પીએમઇન્ડિયા
મિત્રો, જૂન 2014માં સરકાર બન્યા પછી હું તરત જ શ્રીહરિકોટાની મુલાકાતે ગયો હતો, કારણ કે આ વિભાગ મારા હસ્તક હોવાથી અને વિભાગના મંત્રી હોવાને કારણે પણ મારે આ વિભાગના કાર્યને સમજવું હતું. ત્યાં દરેક વૈજ્ઞાનિક દ્વારા મારી સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી અને તે દરેકની સમક્ષ મેં એક જ વિષય અંગે વાત કરી કે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માનવી માટે કેવી રીતે કરી શકાય? આપણા દરેક વિભાગ એ દ્રષ્ટિએ શું કાર્ય કરી શકે છે? અને ત્યારથી નક્કી થયું હતું કે કયા વિભાગમાં શું થઇ રહ્યું છે તેની સમીક્ષા કરવામાં આવે અને જે રાજ્યોમાં આ દિશામાં કંઇક પણ નવું કરવામાં આવ્યું હોય તો તેની માહિતી એકઠી કરવામાં આવે. અને મારા મનમાં શરૂઆતથી જ હતું કે મોટાભાગની સરકારનો સ્વભાવ સાહસનો નથી હોતો. નવી બાબત કરવા, નવી બાબતને સ્વીકારવામાં ખૂબ સમય જાય છે અને મોટાભાગના ઈનોવેશન અને પ્રોત્સાહક પગલાં જે હોય છે તે કોઇ એક ઉત્સાહી અધિકારીની પહેલને પગલે જ આગળ વધે છે. વ્યવસ્થા હેઠળ ફેરફાર થાય અથવા વ્યવસ્થાને આધિન રહીને નવી પહેલ કરવામાં આવે. જ્યાં સુધી આ અંગેની માળખીકીય વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે આપણે બદલાતા સમય સાથે પગલું માંડી શકીશું નહીં. અને એ બાબતનો આપણે સ્વીકાર કરવો પડશે કે આ પેઢીમાં આપણી ઉપર ટેકનોલોજી નામનું એક પ્રેરક બળ રહેલું છે, ટેકનોલોજીની ખૂબ વ્યાપક સ્તરે અસર કે પ્રભાવ પાડતું હોય છે અને ટેકનોલોજી પોતે પણ વ્યાપક પ્રમાણમાં ઉકેલનું એક કારણ પણ છે અને તે માટે જ આપણા માટે જરૂરી હોય છે કે આપણે આ બાબતોને સમજીએ અને આપણી જરૂરિયાત અનુસાર તેને ઉપયોગમાં લાવીએ.
આજે સમગ્ર વિશ્વમાં અવકાશ ક્ષેત્રે ભારતે એક ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આપણા વૈજ્ઞાનિકોએ દરેક ભારતીય ગર્વ લઇ શકે એવી ઉપલબ્ધિઓ મેળવી છે. પરંતુ જ્યારથી ભારતે સ્પેસ સાયન્સમાં પ્રવેશ કર્યો છે ત્યારથી એક વિવાદ ચાલી રહ્યો છે કે શું ભારત જેવા ગરીબ દેશે આ બાબતમાં પડવું જોઇએ કે નહીં, આપણે આજે અવકાશમાં નહીં જઇએ તો શું ફરક પડવાનો છે, આપણે સેટેલાઇટ પાછળ રૂપિયા નહીં ખર્ચીએ તો શું ફરક પડશે? આવા સવાલ આજે પણ ઉભા જ છે. ડૉ.વિક્રમ સારાભાઈએ આ માટે શરૂઆતમાં એક વાત ખૂબ સારી રીતે દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે આવા સવાલ થવા એ સ્વભાવિક બાબત છે કે ભારત જેવા ગરીબ દેશે આવી સ્પર્ધામાં શા માટે જવું જોઇએ અને તેમણે એ પણ કહ્યું હતું કે આપણે સ્પર્ધા માટે નથી જતાં. પરંતુ આપણા દેશના એક સામાન્ય માનવીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના આપણા પ્રયાસોમાં કોઇપણ પ્રકારની કમી ના રહેવી જોઇએ, આપણા પ્રયાસ ઓછા અને ધીમા ના પડવા જોઇએ. જેટલા પણ પ્રકાર હોય, જેટલા પણ માધ્યમ હોય, જેટલી પણ વ્યવસ્થા હોય, જેટલા પણ ઇનોવેશન્સ છે એ બધા ભારતના સામાન્ય માનવીના જીવનને બદલી શકવાના ઉપયોગમાં લાવી શકાય તેમ છે? અને શું આપણે એની પાછળ ના પડવું જોઇએ? વિક્રમ સારાભાઈએ એ સમયે જે દર્શન કર્યા હતા, આજે આપણે જોઇ શકીએ છીએ કે આપણે અવકાશના માધ્યમથી, આપણા વિજ્ઞાનના માધ્યમથી, આપણી ઈસરોના માધ્યમથી જે કંઇક પણ સફળતા મળી શકી છે તેના કારણે દેશના વિકાસમાં ક્યાંકને ક્યાંક તેને સાંકળવાનો અધિક કે ઓછી માત્રામાં સફળ પ્રયાસ થયો છે.
હું જ્યારે આ રજૂઆત જોઇ રહ્યો હતો ત્યારે મને એટલો આનંદ થઇ રહ્યો હતો કે બધા વિભાગ આ બાબત સાથે સંકળાયેલા છે, કેટલાક વિભાગ આગળ આવ્યા છે, કેટલાક વિભાગ ઝડપી ગતિએ આગળ વધી રહ્યાં છે અને કેટલાક વિભાગ તો વિચારી રહ્યાં છે કે નવી નવી બાબતોને વ્યવસ્થામાં સાંકળીને તેનો કેવી રીતે સારો ઉપયોગ કરી શકાય? કેટલાક દિવસ અગાઉ હું બનારસ ગયો હતો, ત્યાના લોકો-શેડમાં હાઈ પાવર એન્જીનના લોકાર્પણ માટે ગયો હતો. તેની અંદર બધી નવી નવી વ્યવસ્થાઓ હતી તે હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં તેમને એક પ્રશ્ન કર્યો કે વિમાનમાં આપણે જોઇએ છીએ કે એક મોનિટર હોય છે જેનાથી પાયલોટને જાણ થતી રહે છે કે કેટલી મિનિટ પછી વાદળ આવશે, વાદળની ઘનતા કેટલી હશે અને તેના કારણે જો વિમાનને આંચકો લાગી શકે તો તેની ચેતવણી પણ તે વિમાનમાં રહેલા મુસાફરોને મોનિટરના માધ્યમથી મળી શકે છે. મેં કહ્યું કે આ ટેકનોલોજી તો છે જ, શું આપણા એન્જીનમાં, જે એન્જીન ડ્રાયવર છે તેને એ પ્રકારની મોનિટર સિસ્ટમ આપી શકીએ? સેટેલાઇટ કનેક્ટિવીટી ઉપલબ્ધ છે ત્યારે જ્યાં પણ માનવરહિત ક્રોસિંગ છે તેની અગાઉથી મોનિટર પર ચેતવણી મળે, ખાસ પ્રકારની લાઇટિંગ થાય અને તેવા માનવરહિત રેલવે ક્રોસિંગથી બે-ચાર કિલોમીટર દૂરથી જ એન્જીનનું હોર્ન આપોઆપ વાગવાનું શરૂ થઇ શકે કેમ? ત્યાં આ બધુ જોતા જોતા જ મારા મનમાં આવા વિચાર આવ્યા અને ત્યાં જેટલા પણ એન્જીનીયર હાજર હતા તે બધાની સમક્ષ મેં આ વિચાર રજૂ કર્યો. પછી આપણા વૈજ્ઞાનિકો મળ્યા તો તેમને પણ કહ્યું કે તેઓ પણ આ બાબતે વિચારે કે શું થઇ શકે છે. મને જણાવતા આનંદ થાય છે કે આ ત્રણ – ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં જ આ કામને તૈયાર કર્યું છે અને મને જણાવવામાં આવ્યું છે કે ખૂબ ટૂંકા સમયગાળામાં આ બાબતને અમલમાં મુકી શકાશે. માનવરહિત રેલવે ક્રોસિંગની સમસ્યાના ઉકેલ માટે અનેક ઉપાય હોઇ શકે છે પરંતુ શું આપણા સેટેલાઇટ પણ માનવરહિત રેલવે ક્રોસિંગની સુરક્ષાના ઉપયોગમાં આવી શકે છે કે નહીં? આપણા વૈજ્ઞાનિકોને કામ સોંપવામાં આવ્યું અને હું જોઇ શકું છું કે ત્રણથી ચાર મહિનાની અંદર જ પરિણામ લઇને તેઓ સામે આવ્યા છે.
વિભાગના દરેક મિત્રોને મારી વિનંતી છે કે તમે પણ પોતાના વિભાગમાં એક નાનકડો સેલ બનાવો જે એ બાબતે વિચારે કે જે ટેકનોલોજી છે તેના પ્રકારથી તેનો કેવી કેવી રીતે ઉપયોગ કરી શકાય. જો તેઓ આ બાબતને સમજી શકે તો તે અંગે ચર્ચા વિચારણા કરે, તે અંગેની વાસ્તવિકતા શું છે તે જાણે નિહાળે અને પછી આપણે ઈસરોને કહીએ કે જુઓ અમારી સામે આ કોયડો છે અને અમને લાગે છે કે તેનો ઉકેલ શોધવો જોઇએ, તે માટે આટલી આટલી વ્યવસ્થા જોઇએ. તમે જુઓ, તેમની ટીમ કામે લાગી જ જશે. ટેકનોલોજી કેટલી હદ સુધી કામ આવી શકે છે, માહિતી એકઠી કરવાનું કામ તમારું છે, સંવાદ સાધવાનું કામ તમારું છે. અનેક પ્રકારના પ્રોત્સાહક આવિષ્કાર તેના કારણે સામે આવી શકે તેમ છે.
જ્યારે જૂન 2014માં હું ઈસરોની મુલાકાતે ગયો ત્યારે શ્રીહરિકોટામાં મેં એક વાત કરી હતી, જેમ હમણાં જ કિરણજીએ જણાવ્યું કે 20 વિભાગમાં ઓછા-વધારે પ્રમાણમાં કામ થઇ રહ્યું છે. આજે 60 વિભાગમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગના આધારે પ્રો એક્ટિવ ગતિવિધિ થઇ રહી છે. થોડાક પ્રયાસ થયા, નાની મીટીંગ થઇ વિભાગમાં, હું માનું છું કે કદાચ હિન્દુસ્તાનમાં અને સરકારના ઈતિહાસમાં આ પ્રથમ મોટી ઘટના હશે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે લગભગ 1600 અધિકારી દિવસભર એક જ વિષય અંગે બ્રેઇનસ્ટોર્મિંગ કરતાં હોય, વર્કશોપ કરતા હોય અને જેની પાસે માહિતી છે તે અન્યને આપે છે અને જેની પાસે જીજ્ઞાસા છે તે સતત પૂછપરછ કરે છે. કદાચ હિન્દુસ્તાનની સરકારના ઈતિહાસમાં આટલી વિશાળ સંખ્યામાં એક જ વિષયના ઉકેલ માટે પ્રથમ વખત આ પ્રકારે કોઇ કાર્યક્રમ થયું હશે. પરંતુ આ એક દિવસની વર્કશોપ એ માત્ર એક દિવસની વર્કશોપ નથી તેની અગાઉ પાછલા 6-8 મહિનાથી સતત દરેક વિભાગ સાથે, દરેક રાજ્ય સાથે, વૈજ્ઞાનિકો સાથે મળવું, વાતચીત કરવી, વિષયને સમજવું, સમસ્યાને શોધવી, ઉકેલ શોધવો એ બધુ ચાલતું જ રહ્યું છે અને તેનું પરિણામ એ છે કે આજે આપણે એક વિશ્વાસ સાથે અહીં એકઠા થયા છીએ કે આપણે સમસ્યાનું નિકારણ શોધી શકીએ છીએ.
ટેકનોલોજીનો સહુથી વધુ લાભ ઓછામાં ઓછું ખર્ચ થાય, શક્ય એટલી સરળતાથી, ગરીબથી ગરીબ વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય? એ બાબત જ આપણા માટે સૌથી મોટો પડકાર છે. હરિયાણાની એક ઘટના અંગે જેમ આપે જાણ્યું કે તેમણે ત્યાંની ચૂંટણીનું જે ઓળખપત્ર છે તેને જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેટેલાઇટ ટેકનોલોજી સાથે જોડી દીધું અને તેને જમીનના દસ્તાવેજ સાથે સાંકળી લીધું છે. હવે આ બધુ વસ્તુઓ તો હતી જ, ક્યાંકને ક્યાંક તો હતી પણ કોઇએ તે અંગે મગજ કસ્યું અને તેને જોડવાનો પ્રયાસ કર્યો તો એક નવી જ વ્યવસ્થા આપણી સામે આવી ગઇ.
આપણી સામે ભલે નવું કશું જ ના થાય. આપણે માની લઇએ કે આ સંદર્ભે કંઇ નવું થવાનું નથી પરંતુ જે માહિતી હાથવગી છે, જે ટેકનોલોજી ઉપલબ્ધ છે તેને જ આપણી જરૂરિયાત અનુસાર કેવી રીતે તબદિલ કરી શકાય છે તે અંગે મગજ કસીએ તો આપણને ઘણા મોટા પ્રમાણમાં નવા ઉપાય મળી શકે તેમ છે અને સરળ વિતરણની વ્યવસ્થા વિકસિત કરી શકાય છે.
આપણું ટપાલ ખાતું, તેનું કેટલું મોટું નેટવર્ક છે. તે નેટવર્કનો ઉપયોગ આપણે સેટેલાઇટ સીસ્ટમ સાથે જોડીને ક્યાં ક્યાં કરી શકીએ? દેશના સામાન્યથી સામાન્ય ભલે અન્ય વ્યવસ્થાઓ કે તંત્ર સાથે જોડાય કે ના જોડાય પરંતુ પોસ્ટ ઓફિસથી જરૂર જોડાય છે. વર્ષમાં એકાદ વખત તો તેને પોસ્ટ ઓફિસનું કામ પડે જ છે. તેનો અર્થ એ થયો કે સરકાર પાસે એક એવો એકમ છે કે જે છેલ્લા સ્તર સુધી સાહજીકપણે સંકળાયેલું જ છે અને પોસ્ટ ઓફિસ એક એવી વ્યવસ્થા છે તે આજે પણ સામાન્ય નાગરિકને તેના પર ખૂબ વિશ્વાસ છે. ટપાલી ક્યારે આવશે તેની રાહ દરેક વ્યક્તિ જુએ છે, ટપાલી આવ્યો કે નહીં ટપાલી ગયો કે નહીં તેની ચિંતા રહે છે. ભલે મહિનામાં એક વખત ટપાલ આવે પણ બહારગામ રહેતા દિકરાના કાગળની રાહ એક માતા જોતી હોય છે. આ જે વિશ્વાસ છે, તે વિશ્વાસ સાથે આ ટેકનોલોજીને જોડવી, નવી નવી ચીજોને જોડવી એ કેટલું મોટું પરિણામ આપી શકે તેમ છે.
જ્યાં હું રાજ્યમાં કામ કરતો હતો ત્યારે આપણા આ કિરણજી પણ અમારી સાથે ત્યાં જ હતા અમારી સારી મિત્રતા હતી તો હું પણ તેમની પાસેથી ઘણુંબધું જાણતો રહેતો, શું નવું થઇ રહ્યું છે, શું કરી રહ્યાં છો, વિશ્વને શું મળવાનું છે, તેમાંથી અમારો એક કાર્યક્રમ માછીમારો માટે બન્યો, માછીમારોને અમે મોબાઇલ પર જાણકારી આપીએ છીએ કે કેટલા અક્ષાંશ અને રેખાંશ પર માછલીઓનું ટોળું છે. માછલીનો સ્વભાવ હોય છે કે જ્યાં ટોળું હોય ત્યાં કમસે કમ 24 કલાક સુધી રહેતી હોય છે. અગાઉ માછીમારો માછલી પકડવા જાય તો બોટ લઇને કલાકો સુધી જાળ નાખીને રાહ જુએ કે માછલી ફસાઈ કે નહીં, જો માછલી ના મળે તો પછી બોટ લઇને આગળ જાય અને ફરીથી કલાકો સુધી રાહ જુએ એ પ્રકારે કામગીરી થતી હતી. આ નવી વ્યવસ્થા પછી હવે તેઓ ચોક્કસ સ્થાને પહોંચે છે, ઓછા સમયમાં પહોંચે છે જેના કારણે ડીઝલનો ખર્ચ પણ ઓછો આવે છે અને વધારે માછલી મળે તો નફો પણ વધારે મળે છે. ઝડપથી માછીમારી કરીને પાછા આવે છે સમય અને શક્તિનો બચાવ થાય છે. ટેકનોલોજી તો એની એજ હતી પરંતુ તેનો ઉપયોગ ગરીબ વ્યક્તિ માટે કેવી રીતે કરી શકાય તે દિશામાં વિચારવું જરૂરી છે.
હમણાં જેમ જણાવાયું, મધ્યપ્રદેશમાં આદિવાસીઓને જમીનના પટ્ટા આપવામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેનાથી પણ એક પગલું આગળ વધીને આપણે કામ કરી શકીએ છીએ. ઘણા લોકો, ઘણા આદિવાસીઓ દાવો કરે છે કે અહીં અમે ખેતી કરતાં હતા, આ જમીન અમારી છે અને અમને જ મળવી જોઇએ. ગામવાસીઓ તેને નકારે છે કે તેઓ અહીં ખેતી નથી કરતાં, ફક્ત જમીન હડપ કરવા માટે છે, તેમની વારસાની જમીન તો પેલી છે. બાળકો જુદા થયા છે તો આવા ઝઘડાં થતા રહે છે. પરંતુ હવે સેટેલાઇટથી જૂની તસવીરોના આધારે ફોટોગ્રાફિક સીસ્ટમથી જાણી શકાય છે કે અહીં અગાઉ જંગલ હતું કે નહીં, ખેતી થતી હતી કે નહીં, કોઇ કામ થતું હતું કે નહીં તે દરેકના પૂરાવા કાઢી શકાય છે અને એક આદિવાસી કેન્દ્રને આપણે સ્થાપિત કરી શકીએ છીએ, ફક્ત એક સેટેલાઇટની મદદથી આ શક્ય છે. જે વૈજ્ઞાનિકે જ્યારે સેટેલાઇટ માટે કામ કર્યું હશે ત્યારે કદાચ તેને ખબર પણ નહીં હોય કે ક્યાંક દૂર અંતરિયાળ જંગલમાં બેસીને પોતાના અઘિકાર માટે લડી રહેલા આદિવાસીને એ સેટેલાઇટની મદદથી લડી રહ્યો છે અને તેનો અધિકાર અપાવી રહ્યો છે. જ્યારે એને જાણ થશે ત્યારે તેને કેટલો આનંદ થશે કે આ કામ તો મેં કર્યું હતું. આદિવાસીના અધિકાર માટે હું સફળ થયો છું ત્યારે તેનું જીવન ધન્ય બની જાય છે. આપણું એ કામ હોય છે કે આપણે કેવી રીતે આ વસ્તુઓને ઉપયોગમાં લાવી શકીએ. આપણે વધારે પ્રમાણમાં લોકોને આ સાથે સાંકળવા જોઇએ, શું દરેક વિભાગ, નવા વિચાર માટે યુવા પેઢીને આમંત્રી શકે છે કે અમારી સામે આ સમસ્યા છે, અમને ટેકનોલોજી માટે, સેટેલાઇટ અથવા સ્પેસ સીસ્ટમ માટે કેવી રીતે ઉકેલ કાઢવો જોઇએ એ બાબત વિદ્યાર્થીઓ સામે મુકી દેવી જોઇએ પછી જુઓ તેઓ કેવી રીતે મહેનત કરશે, ઓનલાઇન તમારી સાથે જોડાશે અને નવા નવા આઈડિયા આપશે. વિભાગમાં એક સેલ બનાવો અને યુવા પેઢી તો આજકાલ વધારે ટેકનોલોજી સેવી હોય છે તેમને લઇને બનાવો, તેમને કહો કે તેઓ જરા મગજને કસે, તમને જરૂર નવા નવા આઈડિયા મળશે અને પછી તેનું પરિણામ પણ મળશે.
આપણા દેશમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કંઇક ને કંઇક નવું કરવા માટે મગજ કસે છે. જો ઇનોવેટિવ ભારત આ અંગે જો કામ કરે તો મને નથી લાગતું કે આપણે ક્યાંક પાછળ પડશું. આપણે ઘણી વખત અનેક છાપાઓમાં વાંચીએ છીએ કે કોઇ ખેડૂત પોતાના ખેતરમાં પાણી આપવા માટેના પમ્પનું સંચાલન ઘરેથી જ કરે છે, કેવી રીતે? મોબાઇલ ફોનથી તે ઓપરેટ કરે છે. તેણે જાતે આ ટેકનોલોજી વિકસાવી અને તે માટે મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેને ઘેરબેઠા જ જાણકારી મળતી રહે છે કે વીજળી આવી ગઇ છે અને તે ખેતરમાં ગયા વગર ઘેરથી જ પમ્પ ચાલુ કરી શકે છે અને ખેતરને પાણી મળતું રહે છે. ત્યાર પછી તે ખેતરે પહોંચે છે.
સામાન્ય વ્યક્તિનું મગજ કેટલું આવિષ્કારી વિચારી શકે છે તે જુઓ. એક સામાન્ય વ્યક્તિએ પોતાના ઘરમાં બાયોગેસનું એક યુનિટ લગાવ્યું હતું. તે માટે તે ગોબર વગેરે નાખીને બાયોગેસ મેળવતો હતો. તેનાથી જે ગેસ મળતો હતો તેનો ઉપયોગ તે પોતાના રસોડાં પૂરતું કરતો હતો. હવે તેને જરૂરિયાતથી વધારે બાયોગેસ મળવા લાગ્યો. જુઓ તેણે કેવી બુદ્ધિ વાપરી, તેણે ટ્રેકટરની ટ્યૂબ કે જે ખૂબ મોટી હોય છે તેમાં આ ગેસ ભરી લેતો હતો અને સ્કૂટર પર ગેસ ભરેલી એ વિશાળ ટ્યૂબને મુકીને ખેતરે લઇ જતો હતો. ખેતરે રહેલા ડીઝલ એન્જીનમાં કેટલાક ફેરફાર કરીને તેણે એવી વ્યવસ્થા કરેલી કે ટ્યૂબમાં રહેલા બાયો ગેસથી એન્જીન ચાલે અને પાણી મળી શકે. હવે જુઓ કે વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંત સામાન્ય માનવીને પણ કેવી રીતે ઉપયોગી બની શકે છે તેના આધારે સામાન્ય માનવી પોતાની સમસ્યાનો ઉકેલ શોધી શકે છે.
આજે આપણે આપણી શિક્ષણ ગુણવત્તાને સુધારવાની છે, કોઇ કહેશે કે ગામડાંઓમાં તો વીજળી જ નથી તો કેવી રીતે કરી શકશો? અનેક ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નથી તો કેવી રીતે કરી શકશો? ગામોમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક નથી તો ક્યાં કરશો. જેને એ વિચારવું છે એ વિચારશે પણ સાથે એ પણ વિચારો કે કેટલા ગામોમાં છે અને કેટલા શહેરોમાં છે. કમસે કમ ત્યાં લોન્ગ ડિસટન્સ એજ્યુકેશન દ્વારા ગુણવત્તાસભર શિક્ષકો હિન્દુસ્તાનના મોટા શહેરમાં બેસીને સ્ટુડિયોમાં એ બાળકોને ભણાવે. હું માનું છું કે એ શિક્ષકને પણ ક્વોલિટી એજ્યુકેશન પ્રત્યે, તેની પણ તાલીમ થશે અને તે સ્થળ પર પહોંચ્યા વગર જ દૂર રહીને અંતરિયાળ જંગલ કે ગામડાંમાં રહેલા વિદ્યાર્થીને સારું શિક્ષણ પૂરું પાડી શકશે.
મને હમણાં કિરણજી જણાવી રહ્યા હતા કે આપણા આરોગ્ય સચિવે કંઇક કહ્યું કે તેમને બ્રોડબેન્ડ કેપેસિટીની કોઇક સમસ્યા છે, મેં એમને પૂછ્યું કે જ્યાં સુધી આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે આપણી પાસે વધારાની ક્ષમતા છે. જો આપણે તેના ઉપયોગ કરવા માટે વિચારીએ, આપણી સેનાના જવાન સરહદ પર છે તેઓ આનો કેવી રીતે ઉપયોગ કરી શકે, તેમની જરૂરિયાતો માટે આપણે આ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે અંગે વિચારો. આપણે સીમા સુરક્ષા અંગે ઘણું કામ આ ટેકનોલોજીના ઉપયોગથી કરી શકીએ તેમ છીએ.
આપણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની વાત કરીએ તો, આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની સફળતા માટેનું જો કોઇ પ્રથમ પગલું હોય તો તે આપણી સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ છે. આપણે શ્રેષ્ઠ રીતે ભૂપૃષ્ઠનો નક્શો તૈયાર કરી શકીએ છીએ, તે જ પ્રકારે ગામડાંનો પણ નક્શો તૈયાર કરીને જાણી શકીએ છીએ કે પાણીનો પ્રવાહ કઇ તરફ છે, પાણીની માત્રા કેટલી હોઇ શકે છે, વરસાદી પાણી કેટલું થઇ શકે છે અને તેના આધારે ભવિષ્ય માટેની સંપૂર્ણ ડિઝાઇન આપણે ટેકનોલોજીના આધારે તૈયાર કરી શકીએ છીએ. આ પ્રકારે આપણે સાયન્સ ગૂડ ગવર્નન્સ માટે એક મહત્વની ભૂમિકા સર્જી શકીએ છીએ. અગાઉ આપણે આયોજન કરતા હતા તો સામાન્ય રીતે પોતાના અનુભવ પર આધાર રાખતા હતા. આજે સેટેલાઇટના માધ્યમથી આપણે એ પ્રકારનું આયોજન કરી શકીએ છીએ કે જેના કારણે આપણો ખર્ચ પણ બચી શકે તેમ છે, સમય પણ બચી શકે છે. હવે તો રોડ નેટવર્ક પણ તૈયાર કરવાનું છે. આજે તમે જોઇ શકો છો કે દશરથ માંઝી કેટલો વધારે લોકપ્રિય બન્યો છે પણ કોઇએ વિચાર્યું છે કે તેની પાછળ કારણ શું હતું. સરકારે રસ્તો બનાવ્યો તો ખરો પણ એવો બનાવ્યો કે ગામથી બહાર જવું હોય તો પહાડની કિનારીએ થઇને રસ્તો પસાર થતો હતો અને 50થી 60 કિલોમીટર વધારે ચાલવું પડતું હતું. દશરથ માંઝીએ કદાચ અનુભવે સમજ્યું કે અનુભવ્યું હશે શક્ય છે કે કદાચ જન્મજાત હશે તેની જીઆઈએસ સીસ્ટમ તેને લાગતું હતું કે સીધો જઇશ તો ફક્ત બે કિલોમીટરમાં જ પહોંચી જવાશે, તેણે પોતાના હથોડાથી એ રાસ્તો બનાવી દીધો. આજે ટેકનોલોજી એટલી હદે ઉપલબ્ધ છે કે કોઇ દશરથ માંઝીએ પોતાની જીંદગી સમર્પિત નહીં કરવી પડે. તમે ટૂંકા માર્ગે પોતાના રસ્તા શોધી શકો છો અને બનાવી પણ શકો છો.
આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આપણે ત્યાં નહેરનું નિર્માણ પણ કરવામાં આવે છે. જ્યારે હેલિકોપ્ટર કે વિમાનથી જઇએ ત્યારે ખૂબ દુઃખ થાય છે કે આ નહેર પણ આ રીતે સાપની જેમ કેમ આડીઅવળી જઇ રહી છે. કદાચ નહેર નિર્માણ કરતી વખતે કોઇ નિર્ણાયક પળે કદાચ કોઇનું દબાણ આવ્યું હશે કે કોઇકનો ખેતર બચાવવું છે નહેરને થોડોક વળાંક આપો અને આપણે પણ સાપની જેમ ચાલતા રહ્યા પરંતુ જો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોત તો શક્ય છે કે કદાચ સંપૂર્ણ અલાઇમેન્ટ સાથે કામ કરી શક્યા હોત.
દબાણની વાત કરીએ તો હાઈવે પર કરી દેવામાં આવેલા દબાણની ચિંતા થાય છે, સેટેલાઇટના માધ્યમથી આપણે સતત નજર રાખી શકીએ છીએ કે હાઈવે પર ક્યાં ક્યાં ગેરકાયદે દબાણ થઇ રહ્યા છે, શું થઇ રહ્યું છે, આપણે સરળતાથી કરી શકીએ છીએ, રસ્તા બનાવી શકીએ છીએ.
આપણા વન્યજીવનની વાત કરીએ તો આપણા વન્ય જીવોની વસતીગણતરી ફક્ત પાંચ વર્ષમાં એકાદ વખત જ કેમ કરવામાં આવે છે અને ત્યાર પછી પણ અનેક જાતના પ્રશ્નો સર્જાય છે, કેમેરા ગોઠવવામાં આવે છે, પગના નિશાનની માપણી કરવામાં આવે છે. હું માનું છું કે આપણે સેટેલાઇટ સીસ્ટમથી એકાદ મહિના સુધી નિરીક્ષણ કરીએ તો વન્યજીવો પર નજર રાખીને તેમની નોંધ રાખી શકીએ છીએ કે તેઓ કયા વિસ્તારમાં વસવાટ કરે છે, તેમની જીવનશૈલી અંગે પણ સરળતાથી નજર રાખી શકાય તેમ છે.
ટેકનોલોજીનો ઉપયોગ આટલી સરળતાથી થઇ શકે છે અને હું ઇચ્છું છું કે આપણા દરેક વિભાગ આ અંગે કેવી રીતે કામ કરી શકે છે. આપણી પાસે બિનફળદ્રુપ ભૂમિનું પ્રમાણ ખૂબ વધારે છે. એક એક ઈંચ જમીનનો સદ્ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જાણી શકાય છે.
આપણા જંગલ કપાઈ રહ્યાં છે, ક્યારેક સમાચાર આવે છે કે રક્તચંદન જ્યાં થાય છે ત્યાં ખૂબ ગેરકાયદે વૃક્ષછેદન પ્રવૃત્તિ થાય છે. શું આપણી પાસેના કાયમી ધોરણવાળા હાઈ રીઝોલ્યુશનવાળા કેમેરા નિયમિતપણે આપણને અપડેટ નહીં રાખી શકે કે રક્તચંદનવાળો વિસ્તાર અહીં છે, ત્યાં કોઇપણ હિલચાલ થાય કે તરત જ આપણને જાણકારી મળી જશે.
ખાણ ખનિજ ખનનની વાત કરીએ, ખાણ ખોદકામની વિશેષતા એ ગણાવી શકાય કે કાગળીયા પર તો બધી સીસ્ટમ તો સક્ષમ હોય છે અને તેને જ ખનિજ ખોદકામનો કોન્ટ્રાક્ટ પણ મળી જાય છે પરંતુ તેઓ એમને ફાળવવામાં આવેલા બે સ્કવેર કિલોમીટરથી લઇને બે સ્કવેર કિલોમીટર ક્ષેત્રફળથી ખોદકામ શરૂ કરવાને બદલે આજુબાજુથી ખોદકામ શરૂ કરે છે. હવે જ્યારે કોઇ ચકાસણી કરવા આવશે તો તેમને પણ લાગશે આ તો કોન્ટ્રાક્ટ મળ્યો છે તે અનુસાર જ ખોદકામ થતું હશે કોઇ માપણી કરવા જતું નથી કે કેટલા ફૂટ ક્યાં છે, પરંતુ જો એ વિસ્તારને સેટેલાઇટ સીસ્ટમથી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તો એક ઈંચ પણ આગળપાછળ નહીં થાય, જે જગ્યા માટે ફાળવણી કરવામાં આવી હોય ત્યાં જ ખોદકામ થશે અને આપણે એમના વાહનોને પણ ટ્રેક કરી શકીએ છીએ કે એક દિવસમાં કેટલા વાહન નિકળ્યા, કેટલું ખનિજ નિકળ્યું અને તેને કર પ્રણાલી સાથે સાંકળી શકાય છે. આ કાર્ય સરળતાથી કરી શકાય તેમ છે.
આપણે ત્યાં માર્ગ કર લેવામાં આવે છે. ક્યારેક ક્યારેક આપણે રોડ ટેક્સમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડટેક્સ બચાવનારાઓને ઝડપીને સરકારી આવક વધારી શકાય તેમ છે, ફક્ત ટેકનોલોજીની મદદથી ઘણી વ્યવસ્થાઓને વિકસિત કરી શકીએ તેમ છીએ.
મારો કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે એવી વ્યવસ્થા ઉપલબ્ધ છે કે એક લાંબા સમય સુધી આપણા વૈજ્ઞાનિકોએ પુરુષાર્થ કરીને તેને હાંસલ કરી છે, આપણી ફરજ બને છે કે આપણે તેને સરળ પ્રકારે ક્યાં અમલમાં મુકી શકીએ અને કયા વિભાગને તેની આદત પડે તેવું તંત્ર ગોઠવી શકાય. આપે જોયું હશે કે એને કારણે લાગે છે કે મારા દરેક કાર્યને સરળ બનાવ્યું છે ત્યારે તે એમાં વધારેને વધારે પ્રવૃત્ત થતા રહેશે. જેને એ ખબર જ નથી કે આ છે શું, બે વર્ષ પછી નિવૃત્ત થવાનું છે તો મારે શું તમે કરી લેજો. જે ઊર્જા ગુમાવી બેસે છે તેઓ નિવૃત્તિ પછી પણ જીવનનો આનંદ માણી શકતા નથી એટલે જ આપણે દરેક પળે ગમે તેટલા વરિષ્ઠ હોઇએ તો પણ જીવનના આખરી ગાળામાં કંઇક એવું કરી જઇએ કે આપણા બાદ પણ નવી પેઢીને વર્ષો સુધી કામ કરવાનો અવસર મળી રહે.
આજે જે પ્રયાસ કરવામાં આવ્યો તેમાં મેં એક પ્રકારે ત્રણ પેઢીને એકઠી કરી છે. જે નવાસવા છે અને મસૂરીથી તૈયાર થયા છે એ યુવાનો પણ અહીં બેઠા છે અને જેઓ એવું વિચારતા હશે કે 30મી તારીખે નિવૃત્ત થવાનું જ છે અને આગલી 30મી તારીખે નિવૃત્ત થનારા પણ અહીં બેઠા છે એટલે કે એક પ્રકારે ત્રણ પેઢી અહીં હાજર છે. બધાને અહીં એકઠા કરવાનો મારો પ્રયાસ એટલો જ હતો કે જુનિયર લોકોને અહીં વધારે હાજર રાખવામાં આવે કારણ કે ક્યારેય એવું ના થાય કે નવા આવનારા એવું વિચારે કે ચાલો જૂના તો જતા રહ્યા છે અને જૂના એવું ના વિચારે કે હવે છેવટના સમયે શું કરીએ અને ફરીવાર ચલાવી લઇએ.
આપણી સામે સૌથી મોટી જરૂરિયાત છે, દરેક વિભાગ એક એક નાનું મોટું કામ વિચારે કે આપણે 2015માં આ કાર્ય કરશું હજુ તો આપણી પાસે ત્રણ ચાર મહિના છે. કોઇ એક વસ્તુ નક્કી કરે. અમને લાગે છે કે સેટેલાઇટ સીસ્ટમથી આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને પછી તેના માટે આઉટસોર્સ કરવું પડે, કેટલાક નવયુવાનોની મદદ લેવામાં આવે તો પણ આપણે મદદ લઇએ પણ કંઇક કરી બતાવીએ. એજ પ્રકારે જે પ્રકારે આ એક સંપૂર્ણ દેશનું વર્કશોપ થયું છે. રાજ્યોથી પણ મારી વિનંતી છે કે તેઓ પણ રાજ્યમાં આ પ્રકારે બે કે ત્રણ પેઢીને એકઠી કરીને એક આખો દિવસ બ્રેઇનસ્ટોર્મિંગ કરવામાં આવે, ભારત સરકારના કોઇકને કોઇક અધિકારી ત્યાં જાય અને તેઓ પણ પોતાના માટે આયોજન કરી લે.
જોકે મને એવું પણ લાગે છે કે આટલું બધુ થયા પછી પણ નિર્ણય લેનારાઓ એટલે કે સત્તાવાળાઓને જો આપણે સંવેદનશીલ નહીં બનાવી શકીએ, તેમને જો આ બધી બાબતથી પરિચિત નહીં કરવામાં આવે, ગામના પ્રમુખથી લઇને ધારાસભ્ય સુધી જેટલા પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે તેમને પણ ક્યારેક ને ક્યારેક આવી સંસ્થાઓની મુલાકાત કરાવવાનો કાર્યક્રમ ગોઠવવો જોઇએ. તેમને દર્શાવવું જોઇએ કે તમારા ગામની આટલી બાબતોને અમે સેટેલાઇટથી ઓર્ગેનાઇઝ કરી શકીએ તેમ છીએ. તેમનો વિશ્વાસ વધશે અને તેઓ આ બાબતે આગળ આવશે. એક વખત આપણે ગામના પ્રધાનને પણ બોલાવીશું અને તલાટીને પણ જરૂર બોલાવીશું. એક ગામની પાંચ સાત આગેવાનોની ટીમ હોય છે જે સરકારનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ સંવેદનશીલ બનશે. આપણે દરેક બાબતને નીચે સુધી લઇ જવાની છે. એ માનીને ચાલીએ તે ગૂડ ગવર્નન્સ માટે પારદર્શિતા માટે, કાર્યદક્ષતા માટે, રીયલ ટાઇમ ડિલિવરી માટે, રીયલ ટાઇમ મોનિટરિંગ માટે ટેકનોલોજી આપણી પાસે શક્તિશાળી માધ્યમ હોય છે. જો આપણે ગૂડ ગવર્નન્સની વાત કરીએ તો તેની શરૂઆત સજ્જડ આયોજનથી થાય છે. ચોક્કસ આયોજન દ્વારા તમને એટલી સારી માહિતી મળી શકે છે, તમને નક્શા મળે છે, તમને ત્રિપરિમાણિય (થ્રી-ડી) રીઝોલ્યુશન મળે ત્યારે મને નથી લાગતું કે પ્લાનિંગમાં કોઇ કમી આવી શકે છે. જો પરફેક્ટ પ્લાનિંગ હોય અને યોગ્ય રોડ-મેપ હોય તો અમલ કરવા માટેના સમયગાળામાં જ લક્ષ્યાંક મેળવી શકાય છે.
પાછલા દિવસોમાં આપે જોયું હશે કે બે એવી ઘટના બની કે જે આપણે ત્યાં વધારે ધ્યાને લેવામાં આવી નથી પરંતુ તેને કારણે હજારો લોકોના જીવ પણ બચાવી લેવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન પણ થતું રોકવામાં આવ્યું છે. ગયા વર્ષે, નેપાળમાં પહાડોમાં બરફના ખડક પડ્યા અને બરફની શિલા પડવાને કારણે પાણીનો વહેતો પ્રવાહ રોકાઇ ગયો. બરફ હોવાથી તે થીજી ગયું અને એ તરફ જે પાણી હતું તે પણ થીજવા લાગ્યું. હવે આપણી સામે સૌથી મોટો પડકાર એ આવ્યો કે જ્યારે ઉનાળુ શરૂ થશે ત્યારે બરફના આ પહાડ એકદમથી ઓગળી જશે, તૂટી જશે અને પાણીનો વિશાળ પ્રવાહ એકદમથી વહેશે તો નીચે તળેટીમાં કંઇજ નહીં બચી શકે. બરફના વિશાળ ટુકડા તૂટીને નીચે આવશે તેને કારણે અનેક ગામડાં બરબાદ થઇ જશે. આપણે ત્યાંથી એનડીઆરએફની ટીમ ગઇ, સૈન્યના લોકો ગયા, નેપાળ સરકારે મદદ કરી અને બોમ્બાર્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટરની મદદથી સૈનિકોએ બોમ્બમારો ચલાવ્યો અને બરફના એ પહાડને તોડીને પાણીના અટકેલા પ્રવાહને ફરીથી શરૂ કરવામાં આવ્યો, આ ત્યારે જ શક્ય બન્યું જ્યારે સેટેલાઇટની મદદથી તસવીરો મળી કે એક નવું બ્લોકેજ શરૂ થઇ રહ્યું છે.
બીજી સમસ્યા કોસી નદી પર આવી. નેપાળમાં કોસીનો જે ભાગ છે ત્યાં ભૂસ્ખલન થયું, પાણીનો પ્રવાહ રોકાઇ ગયો, એ તરફ પાણી જમા થવા લાગ્યું, કલ્પના કરી શકીએ કે માટીનો બંધ બની જાય અને પાણીનો ભરાવો થાય તો જે દિવસે એ તૂટશે તો શું થઇ શકે છે. સૌથી પહેલા તો એનડીઆરએફની ટુકડીઓને અહીંથી બિહાર મોકલવામાં આવી અને કોસીના રસ્તામાં જેટલા પણ ગામડાં હતા તે તમામ ગામડાં ખાલી કરાવવાની કામગીરી સોંપવામાં આવી, લોકો ગુસ્સો પણ કરી રહ્યા હતા કે વરસાદ નથી તો પણ કેમ ગામડાં ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. ખૂબ મુશ્કેલીથી બધાને સમજાવવામાં આવ્યા અને ગામડાં ખાલી કરાવવામાં આવ્યા અને બીજી તરફ પાણીના પ્રવાહને શરૂ કરવા માટે ઉપાય પણ શોધવાનો પ્રયાસ કરાતો રહ્યો, આખરે રસ્તો નિકળ્યો અને ધીરે ધીરે પાણીનો પ્રવાહ શરૂ કરવામાં આવ્યો અને આપણે એક મોટા સંકટથી બચી જવા પામ્યા. આ ત્યારે જ સંભવ બની શક્યું કારણ કે સેટેલાઇટની મદદથી નિયમિતપણે નજર રાખવામાં આવી રહી હતી અને એના કારણે જ જાણવા મળી શક્યું કે કેટલો મોટે સંકટ આવી શકે છે.
પાછલા દિવસોમાં વિઝાગમાં હુડહુડ વાવાઝોડું આવ્યું આપણા વિભાગના લોકો, રાઠોડ પણ અહીં છે. તેમણે એટલી ચોકસાઈવાળી માહિતી આપી કે વાવાઝોડું કેટલું દૂર છે, કેટલું તાકતવર છે, કઇ દિશાથી આવે છે અને ક્યારે વિઝાગને ધમરોળશે. હું માનું છું કે આટલી ચોક્કસ જાણકારી સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી મળી શકી અને હુડહુડ વાવાઝોડાથી મોટી જાનહાનિ થતી રોકી શકાઇ અને માલમિલક્તનું પણ ઓછું નુકસાન થઇ શક્યું. આપણે સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી આવી રીતે આવનારી કુદરતી આપત્તિઓ અંગેની જાણકારી અગાઉથી મેળવી શકીએ છીએ અને નાગરિકોને થતું જાનમાલનું નુકસાન પણ ઘટાવી શકીએ છીએ.
હું એ પણ ઇચ્છું છું કે ઈસરો જે પ્રકારે અહીં જુદા જુદા કાર્યક્રમ ચલાવે છે, આપણી સ્પેસ ટેકનોલોજી આખરે શું છે, આપણે વિદ્યાર્થી તૈયાર કરીએ, વિદ્યાર્થીઓને નીચે લેક્ચર પણ આપવા મોકલીએ, સ્લાઇડશૉ કરીએ, એક સારો વીડિયો બનાવીએ, લોકોને સમજાવીએ કે આખરે આ શું વસ્તુ છે, કેવી રીતે ઉપયોગમાં આવી શકે છે. આ એક સમૂહ-શિક્ષણના કાર્યક્રમને અમલમાં મુકવા માટે ઈસરોએ આગળ આવવું જોઇએ, માનવસંશાધન મંત્રાલય અને અન્ય મંત્રાલયો અને રાજ્ય સરકારોએ પણ એમની મદદ લેવી જોઇએ, તે માટે આપણે એક કાર્યક્રમ ઘડવો જોઇએ અને આપણા વિદ્યાર્થીઓને તૈયાર કરવા જોઇએ, તેમના એક કે બે અઠવાડિયાનો સમય માગવો જોઇએ કે તમારે દસ શાળા કે કોલેજમાં જવાનું છે આ પ્રવચન આપવાનું છે તો આપી આવો, આપણે એક પેઢી પણ તૈયાર કરવી પડશે.
હમણા 15મી ઓગસ્ટના રોજ મેં લાલકિલ્લા પરથી સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા અંગે જણાવ્યું, હમણા સ્લાઈડમાં જે દર્શાવવામાં આવ્યું કે અંદાજે ત્રણ હજાર નાના મોટા ખાનગી એકમ છે જે આપણી ગતિવિધિ સાથે સંકળાયેલા છે. હું કોઇ વૈજ્ઞાનિક તો નથી પરંતુ આ ક્ષેત્રના વિકાસ માટે આકાશ એ કોઇ સીમા નથી, આપણે આ પ્રકારે આપણે ત્યાં વૈજ્ઞાનિક બનવા માટે જે યુવાનો થનગની રહ્યા છે તેમને સ્ટાર્ટ-અપ માટે પ્રેરિત કરી શકાય છે કે નહીં? આપણે તેમને બ્લૂપ્રિન્ટ આપી શકીએ છીએ કે નહીં? આવા 400 પ્રકારના કામ એવા છે કે નવયુવાનો આગળ આવે અને તેઓ એમાં કંઇક ઇનોવેશન કરે, કંઇક ઉત્પાદન કરે, કંઇક વસ્તુઓ બનાવે, આપણા સ્પેસ સાયન્સ માટે ખૂબ ઉપયોગમાં આવી શકે છે. આપણે એ વિચારવાનું છે કે એના ઉપયોગથી નીચલા સ્તરેથી કેવી રીતે ઉપરની તરફ જઇ શકાય છે તે પણ વિચારી શકાય તેમ છે. જો આપણે આ વ્યવસ્થાને વિકસિત કરી શકીએ તો સ્ટાર્ટ-અપ ઈન્ડિયા – સ્ટેન્ડ-અપ ઈન્ડિયાનું જે આ એક સપનું છે તેમાં ઇનોવેશન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શકીએ છીએ અને નાણાકિય સંસ્થાનો પણ આ અંગે વિચારે આ દિશામાં આયોજન કરે કે આ પ્રકારે સ્ટાર્ટ-અપના લોકો આવે છે તેઓ વિજ્ઞાનમાં કંઇકને કંઇક યોગદાન કરવાવાળા છે તો તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે, ઈસરો સાથે મળીને આ વ્યવસ્થા ગોઠવી શકાય તો જુઓ આપણને કેવી રીતે ખૂબ લાભ મળી શકે છે.
દરેક વિભાગને કેપેસિટી બિલ્ડિંગની ચિંતા હતી, એ બાબત યોગ્ય છે કે આપણે સ્વભાવથી આ વસ્તુઓનો સ્વીકાર કરવાની આદત નહીં હોવાથી આ તરફ આપણે ધ્યાન આપી શક્યા નથી. જ્યારે આપણે નિમણૂંક કરીએ ત્યારે વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોને નોકરીમાં વધારે તક આપીએ જેથી કેપેસિટી બિલ્ડિંગ માટે સુવિધા રહી શકે. આપણે વિભાગમાં પણ પૂછીએ કે કોણ કોણ આ બાબતે રસ ધરાવે છે પછી તેમને સાત દિવસ કે દસ દિવસનો એક ટૂંકાગાળાનો અભ્યાસ કરાવી શકાય તેમ છે. જો આ વ્યવસ્થામાં માનવ સંશાધન વિકાસ થઇ જાય તો સંસ્થાકિય કેપિટલ બિલ્ડિંગ આપમેળે થવાનું શરૂ થઇ જશે. ફક્ત નાણાંકીય સ્રોતથી સંસ્થાકિય ક્ષમતા નથી વધી શકતી, સંસ્થાકિય કેપેબિલિટીનો આધાર માળખું નથી હોતું, બિલ્ડિંગ કેવી છે તે નથી હોતુ, સાધનસામગ્રી કેવી છે તે નથી હોતું, નાણાંકીય વ્યવસ્થા કેવી છે તે પણ નથી હોતું પરંતુ તેનો મૂળ આધાર હ્યુમલ રીસોર્સ કેવું છે તે હોય છે. જો તમારી પાસે શ્રેષ્ઠતમ્ હ્યુમન રીસોર્સ હશે તો હું ઇચ્છીશ કે તે અંગેની પણ એક સ્લાઇડ બતાવવી જોઇતી હતી. ભારત સ્પેસ સાયન્સમાં ગયું. ભારતે પ્રથમ ઉપગ્રહ છોડ્યો તેની પહેલી તસવીર જોઇએ તો જણાય છે કે તેને સાયકલ પર લઇ જવામાં આવે છે. ભારતના પ્રથમ અવકાશ કાર્યક્રમનો પ્રયોગ એક ગેરેજમાં થયો એટલે કે તેની ગતિવિધિ ગેરેજમાં થઇ હતી અને સાયકલ પર તેની હેરફેર કરવામાં આવતી હતી એનો અર્થ એ થયો કે અન્ય વ્યવસ્થાઓની શક્તિ ઓછી હોય છે પણ હ્યુમન રીસોર્સની શક્તિ વધારે હોય છે જેણે આપણને આકાશની ઉંચાઈઓની મુસાફરી કરાવી છે પરંતુ તેને જમીન પરથી તો સાયકલ પર મુકીને લઇ જવું પડ્યું હતું. આ બે બાબતો છે અને તે માટે આનાથી મોટું કોઇ ઉદાહરણ ના હોઇ શકે કે આપણા વિજ્ઞાનમાં જે શક્તિ છે તે કેટલું મોટું યોગદાન આપી શકે છે.
સારા આયોજન માટે, નક્કી કરેલા સમયગાળામાં અમલ કરાવવા માટે આપણે તેનો ભરપૂર ઉપયોગ કરીએ અને મને વિશ્વાસ છે કે આજે સમગ્ર દિવસ દરમ્યાન આ જે કસરત કરવામાં આવી છે અંદાજે 1600 અધિકારી અને મહત્વની જવાબદારી સંભાળનારા અધિકારીઓનું આ મંથન આવનારા દિવસોમાં એવું ના થાય કે સ્પેસ ટેકનોલોજી અને સામાન્ય માનવી વચ્ચે કોઇ અંતર રહી જાય અને આપણું કામ છે કે સામાન્ય માનવી અને સ્પેસ ટેકનોલોજી વચ્ચે કોઇ અવકાશ-અંતર ના રહે, આ સપનું પૂરું કરો, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ
UM/J.Khunt/GP
There has always been a question- should a poor nation like India develop a space programme. This question is raised time and again: PM
— PMO India (@PMOIndia) September 7, 2015
Dr. Vikram Sarabhai used to say- we are doing it for the people. We have to think of what will help the people of India: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 7, 2015
We should keep thinking about innovation and of doing new things: PM @narendramodi https://t.co/byUefDIIOj
— PMO India (@PMOIndia) September 7, 2015
India has made a mark in space. Our scientists have made India very proud: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 7, 2015
How to make maximum use of technology, and ensure it reaches the poorest of the poor...this is our main challenge: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 7, 2015
Let us involve the younger generation and take their ideas. The generation is very techno-savvy & we will get lot of ideas: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 7, 2015
Space science has an important role in achieving good governance: PM @narendramodi https://t.co/byUefDIIOj
— PMO India (@PMOIndia) September 7, 2015
At today's Meet on Space Technology based Tools & Apps in Governance, was given a series of insightful presentations by officials.
— Narendra Modi (@narendramodi) September 7, 2015
Emphasised on new initiatives in areas of governance using space technology apps & called for seeking ideas from tech-savvy young generation
— NarendraModi(@narendramodi) September 7, 2015
Space science has a vital role in achieving good governance. Our space programme must benefit the common citizens. http://t.co/4jsav0Y5LO
— NarendraModi(@narendramodi) September 7, 2015