરતાં બહેતર સંબંધો અંગે સાંભળવા મળે છે ત્યારે હું ગૌરવ અનુભવું છું. એ કહેવાની જરૂર નથી કે જે સામાન્ય નાગરિકો છે તેમને આનો સૌથી વધુ લાભ મળવાનો છે.

મિત્રો, આજે આપણે મીડિયામાં પણ ન્યુ ઇન્ડિયાની ભાવના જોઈ શકીએ છીએ. ભારતનું મીડિયા ખૂબ જ ભિન્ન પ્રકારનું છે અને વૃદ્ધિ પામી રહ્યું છે. સમાચાર પત્રો, ટીવી ચેનલો અને વેબસાઈટની સંખ્યા સતત વધી રહી છે. આ તબક્કે હું સ્વચ્છ ભારત ઝૂંબેશ હોય કે સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નિવારવાની બાબત હોય કે પછી જળ સંચયની બાબત હોય કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હોય, મીડિયાએ વિવિધ ચળવળોમાં જે મહત્વનો હકારાત્મક ભાગ ભજવ્યો છે તેનો પણ ઉલ્લેખ કરવા ઈચ્છીશ. આ ચળવળને મીડિયાએ તેમની પોતાની ચળવળ બનાવી દીધી છે અને નોંધપાત્ર ઉદ્દેશો હાંસલ કરવા માટે લોકોને ગતિશીલ બનાવ્યા છે.

મિત્રો, અલગ અલગ સમય કે અંતરની વાત કરીએ તો યુગોથી ભાષા એ હંમેશા અત્યંત પ્રચલિત વિચારો વ્યક્ત કરવાનું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે. ભારત એ કદાચ વિશ્વનો એક માત્ર એવો દેશ છે કે જ્યાં આટલી બધી ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે. એક રીતે કહીએ તો તેનાથી શક્તિ અતિગુણિત થાય છે. આમ છતાં ઘણાં સ્વાર્થી હિત ધરાવતા લોકોએ ભાષાનો દિવાલ તરીકે ઉપયોગ કરીને નકલી અવરોધો ઉભા કરીને દેશના ભાગલા પાડ્યા છે. હું નમ્રપણે એક સૂચન કરૂં છું કે શું આપણે ભાષાની શક્તિનો દેશને સંગઠીત કરવામાં ઉપયોગ કરી શકીએ નહીં?

શું મીડિયા સેતુની ભૂમિકા બજાવીને વિવિધ ભાષા બોલતા લોકોને નિકટ લાવવાનો પ્રયાસ કરી શકે? આ કામ જેટલું દેખાય છે તેટલું મુશ્કેલ નથી. આપણે દેશમાં બોલાતી 10 થી 12 અલગ અલગ ભાષાઓમાં વપરાતા એક શબ્દથી શરૂઆત કરી શકીએ. એક વર્ષમાં વ્યક્તિ વિવિધ ભાષાઓના 300 નવા શબ્દો શિખી શકે છે. વ્યક્તિ જ્યારે બીજી ભારતીય ભાષા શિખે છે ત્યારે તે સામાન્ય સૂત્રો જાણશે અને સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિના ઐક્યની કદર કરી શકશે. આનાથી વિવિધ ભાષાઓ શિખવામાં રસ ધરાવતા લોકોના સમૂહમાં વધારો થશે. કલ્પના કરી જુઓ કે હરિયાણાનો કોઈ સમૂહ મલાયલા ભાષા શિખવા માંગતો હોય, કે પછી કર્ણાટકનો કોઈ વ્યક્તિ બંગાળી ભાષા શિખવા માંગતો હોય! પ્રથમ કદમ ઉઠાવ્યા પછી તમામ લાંબા અંતરો પાર કરી શકાય છે. શું આપણે આ પ્રથમ ડગલું માંડીશું?

મિત્રો,

જે મહાન સંતો ભારતની ભૂમિ પર થઈ ગયા છે તે આપણાં સ્થાપક પિતાઓ છે. આ એ લોકો છે કે જેમણે મોટાં સપનાં સેવીને આઝાદીની લડતમાં સામેલ થયા હતા. 21મી સદીમાં આપણી એ ફરજ છે તેમને ગૌરવ થાય તેવા ભારતનું નિર્માણ કરીનેકે તેમનાં સપનાં સાકાર કરવા જોઈએ.

મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે સૌ આવનારા સમયમાં આ સિધ્ધિ પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ.

હું ફરી એક વખત મલાયલા મનોરમા ગ્રુપને ઉત્તમ શુભેચ્છાઓ પાઠવું છું અને મને અહીં આમંત્રણ આપવા બદલ હું તેમનો આભાર માનું છું.

આપનો આભાર, ખૂબ ખૂબ આભાર.

RP