પીએમઇન્ડિયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ)એ મુખ્ય બંદરોમાં મેસર્સ દુબઇ પોર્ટ વર્લ્ડ લિમિટેડ (ડી.પી. ડબલ્યુ.)ના કંટેનર ટર્મિનલ પ્રોજેક્ટના શેરહોલ્ડિંગમાં પ્રસ્તાવિત પરિવર્તન સામે ‘ના વાંધા’ (નો ઓબ્જેક્શન)ને પોતાની મંજૂરી આપી દીધી છે. કેબિનેટે વર્તમાન મુખ્ય બંદરો પર ટર્મિનલ ઓપરેશનના સંચાલન અને વ્યવસ્થાપન માટે વિશિષ્ટ પરિસંપત્તિ પોર્ટફોલિયોની સાથે ડી.પી.ડબલ્યુ.ની એક ભારતીય હોલ્ડિંગ કંપની બનાવવાની અનુમતિ આપી દીધી છે. જો કે આ સાથે જ કેટલીક સલામતીઓને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
આ નિર્ણયથી બંદર ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ (એફ.ડી.આઇ.) અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વધારો મળશે.
ડી.પી.ડબલ્યુ. ભારતમાં પોતાની મિલકતોના પુન:ગઠનનો વિચાર કરી રહી છે. જેનો ઉદ્દેશ ભારતમાં બંદર સંબંધી પાયાના માળખાની માલિકીને સિંગલ હોલ્ડિંગ કંપની હિન્દુસ્તાન પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (એચપીપીએલ)માં એકત્રિત કરવાનો છે. નવી કંપની છૂટછાટ (રાહત) સમજૂતીઓ અંગે ડીપી વર્લ્ડની વર્તમાન સહાયક કંપનીઓના બધા દેવાની જવાબદારી સંભાળશે. આ અંતર્ગત અંતિમ લાભાર્થી અને અંતિમ વૈધાનિક અને લાભકર્તા માલિકીમાં કોઇ પરિવર્તન નહીં થાય, જે આગળ જતાં પણ ડી.પી. વર્લ્ડ પાસે યથાવત્ રહેશે. ઉલ્લેખનીય છે કે, એફ.આઇ.પી.બી.એ ડી.પી. વર્લ્ડને પોતાની મંજૂરી આપી દીધી છે. ડી.પી.ડબલ્યુ.ના પ્રસ્તાવનો ઉદ્દેશ મૂડીગત આધાર વધારવામાં તેની મદદ કરવાનો અને ભારતમાં બંદરો અને લોજિસ્ટિક સાથે જોડાયેલા પાયાના માળખામાં નવા રોકાણને સુનિશ્ચિત કરવાનો છે. તેનાથી નાણાંની સક્ષમ પહોંચ સાથે બંદરના સંચાલનમાં નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવો શક્ય બનશે.
સરકારે ડી.પી.ડબલ્યુ. દ્વારા પુન:ગઠન કરવાના પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી દીધી છે. જો કે તેની સાથે આ શરતનું પાલન કરવાનું રહેશે કે, સંબંધિત પરિયોજના સાથે જોડાયેલા એસપીવી (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ)ના શેરોના અધિગ્રહણ બાદ હોલ્ડિંગ કંપની એચપીપીએલની નેટવર્થ 80 મિલિયન અમેરિકન ડોલરથી વધુ રહેશે.
ભારતમાં ડી.પી.ડબલ્યુ.ની સંપત્તિઓના પુન:ગઠન સાથે સારી રીતે તાલમેલ સાધવા અને નિયંત્રણ જાળવી રાખવામાં મદદ મળશે. કારણ કે, બંદરો સાથે જોડાયેલા પ્રાધિકરણોનો સંબંધ હવે ભારતમાં નોંધાયેલી સિંગલ કંપની સાથે જ રહેશે. ડી.પી.ડબલ્યુ.ના પ્રસ્તાવને મંજૂરીથી દેશમાં એફ.ડી.આઇ. વધારવામાં સરળતા રહેશે અને તેની સાથે જ બંદર ક્ષેત્રમાં રોકાણ અનુકૂળ માહોલ અંગે પણ સંકેતો મળશે. એટલું જ નહીં, તેનાથી વધુ પારદર્શકતાની સાથે-સાથે ભારતીય કાયદાઓ અને નિયમોનું વધુ સારી રીતે પાલન કરવું પણ શક્ય બનશે.
J.Khunt