Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે જમશેદપુર ખાતે યોજાયેલા પંચાયતી રાજ સંમેલનમાંથી રાષ્ટ્રની તમામ પંચાયતને પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે જમશેદપુર ખાતે યોજાયેલા પંચાયતી રાજ સંમેલનમાંથી રાષ્ટ્રની તમામ પંચાયતને પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે જમશેદપુર ખાતે યોજાયેલા પંચાયતી રાજ સંમેલનમાંથી રાષ્ટ્રની તમામ પંચાયતને પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


વિશાળ સંખ્યામાં પધારેલા ઝારખંડના મારા ભાઇઓ તથા બહેનો અને દેશભરની પંચાયતોથી આવેલા તમામ પંચાયતોના પ્રતિનિધિ અને આજે ટેક્નોલોજીના માધ્યમથી દેશભરની લાખ્ખો પંચાયતોમાં બેસીને આ કાર્યક્રમમાં ભાગીદાર થઇ રહેલા તે તમામ ગ્રામવાસીઓને આજે પંચાયત રાજ દિવસ પર મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.

સામાન્ય રૂપથી પંચાયત રાજ દિવસ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાતો હતો. અમુક પ્રતિનિધિ આવતા હતા માન તથા સમ્માન અહીં પરંપરા ચાલતી હતી. અમે આવીને એક પ્રયાસ કર્યો કે દેશ કેટલો મોટો છે. દિલ્હી જ દેશ છે, આ ભ્રમમાંથી બહાર આવવું જોઇએ. અને એટલા માટે અમારો પ્રયત્ન રહ્યો છે કે ભારત સરકારને દિલ્હીની બહાર નીકાળીને હિન્દુસ્તાનના અલગ અલગ વિસ્તારમાં લઇ જઇએ. અને એટલા માટે ભારતના ઘણા કાર્યક્રમો, હવે અમે દિલ્હીની બહાર જનતા જનાર્દનની વચ્ચે લઇ જઇને કરીએ છીએ.

જ્યારે દેશના ખેડૂતો માટે જમીન ચકાસણી કાર્ડનો પ્રારંભ કરવાનો હતો, તો અમે રાજસ્થાનને પસંદ કર્યું હતું, જ્યાં પાણીની કટોકટી રહે છે. જ્યાં ખેડૂતને ખૂબ જ ઝઝુમવું પડે છે. જ્યારે અમે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનનો પ્રારંભ કર્યો હતો તો અમે હરિયાણાની ધરતી પસંદ કરી હતી. કારણ કે હરિયાણા દેશમાં બાળકોની તુલનામાં ઓછામાં ઓછી બાળકીઓ ધરાવતું રાજ્ય છે. એક ખૂબ જ મોટી ચિંતાનો વિષય હતો અને તે એક કાર્યક્રમનું પરિણામ એ આવ્યુ કે હરિયાણાએ વર્ષ ભરની અંદરો અંદર જાતિના પ્રમાણમાં પરિવર્તન લાવી દીધું. બાળક તથા બાળકીઓની સંખ્યા બરાબર કરવાની દિશામાં તે ઝડપી ગતિથી સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. હવે જ્યારે સામાન્ય માનવને સુરક્ષા આપનારી જીવન યોજનાઓનું એક નવું સંસ્કરણ સામાન્ય નાગરિકો માટે લાવવાનું હતું. જે રાજ્યોમાં મોટાભાગે ગરીબી છે તેમાંના એક પશ્ચિમ બંગાળથી અમે તે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. અને આજે મને આનંદ છે કે ‘ગ્રામ ઉદયથી ભારતોદય’, પંચાયત રાજ વ્યવસ્થામાં ગામોમાં વસનારા હિન્દુસ્તાન તથા ભારત સરકાર અને ભારતની પ્રતિબદ્ધતા, આ પ્રસંગે ઝારખંડની ભગવાન બિરસા મુંડાની ધરતીને અમે પસંદ કરી છે. અને આજે તે ધરતીથી દેશના ગામવાસીઓ સાથે વાતચીત કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.

મહાત્મા ગાંધી કહેતા હતા કે ભારત ગામમાં વસેલું છે, પરંતુ આપણે જોઇ રહ્યા છીએ કે આઝાદીના આટલા વર્ષો બાદ, ગામ તથા શહેરની વચ્ચેની ખાઇ વધી રહી છે. જે સુવિધાઓ શહેરમાં છે તેનો ગામને હક નથી કે શું ? જો વિજળી શહેરને મળે છે તો વિજળી ગામના ઘર સુધી પણ પહોંચવી ન જોઇએ ? જો શહેરમાં યોગ્ય રસ્તા છે તો ગામના લોકોને પણ આવવા જવા માટે કામમાં આવે તેવો રસ્તો મળવો જોઇએ કે ન મળવો જોઇએ ? અને એ વાતોને લઇને હાલનું બજેટ તમે જોયું હશે, સમગ્ર દેશમાં વાહ – વાહી થઇ રહી હતી કે આઝાદીના ઘણા વર્ષો બાદ પહેલી વખત ગામનો માણસ એમ કહી શકે કે આ મારું બજેટ છે. મારા માટેનું બજેટ છે, ગામ માટેનું બજેટ છે. ખેડૂત માટેનું બજેટ છે. એવો વિશ્વાસ આ બજેટથી પ્રસ્તાવિત થયો છે.

ભાઇઓ અને બહેનો 14 એપ્રિલથી 24 એપ્રિલ આ પંચાયત રાજ દિવસ સુધી ‘ગ્રામ ઉદયથી ભારતોદય’ દેશના લાખો ગામોમાં 10 દિવસનું એક મોટું અભિયાન ચલાવ્યું હતું. 14 એપ્રિલે આ અભિયાનનો પ્રારંભ મેં ભારતના સંવિધાન નિર્માતા શ્રીમાન બાબા સાહેબની જન્મજયંતિના દિવસથી પ્રારંભ કર્યો હતો, આ અભિયાન સમગ્ર દેશમાં અલગ અલગ વિષયો પર પ્રકાશ કરીને, યોજનાઓનો આરંભ કરીને, નવા સંકલ્પ કરતા, જાગૃતિની નવી ઉંચાઇઓને પાર કરતા, સમગ્ર દેશમાં ચાલતું રહ્યું છે. અને આ કાર્યક્રમ એટલો વ્યાપક થયો કે મેં ચૌધરી વીરેન્દ્ર સિંહ તથા તેમના વિભાગના તમામ લોકોને, હું રાજ્ય સરકારનોને હ્દયથી અભિનંદન કરવા માગુ છું કે એવા તડકામાં પણ, એવા ગરમીમાં પણ, સરકારના મોટા મોટા અધિકારી ગામમાં ગયા. રાજનેતા ગામમાં ગયા, ગામમાં કાર્યક્રમની ભરમાર બનેલી રહી અને ગામને આગળ વધારવાનો એક માહોલ ગામની અંદર પેદા થયો એ પોતાના જ બળે પોતાની પાસે જે ઉપલબ્ધ સ્ત્રોત છે, તે સ્ત્રોતના આધારે ગામને આગળ વધારવાનો સંકલ્પ આજે હિન્દુસ્તાનભરમાં નજરે આવી રહ્યો છે.

આપણે જોઇ રહ્યા છીએ કે ગામ કલ્પના બહાર શહેરોથી પણ ઉત્તમ ક્યારેક ક્યારેક વ્યવસ્થા બનાવવામાં સફળ થયા છે. જો ગામની પંચાયત વ્યવસ્થામાં બેસેલા પ્રતિનિધિ આ સંકલ્પ કરે કે ગામના લોકોને પાંચ વર્ષ માટે મારી પર ભરોસો કર્યો છે. શું પાંચ વર્ષની અંદર હું ગામને કંઇક એવું બનાવીને જઉં, જેથી આગામી પેઢીઓ પણ યાદ કરે કે ફલાણા ફલાણા વર્ષમાં ફલાણા પંચાયતના પ્રધાન હતા, ફલાણા પંચાયતના સભ્ય હતા, તેમણે આપણા ગામમાં આ ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. દરેક કોઇના મનમાં, તમામ જનપ્રતિનિધિઓના મનમાં આ સંકલ્પ હોવો જોઇએ કે મારા કાર્યકાળમાં, જે લોકોનો હું પ્રતિનિધિ છું. તે ક્ષેત્રની ભલાઇમાં કંઇને કંઇ ઉત્તમ એવું કામ કરીને જઇશ, જે આગામી દિવસોમાં ગામને આગળ વધારવા માટે એ મજબૂત પાયાનું કામ કરે, એક સાચી દિશામાં કામ કરીશું, એક સાચી ગતિ પર લઇ જઇને હું રાખીશ, આ સંકલ્પ દરેક કોઇનો હોવો જોઇએ.

આ ‘ગ્રામ ઉદયથી ભારતોદય’ યાત્રા દ્વારા દુનિયાના લોકને અઝૂબા લાગે છે. આજે આપણા દેશમાં આ પંચાયતોમાં લગભગ લગભગ 30 લાખ પંસદ થયેલા પ્રતિનિધિ બેઠા છે. અને તેમાં 40 ટકા મહિલાઓ બેઠી છે. અમુક રાજ્યોએ ઝારખંડ જેવા રાજ્યોએ 50 ટકા કર્યું છે. અમુક રાજ્યોમાં 33 ટકા છે. તેના કારણે સરાસરી હું બતાવું છું લગભગ 40 ટકા સંખ્યા મહિલાઓની છે. આ મહિલાઓની સંખ્યા… હવે ઘણો સમય થયો છે. હું આજે આ પંચાયતી રાજ દિવસના પ્રસંગે તે લાખ્ખો મારી મહિલા પ્રતિનિધિઓને આગ્રહ કરવા માગું છું . હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે મારી માતાઓ અને બહેનો તમારા ગામે તમારી પર ભરોસો રાખ્યો છે. અને તમે એક માતા છો, તમે એક મહિલા છો. શું તમે તમારી પંચાયતમાં અમુક વાતોને વિષયમાં નેતૃત્વ કરીને પરિવર્તન ન લાવી શકો ? જો 40 ટકા મહિલાઓ પંચાયતમાં બેઠી હોય, કાયદાએ પોતાનું કામ કરી દીધું છે. મતદાતાઓએ મત આપીને પોતાનું કામ કરી દીધું છે. પરંતુ પસંદ થયેલા પ્રતિનિધિ તથા વિશેષ કરીને મહિલાઓ આ સંકલ્પ કરી શકે છે કે જે ગામમાં 40 ટકા બહેનો આપણે પંચાયતમાં જઇને નિર્ણય કરે છે. નિર્ણયમાં ભાગીદાર બને છે, શું આપણે એ નક્કી કરી શકીએ છીએ કે આપણે જે ગામમાં બેઠા છીએ, હવે આપણા ગામમાં પણ આપણી એક માતા કે બહેન કે દિકરીને ખુલ્લામાં શૌચાલય માટે નહીં જવું પડે. આપણે શૌચાલય બનાવીને જ રહીશું. ભારત સરકાર રાજ્ય સરકારની શૌચાલય બનાવવાની યોજનાને અમે જાતે જ સમય કાઢીને લઇ જઇશું, લાગૂ કરીને જ રહીશું અને મેં ઘણા ગામ જોયા છે એકાદ વૃદ્ધ માતા પણ સંકલ્પ કરે કે હવે ગામમાં કોઇને ખુલ્લામાં શૌચ જવા માટે મજબૂર થવું પડે તેવી સ્થિતિ નહીં થવા દઉં, તો એવા ગામમાં દરેક ઘરમાં શૌચાલય બની જાય. આજે પણ મારી માતાઓ અને બહેનોને ખુલ્લામાં શૌચ માટે જવું પડે તેવી શરમજનક બાબત બીજી કોઇ નથી. અને એટલા માટે હું વિશેષ લાખ્ખોની સંખ્યામાં પસંદ થયેલી મારી માતાઓ અને બહેનોને આગ્રહ કરું છું કે તમે આ બાબત પર ધ્યાન આપો.

બીજી વાત હું એમને કરવા માગું છું કે સરકારની તરફથી જે બજેટ મળે છે, સ્કૂલમાં બાળકો માટે મધ્યાહ્ન ભોજન ચાલે છે. તમે જનપ્રતિનિધિ છો તમે ચોક્સાઇ કરો કે સરકારની પાઇ પાઇનો ઉપયોગ સારું મધ્યાહ્ન ભોજન કરીને તે નાના નાના બાળકોના પેટમાં જાય છે કે નથી જતું. બાળક તો ભગવાનનું રૂપ હોય છે. આપણા ગામનો બાળક કુપોષણથી પીડિત હોય એ વાત જો જનપ્રતિનિધિ મહિલા હોય તો મને ખટકવી જોઇએ, હું તેમાં ફેરફાર લાવવા માટે એક જનપ્રતિનિધિના નાતે હું પોતાના કર્તવ્યનું પાલન કરીશ, આ સંકલ્પ મારી તે 40 ટકા માતાઓ અને બહેનો, એક તૃતીયાંશ ગામમાં પ્રધાન મહિલાઓ છે. શું આપણે આ સંકલ્પ ન કરી શકીએ ? કે જેથી આપણા ગામમાં આપણા ગરીબથી ગરીબ બાળક પણ કુપોષણનો શિકાર ન થાય તેના માટે આપણે ચિંતા કરી શકીએ.

હું મારી માતાઓ તથા બહેનો પાસેથી એક કામની અપેક્ષા કરવા માગું છું. આપણા ગામમાં દરેક વર્ષે ગરીબીની રેખા નીચે જવાવાળી પાંચ મહિલાઓ કે દસ મહિલાઓને દરેક વર્ષે તેમની પ્રસૂતિનો સમય આવતો હશે. આ પ્રસવ કાળ દરમિયાન હું જનપ્રતિનિધિ હોવાના નાતે ગામમાં ગરીબી રેખાની નીચે જીવવાવાળી ત્રણ મહિલાઓનો પ્રસવ છે કે પાંચ મહિનાની છે, શું ગામની અંદર એક જન જાગૃતિ લાવીને નવ મહિના સુધી તેના સારો આહાર મળે, સારું પોષણવાળું ખાવાનું મળે, તેના માટે ગામ મળીને એટલી જવાબદારી ન ઉઠાવી શકે ? હું એટલા માટે નથી કહેતો કે સવાલ બજેટનો છે, મુદ્દો બજેટનો નથી. આ જનઆંદોલન જ્યારે બની જાય છે, ત્યારે આપણી માતાઓ ક્યારેક પ્રસવપીડાના કારણે મૃત્યું પામે છે, ક્યારેક જન્મ લેવાનું બાળક મરે છે. ક્યારેક માતા તથા બાળક બંને મરે છે. 21મી સદીના હિન્દુસ્તાનમાં આપણા ગામની માતાઓ અને જ્યારે એક પ્રસવામાં જે માતાઓ મરે છે ગામમાં, તેની ઉંમર શું હોય છે, 25 વર્ષ, 27 વર્ષની તે દિકરી જે માતા બનવાની હોય છે, કેટલા સપના સેવીને તેણે લગ્ન કર્યા હશે. કેટલા સપના સેવીને એ તે પરિવારમાં વહું બનીને ગઇ હશે. અને પહેલા જ પ્રસવામાં જો તે મોતના શરણે થઇ જાય છે તો તે પરિવાર કેટલો બરબાદ થઇ જતો હશે તે પરિવારની સ્થિતિ શું થતી હશે. જે નવયુવાન આ ઉંમરમાં પોતાની પત્ની ગુમાવી દે છે તેની મનો સ્થિતિ શું થતી હશે, એટલી મોટી દર્દનાક પીડા, આ પીડાથી મારી 40 ટકા માતાઓ અને બહેનો …. જો ગામમાં જનપ્રતિનિધિ હોય અને તે ગામમાં પ્રસવના કારણે માતા મરે, બાળકી મરે, દિકરો મરે, દીકરી મરે, આ વાતને આપણે મીટાવી દેવાની છે. આપણે જાગૃતતા લાવીએ કે હવે અમે એવી ગરીબ માતા તથા બહેનોની પ્રસૂતિ છે તો તેમને આશા વર્કર સાથે મિલાવીએ. તેમની દેખરેખ રાખીએ એ નજીકના દવાખાનામાં જ તેમની પ્રસૂતિ હોય, તેના માટે આપણે તેમને પ્રેરિત કરીએ. જો હોસ્પિટલમાં તેમની પ્રસૂતિ થાય છે તો તેમની જીવ બચાવવાની સંભાવના વધી જાય છે. મારી માતાઓ અને બહેનો તમે જનપ્રતિનિધી છો. તમે પંચાયતમાં જઇને બેસો છો અને એટલા મટે તમે કેટલા ભણેલા છો, કેટલું નથી ભણ્યા તેનું મહત્વ નથી. જે લગન સાથે તમે પોતાના પરિવારને સંભાળો છો તે તાકાત તે ગામની ગરીબ મહિલાઓના પરિવારને સંભાળવા માટે તાકાતવાન બનાવે છે, એટલો અનુભવ પૂરતો છે અને તેને લઇને તમે ચાલી શકો છો.

હું જનપ્રતિનિધિઓને પણ આગ્રહ કરવા માગું છું. આજે તે સ્થિતિ નથી. પહેલાનો જમાનો હતો કે ગામમાં જે એકાદ સુખી પરિવાર હતો, તેમાં પંચાયતના પ્રધાન હતા, કોઇ પણ સરકારી ઓફિસર આવે, ગામમાં કોઇ મહેમાન આવે તો તેના જ ઘરમાં મિટિંગ રહેતી હતા, ચા – પાણી કરતા હતા, ક્યારેક ભોજન થતુ હતું. મહિનાભરમાં 15 – 20 મહેમાનો સ્વાભાવિક હોતા જ હતા અને તેની આર્થિક સ્થિતિ જો સારી રહી તો લોકોનું સ્વાગત વગેરે કરતા હતા અને ગામવાળા પણ વિચારતા હતા કે ભાઇ તેમના ખભે જવાબદારી નાખો, પરંતુ તે એવા દિવસો હતા કે જ્યારે ગામોની પાસે પોતાનું કોઇ બજેટ રહેતું નહોતું. ગામને પોતાની રીતે જ ગુજારો કરવો પડતો હતો. બહુ જ ઓછી વ્યવસ્થાઓ સાધન તરફથી હોતી હતી. આજે સમય બદલાઇ ચૂક્યો છે. આજે તો લાખ્ખો રૂપિયા દરેક વર્ષે ગામની પાસે આવે છે અને પંચાયત પ્રધાનોની ચૂંટણીમાં પણ એટલી સ્પર્ધા આવી છે, તેનું મૂળ કારણ એ પણ છે કે વિપુલ માત્રામાં ધન જે આવી રહ્યું છે, તે પણ એક કારણ છે. પરંતુ હું ઇચ્છું છું, તમે આ ધનનો યોજનાબદ્ધ રીતે જો જનપ્રતિનિધિ પોતાના પાંચ વર્ષ નક્કી કરી લે, નક્કી કરે તો પોતાના ગામમાં ઉત્તમ થી ઉત્તમ પરિણામ લાવી શકે છે.

છેલ્લા 60 વર્ષમાં જે ચીજો તમારા ગામમાં આવી શકી નથી, જે ચીજો તમે પાંચ વર્ષની અંદરો અંદર એટલા જ ધન સાથે કરી શકો છો અને એટલા માટે આપણી પંચાયત વ્યવસ્થાને આપણે મજબૂત બનાવવી જોઇએ. નિયમીત રીતે પંચાયતની બેઠક હોય અને મારો એ વિશ્વાસ છે કે દેશનું ભાગ્ય બદલવા માટે જેટલું મહત્વ દિલ્હીની મોટામાં મોટી સંસદનું છે, એટલું જ મહત્વ આ મારા ગામની સંસદનું છે અને એટલા માટે ગ્રામ સભાને પણ બળ આપવાની જરૂર છે. આજે જ્યારે ગ્રામ સભા યોજાય છે, તો એવરેજ કેટલી સંખ્યા આવે છે ? એક કહેવા માટે, કાગળ પર લખનારી ગ્રામ સભા હોય છે. અરે ! ગ્રામ સભાની તારીખ પહેલેથી જ નક્કી હોય, તે દિવસ ગ્રામોત્સવનો માહોલ હોય, સવારે પ્રભાત ફેરી નીકળે, બાળકો પણ ગ્રામમાં જાગૃતિ લાવે, નાના – મોટા ઉત્સવનો માહોલ હોય અને ફરીથી સાંજમાં ગ્રામ સભા હોય તો આજે ગ્રામ સભામાં 5 ટકા, 10 ટકા, 15 ટકા લોકો આવે છે, મહિલાઓ તો ખૂબ જ ઓછી આવે છે . ક્યારેક ક્યારેક જનપ્રતિનિધિ પણ નથી પહોંચતા. તો શું આપણે સંકલ્પ કરી શકીએ છીએ કે આપણે એવી ગ્રામસભા કરીશું કે જેમાં ક્યારેય પણ ગામની વસ્તીના 30 ટકા લોકો ગેરહાજર રહેશે નહીં, આ આપણે સંકલ્પ કરીને આપણે લોકોને લાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. અને જુઓ ગ્રામ સભામાં નક્કી કરીએ, કે આ કરવું છે, આવી રીતે કરવું છે, સમગ્ર ગામ તમારી મદદ કરશે.

જો સફાઇ અભિયાન ચલાવવું છે તો ગામ ઉત્તમથી ઉત્તમ સફાઇનું ઉદાહરણ આપી શકે છે. આજે પણ ઘણા ગામ એવા છે જેમણે પોતાના જ બળ પર સફાઇનું અભિયાન ચલાવ્યું છે અને ગામમાં જે કૂડો કચરો ભેગો થાય છે. તે ગામની બહાર વર્મી કમ્પોસ્ટના ઢગલા બનાવે છે, અળસિયા લાવીને નાંખે છે. અને સારું ખાતર પણ મળી જાય છે. તે ખાતર વેચે છે, ગામના જ ખેડૂતો લઇ જાય છે. ગામમાં સફાઇ પણ થાય છે અને ખેતરને સારું ખાતર પણ મળે છે. આ એટલા માટે નથી હોતું કે પૈસા છે, એટલા માટે હોય છે કે ગ્રામ પંચાયત પ્રધાન, ગામના પસંદ થયેલા પ્રતિનિધી, ગામનો શિક્ષક, ગામના બે કે ચાર આગેવાનો, આ જ્યારે મળીને એ નક્કી કરે છે, ફેરફાર આવવાનો શરૂ થઇ જાય છે. ગામની સફાઇના વિષયમાં, થોડા પગલા ઉઠાવે, તે આર્થિક રૂપથી લાભપ્રદ થાય છે, એવું ઉત્તમ ખાતર ગામની સફાઇથી નીકળે છે કે આપણા ખેતરોની પરિસ્થિતિ સુધારી શકે છે.

હું ગામના મારા પંચાયતના મારા પ્રધાનોને આગ્રહ કરવા માગું છું. અહીં આપણે આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ બેઠા છે. આપણે ઇચ્છતા હોઇશું કે ગામમાં રોડ બને, ગામમાં પંચાયતનું ઘર બને, આ તો બધા ઇચ્છતા જ હશે, પરંતુ શું ગામમાં શિક્ષક હોય, ગામમાં સ્કૂલ હોય, સરકારી બજેટ ખર્ચાય છે પરંતુ તેમ છતાં પણ જો મારા ગામમાં બાળક મહિના – બે મહિનામાં સ્કૂલ જઇને ફરી જવાનું બંધ કરી દે તો તેની ચિંતા પંચાયતના લોકોને હોય છે કે નથી હોતી ? જો આપણને ચિંતા ન થાય તો, આપણે ગામના મુખિયા નથી. જો આજે એક બાળકની સ્કૂલ છૂટી જાય છે તો તેનો મતલબ એમ થયો ક ભવિષ્યમાં પોતાના ગામમાં આપણે એક એવો નવયુવાન તૈયાર કરી રહ્યા છીએ કે જેનું ભવિષ્ય અંધકારમાં લખાયું છે. જો તે બાળક સ્કૂલે ગયો, દરેક અઠવાડિયા આપણે થોડી જાણકારી મેળવી, પૂછપરછ કરી. કોઇ બાળક જો સ્કૂલ નથી જતો તો ગામનો પ્રધાન જો તેના માતા પિતા સાથે વાત કરી લે છે કે દેખો ભાઇ, માસ્ટરજી આવ્યા હતા, કહી રહ્યા હતા કે ફલાણાના દિકરો સ્કૂલે આવતો નથી, શું થયું, બિમાર તો નથી ને ? એટલું જ હવે જો ગામના પ્રધાન પૂછી લે, પંચાયતનો સભ્ય પૂછી લે, તો ગામમાં બાળકોને સ્કૂલે લઇ જવા માટે માતા તથા પિતા પણ જાગૃત થઇ જશે. તે શિક્ષક પણ જો ઉદાસિન હશે, તેની જો રૂચિ નહીં હોય પરંતુ જો ગામની પંચાયતના લોકો જાગૃત છે, ગામ જાગૃત છે તો તે શિક્ષક પણ પોતાની સમગ્ર તાકાત સાથે અભ્યાસની અંદર ધ્યાન આપશે અને તમારા ગામના બાળકોની જીંદગી બદલી દેશે અને એટલા માટે આપણે પંચાયતના પ્રધાન હોવાના નાતે, આપણે ફક્ત રોડ બન્યો કે ન બન્યો, બજેટ આવ્યું કે ન આવ્યું, એમાં જ સિમિત રહીને, જનસુવિધા તરફ પણ ધ્યાન આપીએ.

આપણે અહીંયા પલ્સ પોલિયોની રસી પીવડાવાય છે. કેટલા જનપ્રતિનિધિ છે જે અઠવાડિયા પહેલાથી જ પલ્સ પોલિયાના કામને પોતાના ખભા પર ઉઠાવી લે છે અને નક્કી કરે છે કે આપણા ગામમાં કોઇ પણ બાળક ટીકાકરણથી બાકી નહીં રહી જાય, પોલિયોની રસીથી બાકી નહીં રહી જાય. આપણે 5 વર્ષ, આપણા કાર્યકાળ દરમિયાન સો ટકા ટીકાકરણ કરાવી લઇએ છીએ, પોલિયોની રસી પહોંચાડી દઇએ છીએ, તો આપણું સૌભાગ્ય હશે કે આપણા ગામમાં કોઇ પણ એવો બાળક હશે નહીં, કોઇ પણ એવી બાળકી હશે નહીં કે જેને ક્યારેય પણ લકવો લાગી ગયો હોય, તે જીવનભર દિવ્યાંગ તરીકે રહેવા માટે મજબૂર થઇ જાય અને સમગ્ર ગામ જીવન ભર તેની તરફ દયાભાવથી જોતું રહે. અમે ઇચ્છીએ છીએ કે આપણું ગામ સ્વસ્થ રહે, તો આપણા બાળક સ્વસ્થ્ય હોવા જોઇએ, આપણા બાળક સ્વસ્થ્ય રહે તે માટે સરકારની જે યોજનાઓ છે, એક પંચાયતના પસંદ થયેલા પ્રતિનિધિના નાતે તેને પરિપૂર્ણ કરવા માટે આપણે જાગૃતતા દેખાડવી પડશે, આપણે સ્વયં નેતૃત્વ કરવું પડશે.

ઇન્દ્રધનુષ યોજના. જૂના જેટલા પણ બાળક છૂટી ગયા છે, તે બાળકોને હવે આ સ્વાસ્થ્ય અંતર્ગત લાવવાનું મોટું અભિયાન છે. કરોડો – કરોડો બાળકો અત્યારે પણ એવા છે જે કોઇને કોઇ કારણે તેનો ફાયદો લઇ શક્યા નથી. અથવા આપણે તેનો ફાયદો પહોંચાડી શક્યા નથી. હું પંચાયતમાં પસંદ થઈને બેઠો છું. મારા ગામમાં મારો સંકલ્પ હોવો જોઇએ કે હવે કોઇ પણ બાળકને અંપગ થવાની, દિવ્યાંગ થવાની, તેનો કોઇ પણ ભાગ લકવાગ્રસ્ત થઇ જાય, તેવી પરિસ્થિતિ હું થવા દઇશ નહીં, આ મારો સંકલ્પ હોવો જોઇએ. જો એક પછી એક, પંચાયતમાં પસંદ થયેલા મારા પ્રતિનિધિ મારા ગામના જીવને બદલવાનું નક્કી કરે.

આપણે જાણીએ છીએ કે વર્ષા પર આપણી ખેતી નિર્ભર છે. જો ગામમાં ખેડૂત પરેશાન છે તો ગામના બાકી કારોબાર પણ બંધ થઇ જાય છે. લુહારની કમાણી બંધ થઇ જાય છે. સુથારની પણ ઓછી થઇ જાય છે. મોચીની પણ ઓછી થઇ જાય છે. દરેકને તકલીફ પહોંચે છે. પૂરો અર્થ કારણ ગામનું નષ્ટ થઇ જાય છે પરંતુ ખેતી પણ, શું આપણે ‘એક ટીપું, વધુ પાક ’. શું એવા ગામ નથી કે જે સંકલ્પ કરે કે આપણા ગામમાં જેટલા પણ ખેડૂતો છે, તેમની જેટલી પણ જમીનો છે. હજાર વિઘા હશે, બે હજાર વિઘા હશે, જેટલી પણ જમીન હશે. આપણે સમગ્ર ગામ નક્કી કરીએ કે આપણા ગામનો એક પણ ખેડૂત હવે એવો નહીં હોય કે જે ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ ન કરતો હોય, આપણે પાણી બચાવીશું. આપણે આધુનિક ખેતી કરીશું, આપણે જમીન ચકાસણી કાર્ડ લઇશું, આપણે પશુપાલન કરાવીશું, આપણે મધ માટે મધમાખીનો ઉપયોગ કરાવીશું. જ્યાં મત્સ્ય ઉદ્યોગ હોય છે ત્યાં માછલીનું પાલન કરાવીશું. આપણે પ્રયત્ન કરીશું કે આપણા ખેડૂતો જે યોજનાઓ છે, તે યોજનાઓનો લાભ લેવા માટે કેવી રીતે આગળ આવે.

તમે જોયું હશે કે જે ગામનો પ્રધાન સક્રિય હોય છે, જે ગામના પસંદ થયેલો પ્રતિનિધિ સક્રિય હોય છે તો સરકારને પણ, સરકારી અધિકારીઓને પણ, તે ગામમાં કામ કરવામાં મજા આવે છે કારણ કે તેમને પણ પોતાના લક્ષ્યાંક પૂરા કરવાના હોય છે, પોતાના લક્ષ્યાર્થ પૂરા કરવાના હોય છે. સરકારો તેમની પાસેથી હિસાબ માગે છે એટલા માટે તે પણ શું કે છે કે જે ગામ જાગૃત છે, સારું કરી શકે છે, તે જ ગામની પાસે જાય છે અને કહે છે કે જુઓ આ યોજના આવી છે. તમે લાગૂ કરી દો. તેના કારણે થાય છે શું કે એક વિસ્તારમાં જે 12 – 15 ખૂબ જ સક્રિય પંચાયતો છે, તેમને સારો ફાયદો મળે છે અને જે નિષ્ક્રિય પંચાયતો છે. ત્યાં ઓફિસરોનું જવાનું મન જ કરતું નથી, સરકારનું જવાનું મન કરતું નથી અને પૈસા એક તરફ જતા રહે છે. મારા ભાઇઓ અને બહેનો સ્થિતિ સારી નથી. તમે સ્વયં જાગૃત બનો, તમે સક્રિય બનો, તમે નેતૃત્વ કરો. જો તમે સક્રિય બનશો તો, તમે નેતૃત્વ કરો છો તો હું નથી માનતો કે ઓફિસરોને ક્યાંય બીજે જવાનું મન કરશે. તેમને તો વિશ્વાસ થશે કે અહીંના 20 ગામ મારી જવાબદારીના છે, વીસેય ગામ એટલા સારા છે કે તમામ યોજનાઓ લાગૂ થઇ જશે. તે સારી યોજનાઓ તે 20 ગામોમાં જશે. આજે પૈસાની કમી નથી. મારા ભાઇઓ અને બહેનો, યોજનાઓની કમી નથી. દ્રષ્ટિની કમી નથી જરૂર છે કે ધરતી પર બેસેલા, મારા ગામનું કલ્યાણ કરનારા પંચાયતી રાજના વ્યવસ્થા સાથે જોડાયેલા મારા પંચાયતના ભાઇઓ અને બહેનો એટલા માટે સમર્પિત ભાવ સાથે કામ કરે.

શું આપણે સંકલ્પ કરી શકીએ છીએ કે સરકારની યોજનાઓ દ્વારા ગામની પોતાની સફળતાઓનો એક હિસાબ હોય છે પરંતુ પાંચ વર્ષ માટે ગામ પાંચ કાર્યક્રમ લઇ શકે છે. એક વર્ષ માટે એક કાર્યક્રમ. જેમ કે કોઇ ગામ નક્કી કરે કે અમે એવું ગામ બનાવીશું. જે હરિત ગામ હશે. આ વર્ષમાં આપણે ગામમાં એટલા વૃક્ષો વાવીશું અને તે વૃક્ષને લગાવીને સમગ્ર ગામને હર્યું ભર્યું કરી દઇશું . આ સંકલ્પ કરી શકીએ છીએ ? બીજા વર્ષે કોઇ સંકલ્પ કરે કે આપણે એવું ગામ બનાવીશું જ્યાંથી એક ટીપું પણ વરસાદનું પાણી આપણે બહાર નહીં જવા દઇએ. આપણે ટીપાં ટીપાં પાણીને રોકવા માટેની યોજના કરીશું, આપણે જળ સંચય માટે કામ કરીશું. આપણે એ નક્કી કરી શકીએ છીએ કે આપણા ગામનો એક પણ ખેડૂત એવો નહીં રહે કે જેનું જમીન ચકાસણી કાર્ડ નહીં બન્યું હોય. આપણા ગામમાં એવો એક પણ ખેડૂત નહીં હોય. જેના ખેતરમાં ટપક સિંચાઇ પદ્ધતિ ન હોય, એવો હું ગામ, ખેડૂત મિત્ર બની શકું છું કે ? શું હું એ વિચારી શકું છું કે મારું ગામ જ્યાં એક પણ બાળક અભ્યાસ અધૂરો નહીં મૂકે ? હું એવું ગામ બનાવી શકું છું કે જ્યાં મારો એક પણ બાળક રસીકરણની વ્યવસ્થાથી વંચિત ન રહી જાય, બહાર ન રહી જાય, આ હું સંકલ્પ કરી શકું છું કે કેમ ? જો હું આ યોજના બનાવું તો મારા ગામમાં ડિઝિટલ ઇન્ડિયાની ચળવળ ચાલવાની છે. મારા ગામ સુધી ફાઇબર નેટવર્ક આવવાનું છે, હું મારા ગામમાં અત્યારથી જ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરનારા નવયુવાનોની ટોળકી તૈયાર કરીને મારા નગર ગામને પણ ઇ – ગ્રામ બનાવવાની દિશામાં હું કામ કરી શકું છું કે કેમ ? હું સંકલ્પ કરી શકું છું કે મારા ગામમાં એક પણ બાળક જન્મના કારણે તથા જન્મના તરત જ બાદ મૃત્યું નહીં પામે. તેની પણ હું ચિતાં કરીશ. હું એ નક્કી કરી શકું છું કે મારું ગામ અહીં બાળ – મિત્ર ગામ હશે. મારું ગામ બાલિકા – મિત્ર ગામ હશે. મારું ગામ દહેજ મુક્ત ગામ હશે. એવા – એવા સામાજિક સંકલ્પ લઇને આપણે ગામની અંદર લાવવાનો એક માહોલ બનાવીએ. દરેક વર્ષે ગામનો જન્મ દિવસ મનાવીએ, આપણે નક્કી કરીએ કે આપણા ગામનો ફલાણો જન્મ દિવસ છે અને તે સમયે ગામના જેટલા લોકો શહેરમાં ગયા છે. તે ખાસ તે ગામમાં આવવા જોઇએ. સમગ્ર દિવસ ઉત્સવ ચાલવો જોઇએ. ગામ એક વર્ષનો સંકલ્પ કરે તે એક વર્ષની અંદર અમારે ગામને ક્યાં લઇ જવું છે. પંચાયત રાજ વ્યવસ્થા એક માળખું છે. પંચાયત રાજ વ્યવસ્થા એક સંવૈધાનિક વ્યવસ્થા છે. પરંતુ જ્યાં સુધી જનપ્રતિનિધિ અને જનસામાન્ય જોડાઇને જન આકાંક્ષાઓની પૂર્તિ માટે સંકલ્પ કરીને જીવ દઇને તેમાં લાગતા નથી, પરિણામ મળતું નથી.

ભાઇઓ અને બહેનો, ગામના અર્થ કારણને તાકાતવાન બનાવવાની છે. ગામનું અર્થ કારણ તાકતવાર બનશે તો દેશનું અર્થ કારણ તાકાતવાન બનશે. જ્યાં સુધી ગામના ગરીબની ખરીદ શક્તિ નથી વધતી, દેશના અર્થતંત્રમાં બળ આવતું નથી અને એટલા માટે અમારો પ્રયત્ન છે કે ગામના સામાન્ય માનવીની આવક કેવી રીતે વધે ? ગામના સામાન્ય માનવીની ખરીદ શક્તિ કેવી રીતે વધે ? આપણી પાઇ પાઇનો ઉપયોગ… મનરેગાની યોજનાઓ ચાલે છે. લાખ્ખો રૂપિયા, કરોડો રૂપિયા આવે છે. અરબો ખરબો રૂપિયા જાય છે. પરંતુ જો આપણે નક્કી કરીએ કે ગામમાં મનરેગાના પૈસા તો આવશે, લોકોને કામ પણ મળશે પરંતુ તેમાંથી આપણે મિલકત નિર્માણ કરીશું. જળ સંચયની વ્યવસ્થાઅ કરીશું. તળાવ છે તો તેને ઉંડું કરીશું. પાણી વધારે આવે તેની વ્યવસ્થા કરીશું. વૃક્ષ કે છોડ લગાવવા છે તો તેમાં પૈસા લગાવીશું. તમે જુઓ, પૈસાનો સાચો ઉપયોગ પણ આપણા ગામના જીવનને બદલી શકે છે.

અને એટલા માટે પંચાયતના પ્રેમાળ ભાઇઓ અને બહેનો, આજે જેમને ઇનામ મળ્યું છે. જેમણે કંઇક સારું કરવાનો પ્રયાસ કર્યો છે, તેમને તમામને, સન્માન પ્રાપ્ત કરનારા રાજ્યોને, તે ગામોને અને તે અધિકારીઓ કે પ્રતિનિધિઓને હ્દયથી ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે તેમણે આજે દેશની સામે એક ઉત્તમ કાર્યની મિસાલ રાખીને ભારત સરકાર પાસેથી સન્માન પ્રાપ્ત કર્યું છે પરંતુ હું આશા કરું છું કે જે ઉત્તમ કાર્ય કરીને સન્માન પ્રાપ્ત કરનારા લોકો છે તે ક્યાં ન અટકે, અને નવી ચીજો વિચારે, અને નવી ચીજો કરે તથા દેશ અને દુનિયાની સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે.

તેવી જ રીતે, ગામના બાકી કામોની સાથે આપણે ગામની આર્થિક બાબતોને પણ જોવી પડશે. અમુક ચોક્સાઇની જરૂર છે. હું જ્યારે સરકારમાં આવ્યો તો મેં પૂછ્યું હતું કે, 18 હજાર ગામ એવા છે કે જ્યાં વિજળીનો થાંભલો પણ પહોંચ્યો નથી. વિજળીનો તાર પણ નથી પહોંચ્યો, અગામી વર્ષે આઝાદીના 70 વર્ષ થઇ જશે, 18 હજાર ગામમાં જો વિજળીનો તાર પહોંચ્યો નથી, તો તે 18 મી સદીના અંધારામાં જીવી રહ્યા છે. અમે બીડું ઝડપ્યું હતું કે તે 18 હજાર ગામમાં વિજળી પહોંચાડવી છે. એક હજાર દિવસમાં મે કામ કરવાનું નક્કી કર્યું છે હું બરાબર પાછળ લાગ્યો છું. ભારત સરકાર પાછળ લાગી છે. રાજ્ય સરકારોને પણ દોડાવી રહ્યા છીએ. કામ થઇ રહ્યું છે પરંતુ ક્યારેક ક્યારેક સમાચાર મળે છે, બહાર પડે છે કે ફલાણા ગામમાં વિજળી પહોંચી ગઇ છે અને કોઇ અખબાર વાળા ત્યાં પહોંચી જાય છે તો ખબર પડે છે કે ત્યાં તો અત્યારે થાંભલો પહોંચ્યો છે. હું ગામવાળાઓને કહું છું કે તમે જાગૃત રહો. તમે જુઓ કે કોઇ ખોટી જાણકારીઓ આપતું નથી ને. જો તમે એટલા સચેત રહેશો તો મારે એટલી ચિંતા કરવી પડશે નહીં. શું મારી ચિંતાનો અમુક ભાગ મારા ગામના મારા સાથીઓ ન ઉઠાવી શકે ? મારા ગામના પ્રતિનિધિ એ વાતને ન ઉઠાવી શકે ? હું દેશના પ્રતિનિધિઓને કહી શકું છું કે આવો, ખભાથી ખભો મીળાવીને જે એક – એક સપના જોયા છે. તે સપનાને આપણે પૂરા કરીએ.

ભાઇઓ અને બહેનો, ગામમાં આજે પણ આપણી ગરીબ માતા લાકડાનો ચૂલ્હો સળગાવીને ભોજન બનાવે છે. અને તમને એ જાણીને હેરાની થશે કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે એક માતા લાકડાનો ચૂલ્હો સળગાવીને ભોજન બનાવે છે તો તેના શરીરમાં 400 સિગારેટ જેટલો ધુમાડો અંદર જાય છે. જો મારી માતાના શરીરમાં 400 સિગારેટ જેટલો ધુમાડો અંદર જાય છે, તે માતાની તબિયતનું શું થાય, તે બાળકોની તબિયતનું શું થતું હશે. શું આપણે આઝાદીના આટલા વર્ષો બાદ પણ 21મી સદીમાં ભોજન બનાવવા માટે આપણી ગરીબ માતાઓને મરવા દઇશું. ભાઇઓ અને બહેનો હવે આ બધું ન ચાલે. આપણે તેમના લાકડાના ચૂલ્હામાંથી, 400 સિગારેટ જુલ્મમાંથી મુક્તી અપાવવી પડશે અને એટલા માટે અમે બીડું ઝડપ્યું છે કે આગામી ત્રણ વર્ષોમાં પાંચ કરોડ પરિવારોમાં ગેસ સિલિન્ડર આપવા છે. તમારા ગામમાં પણ હશે. તમે સ્વયં ગામમાં જુઓ કે સરકારે જે બીડું ઝડ્પ્યુ છે. તેનો ફાયદો પહોંચી રહ્યો છે કે નથી પહોંચી રહ્યો. યોગ્ય વ્યક્તિને પહોંચી રહ્યો છે કે નથી પહોંચી રહ્યો. એ ગરીબોની મદદ કરવી, તમે જુઓ તે તેમની જિંદગીમાં ફેરફાર આવવાનો શરૂ થઇ જશે. ગામની નજીક જંગલ બચી જશે. લાકડું કપાય છે, જંગલ કપાય છે તે બચી જશે. આપણે પર્યાવરણની પણ રક્ષા કરીશું. માતાઓના સ્વાસ્થ્યની પણ ચિંતા કરીશું. બાળકોના ભવિષ્યની પણ ચિંતા કરીશું. અને એટલા માટે હું તમને આગ્રહ કરું છું કે આપણે એક ભાગીદારીની સાથે, સહભાગિતાની સાથે ખભાથી ખભો મિલાવને દેશના મોટાથી મોટા મુખિયા કેમ ન હોઇએ. ગામના મોટામાં મોટા મુખિયાથી મોટું કોઇ હોતું નથી. મારા માટે ગામનો મુખિયા મોટો હોય છે કારણ કે તે ઇચ્છે તો પોતાના નેતૃત્વમાં, પોતાની દિશા દર્શનથી ગામના જીવનને બદલી શકે છે અને એક વખત હિન્દુસ્તાનના ગામ બદલાવા લાગ્યા, તો દેશને બદલાતા વાર લાગશે નહીં.

ભાઇઓ અને બહેનો જે સુવિધાઓ શહેરમાં છે તે સુવિધાઓ ગામને પણ મળવી જોઇએ. અમે અત્યારે e-NAM નામની યોજના શરૂ કરી છે. આ e-NAM યોજના ખેડૂતોને ઘણો ફાયદો કરાવશે. અત્યારે તે પ્રારંભિક અવસ્થામાં છે. અત્યારે થોડી કમીઓ પણ હશે. સુધારો કરતા કરતા યોગ્યતાની તરફ જઇશું. પરંતુ e-NAM યોજના નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ હવે ખેડૂત પોતાના મોબાઇલ ફોનથી નક્કી કરી શકે છે કે તેણે પોતાનો પાક ક્યાં વેચવો છે. પોતાનું ઉત્પાદન ક્યાં વેચવું છે. જ્યાં વધારે પૈસા મળે ત્યાં વેચશે. એટલા માટે આપણામાં જાગૃતતા હોવી જોઇએ. આ ચીજોનો ફાયદો ઉઠાવવા માટે આપણી પાસે વ્યવસ્થા હોવી જોઇએ, જો આપણે તે વાતોને કરીશું તો તમે જોશો કે પરિણામ આવવાનું શરૂ થઇ જશે.

અને એટલા માટે મારા સ્નેહી ભાઇઓ તથા બહેનો, ખાસ કરીને માતા ગામના પ્રેમાળ ભાઇઓ તથા બહેનો અમારો પ્રયત્ન છે, આજે શહેરોમાં ડિઝિટલ નેટવર્ક છે, જેટલું મહત્વ હાઇ-વેનું છે એટલું જ મહત્વ I-ways નું છે. information ways ગામના લોકોને પણ તે તમામ information જોઇએ છે. અને એટલા માટે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ગામે ગામ પહોંચાડવાનું છે. જે ગામ જાગૃત હશે, ખેતરમાંથી તે પાઇપ નાંખવા માટે સુવિધા આપશે. એટલી ઝડપથી તે કામ થશે કે તમારા ગામને પણ આધુનિક વિશ્વની સાથે જોડાવાની સુવિધા મળશે. ગામ સ્વયં જાગૃતતા દેખાડે, યોજનાની કમી નથી, પૈસાની કમી નથી, સમય સીમામા કામ કરવાના ઇરાદામાં કમી નથી. જરૂર છે ચારેય તરફ સહયોગની, જરૂર છે સક્રિયતાની, જરૂર છે સાચી દિશામાં મળીને કામ ચલાવવાની. એક વખત ગામ ચાલી પડશે તો દેશ ચાલી પડશે.

આજ વિશ્વાસની સાથે આજે પંચાયત રાજ દિવસ પર 10 દિવસનું મહા અભિયાન, પહેલી વખત દેશના અઢી લાખ ગામમા એટલું મોટું અભિયાન ચાલ્યું છે. સમગ્ર સરકારની તાકાત આમાં લાગી ગઇ છે. એક પ્રકારથી કાર્યક્રમનું સમાપન, પરંતુ ઇરાદાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. સંકલ્પનો પ્રારંભ થઇ રહ્યો છે. અમે 10 દિવસ ગ્રામોદયને સમજી લીધું છે. હવે શરૂ થાય છે કે આપણા આગામી કાર્યકાળ દરમિયાન જેટલા પણ વર્ષો મને મળ્યા છે આગામી વર્ષ સુધી પંચાયતના પ્રધાનના રૂપમાં, સભ્યના રૂપમાં, એક – એક મિનિટનો ઉપયોગ, એક – એક પાઇનો ઉપયોગ, એક – એક પ‌ળનો ઉપયોગ, હું મારા ગામને ગ્રામોદય માટે ઉત્તમથી ઉત્તમ ગ્રામોદયની કલ્પના કરીશ. ત્યારે ભારતોદયનું મારું સપનું પૂરું થશે. આ કામ માટે હું ફરીથી એક વખત તમને નિમંત્રણ આપું છું, તમારો સહયોગ માગું છું.

હું ઝારખંડની સરકારનું પણ અભિનંદન કરું છું. રઘુબર દાસજીનું અભિનંદન કરું છું કે તમે એટલા માટે મોટા મોટા શહેરોમાં મોટા મોટા ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો સિસ્ટમની ચર્ચા તો સાંભળી જ હશે, ઉદ્યોગકારો સિંગલ વિન્ડો સિસ્ટમ માટે દરેક સરકાર વાત કરે છે. પરંતુ રઘુબર દાસજી જે છે, ખેડૂતો માટે જીવનારી મરનારી સરકાર, તે કહે છે અમે ખેડૂતો માટે સિંગલ વિન્ડો પ્રારંભ કરીશું. આજે ખેડૂતો માટે સિંગલ વિન્ડોની યોજના પ્રારંભ કરી છે. તેમની કલ્પકના માટે, તેમની આ યોજનાબદ્ધ ઉપક્રમ માટે હું રઘુબર દાસજીને તથા ઝારખંડની સરકારને હ્દયથી ખૂબ ખૂબ જ અભિનંદન કરું છું. ખૂબ ખૂબ જ અભિનંદન આપું છું.

આટલો મોટો કાર્યક્રમ હું જોઇ રહ્યો છું આજે 40 – 45 ડિગ્રી તાપમાન છે પંરતુ જ્યારે હું આવ્યો સમગ્ર સ્ટેડિયમ આખું ભરેલું હતું . એટલો મોટો ઉત્સાહ, ઉમંગ, એટલો મોટો સફળ કાર્યક્રમ કરવા માટે હું શ્રીમાન રઘુબર દાસજીને તથા સરકારને તથા ઝારખંડની જનતાને હ્દયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું તથા દેશભરમાં ઇન્ટરનેટના માધ્યથી ટીવીના માધ્યથી ગ્રામ સભામાં જે લોકો બેઠા છે. તે ખેડૂતો તથા ભાઇઓને તે ગ્રામ સભાના ભાઇઓ, તે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને ફરીથી એક વખત આભાર વ્યક્ત કરું છું. અભિનંદન કરું છું અન હું ફરીથી એક વખત આગ્રહ કરું છું કે ગ્રામોદયનું બીડુ ઝડપી લો. ગ્રામોદયનો સંકલ્પ કરીને ચાલી નીકળો. આજથી આપણે શરૂ કરીએ, હવે અટકવું નથી. થાકવાનું નથી. અવિરત ચાલવાનું છે, ગામના સપના પૂરા કરીને રહેવાનું છે. મહાત્મા ગાંધીની 2019 માં દોઢ સો વર્ષ થશે. તે સમયે ગાંધીના સપનાનું ગામ બનાવીને રહીશું, આ નિર્ધાર લઇને ચાલીએ, આ એક અપેક્ષાની સાથે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ.

AP/J.Khunt