Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજસ્થાનનાં જયપુરમાં લાભાર્થીઓ સાથેની એક જાહેર સભા ખાતે પ્રધાનમંત્રીના સંબોધનના અંશો


 

રાજસ્થાન તેની પરંપરાને અનુરૂપ, પોતાની સંસ્કૃતિને અનુરૂપ, કઈ રીતે સ્વાગત કરે છે, કઈ રીતે સત્કાર અને પોતાપણું આપે છે, તેની સ્પષ્ટ ઝલક હું અનુભવી રહ્યો છું. રાજસ્થાનની જમીનની શું સચ્ચાઈ છે, લોકોનો શું મત છે, તે આ વિશાળ મેદાનમાં દરેકને જોવા મળે છે. રાજસ્થાન સતત આમ જ અમારા સૌ પર પોતાનો સ્નેહ વરસાવતું રહ્યું છે. તમારા આશીર્વાદ માટે હું હૃદયથી આભારી છું અને આ વીરોની ધરતીને નમન કરું છું.

સાથીઓ, રાજસ્થાનમાં શક્તિ અને ભક્તિનો સંગમ છે. મહારાણા પ્રતાપનું સાહસ, મહારાજા સુરજમલનું શૌર્ય, ભામાશાહનું સમર્પણ, પન્ના ધાયનો ત્યાગ, મીરાબાઈની ભક્તિ, હાડી રાણીનું બલિદાન, અમૃતા દેવીની આત્મોસર્ગની ગાથાઓ અહીંના જન જીવનનો અભિન્ન હિસ્સો છે. ગગનચુંબી કિલ્લાઓ, સોનેરી ધોરા, રંગ-બેરંગી પાઘડીઓ, મીઠી બોલી, સુરીલા ગીતો અને માર્યાદા સાથેની રીતભાત એ જ તો રાજસ્થાનની ઓળખ છે. પ્રકૃતિની પડકારજનક પરિસ્થિતિઓ સામે બાથ ભીડીને અન્ન ઉત્પાદન હોય કે પછી રાષ્ટ્ર રક્ષાનો પડકાર, રાજસ્થાન સદીઓથી આ દેશને પ્રેરણા આપતું રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, વીતેલા ચાર વર્ષોથી રાજસ્થાન બમણી શક્તિએ વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્ર અને રાજસ્થાનની સરકારો મળીને આપ સૌના જીવન સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. 2100 કરોડથી વધુની 13 યોજનાઓનો શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો છે. ઉદયપુર, અજમેર, કોટા, ઢોલપુર, નાગૌર, અલવર, જોધપુર, ઝાલાવાડ, ચિત્તોડગઢ, કિશનગઢ, સુજાણગઢ, બિકાનેર, ભીલવાડા, માઉન્ટ આબુ, બુંદી અને બીવરથી જોડાયેલી આ પરિયોજનાઓ પર કામ શરુ થયું છે.

આ બધી જ પરિયોજનાઓ રાજસ્થાનના શહેરો અને કસબાઓમાં વધુ સારી અને સ્માર્ટ સુવિધાઓના નિર્માણ સાથે જોડાયેલી છે.

ટ્રાફિક જામથી મુક્તિ મેળવવાનું સમાધાન હોય કે પછી ગટરની વધુ સારી વ્યવસ્થા, આ બધી જ પરિયોજનાઓ આ બધા જ શહેરોમાં જીવનને સુગમ બનાવનારી છે.

સાથીઓ, ચાર વર્ષ પહેલાની સ્થિતિ તમે ભૂલ્યા નહીં હોવ અને હું રાજસ્થાનના લોકોને આગ્રહ કરીશ કે ચાર વર્ષ પહેલાની કંઈ સ્થિતિઓ હતી, કંઈ પરિસ્થિતિઓમાં વસુંધરાજીને કારભાર સંભાળવો પડ્યો, પાછલી સરકાર રાજસ્થાનમાં કેવી હાલત છોડીને ગઈ હતી, તે વાતોને ક્યારેય ભૂલતા નહીં, ત્યારે જઈને તમને ખબર પડશે કે આજે કંઈ રીતે કામ થઇ રહ્યું છે, કઈ રીતે રાજસ્થાનમાં માત્ર નેતાઓના નામે પથ્થર લગાવવાની સ્પર્ધા જામેલી હતી. બાડમેરમાં હવે જે રીફાઇનરી બની રહી છે, તેની સાથે શું શું થયું હતું તે રાજસ્થાનનું પ્રત્યેક છોકરું જાણે છે. આજે આ રીફાઈનરી પર ઝડપી ગતિએ કામ આગળ વધી રહ્યું છે. અને તે જ આ સરકારની કામ કરવાની રીત છે જેમાં ન તો વસ્તુઓ અટકે છે અને ન ભટકે છે. પછી ભલે કેન્દ્રની સરકાર હોય કે પછી રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર.. અમારો એકમાત્ર ધ્યેય એ જ રહ્યો છે અને તે છે વિકાસ, વિકાસ, અને વિકાસ. દેશના પ્રત્યેક વ્યક્તિના જીવનને વધુમાં વધુ સરળ, સ્વસ્થ, સુરક્ષિત અને સુગમ બનાવવાનું કામ એક પછી એક યોજનાઓના માધ્યમથી અમે કરતા જઈ રહ્યા છીએ. સરકારની યોજનાઓનો કેટલો લાભ તમારા સૌ સુધી પહોંચ્યો છે તે જાણવા અને સમજવાનો અને તેમાં સુધારો કરવાનો પ્રયત્ન પણ સતત ચાલુ જ છે, તે અમારો પ્રયાસ છે. થોડા સમય પહેલા તમારામાંથી જ કેટલાક લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા પરિવર્તન વિષે જણાવ્યું છે. અહિયાં માત્ર કેન્દ્રીય યોજનાઓ જ નહીં પરંતુ રાજ્ય સરકારની યોજનાઓ સાથે જોડાયેલા લોકો પણ પોતાની વાત જણાવી રહ્યા હતા. રાજશ્રી યોજના અંતર્ગત જે મેઘાવી દીકરીઓને સ્કૂટી મળી છે, પાલનહાર યોજના અંતર્ગત જે બાળકોને લાભ થયો છે, જે વડીલોને તીર્થ યોજનાનો લાભ મળ્યો છે, તે સૌની આંખોમાં જે ચમક જોવા મળી, જે વિશ્વાસ જોયો, તેને કોઈ પણ વ્યક્તિ ભૂલી શકે તેમ નથી અને હું વસુંધરાજીને આ કલ્પના માટે અભિનંદન આપું છું.

એ બરાબર છે, એક વર્ગ છે જેમને ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળતા જ તેમની ઊંઘ ખરાબ થઇ જાય છે. મોદીનું કે વસુંધરાજીનું નામ સાંભળતા જ તેમને તાવ ચડી જાય છે. તેમને આવા કાર્યક્રમોથી નફરત થાય છે, પરંતુ તેનો સૌથી મોટો લાભ એ છે કે જ્યારે લાભાર્થીઓના મોઢેથી રાજસ્થાનના સામાન્ય નાગરિક જાણે છે તો તેને પણ ખબર પડે છે કે આ યોજના ક્યાં છે અને હું પણ ત્યાં જઈને તેનો લાભ લઈ શકું છું. એક રીતે આ યોજનાઓ તેના કારણે માત્ર કાગળ ઉપર જ અટકીને નથી રહી જતી, તે જન-જન સુધી પહોંચે છે. તેના કારણે સરકારી તંત્ર પર એક દબાણ ઉત્પન્ન થાય છે, જનતા જનાર્દનનું દબાણ ઉભું થાય છે, લોકોમાં જાગૃતિ આવે છે અને તેના કારણે કોઈ પણ ક્ષેત્રમાં જો કોઈ અધિકારી ધીમે-ધીમે કામ કરતો હશે તો તેને પણ હવે દોડવું પડે છે અને એટલા માટે આ કાર્યક્રમ દ્વારા સરકારનો પ્રચાર જેટલો છે તેના કરતા વધુ લાભાર્થીઓમાં જાગૃતિનું ઘણું મોટું કામ થયું છે અને હું ઈચ્છીશ કે લાભાર્થી વારે-વારે બધી જગ્યાએ આ વાતો રજૂ કરે જેથી કરીને બાકીના જે છૂટી ગયા છે તે લાભ લેવા માટે આગળ આવે.

સાથીઓ, વીતેલા ચાર વર્ષોમાં જે પણ કાર્યક્રમો થયા છે, તેમાં અમારો ગરીબ, શોષિત, પીડિત, વંચિત, દલિત, આદિવાસી, અમારો ખેડૂત, અમારી માતાઓ બહેનો કેન્દ્ર બિંદુમાં રહેલા છે. સરકાર, 2022 સુધીમાં જ્યારે આઝાદીના 75 વર્ષ થશે, ખેડૂતની આવક બમણી કરવાના લક્ષ્યની સાથે કામ કરી રહી છે અને આ જ ધરતીના સંતાન મારા સાથી, ગજેન્દ્ર સિંહ શેખાવત, કૃષિ વિભાગને આગળ વધારવા માટે કામ કરી રહ્યાં છે. મને યાદ છે ત્રણ વર્ષ પહેલા જ્યારે સોઇલ હેલ્થ કાર્ડ યોજના શરુ કરવાનો અવસર આવ્યો તો તેનો શુભારંભ રાજસ્થાનના સુરજગઢથી થયો હતો. ત્યારે સરકારે લક્ષ્ય રાખ્યું હતું કે આ સમય સુધીમાં 14 કરોડ સોઇલ હેલ્થ કાર્ડ વહેંચવાનો ઈરાદો હતો અને મને ખુશી છે કે આ વાયદો અમે પૂરો કર્યો અને અત્યાર સુધીમાં દેશમાં 14 કરોડ 50 લાખથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને આપી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પણ લગભગ 90 લાખ ખેડૂતોને આ કાર્ડ મળ્યા છે. આ કાર્ડના કારણે વૈજ્ઞાનિક રીતે ખેતી વધુ સરળ બની છે અને તેની સીધી અસર ઉત્પાદન પર પડી છે. તમે જોયું હશે અનેક વર્ષો પછી દેશમાં બમ્પર પાક થયો છે. સાથીઓ, એ પણ સુખદ સંયોગ છે કે જ્યારે સરકારે પાકોના લઘુત્તમ ટેકાના ભાવોને ખર્ચને દોઢ ગણો કરવાનો પોતાનો વાયદો પૂરો કર્યો છે તો પણ સૌથી પહેલા મને સાર્વજનિક કાર્યક્રમ રાજસ્થાનમાં કરવાનો અવસર મળ્યો છે.

આ વખતે જે બાજરી, જુવાર કે દાળ તમે ઉગાડશો તેના માટે તમને ખર્ચનું દોઢ ગણું મૂલ્ય મળશે. સાથીઓ હું ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતોને વિસ્તારથી આ વિષયમાં જણાવવા માંગુ છું. એક ક્વિન્ટલ બાજરીની અંદાજીત કિંમત આશરે 990 રૂપિયા થાય છે, હવે સરકારે એમએસપી વધારીને 1950 રૂપિયા કરી નાખ્યા છે. પહેલા 990 હતા અને હવે 1950 રૂપિયા મળશે એટલે કે લગભગ મૂળ કિંમતના બમણા. એ જ રીતે જુવારની મૂળ કિંમત આશરે 1620 રૂપિયા છે જેની માટે એમએસપી હવે 2430 રૂપિયા આપવામાં આવી છે. મકાઈની પણ કિંમત પ્રતિ ક્વિન્ટલ આશરે 1130 રૂપિયા આંકવામાં આવી છે તેના માટે પણ એમએસપી હવે 1700 રૂપિયા કરી દેવામાં આવી છે. મગની મૂળ કિંમત પણ 4650 રૂપિયા આંકવામાં આવી છે જેની માટે એમએસપીને વધારીને લગભગ લગભગ 7000 રૂપિયા કરી દેવામાં આવી છે. તેના સિવાય ભલે પછી તુવેર દાળ હોય, અડદ હોય, સોયાબીન હોય કે પછી ડાંગર હોય બધામાં સરકારે ખર્ચનું દોઢ ગણું મૂલ્ય નિશ્ચિત કર્યું છે. એટલું જ નહી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે સતત સંવાદ કરીને એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે પાકની ખરીદી માટે પ્રભાવી વ્યવસ્થા કરવામાં આવે. અહિં વસુંધરાજીની સરકાર એ બાબતની ખાતરી કરી રહી છે કે ખેડૂતના પરસેવાનું એક-એક ટીપાનું સન્માન થાય. મને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે લગભગ સાડા અગિયાર હજાર કરોડની ઉપજ સરકાર ખરીદી ચુકી છે.

સાથીઓ સરકાર બીજથી લઈને બજાર સુધીની સંપૂર્ણ વ્યવસ્થા પર કામ કરી રહી છે. ખેડૂતોને માટે પણ યોજનાઓ આ ચાર વર્ષો દરમિયાન બની છે. વસુંધરાજીની સરકાર તેને પણ સંપૂર્ણ ક્ષમતા સાથે લાગુ કરવામાં જોડાયેલી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત હજુ સુધી અહિં ખેડૂત ભાઈઓને અઢી હજાર કરોડથી વધુનો દાવો આપી દેવામાં આવ્યો છે. સાથીઓ, ગરીબી સામે લડવા માટે જે પહેલાના રીત રીવાજો હતા તેનાથી અલગ થઈને ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબના સશક્તીકરણ અને વિકાસમાં તેમની ભાગીદારીનો રસ્તો અપનાવ્યો છે. તેના સ્પષ્ટ પરિણામો જોવા મળવા લાગ્યા છે. વિશ્વની એક પ્રસિદ્ધ સંસ્થાનો તાજેતરમાં જ એક અહેવાલ આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં વીતેલા બે વર્ષોમાં લગભગ પાંચ કરોડ લોકો ગરીબીના વિષચક્રમાથી બહાર નીકળી ગયા છે. પાંચ કરોડ લોકો ગરીબીથી મુક્ત થયા છે. સાથીઓ ગરીબીથી મુક્તિના માર્ગ પર જે દેશ અગ્રેસર થયો છે તેનું કારણ છે સાફ નીયત-સહી વિકાસ. આપ સૌ સવા સો કરોડ લોકોનો સહયોગ આ સરકારને મળી રહ્યો છે. તમારા સહયોગનું જ આ પરિણામ છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજસ્થાનમાં લગભગ 80 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ દરમિયાન દેશમાં જે લગભગ 32 કરોડ ગરીબોના બેંકમાં જે ખાતાઓ ખુલ્યા છે તેમાંથી અઢીસો કરોડથી વધુ જનધન ખાતા રાજસ્થાનમાં ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અને પહેલાની યોજનાઓને પુરી કરીને રાજસ્થાનના 6 લાખથી વધુ ગરીબોને ઘર આપવાનું કામ પણ કરવામાં આવ્યું છે. માત્ર એક રૂપિયો મહીને 90 પૈસા પ્રતિદિનના પ્રીમિયમ પર રાજસ્થાનના પણ 70 લાખ લોકોને સુરક્ષા વીમા યોજનાનું કવચ મળ્યું છે.

સાથીઓ, મુદ્રા યોજના હેઠળ રાજસ્થાનના 44 લાખથી વધુ ઉદ્યમીઓને સ્વરોજગારની માટે કોઈ પણ બાહેંધરી વિના ધિરાણ આપવામાં આવ્યું છે. આ સિવાય માત્ર વર્ષભરમાં જ રાજસ્થાનના લગભગ ૩ લાખ લોકોને સૌભાગ્ય યોજના અંતર્ગત મફત વીજળીના જોડાણો આપી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં સાડા ૩૩ લાખથી વધુ માતાઓ બહેનોને ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસના જોડાણો આપવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજનાએ મહિલાઓના જીવનને બદલવાનું કામ કર્યું છે. ભાઈઓ અને બહેનો, તાજેતરમાં જ આ જ યોજનાના લાભાર્થી માતા બહેનોની સાથે ચર્ચા દરમિયાન મને એક બીજી વાત જાણવા મળી. એક બહેને જણાવ્યું કે ઉજ્જવલા યોજનાના કારણે ધુમાડાથી મુક્તિ તો મળી જ છે પરંતુ સાથે પાણીની પણ બચત થઇ છે. પાણીની બચત એટલા માટે થઇ રહી છે કારણ કે હવે ગેસ પર ખાવાનું બનાવવાના કારણે વાસણોમાં કાળી છારી નથી બાજતી. એવામાં રાજસ્થાનની માતાઓને આ બમણો ફાયદો આપનારી યોજના છે.

સાથીઓ, મને અહેસાસ છે કે રાજસ્થાનના લોકોના સમયનો એક ઘણો મોટો ભાગ પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે જતો રહે છે. વસુંધરાજીની સરકારે આ દિશામાં પણ સરાહનીય પ્રયાસો કર્યા છે. મને જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી જળ સ્વાવલંબન અભિયાન જેવી યોજનાઓના માધ્યમથી ગામડા અને શહેરોમાં મળીને 4 હજાર કરોડથી વધુનાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. સાડા 12 હજારથી વધુ ગામડાઓ સુધી પીવાના પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે. ભાઈઓ-બહેનો તમારા લોકપ્રિય મુખ્યમંત્રીજીએ મને જણાવ્યું છે કે રાજસ્થાન સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા એક માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી છે. પાર્વતી, કાળી સિંધ, ચંબલ લીંક પરિયોજનાને રાષ્ટ્રીય પ્રોજેક્ટના રૂપમાં જાહેર કરવામાં આવે. મને જાણકારી આપવામાં આવી છે કે તેનો વિસ્તૃત પ્રોજેક્ટ અહેવાલ જળ સંસાધન મંત્રાલયને મોકલવામાં આવ્યો છે અને પરિયોજનાની ટેકનિકલ તપાસનું કામ ચાલી રહ્યું છે. આ પરિયોજનાથી રાજસ્થાનની બે લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈની સુવિધા મળશે. એટલું જ નહી આ પરિયોજનાથી જયપુર, અલવર, ભરતપુર, સવાઈ, માધવપુર, ઝાલાવાડ, કોટા, બુંદી એવા 13 જિલ્લાઓમાં રહેનારી રાજસ્થાનની 40 ટકા વસ્તીને પીવાનું પાણી ઉપલબ્ધ થશે.

ભાઈઓ બહેનો હું તમને એ આશ્વાસન આપવા માંગું છું કે કેન્દ્ર સરકાર આ માંગણી પ્રત્યે હકારાત્મક અભિગમ રાખશે. રાજસ્થાનનો વિકાસ થાય, અહીંના ખેડૂતોને પાણી સરળતાથી મળે, લોકોને પીવાનું પાણી મળે, તેના માટે સંપૂર્ણ સંવેદનશીલતાની સાથે નિર્ણય લેવામાં આવશે.

સાથીઓ, ગરીબને સશક્ત કરવા માટે સરકાર સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણના ક્ષેત્ર પર હજુ વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગઈ વખતે જ્યારે હું ઝુંઝુનૂં આવ્યો હતો ત્યારે રાષ્ટ્રીય પોષણ મિશન જેવી મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. હવે આ કાર્યક્રમ પ્રભાવી રૂપે દેશભરમાં ચાલી રહ્યો છે. આ સિવાય મહિલાઓ અને બાળકોના રસીકરણ અને તજજ્ઞોની દેખરેખમાં પ્રસુતિને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેનાથી માતૃત્વ મૃત્યુદરમાં પણ મોટો ઘટાડો થયો છે. હું રાજસ્થાનની માતાઓ બહેનોને અને રાજસ્થાનની સરકારને ખાસ અભિનંદન આપું છું કે આ દિશામાં તમે જે પ્રયાસો કરી રહ્યા છો તેનું પરિણામ આજે જમીન પર જોવા મળી રહ્યું છે. નિશ્ચિતપણે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને રાજસ્થાન ખૂબ ઊંચા સ્તર પર લઇને જઈ રહ્યું છે. બીમારીને લઈને ગરીબની ચિંતાને સમજીને આયુષ્માન ભારતનો એક મોટો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે. તે અંતર્ગત ગંભીર બીમારીની સ્થિતિમાં લગભગ લગભગ 50 કરોડની વસ્તીને વાર્ષિક પાંચ લાખ સુધી મફત ઈલાજ નક્કી કરવામાં આવશે. આ યોજના ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ખૂબ જલ્દી તેની શરૂઆત થશે.

ભાઈઓ અને બહેનો, ભારતીય જનતા પાર્ટીની સરકારોની દરેક યોજનાનું લક્ષ્ય દેશનો સંતુલિત વિકાસ અને દરેક વ્યક્તિને સન્માન, સુરક્ષા અને સ્વાભિમાનનું જીવન આપવાનો છે. આ સમયે દેશમાં એક અભૂતપૂર્વ આંદોલન ચાલી રહ્યું છે, તેનું નામ છે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન. ગામડામાં વિકાસના જુદા-જુદા માપદંડોને ધ્યાનમાં રાખીને નવી ઊર્જા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. ગામડામાં સૌની પાસે બેંક ખાતા હોય, ગેસના જોડાણો હોય, ઘરમાં વીજળીના જોડાણો હોય, દરેકનું રસીકરણ થયેલું હોય, દરેકને સુરક્ષા કવચ મળ્યું હોય, દરેક ઘરમાં એલઈડી બલ્બ હોય, તે નક્કી કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં રાજસ્થાનના પણ દોઢ હજાર ગામડાઓને આ યોજનાનો સંપૂર્ણ લાભ આપવામાં આવશે.

સાથીઓ, સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર પર ચાલીને દેશના દરેક ભાગને પછી ભલે તે ગામ હોય કે શહેર દરેક જગ્યાએ વિકાસનો પ્રકાશ પહોંચાડવાનો પ્રયાસ ઝડપી ગતિએ ચાલી રહ્યો છે. દેશના સો મોટા શહેરોમાં ઝડપી ગતિએ સ્માર્ટ વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે. આ સો શહેરોમાં આપણા જયપુર, ઉદયપુર, કોટા અને અજમેર પણ સામેલ છે. આ શહેરોના માર્ગોને, ગલીઓને, ટ્રાફિક, વીજળી પાણી અને ગટરથી લઈને વહીવટ સાથે જોડાયેલ તમામ પાસાઓને સ્માર્ટ બનવવાનો, તેના માટે કેન્દ્ર સરકારે સાત હજાર કરોડથી વધુની મંજુરી આપી દીધી છે. રાજસ્થાન સરકાર આ પરિયોજનાઓ પર ઝડપથી કામ કરી રહી છે.

સાથીઓ, આજે જે કામ થઇ રહ્યા છે તે પહેલા પણ થઇ શકતા હતા. પરંતુ પહેલાની જે સરકારો રહી ચુકી છે તેમણે કઈ નીતિથી કામ કર્યું, તેનાથી તમે સુપેરે પરિચિત છો. આ જ નીતિનું પરિણામ છે કોંગ્રેસને આજકાલ લોકો બેઈલ ગાડી કહેવા લાગ્યા છે. બળદગાડું નહી બેઈલગાડી. આખરે કોંગ્રેસના દિગ્ગજ તરીકે ઓળખાતા મોટા ભાગે અનેક નેતાઓ અને અનેક પૂર્વ મંત્રીઓ આજકાલ બેઇલ પર એટલે કે જમાનત પર છે પરંતુ તમે જે ભરોસાની સાથે કોંગ્રેસની સંસ્કૃતિને નકારી અને ભાજપાને જનાદેશ આપ્યો. તે ભરોસાને દિવસે ને દિવસે મજબુત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અમે નવા ભારતના સંકલ્પને લઈને આગળ વધી રહ્યા છીએ. 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવાના છે પરંતુ તેની પહેલા આગલા વર્ષે માર્ચમાં જ રાજસ્થાનના ગઠબંધનને 70 વર્ષ થવાના છે. નવા ભારતનું નિર્માણ નવા રાજસ્થાન વિના શક્ય નથી. એવામાં અહીંના મારા ભાઈઓ-બહેનોને માટે પણ રાષ્ટ્ર નિર્માણ રાજસ્થાન નિર્માણનો આ સોનેરી અવસર છે.

સાથીઓ, આ વર્ષ દેશને માટે સર્વોચ્ચ બલિદાન આપનારા પરમવીરચક્ર વિજેતા શહીદ પીરું સિંહ શેખાવતનું પણ જન્મશતાબ્દી વર્ષ છે. કેટલાક દિવસો પછી જ તેમના બલિદાનના 70 વર્ષ પણ પુરા થવાના છે. આ મહાન બલિદાનીને મારા શત-શત નમન છે. આપણું રાષ્ટ્ર આવા જ બલીદાનીઓની વીરતા, શૌર્ય અને રાષ્ટ્રભક્તિના દમ પર આજે દુનિયાની સામે માથું ઊંચું કરીને ઉભેલું છે. પરંતુ દુર્ભાગ્યથી આપણા રાજનૈતિક વિરોધીઓ અહિં પણ અટક્યાં નહીં. સરકાર સુધી તો ઠીક પરંતુ તેમણે સેના પર પણ, તેમની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવવાનું પાપ કર્યું છે. આવું પહેલા ક્યારેય નથી થયું. રાજસ્થાનના લોકો, દેશના લોકો આવી રાજનીતિ કરવાવાળાઓને ક્યારેય માફ નહી કરે. સાથીઓ જેમને પરિવારની, વંશવાદની રાજનીતિ કરવી છે તેઓ કરે પરંતુ દેશની રક્ષા અને સ્વાભિમાનને શિખર પર લઇ જવાનો અમારો નિર્ણય અતુટ છે અને અમારી નીતિઓ સાફ છે. એ જ કારણ છે કે જે વન રેન્ક વન પેન્શનનો મુદ્દો વર્ષોથી અટકેલો પડ્યો હતો. આ સરકાર દ્વારા તેનું પણ સમાધાન કરવામાં આવ્યું છે. ભાઈઓ અને બહેનો દેશ આજે એક નવા મહત્વના વળાંક પર ઉભો છે, એક નવી દિશા તરફ આપણે ચાલી નીકળ્યા છીએ, અનેક મુશ્કેલ લક્ષ્યો પ્રાપ્ત કરી દેવામાં આવ્યા છે અને હજુ અનેક નક્કી કરવાના ઈરાદાથી આપણે આગળ વધી રહ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌની સક્રિય ભાગીદારીથી પોતાના દરેક સંકલ્પને સિદ્ધ કરવાથી સરકારને સફળતા મળશે. આજે જે યોજનાઓ પર કામ શરુ થયું છે તેના માટે હું રાજસ્થાનના લોકોને એક વાર ફરીથી અભિનંદન આપુ છું અને હું મારી વાતને સમાપ્ત કરું છું.

મારી સાથે આપ સૌ બોલો

ભારત માતાની જય!

ભારત માતાની જય!

ખૂબ-ખૂબ આભાર.

 

NP/J.Khunt/GP/RP