Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મહારાષ્ટ્રનાં ધૂળે ખાતે વિવિધ વિકાસ યોજનાઓના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મહારાષ્ટ્રનાં ધૂળે ખાતે વિવિધ વિકાસ યોજનાઓના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મહારાષ્ટ્રનાં ધૂળે ખાતે વિવિધ વિકાસ યોજનાઓના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મહારાષ્ટ્રનાં ધૂળે ખાતે વિવિધ વિકાસ યોજનાઓના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

મંચ પર ઉપસ્થિત મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગરજી, મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી, મંત્રીમંડળના મારા સાથી નીતિનજી, ડૉક્ટર સુભાષ ભામરેજી, રાજ્ય સરકારના મંત્રી ગિરીશ મહાજનજી, જય કુમાર રાવલજી, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને અહીં વિશાળ સંખ્યામાં મને આશીર્વાદ આપવા માટે આવેલા મારા ભાઈઓ અને બહેનો, મને જણાવવામાં આવ્યું કે આટલી ગરમીમાં બે-બે, ત્રણ-ત્રણ કલાકથી તમે લોકો આવીને અહીં બેઠા છો. હું તમારી આ તપસ્યાને પ્રણામ કરું છું.

મિત્રો, આજે એક એવા સમય દરમિયાન હું આપ સૌની વચ્ચે આવ્યો છું. જ્યારે પુલવામામાં આપણા જવાનો પર આતંકવાદીના હુમલાને લઇને દેશ આક્રોશિત છે. એત તરફ દેશ ગુસ્સામાં છે તો બીજી તરફ દરેક આંખો ગમગીન છે. મહારાષ્ટ્રની માટીએ પણ સપૂતો ગૂમાવ્યા છે. ખાનદેશની ધરતીથી દેશના દરેક સપૂતોને અને તેમને જન્મ આપનારી દરેક માતાઓને હું આદરપૂર્વક નમન કરું છું.

મિત્રો, આપણા શહીદોએ, આપણા જવાનોએ હંમેશાંથી દેશને નિઃસ્વાર્થ ભાવથી પોતાની સેવા આપી છે. તેઓ કંઈ કહેતા નથી બસ તૈયાર રહે છે. એક દેશના નાતે આપણું કામ અહીંથી જ શરૂ થાય છે. જેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું એમના પરિવારની સાથે આપણે હંમેશાં ઊભા રહીશું. સરકારની, તંત્રની તો એ જવાબદારી છે, પરંતુ એક નાગરીક હોવાને કારણે પણ આપણી ખૂબ મોટી જવાબદારી છે.

મિત્રો, આ સમય એ સંયમનો સમય છે. સંવેદનશીલતાનો સમય છે, આ શોકનો સમય છે પરંતુ દરેક પરિવારને હું વિશ્વાસ અપાવું છું કે તેમના પરિવારે જે સ્વજન ગૂમાવ્યા છે, તમારી આંખોમાં જે આંસુ છે, એ આંસુઓનો પૂરે પૂરો હિસાબ લેવામાં આવશે. ભારત નવી રીતિ અને નવી નીતિનો દેશ છે. હવે દુનિયા તેનો અનુભવ કરશે.

આપણા બહાદૂર સુરક્ષા દળ, બંદૂક ચલાવનારા હોય કે બંદૂક પકડાવનારા હોય, બોમ્બ નાખવાવાળો હોય કે પછી બોમ્બ આપવાવાળો હોય, કોઇને ચેનથી ઊંઘવા નહીં દઇએ. ભારતની એ નીતિ રહી છે કે આપણે કોઇને છેડતા નથી, પરંતુ હું ફરી એક વખત સ્પષ્ટતા કરી દઉં કે નવા ભારતને કોઇ છેડે તો તેને છોડતા પણ નથી. આપણા સુરક્ષા દળોએ પહેલી વખત કરી બતાવ્યું છે અને હવે કોઇ કસર છોડવામાં નહીં આવે.

ભાઈઓ અને બહેનો, દેશની સુરક્ષા હોય કે પછી દેશના સામાન્ય નાગરીકનું જીવન સરળ બનાવવાનો પ્રયાસ, સરકાર નિરંતર પોતાનું કામ કરી રહી છે. આજે ધૂળેના વિકાસ સાથે સંકળાયેલી હજારો કરોડોની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. ધૂળે શહેરમાં પીવાના પાણી અને ગંદા પાણીના નીકાલ સાથે સંકળાયેલી પરિયોજના હોય, ખેડૂતો માટે સિંચાઈ સાથે જોડાયેલી પરિયોજના હોય કે પછી ધૂળેની કનેક્ટિવિટી સાથે સંકળાયેલ પ્રોજેક્ટ, આ બધી યોજનાઓ માટે તમને બધાને ખૂબ-ખૂબ શુભકામના આપું છું.

ભાઈઓ અને બહેનો, ધૂળે પાસે દેશનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિકનગર બનવા માટેની સંપૂર્ણ સંભાવના છે. તે એવી જગ્યાએ સ્થિત છે કે જ્યાંથી દેશના જુદા જુદા શહેરોમાં વેપારની અનેક સંભાવનાઓ રહેલી છે. અહીંથી અનેક મોટા મોટા રાષ્ટ્રિય ઘોરીમાર્ગ પસાર થાય છે. આજે આ કનેક્ટિવિટીને અમે વધારે સશક્ત બનાવતા બે નવી રેલવે લાઇનનું શિલાન્યાસ કર્યું છે. એક રેલવે લાઈનના ગેજ પરિવર્તન અને વીજળીકરણનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણ નવી ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે.

અહીં ભાગ્યે જ એવો કોઇ પરિવાર હશે કે જેને સુરત જવા આવવાનો કોઇ સંબંધ ના હોય. દરેકનો સુરત સાથે નાતો રહ્યો છે. શહેરથી આવવા-જવાનું, આજથી 25 વર્ષ અગાઉનું જે સુરત હતું તેને યાદ કરો. આજથી 25-30 વર્ષ અગાઉનું જે સુરત હતું તેને યાદ કરો. 25-30 વર્ષમાં એ સમયનું સુરત આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. હું ધૂળેવાસીઓને કહું છું, હું મારી આંખોની સામે 30 વર્ષ પછીના ધૂળેને જોઇ રહ્યો છું. અને મારા આ શબ્દોને લખી રાખજો, દરેક ધૂળેવાસી લખીને રાખે. આજથી 30 વર્ષ પછી આ ધૂળે સુરતની સ્પર્ધા કરી રહ્યું હશે એ લખીને રાખો તમે. એટલી તાકત છે અને આજે અમે જે બીજ રોપ્યા છે એ 30 વર્ષની અંદર અંદર વિકાસના એવા વટ વૃક્ષ બની જશે કે ધૂળે સુરત સાથે સ્પર્ધા કરવાની તાકત સાથે ઉભુ હશે અને એ મારા માટે ગર્વની બાબત હશે.

આપ સૌ ધૂળેવાસીઓમાં, તમને વિશ્વાસ છે કે નહીં? ધૂળે આગળ વધી શકે છે, ધૂળે સુરત બની શકે તેમ છે, તેને આગળ વધારવાના સંકલ્પ સાથે આગળ વધો. ભાવિ 30 વર્ષની યોજના બનાવીને ચાલીશું. જો તમે ચાલવા માટે તૈયાર હશો તો હું પણ દરેક પગલું સાથે મિલાવીને સાથે ચાલવા માટે તૈયાર છું.

મિત્રો, આજે ધૂળેથી નરદાનાને જોડનારી રેલવે લાઇનના પ્રથમ તબક્કાના કાર્યની શરૂઆત થઇ છે. ભવિષ્યમાં આ જ લાઇન મનવાડને ઈન્દોર સાથે જોડવામાં મદદ કરવાની છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે અંદાજે નવ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મનવાડ ઈન્દોર રેલવે લાઈન બની ગયા પછી તેનો લાભ ઈન્દોર અને મુંબઈની સાથે સાથે આખા દેશને થવાનો છે.

મિત્રો, આ ઉપરાંત આજે મનવાડને જલગાંવ સાથે જોડનાર નવી રેલવે લાઇનનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે. તેના પૂર્ણ થવા પર લોકોની સુવિધા તો વધશે સાથે યુવાઓ માટે રોજગારના નવા અવસર પણ ઉપલબ્ધ બનશે.

મિત્રો, અંદાજે એક દશક અગાઉ ઉધના જલગાંવ રેલવે લાઈનને ગેજ પરિવર્તનની ફાઈલ શરૂ થઈ હતી. જેને હવે જઇને પૂરી કરવામાં આવી રહી છે. આ લાઈન ડબલ કરવાનું પણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સાથે વીજકરણ પણ કરવામાં આવ્યું છે. આજે આ લાઇન દેશને સમર્પિત કરવામાં આવી છે.

મિત્રો, આ રૂટનો પહેલો ફાયદો એ થયો છે કે તમને આજથી ઉધના – નંદૂરબાર અને ઉધના- પાલસી પણ બે નવી ટ્રેનો મળી ચૂકી છે. બન્ને ટ્રેનોને થોડી વાર અગાઉ જ લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી છે. આ સમયે ઉધના ખાતેથી પણ આપણા મિત્રો ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા છે.

હું અહીં ધૂળેથી આપણા એ સાથીઓને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું ત્યાં પણ આ પ્રકારનો મોટો મેળાવડો જામ્યો છે. આપણા રેલ રાજ્યમંત્રી અહીં હાજર છે. શ્રીમાન રાજેન ગોહાઈજી, તેમના સિવાય ભૂસાવળથી બાન્દ્રા સુધી ચાલનારી ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનથી મુંબઈ અને સુરતથી ધૂળેની કનેક્ટિવિટી વધારે મજબૂત બનશે.

ભાઈઓ અને બહેનો અહીંનો એક મહત્વપૂર્ણ વિષય છે – પાણી, તાપી નદીનો જળપ્રવાહ જે ધૂળે થઈને વહે છે એ લાંબા સમયથી પાણી માટે તરસતું રહ્યું છે. પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી એ બન્ને પડકારોને ઘટાડવા માટે આજે એક ખૂબ મોટો પ્રયાસ થયો છે. ખાસ કરીને ધૂળે શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માટે કેન્દ્ર સરકારે અમૃત યોજના હેઠળ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે ઉપરાંત અહીં જે ગટર વ્યવસ્થા બનવાવાળી છે તેનાથી પણ શહેરને સ્વચ્છ રાખવામાં મદદ મળશે.

ભાઈઓ અને બહેનો ધૂળે સહિત મહારાષ્ટ્ર અને દેશના અનેક ભાગમાં સિંચાઈની સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ લાંબા સમયથી અટવાયેલી 99મી સિંચાઈ પરિયોજના અંગે કામ કરવામાં આવ્યું. જેમાંથી 26 પરિયોજના ફક્ત મહારાષ્ટ્રની છે.

ભાઈઓ અને બહેનો, આજે જે લોઅર પનજારા સિંચાઈ પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે એ જ 26 પ્રોજેક્ટમાંથી એક હતી. તેનું કામ 35 વર્ષ અગાઉ શરૂ થયું હતું અને ત્યારે તે 21 કરોડ રૂપિયામાં તૈયાર થવાની હતી. આજે આ પ્રોજેક્ટ સાડા પાંચ સો કરોડથી વધારે ખર્ચ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે.

મિત્રો, મહારાષ્ટ્રમાં પાણીની કમી અને તેનાથી પડનારા દુષ્કાળથી મુક્તિ અપાવવા માટે કેન્દ્ર સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. મરાઠાવાડ, બીડ અને મહારાષ્ટ્રના બીજા દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે પણ 91મી સિંચાઈ પરિયોજનાઓને વિશેષ રૂપથી મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 14 હજાર કરોડની આ પરિયોજનાઓને સમય મર્યાદાની અંદર પૂર્ણ કરવા માટેનો પ્રયાસ સરકાર કરી રહી છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે તેનાથી પોણા ચાર લાખ હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે.

ભાઈઓ અને બહેનો, સિંચાઈ અને રેલવેની આ પરિયોજનાને આકાર આપવામાં અને પૂર્ણ કરવામાં તમારા સાંસદ અને મંત્રીમંડળમાં મારા સહયોગી ડૉક્ટક સુભાષ ભામરેજીનું ખૂબ મોટું યોગદાન છે. તેઓ જ્યારે પણ મને મળતા હતા, અહીંના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની ચિંતા દર વખતે તેમની વાતોમાં દેખાઈ આવતી હતી. સુલવાડે જામફળ કાનૂલી સિંચાઈ યોજના માટે તેઓ સતત પાછળ પડેલા રહ્યા હતા.

આ પરિયોજનાને લઇને છેલ્લાં બે દશકથી ફક્ત વાતો થઇ રહી હતી. 24 સો કરોડ રૂપિયાથી વધુ ખર્ચવાળા આ પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં તાપી નદીથી પાણી લાવીને અહીંના અનેક ગામોને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે, જેનો લાભ હજારો ખેડૂતોને મળશે.

મિત્રો, ખેડૂતોને સિંચાઈ સાથે જોડવાના હોય કે પછી દુષ્કાળ કે પૂરને કારણે થનારા નુકસાનથી બચાવવા હોય, કેન્દ્ર સરકારે ચોખ્ખા મન સાથે ખેડૂતોના હિતમાં કામ કર્યું છે.

ભાઈઓ અને બહેનો, ખેડૂતો અને પશુપાલકોને સશક્ત કરવા માટે આ બજેટમાં પણ કેન્દ્ર સરકારે મોટી યોજનાઓની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા એવા ખેડૂતો કે જેમની પાસે પાંચ એકરથી પણ ઓછી જમીન છે તેમના બેન્ક ખાતામાં દર વર્ષે કેન્દ્ર સરકાર છ હજાર રૂપિયા જમા કરશે. તેનાથી મારા ખેડૂતોને સમયસર ખાતર ખરીદવા, બીયારણ ખરીદવા, જંતુનાશક ખરીદવામાં મદદ મળશે. તેમને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર નહીં પડે.

મિત્રો, આ યોજના હેઠળ આવનારા દસ વર્ષમાં ખેડૂતોના ખાતામાં સાડા સાત લાખ ખેડૂત રૂપિયા જમા કરાવવામાં આવશે. તે ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે પશુપાલકોને પણ પાક ઋણની જેમ કિસાન ક્રેડિટ કાર્ડથી ધિરાણની સુવિધા મળી શકશે. તેનાથી અમારા દૂધ ઉત્પાદકો, ડેરી ઉદ્યોગોને ખૂબ મોટા લાભ મળી શકશે અને ગામડાંઓમાં વધારે આવક મળશે.

મિત્રો, ગામડાંઓને લઇને તો ધૂળેનો પણ પોતાનો એક સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે. આજે જ્યાં આ સભા યોજાઈ રહી છે. એ ગૌમાતાની જમીન છે. મહાન સ્વતંત્રતા સેનાની રામેશ્વરમ પ્રસાદજીએ પોતાની 14 એકર જમીન ગૌસેવા માટે સમર્પિત કરી હતી. ધૂળેની આ પરંપરાને હવે વધુ એક શક્તિ મળવાની છે. કેન્દ્ર સરકારે આ બજેટમાં ગૌમાતા અને ગૌવંશની સેવા અને તેમના સંવર્ધન માટે કામધેનુ આયોગ બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. આ આયોગ પશુધનથી આપણા ગામડાંઓના સશક્તિકરણની દિશામાં ખાસ ભૂમિકા નિભાવશે.

મિત્રો, ગામડું હોય, ગરીબ હોય કે પછી આપણા આદિવાસી હોય, કેન્દ્રની સરકાર અને મહારાષ્ટ્રની સરકાર પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસના સંકલ્પને જમીન પર ઉતારવામાં અમે લાગેલા છીએ. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના, આયુષ્માન ભારત યોજનાનું મહારાષ્ટ્રના ગરીબ, શોષિત, વંચિત અને આદિવાસી પરિવારોને ખૂબ મોટો લાભ થઈ રહ્યો છે. જેનાથી મહારાષ્ટ્રના 70 હજારથી વધારે અને ધૂળેના લગભગ 1800 દર્દીઓએ લાભ લીધો છે.

દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર સુનિશ્ચિત કરવાવાળી આ યોજનાથી લાખો ગરીબ, વંચિત, આદિવાસી પરિવારોમાં એક નવી આશા જાગી છે. હમણા અહીં મંચ પર આવતા અગાઉ મને અહીંના આયુષ્માન ભારત યોજનાના જે લાભાર્થીઓ છે તેમાંથી કેટલાક લાભાર્થીઓને મળવાનો અવસર મળ્યો. અગાઉ સારવારના ખર્ચ અંગે વિચારીને તેઓ કઇ રીતે સારવાર કરાવવાનું ટાળતા હતા. બીમારી સહન કરતાં હતાં, મૃત્યુની રાહ જોતા હતા. પરંતુ નાણાંના અભાવે ઉપચાર કરાવી શકતા નહોતા. પરંતુ જ્યારથી તેમને આયુષ્માન ભારત યોજના અંગે જાણકારી મળી છે તેમણે તેનો લાભ લીધો. અને આજે કેવી રીતે આયુષ્માન યોજનાથી તેમનું જીવન બચી શક્યું છે. એક નવા સપનાં સાથે આજે જ્યારે હું તેમની સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે તેમની આંખોમાં એ ચેતના જોવા મળી રહી હતી. નવા સપનાંઓ આકાર પામી રહ્યાં હતાં. તેમની વાતો સાંભળીને ખરેખર મારા મનમાં સમાધાન થઇ રહ્યું હતું. તેમના આશીર્વાદ મને એ તાકત આપી રહ્યાં હતાં. કે હું આ દેશના દરેક નાગરીક માટે જેટલું વધારે કરી શકું, ક્યારેય કોઇ કમી ન રહી જાય.

ભાઈઓ અને બહેનો, હું ફરી એક વખત આપ સૌને વિકાસની પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપવાની સાથે મારી વાત અહીં સમાપ્ત કરું છું.

તમે બધા બન્ને મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકત સાથે મારી સાથે બોલો,

ભારત માતાની જય

અવાજ આખા ખાનદેશમાં સંભળાવવો જોઇએ.

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ખૂબ-ખૂબ આભાર.

 

RP