Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વોશિંગ્ટન ડીસી, યુએસએમાં ભારતીય સમુદાયના સત્કાર સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

વોશિંગ્ટન ડીસી, યુએસએમાં ભારતીય સમુદાયના સત્કાર સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

વોશિંગ્ટન ડીસી, યુએસએમાં ભારતીય સમુદાયના સત્કાર સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય


અમેરિકામાં વસેલા બધા જ મારા પરિવારજનો!

પરિવારના સજ્જનોને મળવાનો જે આનંદ હોય છે તેવો આનંદ હું જયારે જયારે તમને મળું છું તો અનુભવ કરું છું, એક નવી ઊર્જા લઈને જાઉં છું. નવો ઉત્સાહ તમે મારી અંદર ભરી દો છો. ફરી એકવાર તે મોકો આજે મને મળ્યો છે.

પાછલા 20 વર્ષોમાં અનેક વાર મને અમેરિકા આવવાનો મોકો મળ્યો છે. જયારે મુખ્યમંત્રી નહોતો, પ્રધાનમંત્રી નહોતો, તો અમેરિકાના આશરે 30 રાજ્યોનું મેં ભ્રમણ કર્યું હતું અને દર વખતે કોઈ ને કોઈ સ્વરૂપમાં અહિયાં વસેલા આપ સૌ પરિવારજનોને મળવાનો મોકો મળતો હતો.

પ્રધાનમંત્રી બન્યા પછી તમે લોકોએ એટલા મોટા મોટા સમારોહ આયોજિત કર્યા જેની ગુંજ આજે પણ દુનિયામાં સંભળાય છે. માત્ર અમેરિકન રાજકીય નેતાઓ જ નહિ, પરંતુ વિશ્વના રાજકીય નેતાઓ પણ જયારે મળે છે તો તેમના મગજમાં મારી ઓળખ અમેરિકાના તે સમારોહથી શરુ થાય છે.

આ બધી તમારા લોકોની જ કમાલ છે, તમારો જ પુરુષાર્થ છે અને હું જાણું છું કે અમેરિકામાં રહીને આ પ્રકારની વસ્તુઓ આયોજિત કરવામાં કેટલી મહેનત લાગે છે, કેટલી ઝીણવટભરી રીતે જોવું પડે છે, પરંતુ તેમ છતાં પણ તમે તેને સફળ બનાવો છો.

આ વખતની મારી યાત્રામાં હું મોટાભાગના લોકોને નારાજ કરવાનો છું, નારાજ કરીને જવાનો છું કારણ કે અનેક દબાણો આવી રહ્યા છે, અનેક કાર્યક્રમોની સલાહો આવી રહી હતી, તમારા લોકોનું પણ મન થતું હતું મોટા કાર્યક્રમો કરવા માટે પરંતુ મેં કહ્યું કે મોટા કાર્યક્રમો જરૂરથી કરીશ પરંતુ આજે હું તે લોકોને ખાસ કરીને મળીને તેમના દર્શન કરવા માંગું છું જેમણે મારા પાછલા કાર્યક્રમો માટે ભારે મહેનત કરી હતી, ઘણી મહેનત કરી હતી.
સમય આપ્યો, ધન ખર્ચ કર્યું, પોતાના અંગત કાર્યક્રમોમાં ફેરબદલી કરી તો આ વખતે તો મારું મન હતું જ કે આપ સૌના દર્શન કરું જેમણે ખાસ્સો પરિશ્રમ કર્યો હતો, તો આ સૌભાગ્ય મને આજે મળ્યું છું. એક રીતે અહિયાં જે હું સ્વરૂપ જોઈ રહ્યો છું તેમાં લઘુ ભારત પણ છે અને લઘુ અમેરિકા પણ છે.

ભારતના લગભગ લગભગ બધા જ રાજ્યોના લોકો અહિયાં છે અને અમેરિકાના પણ બધા જ રાજ્યોના લોકો અહિયાં છે. તમે ક્યાં છો, કઈ અવસ્થામાં છો, કઈ રીતે કાર્ય સાથે સંકળાયેલા છો, કઈ પરિસ્થિતિમાં દેશ છોડીને અહિયાં આવ્યા છો, કઈ પણ હોય પરંતુ હિન્દુસ્તાનમાં જો કઈ સારું થાય છે તો તમારી ખુશી સમાતી નથી. અને હિન્દુસ્તાનમાં જો કઈ ખરાબ થાય છે તો સૌથી પહેલા તમારી ઊંઘ હરામ થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કે તમારું દિલ હંમેશા પ્રત્યેક ક્ષણે એવું ઈચ્છે છે કે મારો દેશ આવો ક્યારે બનશે, મારો દેશ આ રીતે આગળ કેવી રીતે વધશે.

હું તમને વિશ્વાસ અપાવું છું કે જે સપનાઓ તમે જોયા છે, તમારા રહેતા તે સપનાઓને પુરા થતા જોશો અને તેનું સીધે સાદું કારણ છે, તમે જ હિન્દુસ્તાનમાં હતા અને તમે જ અમેરિકામાં છો પરંતુ તમારી શક્તિ તમારું સામર્થ્ય જે પણ હિન્દુસ્તાની હોય પરંતુ તેને અનુકુળ વાતાવરણ મળે કે તરત જ તમે એટલા ફૂલ્યા ફાલ્યા કે અમેરિકાને પણ ફૂલવા ફાલવામાં તમે ઘણા મોટા સહાયક બની ગયા.

એ જ ભારતીયની તાકાત, સાનુકુળ વાતાવરણ અમેરિકામાં મળ્યું તો અમેરિકાની ભલાઈની માટે પણ અને પોતાની ભલાઈ માટે પણ, બંનેની વિકાસ યાત્રા બરાબર ચાલતી રહી. તમારા જેવા જ તમારા જેવું જ સામર્થ્ય રાખનારા તમારા જેવી જ બુદ્ધિ પ્રતિભા રાખનારા સવા સો કરોડ હિન્દુસ્તાની હિન્દુસ્તાનમાં બેઠેલા છે.

તમને જેમ અહિયા સાનુકુળ વાતાવરણ મળ્યું અને દુનિયા બદલાઈ ગઈ, તેમને પણ હવે ત્યાં સાનુકુળ વાતાવરણ મળી રહ્યું છે અને તે સવા સો કરોડ દેશવાસી કેટલી ઝડપથી હિન્દુસ્તાન બદલી નાખશે તે તમે અને હું ખુબ સારી રીતે અંદાજો લગાવી શકીએ છીએ.

આજે ભારતમાં જે સૌથી મોટું પરિવર્તન આવ્યું છે અને જે હું દરેક પળે અનુભવ કરું છું, દરેક દેશવાસી કંઈક ને કંઈક કરવા માંગે છે, કંઈક ને કંઈક કરી રહ્યો છે, અને તે પણ મારો દેશ આગળ વધે, એવા સપના અને સંકલ્પ સાથે કરી રહ્યો છે. અને જયારે સવા સો કરોડ દેશવાસીઓનું ખમીર, કંઈક કરી છુટવાનો સંકલ્પ, કાશ્મીરથી કન્યાકુમારી, અટકથી કટક, આખા દેશમાં અનુભવ થાય છે ત્યારે દેશવાસીઓ હું તમને વિશ્વાસ અપાવું છું, છેલ્લા અનેક વર્ષો સુધી જે ગતિ નહોતી તેના કરતા ઝડપી ગતિએ દેશ આજે આગળ વધી રહ્યો છે.

હાલના સમયમાં ભારતમાં જે વિષયોને લઈને સરકાર આપણે ત્યાં બદનામ પણ થતી રહી અને બદલતી પણ રહી, તેનું કારણ એ નહોતું રહ્યું કે કોઈ વ્યક્તિને કંઈક જોઈતું હતું અને મળ્યું નહોતું, અસંતોષનું કારણ તે વધારે નહોતું. જેમ કે તમે લોકો છો, લોહીમાં સંસ્કાર છે સંતોષના, કે સારું ચાલો ભાઈ. યુવાન દીકરો પણ મરી જાય, બીમારીથી મરી જાય તો માં-બાપ કહેશે, ચાલો ભાઈ કદાચ ઈશ્વરની ઈચ્છા હશે એટલે જ ઈશ્વરને વ્હાલો થઇ ગયો. એ આપણા વિચારોની મૂળભૂત પ્રકૃતિ છે.

ભારતમાં સરકારો બદલવામાં આવી છે તેના મૂળમાં એક કારણ રહ્યું છે ભ્રષ્ટાચાર, બેઈમાની. દેશના સામાન્ય નાગરિકોને નફરત છે કે શું મતલબ છે? હું આજે માથું નમાવીને ખુબ વિનમ્રતાથી એ કહેવા માગીશ કે આ સરકારે ત્રણ વર્ષનો જે કાર્યકાળ વિતાવ્યો છે અત્યાર સુધી આ સરકાર પર એક પણ ડાઘ નથી લાગ્યો અને સરકાર ચલાવવાની રીતમાં પણ, મૂળભૂત વ્યવસ્થાઓને એવી રીતે વિકસિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે જેથી ઈમાનદારી એક સહજ પ્રક્રિયા બને. નહિતર એવું નથી કે ચકાસણી વારે વારે કરતા રહીશું તો જ આ વસ્તુઓ ચાલતી રહેશે.

ટેકનોલોજી તેમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી રહી છે. ટેકનોલોજીથી પારદર્શકતા આવે છે, નેતૃત્વ અને શાસનના નિયમોના કારણે સંકલિતતા આવે છે અને સામાન્ય માનવીનો સ્વભાવ સારો છે તો તે રસ્તે જવું વધારે પસંદ કરે છે.

હવે જેમ કે અમે દેશમાં જે સામાન્ય માનવીને સરકારી ખજાનામાંથી મળવાની બાબતો છે તેને ટેકનોલોજીના માધ્યમથી પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ યોજનામાં પરિવર્તિત કરી દીધી. તેનું પરિણામ શું આવ્યું, આપણે ત્યાં ગેસ સિલીન્ડર ઘરોમાં જો આપીએ છે તો, હવે જેમ કે ભારત દેશ છે, લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવો ખુબ જરૂરી છે તો જેટલો આર્થિક બોજ ઓછો હોય જેનાથી તે પૈસા શિક્ષામાં લગાવી શકે, આરોગ્યમાં લગાવી શકે, બાળકોની સારસંભાળમાં લગાવી શકે તો કંઈક સબસીડી વગેરે આપીએ છીએ અને અમીરમાં અમીરના ઘરને પણ તે મળે છે અને ખરબો રૂપિયા કમાનારાને પણ સબસીડીવાળું સીલીન્ડર મળે છે.

હવે મેં આવીને વિનંતી કરી લોકોને, મેં કહ્યું ભાઈ જો ભગવાને તમને કંઈક આપ્યું છે તો તમે આ સબસીડી શા માટે લો છો. આ 1000 – 1500 રૂપિયામાં શું રાખ્યું છે. તમારી તો એક દિવસની ખિસ્સા ખર્ચી પણ આના કરતા વધારે હોય છે. તમને નવાઈ લાગશે, દેશના સામાન્ય નાગરિકના મનમાં દેશને આગળ વધારવાની અદમ્ય ઈચ્છા છે, આવું જયારે હું કહું છું તો તેનું ઉદાહરણ શું છે, ઉદાહરણ આ છે, – સવા સો કરોડ દેશવાસી, એટલે કે સવા સો કરોડ પરિવાર, ભારતમાં કૂલ 25 કરોડ પરિવાર છે, સવા કરોડ પરિવારોએ સામેથી કહી દીધું, મોદીજી તમે કહ્યું છે એટલા માટે આજથી આ સબસીડી નહીં લઈએ.

આ એ વાતની સાબિતી છે કે સામાન્ય નાગરિક દેશને આગળ લઇ જવામાં પોતાની જાતને ભાગીદાર બનાવવા માંગે છે, નેતૃત્વ કરવા માંગે છે, કઈક કરી છૂટવા માંગે છે અને પછીથી અમે શું કર્યું, આ સબસીડી સરકારના ખજાનામાં નાખીને સરકારી ખજાનાની ચિંતા ના કરી. અમે કહ્યું સારું આને અમે તેવા ગરીબ પરિવારોને આપીશું જે ગરીબો લાકડાનો ચૂલો સળગાવે છે, મહેનત મજુરી કરે છે પરંતુ બાળકોના પેટ ભરવા માટે સવારે 3-4 વાગ્યે ઉઠીને લાકડા લાવે છે, લાકડાનો ચૂલો સળગાવે છે, પછી મુકીને જાય છે, બાળકો પછીથી ખાય છે.

વૈજ્ઞાનિકો કહે છે કે લાકડાનો ચૂલો સળગાવવાથી જે ધુમાડો નીકળે છે, એક મા જે આખો દિવસ રસોડામાં જયારે પણ ખાવાનું બનાવે છે, લાકડાનો ચૂલો સળગાવે છે, 400 સિગરેટનો ધુમાડો તે માના શરીરમાં જાય છે. નાના નાના બાળકો ઘરમાં રમતા હોય છે, આ ધુમાડો તેમના શરીરમાં પણ જાય છે. હવે તમે કલ્પના કરી શકો છો જે માના શરીરમાં એક દિવસનો 400 સિગારેટોનો ધુમાડો જાય છે તે માના શરીરની શું હાલત થતી હશે? તે બાળકોના શરીરની શું હાલત થતી હશે?

જો હું સ્વસ્થ ભારતનું સપનું જોઉં છું તો સ્વસ્થ મા, સ્વસ્થ બાળક હોવા ખુબ જરૂરી છે. મે બીડું ઉપાડ્યું અને લોકોને કહ્યું કે જે સવા કરોડ લોકોએ જે ગેસ સબસીડી છોડી છે તે સીલીન્ડર અમે ગરીબ પરિવારોને આપીશું અને આ સબસીડી ગરીબને ત્યાં ટ્રાન્સફર કરી દઈશું. એટલું જ નહીં, જેમણે સબસીડી છોડી હતી તેમને એક ચિઠ્ઠી મળી કે તમે જે ગેસ સબસીડી છોડી હતી, ગુજરાતના ફલાણા ગામમાં છોડી હતી પરંતુ હવે આસામના ફલાણા જીલ્લાના, ફલાણા ગામના ફલાણા ગરીબને આ સબસીડી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

મહેનત પડે છે પરંતુ આ પારદર્શકતા એક નવો વિશ્વાસ પેદા કરે છે. તમે જયારે હિન્દુસ્તાનમાં હશો તો જોયું હશે કે ગેસનું સીલીન્ડર મેળવવા માટે ખબર નહીં કેટલા માથાજોડ કરવા પડતા હતા, નેતાઓના ઘરે આંટા ફેર કરવા પડતા હતા કે ગેસનું જોડાણ આપી દો. અમે એક બીડું ઝડપ્યું છે કે આવનારા ત્રણ વર્ષમાં 5 કરોડ ગરીબ પરિવારોને ગેસના જોડાણ આપવાના છે, તેને લાકડાના ચુલાથી આઝાદ કરવાના છે. અને મને ખુશી છે કે હજુ તો આ યોજનાને 11-12 મહિના પણ નથી થયા અને અત્યાર સુધીમાં આશરે 1 કરોડથી પણ વધુ પરિવારોમાં ગેસના સીલીન્ડર અમે પહોંચાડી દીધા છે.

સબસીડી આપતા હતા, તેમાં અમે થોડો બદલાવ કર્યો. પહેલા જે વેચતા હતા તેમને સબસીડી જતી હતી હવે અમે તે બંધ કરીને જે મેળવે છે, જેના ઘરમાં સીલીન્ડર જાય છે, તેના જ બેંક એકાઉન્ટમાં સબસીડી જતી રહે છે. હવે પહેલા અમારી ઉપર આરોપ લગતા હતા કે મોદી આટલા બધા બેંક એકાઉન્ટ ખોલવાની પાછળ લાગેલા છે, જયારે મેં અભિયાન ચલાવ્યું હતું કે 6 મહિનાની અંદર અંદર દેશમાં બધી જ જગ્યાએ બેંક એકાઉન્ટ ખોલવા છે, 40 ટકા લોકો હતા જેમના બેંકમાં કોઈ એકાઉન્ટ નહોતા, બેંકમાં તેમની કોઈ એન્ટ્રી નહોતી. અમે ખાતા ખોલી નાખ્યા તો અમારી ઉપર એવો આરોપ આવ્યો હતો કે ખાતા ખોલી નાખ્યા પૈસા તો છે નહીં, ખાતાઓ ખોલી નાખ્યા પૈસા તો છે નહીં.

કોઈ ને કોઈ બહાનું જોઈએ આરોપ લગાવવા માટે પરંતુ જયારે અમે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ શરુ કર્યું તો સરકારી સબસીડી સીધી બેંકમાં જવા લાગી. તેમાં મજા એ આવી કે આશરે 3 કરોડ, તમને નવાઈ લાગશે, 3 કરોડ એવી સબસીડી જતી હતી જેના શોધવા છતાં પણ કોઈ માલિક અમને ના મળ્યા. કેટલા હજારો કરોડ રૂપિયા દર વર્ષે જતા હશે, ખબર નહીં કોના ખિસ્સામાં જતા હશે. પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ કરવાના કારણે 3 કરોડ જે ભૂતિયા ગ્રાહકો હતા તે ગાયબ થઇ ગયા, રૂપિયા બચી ગયા જે હવે કોઈ ગરીબ માટે ગામમાં શાળા બનાવવા માટે કામ આવી રહ્યા છે.

પારદર્શકતા લાવવામાં ટેકનોલોજી કેટલી મોટી ભૂમિકા અદા કરી રહી છે અને જે યુવાન પેઢી છે તે સારી રીતે જાણે છે કે ટેકનોલોજીની તાકાત શું છે. આજે હિન્દુસ્તાન તે ટેકનોલોજી ઉપર ખાસ્સો ભાર મુકીને વ્યવસ્થાઓને વિકસિત કરી રહ્યું છે.

આપણા દેશમાં જે લોકો સતત ભારતની વસ્તુઓને જોતા હશે, જયારે ખેતીની ઋતુ આવે છે તો યુરીયા મેળવવું કેટલું અઘરું થઇ જતું હતું. હું પણ જયારે મુખ્યમંત્રી હતો તો ભારત સરકારને સતત ચિઠ્ઠીઓ લખતો રહેતો હતો કે અમારે ત્યાં યુરિયાની અછત છે, ખેડૂતો પરેશાન છે, યુરીયા મળવું જોઈએ વગેરે વગેરે.

હું જયારે પ્રધાનમંત્રી બન્યો તો મને પણ બધા જ મુખ્યમંત્રીઓના પત્રો આવવા લાગ્યા, પહેલા મહિનામાં આ જ ચિઠ્ઠીઓ હતી બધી. તમને જાણીને ખુશી થશે કે પાછલા બે વર્ષોથી એક પણ મુખ્યમંત્રી યુરીયા માટે મને ચિઠ્ઠી નથી લખી રહ્યા. ક્યાંય પણ યુરિયાની અછત નથી, ક્યાય પણ યુરીયા માટે કતારો નથી, નહિતર આપણા દેશમાં યુરીયા માટે લોકો આખી આખી રાત કતારો લગાવતા હતા, રાત રાત ભર ખુલ્લામાં સુતા હતા જેથી કરીને સવારે દુકાન ખુલતા જ યુરીયા મળી જાય, એવા દિવસો હતા.

શું અમે રાતોરાત યુરિયાના કારખાનાઓ લગાવી દીધા? ના. શું રાતોરાત યુરિયાનું ઉત્પાદન વધારી નાખ્યું? ના. એક સીધું કામ કર્યું. યુરિયાનું નીમ કોટિંગ કર્યું, લીમડાના ઝાડની જે લીંબોળી નીકળે છે તેનું તેલ કે જે નકામું છે તેને નાખી દીધું. પહેલા શું થતું હતું યુરીયા તૈયાર થતું હતું, યુરિયામાં સબસીડી ઘણી મળે છે ખેડૂતોને, વર્ષે લગભગ 80000 કરોડ રૂપિયા સબસીડીમાં જાય છે. ખુબ સસ્તા દરે યુરીયા કારખાનાઓમાંથી નીકળે છે પરંતુ તે ખેતરોમાં નહોતું જતું, કેમિકલ ફેક્ટરીમાં ઘુસી જતું હતું. કેમિકલ ફેક્ટરી માટે તે કાચો માલ બનતું હતું તો તેની ઉપર પ્રક્રિયા કરીને કોઈ બીજુ જ ઉત્પાદન બનાવીને તેઓ દુનિયામાં માલ વેચતા હતા અને પૈસા કમાતા હતા. નીમ કોટિંગ કર્યા પછી હવે એક ગ્રામ યુરીયા પણ બીજા કોઈ કામમાં આવી શકતું નથી. કેમિકલ ફેક્ટરીમાં જવાનું બંધ થઇ ગયું અને યુરીયા ખેતરોમાં જવા લાગ્યું અને નીમ કોટિંગ લગાવવાના કારણે યુરિયાની વધારાની તાકાત વધી ગઈ કે જે જમીનમાં સુધાર લાવવા લાગી અને પરિણામ એ આવ્યું કે 5 ટકાથી લઈને 7 ટકા સુધી ખેત ઉત્પાદનોમાં વધારો થયો. યુરિયાની ચોરી અટકી ગઈ તેના કારણે સબસીડીનો ખર્ચો ઓછો થઇ ગયો, સો ટકા યુરીયા ખેતરોમાં પહોંચવા લાગ્યું તો ખેડૂતની પરેશાની જતી રહી અને યુરિયામાં નીમ કોટિંગ હોવાના કારણે ઉત્પાદન પણ વધી ગયું, માત્ર ટેકનોલોજીની સહાયતાથી.

હું આવા અનેક ઉદાહરણો આપી શકું તેમ છું કે જેમાં ભારત હાલના દિવસોમાં ટેકનોલોજીના સહારે અનેક નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે. અવકાશની દુનિયામાં ભારતે પોતનું નામ કમાયું છે. હમણાં બે દિવસ પહેલા જ 31 નેનો સેટેલાઈટ એક સાથે લોન્ચ કર્યા છે. પાછલા મહીને આપણે લોકોએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, એકસાથે 104 સેટેલાઈટ લોન્ચ કર્યા. દુનિયાને અજાયબી લાગે છે કે ભારતની કઈ તાકાત છે કે એકસાથે 104 સેટેલાઈટ લોન્ચ કરી રહ્યું છે.

પાછળના દિવસોમાં હિન્દુસ્તાને એક સેટેલાઈટ લોન્ચ કર્યો જેના વજનની તુલના કિલોગ્રામમાં નથી થતી, આટલા હાથીના વજન બરાબર સેટેલાઈટ છોડવામાં આવ્યો. હાથીના વજનની સાથે આપણા સેટેલાઈટના વજનની તુલના થઇ રહી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેશ આધુનિક ભારતના સપનાઓને પુરા કરવા માટે એક ટેકનોલોજી દર્શિત શાસન, ટેકનોલોજી દર્શિત સમાજ, ટેકનોલોજી દર્શિત વિકાસ, આ બધી જ બાબતો ઉપર એક નવી જ રીતે જોર આપી રહ્યું છે અને તેના સુખદ પરિણામો આજે ખુબ ઝડપી ગતિએ જોવા મળી રહ્યા છે.

એવું નથી કે આપણા દેશમાં કોઈ કામ નહોતા થતા, કામ તો થતા હતા, આખરે સરકારો બને છે કઈ ને કઈ કરવા માટે અને કોઈ પણ સરકાર નથી ઈચ્છતી કે તે પોતાના કાર્યકાળને ખરાબ કરીને જાય અને ચૂંટણી હારી જાય, કોઈ નથી ઈચ્છતું પરંતુ કામ થવું એ એક વાત છે પરંતુ દેશની જરૂરિયાત, અપેક્ષાઓને અનુરૂપ ઝડપી ગતિએ સાચી દિશામાં પરિણામકારી કામ થવામાં ઘણો મોટો ફરક છે. અને એટલા માટે નિર્ણય પણ સમય સીમામાં લેવાય, મર્યાદિત સમયમાં હોય, ઝડપી ગતિએ હોય, સાચી દિશામાં હોય, પરિણામકારી હોય, આ બધી વસ્તુઓને લઈને દેશ કોઈ પણ માપદંડ પર જોઈ લેવામાં આવે.

પહેલા એક દિવસમાં કેટલો લાંબો રસ્તો બનતો હતો અને આજે કેટલો બને છે, પહેલા એક દિવસમાં રેલવેની કેટલી લંબાઈ વધતી હતી આજે કેટલી વધે છે, પહેલા રેલવેનું વીજળીકરણ એક દિવસમાં કેટલું થતું હતું આજે કેટલું થાય છે, કોઈપણ માપદંડ લેવામાં આવે, અકલ્પગતિ આજે દેશના કામમાં આવી છે કારણકે માળખાગત બાંધકામ સંતુલિત વિકાસ માટે ખુબ જ અનિવાર્ય છે. બાંધકામમાં પણ અમારી વિચારધારા આધુનિક ભારતના સંદર્ભમાં છે, એકવીસમી સદીના સંદર્ભમાં છે અને ગ્લોબલ બેન્ચમાર્કના સંદર્ભમાં છે.

હવે કામ થવું હોય તો થાય તેનાથી ચાલવાનું નથી, એક જમાનો એવો હતો કે જયારે દુષ્કાળ આવતો હતો તો ગામના લોકો સરકારને ચિઠ્ઠી મોકલતા હતા કે અમારા ગામમાં પણ દુષ્કાળ માટે કઈક માટીનું કામ કરવામાં આવે, અને માટીના ખાડા ખોદવામાં આવતા હતા અને માટીના રસ્તા બનાવી દેવામાં આવતા હતા અને તેને જ સરકારની બહુ મોટી સિદ્ધિ માની લેવામાં આવતી હતી, એવા પણ દિવસો હતા આપણા દેશમાં.

ધીમે ધીમે આવ્યું કે ના સાહેબ રસ્તા બનાવી દો, ડામરના રસ્તા બનાવી આપો. પછી ધીમે ધીમે આવી ગયું કે ના સાહેબ દ્વિ માર્ગી રસ્તાઓ બનાવી આપો, આજે માંગ ઉઠી છે કે એક્ષપ્રેસ રસ્તા જોઈએ છે, તેનાથી નીચે ના જોઈએ. આ આકાંક્ષા જે વધી રહી છે દેશની તે ભારતના વિકાસની સૌથી મોટી તાકાત છે. જયારે દેશના સામાન્ય નાગરિકની આકાંક્ષા વધે છે તો તે આકાંક્ષાને જો યોગ્ય નેતૃત્વ મળી જાય, યોગ્ય શાસન મળી જાય, નીતિઓ મળી જાય તો આકાંક્ષા પોતાની જાતે જ સિદ્ધ થઇ જાય છે.

જનતા જનાર્દનની આકાંક્ષાઓને સિદ્ધિમાં પરિવર્તિત કરવાની દિશામાં અમે નીતિઓ નિર્ધારિત કરીએ છીએ, અમે ગતિ નક્કી કરીએ છીએ, પ્રાથમિકતાઓ નક્કી કરીએ છીએ અને દિલથી મહેનત કરીએ છીએ તો પરિણામ મળવા લાગ્યું છે.

આજે વિશ્વ આતંકવાદથી પરેશાન છે. આ આતંકવાદ માનવજાતિનું દુશ્મન છે. વિશ્વના અનેક દેશો, જયારે ભારત આતંકવાદની વાત કરતું હતું આજથી 20-25 વર્ષ પહેલા, તેમના ગળેથી નહોતું ઉતરતું. વિશ્વના લોકોને લાગે છે કે આ તમારા કાયદા અને વ્યવસ્થાની સમસ્યા છે કારણકે તેમણે ભોગવ્યું નહોતું, અનુભવ નહોતો કર્યો. આજે વિશ્વમાં કોઈને પણ આતંકવાદ સમજાવવો નથી પડતો, આતંકવાદીઓએ સમજાવી દીધું છે. આપણે સમજાવતા હતા તો સમજ નહોતું આવતું, હવે આતંકવાદીઓએ સમજાવી દીધું છે, પરંતુ જયારે હિન્દુસ્તાન સર્જીકલ સ્ટ્રાઈક કરે છે તો દુનિયાને તાકાતનો અનુભવ થાય છે કે ભારત સંયમ રાખે છે પરંતુ જયારે જરૂર પડે તો ભારત પોતાના સામર્થ્યનો પરિચય પણ આપી શકે તેમ છે.

આપણે વિશ્વના કાયદાઓથી બંધાયેલા છીએ કારણકે તે આપણા સંસ્કાર છે, આપણો સ્વભાવ છે. આપણે વસુધૈવ કુટુમ્બકમની કલ્પના વાળા છીએ, આ માત્ર થોથાના શબ્દો નથી, તે આપણું ચરિત્ર છે, આપણો સ્વભાવ છે. આપણે વૈશ્વિક વ્યવસ્થાને તોડ ફોડ કરીને પોતાનો ડંડો જમાવનારા દેશ નથી, આપણે દુનિયાના નિયમોનું પાલન કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરીને આપણા સાર્વભૌમત્વ માટે, આપણી સુરક્ષા માટે, આપણા જન સામાન્ય માટે, સુખ શાંતિ અને પ્રગતિ માટે કઠોરમાં કઠોર પગલા ઉઠાવવાનું સામર્થ્ય ધરાવીએ છીએ અને જયારે પણ જરૂર પડી ત્યારે ઉઠાવતા રહ્યા છીએ અને દુનિયા આપણને ક્યારેય રોકી નથી શકતી.

સર્જીકલ સ્ટ્રાઈક એક એવી ઘટના હતી જો દુનિયા ઈચ્છતી તો ભારતના વાળ ખેંચી નાખત, આપણને કઠેડામાં ઉભા રાખી દેત, વિશ્વ આપણી પાસેથી જવાબ માંગત, દુનિયામાં આપણી ટીકા થાત, પરંતુ પહેલી વાર તમે અનુભવ કર્યો હશે કે ભારતની સર્જીકલ સ્ટ્રાઈકના આટલા મોટા પગલા ઉપર વિશ્વમાં કોઈએ પણ કોઈપણ સવાલ ના ઉઠાવ્યો. જેમને સહન કરવું પડ્યું તેમની વાત અલગ છે, અને એટલા માટે દુનિયાને એ સમજાવવામાં સફળ રહ્યા છીએ કે આતંકવાદનું તે કયું સ્વરૂપ છે જે ભારતના સામાન્ય જીવનને નષ્ટ કરી રહ્યું છે, આપણે વિશ્વને સમજાવવામાં સફળ રહ્યા છીએ.

એકવીસમી સદીનું હિન્દુસ્તાન બનાવવાની દિશામાં આર્થિક ક્ષેત્રમાં ઉદારતા પૂર્વક દેશ પોતાને આગળ વધારી રહ્યો છે. દેશ માત્ર રૂપિયાથી જ આગળ વધે છે એવું નથી, તેની સૌથી મોટી તાકાત હોય છે તેનું માનવ સંસાધન સ્ત્રોત, તેની સૌથી મોટી તાકાત હોય છે તેની પ્રાકૃતિક સંપદા. જે દેશની પાસે 800 મિલિયન 35 વર્ષથી ઓછી ઉંમરના નવયુવાનો હોય, જે દેશ યુવાન હોય, તેના સપનાઓ પણ યુવાન હોય છે અને તેના સામર્થ્યમાં પણ જવાની હોય છે અને તેની સાથે જ આપણે નીતિની દિશામાં આગળ રહીએ છીએ, સીધા વિદેશી મૂડી રોકાણની દિશામાં. ભારતને આઝાદી પછી જેટલી માત્રામાં એફડીઆઈ મળી હશે તેના કરતા આજે અનેક ગણી વધારે માત્રામાં સીધું વિદેશી મૂડી રોકાણ હિન્દુસ્તાનમાં આવી રહ્યું છે.

ભારતને દુનિયાની ક્રેડીટ રેટિંગ એજન્સીઓ એક ચમકતા તારાના રૂપમાં જોઈ રહી છે પછી તે વિશ્વ બેંક હોય કે આઈએમએફ હોય, દરેક જણ ભારતના સામર્થ્યને સ્વીકાર કરી રહ્યું છે. વિશ્વ પણ ભારતને પોતાના એક રોકાણ ગંતવ્યના રૂપમાં ટોચ પર જોઈ રહ્યું છે, આ સ્થિતિનું નિર્માણ થયું છે કારણકે આ બધાની સાથે પણ નવીનતા, ટેકનોલોજી અને કૌશલ્ય તેની જરૂરિયાત ઘણી હોય છે.

વિશ્વમાં ફેલાયેલા ભારતીય સમુદાયની પાસે આ સામર્થ્ય છે, તેને અવકાશ મળેલો છે, તેણે કઈક ને કઈક પોતાના જીવનમાં પ્રાપ્ત પણ કર્યું છે. આ ભારતનું બુદ્ધિ ધન, ભારતનું આ અનુભવ ધન જો આજે વિશ્વમાં ફેલાયેલું છે, હું તેમને પણ નિમંત્રણ આપું છું કે તમારી પાસે જે સામર્થ્ય છે, જે અનુભવ છે તેને તમને જો લાગે છે કે હિન્દુસ્તાનમાં કામ આવી શકે છે, જે દેશે તમને મોટા બનાવ્યા તે માટીનું ઋણ ચુકવવાની દિશામાં તમને જો લાગે છે તો કદાચ આનાથી શ્રેષ્ઠ અવસર ક્યારેય નહીં આવે.

અમેરિકામાં વિશ્વના બધા જ સમાજ અહિયાં રહે છે, દુનિયાના દરેક દેશના લોકો અહિયાં રહે છે પરંતુ કદાચ જ અહિયાં રહેનારા હિન્દુસ્તાનના લોકોને જેટલો આદર અને સન્માન આપે છે, જેટલો પ્રેમ મને મળ્યો છે, ભાગ્યે જ દુનિયાના કોઈ નેતાને મળતો હશે. પરંતુ ક્યારેક ક્યારેક લાગે છે કે આ પેઢી પછી શું, જે આ પેઢીની અંદર ખમીર છે, તે આવનારી પેઢીઓમાં પણ કાયમ રહેશે ખરું અને એટલા માટે ભારતની સાથે આપનો સેતુ બનેલો રહેવો જરૂરી છે.

તમારી નવી પેઢી ભારત સાથે જોડાયેલી રહે તેની માટે તમારો નિરંતર પ્રયાસ કરવો ખુબ જરૂરી છે. જે જે રાજ્યોથી તમે આવો છો, દરેક રાજ્યે હાલના દિવસોમાં પોતાને ત્યાં પ્રવાસી ભારતીય લોકો માટે કોઈ ને કોઈ વિભાગ બનાવેલા છે. ભારત સરકારે પણ દિલ્હીમાં એક ખુબ સરસ પ્રવાસી ભારતીય ભવન બનાવ્યું છે અને હું તો ઈચ્છીશ કે તમે જયારે પણ ભારત આવો તો જરૂર તેને જુઓ, તેમાં રહેવાની વ્યવસ્થા પણ છે, તે બધી સુવિધાઓ તમારી માટે જ છે.

મારું સાર્વજનિક જીવનમાં હોવા છતાં પણ વિદેશ મંત્રાલય એટલે કે કોટ પેન્ટ ટાઈ પહેરવી, મોટા મોટા લોકો સાથે હાથ મિલાવવો, દુનિયાભરમાં મુસાફરી કરવી, સામાન્ય નાગરિક માટે વિદેશ મંત્રાલયની એ જ છબી હતી. ત્રણ વર્ષમાં તમે જોયું હશે કે ભારતના વિદેશ મંત્રાલયે માનવતાની દ્રષ્ટીએ નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરી છે. 80000 થી પણ વધુ હિન્દુસ્તાની, દુનિયાના કોઈ પણ દેશમાં ક્યાય પણ સંકટમાં ફસાય તો પ્રો-એક્ટીવ બનીને ભારત સરકાર તેને સહી સલામત લઇ આવી છે અને તેમના ઘરોમાં તેમને પાછા લઇ ગઈ છે. 80000 આ કોઈ નાની સંખ્યા નથી.

આજથી 20 વર્ષ પહેલા કોઈ પણ દેશમાં તમે જેટલા સુખ ચેનની જિંદગી જીવતા હતા, પાછલા 20 વર્ષોમાં જે પરિવર્તન આવ્યું છે, પ્રત્યેક પળે વિદેશમાં રહેતા ભારતીયને થાય છે, યાર કઈ થશે તો નહીં, આજે ત્રણ વર્ષથી તેને ચેન છે કે કઈ પણ થઇ જાય અમારો દુતાવાસ અહિયાં છે. હમણાં જ તમે જોયું હશે ભારતની એક બાળકી મલેશિયામાં ગઈ હતી, કોઈના પરિચયમાં આવી હતી, પછી ત્યાંથી પાકિસ્તાન જતી રહી. ઘણા સપનાઓ લઈને ગઈ હતી પરંતુ ત્યાં તેની જિંદગી બરબાદ થઇ ગઈ. મુસલમાન બાળકી હતી, તેને લાગ્યું કે પાકિસ્તાન જઈશ તો મારી જિંદગી ખુબ સુખી થઇ જશે. ફસાઈ ગઈ ત્યારે એણે મનમાં નક્કી કર્યું કે મોકો જોઇને પાકિસ્તાનની અંદર જે હિન્દુસ્તાનનો દુતાવાસ છે ત્યાં પહોંચી જઈશ તો મારી જિંદગી સુરક્ષિત થઇ જશે. અને તે ગમે તેમ કરીને જયારે હિન્દુસ્તાનના દુતાવાસ પર પહોંચી તો આજે તે ભારત પાછી આવી ગઈ છે અને આપણા સુષ્માજી પોતે તેને મળ્યા છે.

હું પહેલા જયારે અહિયાં આવતો હતો તો વિદેશમાં રહેનારા આપણા બંધુઓ સાથે બેસતા જ શરુ થઇ જતું હતું. સાહેબ એરપોર્ટ પર ઉતરતા જ ટેકસીવાળાઓ, સાહેબ ઉતરતા જ કસ્ટમવાળા, સાહેબ ઉતરતા જ ગંદકી, આ જ બધું સાંભળતો હતો. સાહેબ ખબર નહીં બસ મન નથી કરતું, એ જ સાંભળતો હતો. આજે મારી માટે ખુશીની વાત છે કે વિદેશોમાંથી જેટલી પણ ચિઠ્ઠીઓ આવે છે તેમાં મોટા ભાગની ચિઠ્ઠીઓ તે દેશના દુતાવાસમાં જે બદલાવ આવ્યો છે, તે દુતાવાસ જે પ્રો-પીપલ થઇ છે, ભારતીયોની જે ત્યાં દરકાર કરવામાં આવે છે, જે માહોલ બદલાયો છે, તેની પ્રશંસા કરી છે તેવી ચિઠ્ઠીઓ જ મને મળે છે. અમે નીતિઓમાં ઘણા મોટા પરિવર્તનો કર્યા છે. હવે તમને ખબર છે કે તમે જયારે પાસપોર્ટ લીધો હશે કેટલી માથાકૂટ કરીને પાસપોર્ટ લીધો હશે. આજે દરેક પોસ્ટ ઓફીસમાં પાસપોર્ટના કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે અને જે પાસપોર્ટ 6-6 મહિનામાં પણ ઘણી મુશ્કેલીથી મળતો હતો, આજે એ જ પાસપોર્ટ 15 દિવસોમાં મળી જાય છે.

સોશ્યલ મીડિયા આજે ઘણી મોટી તાકાત ધરાવે છે, હું પણ સોશ્યલ મીડિયા સાથે ખાસ્સો જોડાયેલો છું. તમે લોકો પણ નરેન્દ્ર મોદી એપ વારેવારે જોતા જ રહેતા હશો, ના જોતા હોવ તો ડાઉનલોડ કરી લો. પરંતુ સોશ્યલ મિડીયાથી કોઈ એક વિભાગની તાકાત કેવી રીતે વધે છે તે જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે કોઈએ કરી બતાવ્યું છે તો તે આપણા વિદેશ મંત્રાલયે અને આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજીએ કરી બતાવ્યું છે.

ભારતમાં દરેક વ્યક્તિ નોંધે છે કે જે વિદેશ મંત્રાલય કોટ-પેન્ટ-ટાઈ સુધી જ મર્યાદિત હતું આજે તે વિદેશ મંત્રાલય હિન્દુસ્તાનના ગરીબમાં ગરીબની સાથે જોડાઈ ગયું છે અને આ પહેલી વાર દેશમાં બન્યું છે. વિદેશ મંત્રાલય રાત્રે બે વાગ્યે પણ કોઈ પીડિતે દુનિયાના કોઈપણ દેશથી ટ્વીટ કર્યું હોય, 15 મીનીટમાં સુષ્માજીનો ટ્વીટ પર જવાબ આવી જાય છે, 24 કલાકમાં સરકાર પગલા ઉઠાવે છે અને પરિણામ લાવીને રહે છે. આ છે સુશાસન, આ છે પ્રો-પીપલ શાસન, આ છે એક લાગણી.

તો મિત્રો તમે લોકોએ જે જવાબદારી આપી છે તેને પૂરી કરવાનો ભરપુર પ્રયાસ કરી રહ્યા છીએ. ત્રણ વર્ષમાં બેમિસાલ રહ્યા છે અને આવનારા દરેક પળ દેશને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે ખપાવતા રહીશું. તમારો સાથ અને સહયોગ મળ્યો છે. તમે આટલી મોટી માત્રામાં આવ્યા, હું ફરી એકવાર તમારો આભાર વ્યક્ત કરું છું. મને જણાવવામાં આવ્યું છે કે પછીથી ફોટો સેશન થવાનું છે, હું જરૂરથી તમારી વચ્ચે આવીશ, ત્યાં સુધીમાં તમે લોકો સજ્જ થઈ જાવ. હું ફરી એકવાર આપ સૌનો ખુબ આભારી છું.

આભાર.

AP/J.Khunt