પીએમઇન્ડિયા
લોકસભામાં રાષ્ટ્રપતિનાં ભાષણનાં ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૃહનાં સભ્યો, ખાસ કરીને પહેલી વાર ચૂંટાઈ આવેલા સાંસદોને ચર્ચામાં ભાગ લેવા બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં ભાષણમાં નવા ભારતનું વિઝન છે, જેનું સ્વપ્ન લાખો ભારતીયો જુએ છે.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીનાં સ્પષ્ટ જનાદેશ વિશે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતનાં લોકોએ સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરીને એક સ્થિર સરકારને બીજી વાર ચૂંટી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, લોકસભાની વર્ષ 2019ની ચૂંટણી દર્શાવે છે કે, ભારતનાં લોકો રાષ્ટ્રની ભલાઈ વિશે વિચારી રહ્યાં છે. આ લાગણી પ્રશંસનીય છે. તેમણે જણાવ્યું હતું કે, 130 કરોડ દેશવાસીઓની સેવા કરવાની તક મળવી તથા નાગરિકોનાં જીવનમાં આવેલું સકારાત્મક પરિવર્તન સંતોષ પ્રદાન કરે છે.
કેન્દ્ર સરકારની દીર્ઘદૃષ્ટિ પર પ્રકાશ ફેંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર જન કલ્યાણ અને આધુનિક માળખાગત સુવિધાઓમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, સરકાર વિકાસનાં માર્ગથી ક્યારેય વિચલિત થઈ નથી અને ન તો એ વિકાસનાં એજન્ડાથી દૂર થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ મહત્ત્વપૂર્ણ છે, દરેક ભારતીય નાગરિક અધિકારસંપન્ન છે અને આપણાં દેશની પાસે આધુનિક માળખાગત સુવિધા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકારનું માનવું છે કે, દરેક નાગરિકે ભારતની પ્રગતિમાં પ્રદાન કર્યું છે. તેમણે કટોકટીની સ્થિતિ લાગુ કર્યા પછીનાં કાળાં દિવસોની યાદ અપાવી હતી.
મહાત્મા ગાંધીની 150મી જયંતિ અને ભારતની આઝાદીનાં 75 વર્ષનાં ભારતનાં ઇતિહાસને ઐતિહાસિક ઘટના ગણાવતાં પ્રધાનમંત્રીએ તમામને આગ્રહ કર્યો હતો કે, તેઓ આ જ ઉત્સાહ સાથે ઉજવણી કરે. તેમણે કહ્યું હતું કે, ભારતનાં નાગરિકોએ આપણાં સ્વતંત્રતા સેનાનીઓનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવું જોઈએ અને દેશ માટે જીવવું જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કામગીરી સંભાળ્યાનાં થોડાં જ અઠવાડિયાઓની અંદર જનતાનાં હિતો સાથે સંબંધિત અનેક નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયોથી ખેડૂતો, વેપારીઓ, યુવાનો અને સમાજનાં વિવિધ અન્ય વર્ગોને અવશ્ય લાભ મળશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે દેશને આપેલા વચનો પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું છે.
જળ સંરક્ષણનાં મહત્ત્વને રેખાંકિત કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવેલા વિવિધ પગલાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ‘જળ શક્તિ મંત્રાલય’ની રચના પણ સામેલ છે. તેમણે જળ સંરક્ષણ માટે લોકોને નક્કર પગલાં ઉઠાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જળ સંકટથી ગરીબોની સાથે સાથે મહિલાઓને સૌથી વધુ અસર થાય છે. તેમણે આ વાતની પુનરોક્તિ કરી હતી કે, સરકાર દરેક ઘરમાં જળ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે સામૂહિક પ્રયાસ કરવાનું આહવાન કર્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે, પર્યટનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે પર્યટન સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને શ્રેષ્ઠ બનાવવું આર્થિક સમૃદ્ધિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમણે‘મેક ઇન ઇન્ડિયા’ અને કૌશલ્ય વિકાસનાં મહત્ત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશેષ ભારપૂર્વક કહ્યું હતું કે, દેશમાં ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ભ્રષ્ટાચાર સામે પોતાની લડાઈ ચાલુ રાખશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર તમામ નાગરિકોને ‘સરળ જીવન’ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ લોકોને ‘નવા ભારત’નાં નિર્માણની દિશામાં કામ કરવાની અપીલ કરી હતી.
RP
Replying to 'Motion Of Thanks On the President's Address' in Lok Sabha https://t.co/oXpl0TMDOg
— Narendra Modi (@narendramodi) June 25, 2019