પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે જવાબ આપ્યો હતો. તેમણે ચર્ચામાં ભાગ લેવા બદલ અને તેમાં યોગદાન આપવા બદલ ઉપલા ગૃહના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય શ્રી મદન લાલ સૈનીના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લોકસભાની 2019ની, ચૂંટણીમાં જનાદેશે એ વાત બતાવી દીધી છે કે લોકો દેશમાં સ્થિરતા ઇચ્છે છે. તેમણે કહ્યું કે સ્થિર સરકાર પંસદ કરવાની પ્રવૃત્તિ હવે વિવિધ રાજ્યોમાં જોવા મળી રહી છે.
તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન થયેલી ચૂંટણી પ્રક્રિયાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર પ્રક્રિયાનું પરિણામ ઘણું મોટું છે. ‘લોકતંત્ર નષ્ટ થઇ ગયું છે’ તેવા કેટલાક નેતાઓના નિવેદનને તેમણે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે ગૃહના સભ્યોને કહ્યું કે તેમણે મતદારોના વિવેક પર પ્રશ્નો ના કરવા જોઇએ. પ્રધાનમત્રીએ કહ્યું કે, ‘જનાદેશ અને લોકશાહીનું સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.’
પ્રધાનમંત્રીએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ઉઠાવવામાં આવતા સવાલોની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે EVMથી મતદાન કેન્દ્રો પર કબજો કરનારાઓની સંખ્યા અને હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. પ્રધાનમત્રીએ કહ્યું કે, ‘હવે સમાચારો માત્ર વધી રહેલી મતદારોની સંખ્યા સંબંધિત છે જે લોકશાહી માટે એક સ્વસ્થ સંકેત છે.’ તેમણે ઉમેર્યું હતું કે, VVPATના કારણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનીયતા વધુ મજબૂત થઈ છે.
ચૂંટણીમાં સુધારાઓ અંગે ચર્ચા કરતા પ્રધાનમત્રીએ કહ્યું હતું કે, ભારતમાં ચૂંટણી સંબંધિત પ્રક્રિયાને વધુ મજબૂત કરવા માટે સુધારાઓ કરવા અત્યંત જરૂરી છે. આ સંદર્ભે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ‘એક દેશ, એક ચૂંટણી’ જેવા ચૂંટણી સુધારા અંગે ચર્ચા કરવી અને જાણકારી મેળવવી અત્યંત મહત્વપૂર્ણ બાબત છે.
પ્રધાનમત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. તેનો ભારતની જનતાને લાભ મળશે. તેમણે કહ્યું કે, સરકાર સામાન્ય માણસોને અધિકાર સંપન્ન બનાવવામાં માને છે. તેમણે દેશના નાગરિકો માટે મકાન, વીજળી, ગેસનું જોડાણ, શૌચાલય જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવાની દિશામાં સરકાર દ્વારા કરવામાં આવતા કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ તમામ સભાસદોને આગ્રહ કર્યો હતો કે તેઓ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં કાર્ય કરે. તેમણે તમામ રાજકીય પક્ષોને આગ્રહ કર્યો હતો કે તેઓ સકારાત્મક વિચારધારા સાથે કામ કરે અને આ લક્ષ્ય હાંસલ કરવા માટે સૂચનો તેમજ વિચારો રજૂ કરે.
પ્રધાનમત્રીએ જણાવ્યું હતું કે, ઝારખંડમાં તાજેતરમાં થયેલી ઘટનાથી તેમને ઘણું દુઃખ થયું છે. તેમણે કહ્યું કે, ગુનેગારોને દેશના કાયદા અનુસાર યોગ્ય સજા મળવી જોઇએ. તેમણે કહ્યું કે એક ઘટનાના કારણે આખા રાજ્યનું નામ ખરાબ થાય તે ઠીક નથી. તેમણે કહ્યું કે હિંસામાં સામેલ લોકો સાથે કડક વલણ અપનાવવું જોઇએ અને આવી તમામ ઘટનાઓનો ઉકેલ કાયદા અનુસાર એ રીતે જ લાવવો જોઇએ, ભલે આવી ઘટના કોઇપણ રાજ્યમાં બની હોય.
પ્રધાનમત્રીએ કહ્યું કે સમયની માંગ છે કે આયુષ્યમાન ભારતને મજબૂતી આપવી જોઇએ. અમે ઈચ્છીએ છીએ કે ગરીબ જનતાને ઉચ્ચ ગુણવત્તાની સાથે સાથે સસ્તી સારવાર સુલભ થાય.
પ્રધાનમત્રીએ કહ્યું કે પૂર્વોત્તર રાજ્યોની સાથે સાથે મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે.
સહકારી સંઘવાદ અંગે પ્રધાનમત્રીએ જણાવ્યું હતું કે ક્ષેત્રીય મહત્વાકાંક્ષાઓની સાથે સાથે રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ પણ હોવી જોઇએ.
તેમણે નાગરિકોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશને બહેતર અને મજબૂત બનાવવા માટે જે કંઇપણ કરી શકતા હોવ તે કરો. તેમણે દરેક વ્યક્તિને આગ્રહ કર્યો હતો કે તેઓ ભારતને નવી ઊંચાઇઓ પર લઇ જવા અને એક નવા ભારતનું નિર્માણ કરવાની દિશામાં સાથે મળીને કામ કરે.
DK/NP/J.Khunt/GP/RP
Speaking in the Rajya Sabha https://t.co/1zcKaIxKRr
— Narendra Modi (@narendramodi) June 26, 2019