Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વારાણસીમાં વિકાસના જુદા જુદા પ્રોજેક્ટ્સ શરૂ કરતી વેળાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલું સંબોધન


મંચ પર બિરાજમાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામનાયકજી, રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, કેન્દ્રના મંત્રીપરિષદની મારી સાથી શ્રીમતી સ્મૃતિ ઇરાનીજી, કેન્દ્રના પ્રધાનમંડળના મારા સાથી શ્રી. અજય ટામટાજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન કેશવ પ્રસાદ મૌર્યજી, આ વિસ્તારના સાંસદ અને ઘણાં વર્ષોથી મને શ્રેષ્ઠ સાથ આપનાર અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના એકમનું સુકાન સંભાળી રહેલા ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેજી, ગરીબોના કલ્યાણ માટે બહુ જ ચીવટપૂર્વક અને બુદ્ધિમત્તા સાથે ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝનની તથા ગરીબોને આત્મનિર્ભર બનાવવા માટેનું બીડું ઝડપી લેનાર રેલવે બોર્ડના ચેરમેન શ્રીમાન અશ્વિનીજી તથા ઉત્કર્ષ બેન્કના ચીફ મેનેજર શ્રીમાન ગોવિન્દ સિંહજી અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વારાણસીના મારા પ્રિય ભાઈઓ અને બહેનો,

આજે એક જ કાર્યક્રમમાં, એક જ મંચ પરથી એક હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના કેટલાક પ્રકલ્પો (પ્રોજેક્ટ્સ)નું લોકાર્પણ કરવાા અને કેટલાક પ્રોજેક્ટ્સની શિલાન્યાસ વિધિ થઈ રહી છે. હું ઉત્તર પ્રદેશની સરકારનો ખૂબ જ આભારી છું કે તેમણે વારાણસીના વિકાસ માટે, પૂર્વ ભારતના વિકાસનું જે મારું સપનું હતું, તેને સાકાર કરવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવી છે. તેથીજ રાજ્ય સરકાર પણ અભિનંદનની અધિકારી છે. આજે લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા જે પ્રકલ્પ – પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે કે તેના સંદર્ભમાં હું એ કહેવા માગું છે કે છેલ્લા થોડા દસકાઓમાં વારાણસીની ભૂમિ પર આટલી મોટી યોજના સાકાર થઈ હોવાનું જોવા મળ્યું નથી. તેમ જ જે પ્રકલ્પની શિલાન્યાસ વિધિ હું કરી રહ્યો છું તે પ્રોજેક્ટનું ઉદઘાટન પણ હું જ કરું છું. અન્યથા રાજકીય ગણતરીઓ સાથે જ શિલાન્યાસ તો થયા જ કરે છે, યોજનાઓ અધવચ્ચે જ લટકતી રહે છે, પૂરી થતી જ નથી. અહીં બે પુલ-બ્રિજનું લોકાર્પણ થયું છે. આ પુલ બનાવવાની યોજના ઘણાં લાંબા સમયથી અટકી પડેલી હતી. પરંતુ યોગીજીએ આવીને આ યોજનાઓ પૂરી કરવાનું બીડું ઝડપી લીધું હતું. આજે આ યોજનાઓ સાકાર થઈ ગઈ છે અને તેની સાથે જ પેલી પારના લોકોના વિકાસ માટેના નવા દરવાજાઓ ખુલી જાય છે અને સગવડો વધી જાય છે.

આજે વણકરો અને શિલ્પકાર ભાઈઓ અને બહેનો માટે એક સુવર્ણ અવસર છે એમ મને લાગી રહ્યું છે. આપ સહુની પાસે આપ સહુના પૂર્વજો પાસેથી વારસામાં મળેલી કુશળતા છે. દુનિયાને અચંબિત કરી દે તેવી ચીજવસ્તુઓ નિર્માણ કરવાની, બનાવવાની આપની પાસે ક્ષમતા છે. પરંતુ જંગલમાં મોર નાચા કિસને દેખા જેવી સ્થિતિ છે. આ જ સ્થિતિ રહે તો કાશીના ક્ષેત્રમાંના મારા શિલ્પકાર ભાઈઓ, વણકર ભાઈઓને ક્યારે પણ વિશ્વ સમક્ષ તેમના સામર્થ્યનો પરિચય કરાવવાનો અવસર આવી જ શકશે નહીં. તેથી જ સરકારે આ પહેલ કરી છે. તેને કારણે મારા નાના નાના વણકરભાઈઓ, શિલ્પકારભાઈઓ અને બહેનો, તેમની કળાકારીગરીના માધ્યમથી જે હસ્તકળાના નમૂનાઓનું નિર્માણ કરે છે તેને વિશ્વનું બજાર જ ન મળે તો તેમનો આર્થિક વિકાસ અટકી જાય છે. હું આ વિસ્તારનો નવો સંસદસભ્ય બન્યો ત્યારબાદ વણકરભાઈઓ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે હું એક વાત સાંભળી રહ્યો હતો કે અમારા બાળકો અમારા આ કામમાં જોડાવા જ માગતા નથી. અમારા પરિવારના સભ્યો હવે આ વ્યવસાયની બહાર નીકળી જવા માગે છે. તેઓ ભણીગણીને ક્યાંક બહાર જવાની ઇચ્છા ધરાવે છે. ત્યારે જ મને લાગ્યું હતું કે આર્થિક ગતિવિધિઓ માટેનું આટલું મોટું સમર્થ હથિયાર આપણા હાથમાંથી ચાલ્યું જશે તો આવનારા દિવસોનો ઇતિહાસ ક્યારેય આપણને માફ કરશે નહીં, કારણ કે આપ સહુની પાસે એક એવી મૂડી છે કે જેની મદદથી તમે દુનિયાને અચંબિત કરી શકો છો. અને જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ દુનિયાના લોકો પણ ભારતની આ વિશેષતાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. તેથી જ રૂપિયા 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી આ ઇમારત, માત્ર ઇમારત નથી. તે ભારતના સામર્થ્યનો પરિચય કરાવતી, આપણા કાશીના ક્ષેત્રના શિલ્પકારો અને વણકરોના સામર્થ્યની એક એવી કથા છે કે જે ભવિષ્યના નવા દરવાજાઓ ખોલવાની તાકાત ધરાવે છે. હું અહીં ઓટો રિક્ષાના ડ્રાઈવરો, ટેક્સી ચલાવનારાઓને એટલું જ કહેવા માગું છું કે અહીં કોઈપણ ટુરિસ્ટ આવે તો તે ટુરિસ્ટને તમે અહીં જરૂર લઈ આવજો. તેને આગ્રહ કરીને અહીં લઈ આવજો. આ એક જ જગ્યા પર લાવીને તમે કાશીના સામર્થ્યનો તેમને પરિચય કરાવજો. અહીં જે કોઈપણ ટુરિસ્ટ આવશે તેઓ કંઈને કંઈ તો ખરીદીને જશે જ જશે. વિદેશથી કોઈ ટુરિસ્ટ આવશે તો તે અહીંથી ખસવાનું જ નામ લેશે નહીં. તેઓ કાશીના સામર્થ્યને જાણવાનો પ્રયાસ કરશે. મને વિશ્વાસ છે કે કાશીના પર્યટનને પણ તેને કારણે વેગ મળશે. કાશીના લોકોના આ કળાકૌશલ્યને પણ નવું જોમ મળશે. આમ આ વિસ્તાર નવી આર્થિક ગતિવિધિઓનું એક કેન્દ્ર બનશે.

આજે મારા સહુ વણકર ભાઈ બહેનોને તથા શિલ્પકાર ભાઈ બહેનોને આ ભેટ આપવાની સાથે જ હું દિલથી તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યો છું. તેમ જ તેમની પ્રગતિ માટે શુભકામનાઓ આપી રહ્યો છું. ભાઈઓ અને બહેના દરેક સમસ્યાનું સમાધાન વિકાસ થકી જ આવે છે. આ અગાઉ રાજ્યમાં એવી સરકારો આવી છે કે જેમને વિકાસ પરત્વે નફરત હતી. તેવો જ માહોલ આ વિસ્તારમાં જોવા મળતો હતો. સરકારી તિજોરીમાં આવતા નાણાં ચૂંટણી જીતવા માટેના કાર્યક્રમોમાં જ ખર્ચાઈ જતા હતા. અમારા પ્રયાસો એ છે કે વિકાસ માટેના આયોજનો સાકાર થાય, જેથી કરીને ગરીબની ગરીબીની જિંદગીમાં પરિવર્તન લાવવા માટેની ભૂમિકા ઊભી થાય. અમારા ગરીબ ભાઈ બહેનોનું સશક્તિકરણ થાય અને જો અમારા ગરીબ ભાઈ બહેનાના હાથમાં સમર્થતા આવી જાય તો તથા કોઈ અર્થવ્યવસ્થાનું નિર્માણ થઈ જાય. તેમને કામ કરવાનો અવસર મળી જાય તો મને વિશ્વાસ છે કે ભારતનો કોઈપણ ગરીબ, ગરીબ રહેવા માગતો નથી. આપ સહુ કોઈપણ ગરીબ વ્યક્તિ સાથે વાત કરો. તેમને પૂછો કે તમે પોતે કેવી જિંદગી વ્યતીત કરી છે. શું તમારા બાળકો પણ આ જ પ્રકારની જિંદગી જીવે એવું તમે પસંદ કરશો ખરા? ગરીબને ગરીબ જ કહે છે કે મારા નસીબમાં જે ભોગવવાનું હતું કે મેં ભોગવ્યું છે. મારા બાપદાદાઓએ મને જે આપ્યું હતું, તેની મદદથી મેં મારી જિંદગી વીતાવી દીધી છે. પરંતુ હું નથી ઈચ્છતો કે મારી આવનારી પેઢી આ પ્રકારે ગરીબીની જિંદગી જીવવા માટે મજબૂર બની જાય. દરેક ગરીબના દિલમાં પોતાના સંતાનોને વારસામાં ગરીબી આપવાની ઇચ્છા નથી જ હોતી. તેઓ પણ ઇચ્છે છે કે હું એવી જિંદગી જીવું કે જેને કારણે મારા સંતાનોને ગરીબી વારસામાં ન મળે. તેઓ પોતાના પગ પર ઊભા થઈને મહેનત કરે, મજૂરી કરે, કામ કરે, નવું કામ શીખે. હું તેને સન્માન સાથે જીવન જીવવાવાળાઓની હરોળમાં તેમનું સ્થાન બનાવવા માગું છું. દરેક ગરીબનું તેની ભાવિ પેઢી માટે જે સપનું છે કે તે જ સપનું મારી સરકારનું પણ છે. મારા દેશના દરેક ગરીબ તેની ભાવિ પેઢી માટે જે સપનું જોઈ રહ્યા છે તે જ સપનું મારી સરકાર પણ જોઈ રહી છે. અને તેથી જ અમે આ તમામ યોજનાઓ થકી સમાજના દરેક વિભાગનું સશક્તિકરણ લાવે અને તેમને તેમના પગ પર ઊભા રહેવાનું સામર્થ્ય આપે તે માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. આ ભૌગોલિક વિસ્તારમાં ખાસ કરીને ઉત્કર્ષ બેન્ક દ્વારા આ કામને વધુ બળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. હું તેમને અભિનંદન આપું છું કે જે સમર્પણ ભાવથી અમારા ગોવિન્દસિંહજી અને તેમના સાથીદારની ટીમ આ કામ કરી રહી છે તે માટે હું તેમને અભિનંદન આપું છું.

ભાઈઓ અને બહેનો કાશીમાં આજે એક જળ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમ જ જળ શબવાહિનીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે મેં પહેલીવાર જળ શબવાહિનીનો વિચાર વહેતો મૂક્યો હતો ત્યારે ઘણાં લોકને આશ્ચર્ય થયું હતું. મેં કહ્યું હતું કે કાશીના ટ્રાફિકની સમસ્યા અને કાશીમાં સ્મશાનયાત્રા સાથે જોડાયલા લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આપણે જળમાર્ગનો પણ ઉપયોગ કરવો જોઈએ. આપણા જળ માર્ગમાં પણ એક જુદી જ તાકાત છે. તેને આર્થિક વિકાસ સાથે જોડવાનું, સામાન્ય માનવીઓની સુવિધા માટે જોડવાનું, પર્યટકોના આવાગમનથી જે ગતિવિધિઓ થાય છે તેની સાથે તેને જોડવાનું કામ થઈ શકે છે. આ દિશામાં અમે કેટલાક પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસના હિસ્સા રૂપે આજે તેનું પણ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.

વારાણસીના મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપ સહુને ખબર જ છે કે હું જ્યારે વારાણસીમાં ચૂંટણી લડવા માટે આવ્યો હતો તો તેની સાથે સાથે જ હું વડોદરામાં પણ ચૂંટણી લડતો હતો. વડોદરાએ પણ મને પ્રચંડ સરસાઈથી વિજય અપાવ્યો હતો. વારાણસીએ પણ મને જંગી સરસાઈથી વિજયી બનાવ્યો હતો. પરંતુ આ બેમાંથી એક સીટ છોડવાની વાત આવી ત્યારે મને લાગ્યું કે વડોદરાનો વિકાસ કરવા માટે, તેને આગળ વધારવા માટે મારા ઘણાં સાથીદારો ત્યાં મોજૂદ છે. તેઓ વડોદરાને વિકાસના પથ પર લઈ જવામાં કોઈ જ કસર બાકી રાખશે નહીં. પરંતુ કાશીમાં જો હું મારો સમય ફાળવીશ તો કદાચ મને જીવનમાં કંઈક કર્યાનો સંતોષ મળશે. તેથી જ મેં કાશીની સેવા કરવાનું પસંદ કર્યું હતું. આજે મને એ વાતનો આનંદ છે કે વડોદરા અને વારાણસીને જોડવામાં આવી રહ્યું છે. વડોદરા અને વારાસણી મહામાના એક્સપ્રેસના માધ્યમથી જોડાઈ રહ્યા છે. આજે આ ટ્રેનનો આરંભ કરવામાં આવ્યો છે. વડોદરાથી સુરત થઈને મહામાના એક્સપ્રેસ વારાણસી આવશે. ગુજરાતના અમદાવાદથી સૌથી પહેલા ટેક્સટાઈલ ઉદ્યોગ વારાણસી આવ્યો હતો. આજે મહામાના એક્સપ્રેસના માધ્યમથી સાંસ્કૃતિક નગરી અને વિદ્યાનું ધામ વડોદરા બીજી સાંસ્કૃતિક નગરી અને વિદ્યાના ધામ વારાણસી સાથે જોડાઈ રહ્યું છે. આ બંને શહેરો ટેક્સટાઈલનું કેન્દ્ર સુરતના માધ્યમથી જોડાઈ રહ્યા છે. રેલવેની આ એક એવી વ્યવસ્થા છે જેનો સીધો સંબંધ પૂર્વ ઉત્તર પ્રદેશના સામાન્ય નાગરિકો સાથે છે. હા, તેનો સંબંધ આર્થિક ગતિવિધિઓ સાથે વધુ છે. હું ભારતના રેલવે મંત્રાલયને, અમારા રેલવે મંત્રાલયના પિયૂષજી જે અત્યારે વડોદરાથી મહામાના એક્સપ્રેસને લીલીઝંડી દેખાડીને વડોદરા-વારાણસી રેલ યાત્રાનો આરંભ કરાવી રહ્યા છે. બીજી તરફ પણ વારાણસીના જ સંતાન અને અમારા રેવલે મંત્રી મનોજ સિંહાજી સુરતથી આ ટ્રેનને લીલીઝંડી બતાવીને તેને આગળ ધપવાનો સંકેત આપી રહ્યા છે. આ એક અદભૂત સંયોગ વચ્ચે મહામાના એક્સપ્રેસની લોકાર્પણની વિધિ પણ સંપન્ન થઈ રહી છે. ભાઈઓ અને બહેનો હું આપ સહુનો વધુ સમય લેવા માગતો નથી. પરંતુ આજે દેશ તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને આ કરવામાં આવી રહ્યું છે. તેમના માટે અનેક સાહસપૂર્ણ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. વીસ-વીસ અને પચ્ચીસ પચ્ચીસ વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ બહુ જ હિમ્મતની સાથે કરવામાં આવી રહ્યું છે. મોટી હિમ્મત દાખવીને આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ફેંસલાઓ કરવામાં આવી રહ્યા છે. આજે તેના પરિણામો સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. ભારત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ભારત બદલાઈ રહ્યું છે. અમારે પૂર્વ ઉત્તર પ્રદેશની શકલ પણ બદલી નાખવી છે. અમારે પૂર્વ ભારતની શિકલ પણ બદલવી છે. દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં પશ્ચિમી ભારતના પ્રદેશોની જે તાકાત છે, તેવી જ તાકાત પૂર્વ ભારતના વિસ્તારમાં નિર્માણ કરવા માટે અમે સહુ કામ કરી રહ્યા છીએ. આજે રૂપિયા એક હજાર કરોડના ખર્ચે જે યોજનાઓ કે પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યા છે તેના પછી મને વિશ્વાસ છે કે તે અહીંના આર્થિક જીવનમાં બદલાવ લાવવા માટે, અહીંની માળખાકીય સુવિધાઓમાં બદલાવ લાવવા માટે એક બહુ જ મોટી તાકાતના સ્વરૂપમાં કામ આવશે. હું ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં યોગીજીના વડપણ હેઠળ જે અનેક ગતિવિધિઓ તેજ ગતિથી થઈ રહી છે તે જોઈને એટલું જ કહેવા માગું છું કે યોગીજીના છ મહિનાના ટૂંકા શાસન કાળમાં તેમણે કમાલની કામગીરી કરી બતાવી છે. આ કામગીરી માટે હું તેમને દિલથી ખૂબ ખૂબ અભિનંદ આપી રહ્યો છું. હું તેમનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું.

TR