Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

માલદીવની મુલાકાતે પ્રસ્થાન કરતા અગાઉ પ્રધાનમંત્રીનુ નિવેદન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાત માટે પ્રસ્થાન કરતા અગાઉ આપેલા નિવેદનનો મૂળપાઠ નીચે મુજબ છેઃ

“હું ભારતનાં મિત્ર રાષ્ટ્ર અને પડોશી દેશ પ્રજાસત્તાક માલદીવની રાજધાની માલેની મુલાકાતે જઈ રહ્યો છું તેની મને ખુશી છે. હું માલદીવનાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહામહિમ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહનાં ઐતિહાસિક શપથગ્રહણ સમારંભમા સામેલ થવા જઈ રહ્યો છું.

હું તાજેતરમાં પ્રજાસત્તાક માલદીવમાં યોજાયેલી ચૂંટણીમાં એમનાં વિજય બદલ એમને અભિનંદન આપું છું. આ ચૂંટણી લોકશાહી, કાયદાનાં શાસન અને સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રજાસત્તાક માલદીવની જનતાની સહિયારી આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારત અને માલદીવ વચ્ચેનાં સંબંધોનાં મૂળિયાં ઇતિહાસમાં રહેલાં છે, આપણાં લોકો વચ્ચેનાં મજબૂત જોડાણમાં રહેલાં છે તથા શાંતિ અને સમૃદ્ધિ માટે એમની સહિયારી આકાંક્ષામાં છે. મારી સરકારનું વિઝન ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નાં સમાવેશી વિકાસનું છે, જે આપણાં પડોશી દેશોમાં પહોંચ્યું છે. અમે ભારતમાં લોકતાંત્રિક, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ પ્રજાસત્તાક માલદીવને જોવા ઇચ્છીએ છીએ.

હું માલદીવમાં શ્રી સોલિહની નવી સરકારને એની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ સાકાર કરવા માટે ખભેખભો મિલાવીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરીશ, ખાસ કરીને માળખાગત, હેલ્થકેર, કનેક્ટિવિટી અને માનવ સંસાધન વિકાસનાં ક્ષેત્રોમાં.

મને ખાતરી છે કે, મારી મુલાકાત આપણાં બંને દેશો વચ્ચેનાં સંબંધો, આદાન-પ્રદાન અને સહકારનાં નવા યુગમાં પ્રવેશ કરશે.”

***

RP