Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘સિલેકટેડ સ્પીચીઝ ઓફ પ્રેસિડેન્ટ’ (ખંડ 4) પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાન મંત્રીશ્રીનુ પ્રવચન

‘સિલેકટેડ સ્પીચીઝ ઓફ પ્રેસિડેન્ટ’ (ખંડ 4) પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાન મંત્રીશ્રીનુ પ્રવચન

‘સિલેકટેડ સ્પીચીઝ ઓફ પ્રેસિડેન્ટ’ (ખંડ 4) પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાન મંત્રીશ્રીનુ પ્રવચન

‘સિલેકટેડ સ્પીચીઝ ઓફ પ્રેસિડેન્ટ’ (ખંડ 4) પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાન મંત્રીશ્રીનુ પ્રવચન


માનનીય રાષ્ટ્રપતિ મહોદય, શ્રીમાન પ્રણવ મુખર્જી, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહોદય શ્રીમાન રામનાથ કોવિંદજી, આદરણીય ઉપ રાષ્ટ્રપતિજી, ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભવો,

મિશ્ર ભાવનાઓથી ભરેલી આ ક્ષણ છે. પ્રણવ દાના કાર્યકાળ દરમિયાનનો રાષ્ટ્રપતિ ભવન ખાતેનો આ અંતિમ દિવસ છે. એક રીતે કહું તો હું આ સમારંભમાં વાત કરી રહ્યો છું, ત્યારે ઘણી બધી સ્મૃતિઓ તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. તેમનુ વ્યક્તિત્વ, તેમની કામગીરીથી આપણે સારી રીતે પરિચિત છીએ, પરંતુ મનુષ્યનો એક સ્વાભાવિક સ્વભાવ હોય છે, અને તે સહજ પણ છે કે પોતાના ભૂતકાળ સાથે વર્તમાનનું આકલન કરવાના મોહથી બચી શકતો નથી. દરેક ઘટનાને, દરેક નિર્ણયને, દરેક પહેલને તે પોતાના જીવનના કાર્યકાળ સાથે સરખાવવાનું ખૂબ જ સ્વાભાવિક હોય છે. મારા ત્રણ વર્ષના અનુભવમાં મને મોટુ અચરજ એ હતુ કે આટલા વર્ષ સુધી સરકારોમાં રહ્યા, સરકારના નિર્ણાયક પદો ઉપર રહ્યા, પરંતુ વર્તમાન સરકારના કોઈ નિર્ણયને તેમણે પોતાના એ ભૂતકાળના ત્રાજવા થકી તોળ્યો નથી કે તેનું તે સ્વરૂપે મૂલ્યાંકન પણ નથી કર્યું. દરેક બાબતનું તેમણે વર્તમાનના સંદર્ભમાં જ મૂલ્યાંકન કર્યું છે. મારી એવી સમજ છે કે આ તેમની એક ખૂબ જ મોટી ઓળખ છે.

સરકાર ઘણી પહેલ કરતી હોય છે અને મારૂં એ નસીબ રહ્યું છે કે મને દરેક પળે તેમને મળવાની તક મળતી હતી, ખૂલીને વાત કરવાનો મોકો મળતો હતો અને ખૂબ જ ધ્યાનથી તે દરેક બાબત સાંભળતા પણ હતા. જો કોઈ જગાએ માર્ગદર્શનની જરૂર હોય તો માર્ગદર્શન આપતા હતા અને મહદ્દઅંશે પ્રોત્સાહન પણ આપતા હતા. એટલે કે એક વડીલની ભૂમિકામાં તે એક પિતા સમાન વ્યક્તિના રૂપમાં રાષ્ટ્રપતિની ભૂમિકા શું હોય છે તે બાબતને કાયદા કાનૂનથી ઘણા ઉંચા ઉઠીને પોતાપણા સાથે, પ્રેમથી અને પૂરા રાષ્ટ્રજીવનના પરિવારના મોભી તરીકે જે રીતે તેમનું માર્ગદર્શન મળતુ હતું, તે મારા જેવી નવી વ્યક્તિને કે જેને આ પ્રકારનો કોઈ અનુભવ ન હતો. હું એક રાજ્યમાંથી કામ કરીને આવ્યો હોવાથી એમને કારણે જ મને ઘણી બાબતો સમજવામાં અને નિર્ણય કરવામાં તેમની ઘણી મદદ મળી હતી. તેમજ તેમના કારણે જ છેલ્લા ત્રણ વર્ષમાં અમે ઘણાં મહત્વનાં કામ કરી શક્યા હતા.

જ્ઞાનના ભંડાર, સરળતા અને સહજતા આ બધી તેમની એવી બાબતો છે કે જે કોઈ પણ વ્યક્તિને આકર્ષિત કરી શકે છે. જો કે અમારા બંનનો ઉછેર અલગ વિચારધારામાં થયો હતો. અલગ અલગ કાર્ય સંસ્કૃતિમાં થયો હતો. અનુભવ બાબતે પણ મારી અને એમની વચ્ચે ઘણું અંતર છે, પરંતુ તેમણે મને આવું ક્યારેય વર્તાવા દીધુ નથી. તે એક વાત કહેતા હતા કે ભાઈ, જયારે હું રાષ્ટ્રપતિ બન્યો ત્યારે બન્યો અને આજે રાષ્ટ્રપતિ છું પરંતુ લોક તંત્ર કહે છે કે દેશની જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે. મારૂં કામ છે એ છે કે તમે આ કામને સારી રીતે જવાબદારી પૂર્ણ રીતે નિભાવો. રાષ્ટ્રપતિ પદ, રાષ્ટ્રપતિ ભવન એને સ્વયં પ્રણવ મુખર્જી તેના માટે જે કાંઈ કરી શકશે તે કરશે. આ બાબત ખૂબ મોટુ ઉદાહરણ હતુ, એક ખૂબ મોટુ ઉદાહરણ હતુ અને તેના માટે હું રાષ્ટ્રપતિજીનો હૃદયપૂર્વક ખૂબ જ આભાર માનું છું. મને વિશ્વાસ છે કે તેમણે આટલી મોટી જવાબદારીની વચ્ચે મારા ઘડતરમાં જે ભૂમિકા નિભાવી છે તે મને આગળના જીવનમાં ખૂબ જ ઉપયોગી થવાની છે. એમની દરેક વાત મારા જીવનમાં એક પથ પ્રદર્શકના રૂપમાં રહેશે એવુ મને લાગે છે, હું એવો અનુભવ કરૂ છું. જેમણે જેમણે પણ તેમની સાથે કામ કર્યું છે તે તમામને આ સૌભાગ્ય હાંસલ થયું હશે, પરંતુ મારા માટે આ બાબત ખૂબ જ મોટી મૂડી છે. આ મૂડી મારા માટે ખૂબ મોટી વ્યક્તિગત પૂંજી છે અને તેના માટે પણ હું તેમનો ખૂબ જ આભારી છું.

આજે અહિયાં ઘણાં અહેવાલો વગેરે સુપરત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવનને લોકભવન બનાવવું એ એટલા કારણે શક્ય બન્યું કે પ્રણવ દા ધરતી સાથે જોડાયેલા અને જનતાની વચ્ચે ઉભરેલા અને તેમની વચ્ચે જ રહીને પોતાની રાજનીતિક યાત્રા કરવાને કારણે લોકશક્તિ શું હોય છે, લોકભાવનાઓ શું હોય છે વગેરે તેમણે પુસ્તકોમાં ભણવાની જરૂર ન હતી. તે અનુભવ પણ કરતા હતા અને તેને લાગુ કરવાનો પણ પ્રયાસ કરતા હતા. એના કારણે જ તેમણે ભારતના રાષ્ટ્રપતિ ભવનને લોકભવન બનાવી દીધુ હતું. જનતા જનાર્દન માટે એક પ્રકારે તેમણે દ્વાર ખોલી દીધા હતા.

પોતે ઈતિહાસના વિદ્યાર્થી હતા અને મેં જોયું છે કે ઈતિહાસની તમામ ઘટનાઓ તેમની આંગલીના વેઢે રહેતી. ક્યારેક કોઈ વિષય નિકળે તો તે તારીખ સાથે વિગત આપતા હતા, પરંતુ તે જ્ઞાનને, ઈતિહાસના એ મહાત્મ્યને કઈ રીતે આગળ લઈ જવું તે જણાવતા હતા. આજે રાષ્ટ્રપતિ ભવનમાં જે રીતે ઓમિતાજી હમણાં પૂરો અહેવાલ આપી રહ્યા હતા તે ઈતિહાસ માટેનો મોટો અમૂલ્ય ખજાનો તેમના કાર્યકાળમાં તૈયાર થયો છે. હું કહી શકું તેમ છું કે અહીંના વૃક્ષો હોય, પંખી હોય, પત્થર હોય, દરેકનો અહીં કોઈને કોઈ ઈતિહાસ છે. તે દરેકની કોઈને કોઈ વિશેષતા છે અને આ બધું પુસ્તકોમાં ઉપલબ્ધ થઈ ચૂક્યું છે.

આવુ અહીં ઘણું કામ થઈ ચૂક્યું છે અને હું તેના માટે તેમને અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું વધુ એકવાર પ્રણવ દાના દીર્ઘ આયુષ્ય માટે શુભેચ્છા પાઠવું છું અને તેમનો આટલો દીર્ધ અનુભવ, દીર્ઘ કાળજી, તેમની નવી ઈનીંગમાં પણ મારા જેવા લોકોનો વ્યક્તિગત રૂપે અને દેશને સ્વાભાવિક રૂપે હંમેશા આવી રીતે લાભદાયી બની રહેશે એવો મને વિશ્વાસ છે.

વધુ એક વખત હું ખૂબ ખૂબ શુભકામનાઓ માટે આપ સૌને ધન્યવાદ પાઠવું છું.

AP/J.Khunt