પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી: ભારતને બીજા કોઈ જેવું બનવાની જરૂર નથી. ભારત માત્ર ભારત જ બનવું જોઈએ. આ એક એવો દેશ છે જેને એક સમયે ‘સોનેરી પક્ષી’ કહેવામાં આવતો હતો. આપણે પહેલા જ્યાં હતા ત્યાંથી નીચે પડી ગયા છીએ. પરંતુ હવે આપણી પાસે ફરીથી ઉપર ઉઠવાની તક છે. જો તમે છેલ્લી પાંચથી દસ સદીઓની વિગતો જોશો, તો તમને દેખાશે કે ભારત અને ચીન એક સમાન ગતિએ જ વિકાસ પામ્યા છે. વૈશ્વિક જીડીપીમાં તેમનું યોગદાન સમાંતર રીતે વધ્યું છે અને સમાંતર રીતે ઘટ્યું છે. આજનો યુગ ફરી એકવાર એશિયાનો છે. ભારત અને ચીન બંને સાથે મળીને ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એટલા માટે ભારતે ભારત જ રહેવાની જરૂર છે.
પ્રધાનમંત્રી: મારું સંપૂર્ણપણે માનવું છે કે ભારતીયોમાં અમર્યાદિત પ્રતિભા છે. મને આપણી ક્ષમતાઓ પર કોઈ શંકા નથી. મને આપણા 1.25 અબજ લોકોના ઉદ્યોગસાહસિક સ્વભાવ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. લોકોમાં ક્ષમતા ઘણી છે. અને તેને સંચાલિત કરવા માટે મારી પાસે એક સ્પષ્ટ માર્ગ નકશો છે.
પ્રધાનમંત્રી: ભારત અન્યો કરતા અલગ છે. તે 1.25 અબજ લોકોનો દેશ છે. જો આપણે દરેક નાની-નાની વાતની ચિંતા કરવા લાગી જઈએ તો આપણે આપણો દેશ ચલાવી નહિ શકીએ. આ સાથે જ, આપણે સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન પણ ના કરી શકીએ. એટલા માટે જ ભારત કહે છે કે આપણે હવે એક અલગ યુગમાં છીએ. આપણે અઢારમી સદીમાં નથી જીવી રહ્યા. ચીન પણ પ્રાચીન સાંસ્કૃતિક વારસો ધરાવતો એક દેશ છે. જરા જુઓ કે તેણે આર્થિક વિકાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ભાગ્યે જ એવા દેશની નિશાની છે જે અલગ થવા માંગે છે. તે જોડાયેલ રહેવા માંગે છે. એટલા માટે આપણે ચીનની સમજણ શક્તિ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને એ બાબત ઉપર પણ વિશ્વાસ રાખવો જોઈએ કે તે વૈશ્વિક કાયદાઓને સ્વીકારશે અને આગળ વધવા માટે તેમજ સહકાર સાધવા માટે પોતાની ભૂમિકા નિભાવશે.
પ્રધાનમંત્રી: જો ચીન એક ઉદાહરણ છે, તો લોકશાહી દેશો બીજું ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ પણ ઝડપથી વિકાસ પામ્યા છે. તમે એવું ના કહી શકો કે લોકશાહીના કારણે વિકાસ શક્ય નથી. લોકશાહી એ આપણી પ્રતિબદ્ધતા છે. તે આપણો મહાન વારસો છે, એક એવો વારસો કે જેની સાથે આપણે ક્યારેય સમાધાન ના કરી શકીએ. લોકશાહી આપણા લોહીમાં છે.
પ્રધાનમંત્રી: જુઓ, મેં લોકશાહીની તાકાત જોયેલી છે. જો લોકશાહી ન હોત તો મારા જેવો કોઈ વ્યક્તિ, મોદી, ગરીબ પરિવારમાં જન્મેલો એક બાળક અહીં કેવી રીતે બેઠો હોત? આ જ લોકશાહીની તાકાત છે.
પ્રધાનમંત્રી: મારી પાસે એક જ શબ્દનો જવાબ છે: હા. અને હું ખૂબ જ આત્મવિશ્વાસ સાથે “હા” કહું છું. જુઓ હું તમને સમજાવું. ભારત અને અમેરિકા વચ્ચે ઘણી સામ્યતાઓ છે. જો તમે છેલ્લી કેટલીક સદીઓ પર નજર કરો તો બે બાબતો ધ્યાનમાં આવે છે. અમેરિકાએ દુનિયાભરના લોકોનો સ્વીકાર કર્યો છે… અને દુનિયાના દરેક ભાગમાં એક ભારતીય પણ છે. આ બંને સમાજની લાક્ષણિકતા દર્શાવે છે. ભારતીયો અને અમેરિકનો તેમના કુદરતી સ્વભાવમાં સહઅસ્તિત્વ ધરાવે છે. હવે, હા, ચોક્કસ, છેલ્લી સદીમાં આપણા સંબંધોમાં કેટલાક ઉતાર-ચઢાવ જરૂરથી આવ્યા છે. પરંતુ 20મી સદીના અંતથી લઈને 21મી સદીના પ્રથમ દાયકા સુધી એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આપણા પારસ્પરિક સંબંધો ગાઢ થયા છે. ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઈતિહાસ અને સંસ્કૃતિ દ્વારા એકબીજા સાથે જોડાયા છે. આ સંબંધો વધુ ગાઢ બનશે.
પ્રધાનમંત્રી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને માત્ર દિલ્હી અને વોશિંગ્ટનની સીમા રેખાની અંદર જ ન જોવા જોઈએ. તે ઘણો મોટો વ્યાપ ધરાવે છે. સારી વાત એ છે કે દિલ્હી અને વોશિંગ્ટન બંનેનો મિજાજ આ સમજણ સાથે સુસંગત છે. બંને પક્ષોએ આમાં ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રી: સૌથી પહેલા તો ત્યાં જે કંઈ પણ થયું, વિમાન અકસ્માતમાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. તે ખૂબ જ દુઃખદ છે. આ યુગમાં માનવતા માટે આ સારી બાબતો નથી. અમે હંમેશા આ વિચારો વ્યક્ત કર્યા છે. ભારતમાં એક કહેવત છે કે જે વ્યક્તિએ કોઈપણ પાપ ના કર્યું હોય તે વ્યક્તિ પહેલો પથ્થર ફેંકે. વર્તમાન સમયમાં વિશ્વમાં ઘણા બધા લોકો સલાહ આપવા માંગે છે. પરંતુ તેમની અંદર જુઓ, અને તેમણે પણ કોઈક રીતે પાપ કર્યું છે. આખરે, ભારતનો દૃષ્ટિકોણ એ છે કે સાથે બેસીને વાતચીત કરવા અને ચાલુ પ્રક્રિયામાં સમસ્યાઓ ઉકેલવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રી: જુઓ, અમારે રાજકીય પંડિતોએ આ સમસ્યાનું મૂળ કારણ શોધવાની ગાંઠોમાં પોતાની જાતને ગૂંચવી નાખવી ના જોઈએ. રાજકીય પંડિતોના નિવેદનોથી ઘણું વધુ નુકસાન થઇ ચૂક્યું છે. મહિલાઓનું સન્માન એ આપણી સામૂહિક જવાબદારી છે. આ બાબતે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. આ બાબતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ ધોવાણ ન થવું જોઈએ. આપણે એવી કૌટુંબિક સંસ્કૃતિને પુનર્જીવિત કરવી પડશે જેમાં સ્ત્રીને સન્માન આપવામાં આવે છે અને સમાન ગણવામાં આવે છે, તેના ગૌરવને પ્રોત્સાહન આપવામાં આવે છે. અહીં મુખ્ય વસ્તુ કન્યા કેળવણીની છે. આમ કરવાથી સશક્તિકરણની શક્યતા વધશે. 15 ઓગસ્ટના રોજ, મારી સરકારે એક ચળવળને આગળ ધપાવી: દીકરીને શિક્ષિત કરો, દીકરી બચાવો.
પ્રધાનમંત્રી: આ અંગે મારી સમજણ એ છે કે તેઓ આપણા દેશના મુસ્લિમો સાથે અન્યાય કરી રહ્યા છે. જો કોઈને એવું લાગે છે કે ભારતીય મુસ્લિમો તેમની ધૂન પર નાચશે, તો તેઓ ભ્રમિત છે. ભારતીય મુસ્લિમો ભારત માટે જીવશે. તેઓ ભારત માટે મરશે. તેઓ ભારત માટે કંઈ ખરાબ ઈચ્છશે નહીં.
પ્રધાનમંત્રી: સૌ પ્રથમ, તો આના પર મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક વિશ્લેષણ કરવાનો મને કોઈ અધિકાર નથી … પરંતુ પ્રશ્ન એ છે કે વિશ્વમાં માનવતાનો બચાવ થવો જોઈએ કે નહીં? માનવતામાં માનનારાઓએ એક થવું જોઈએ કે નહીં? આ માનવતા સામેનું એક સંકટ છે, એક દેશ કે એક જાતિ સામેનું સંકટ નથી. તેથી આપણે આને માનવતા અને અમાનવીયતા વચ્ચેની લડાઈ તરીકે જોવું પડશે. બસ બીજું કઈં નહિ.
પ્રધાનમંત્રી: જુઓ સૌથી મોટી વાત એ છે કે દેશની જનતાને વિશ્વાસ છે. એ વિશ્વાસ ક્યારેય તૂટવો ન જોઈએ. જનતાને એ વિશ્વાસ હોવો જોઈએ કે આ તેમણે ચૂંટેલી સરકાર છે અને તે પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા સાથે તેમના કલ્યાણ માટે કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. એ સૌથી મોટી વાત છે. જો હું મારા ભાષણોથી નહીં, પરંતુ કાર્યોથી ભારતના લોકોનો વિશ્વાસ જીતી શકું, તો 1.25 અબજ ભારતીયોની શક્તિ દેશને આગળ લઈ જવા માટે એકસાથે આવશે.
પ્રધાનમંત્રી: જુઓ, હું “કામ ના કરવાવાળા” પ્રકારનો માણસ નથી. મને મારા કામમાંથી આનંદ મળે છે. કામ મને આરામ પણ આપે છે. તે દરેક ક્ષણે જયારે હું કંઈક નવું વિચારું છું: નવી યોજના બનાવું છું, કામ કરવાની નવી રીતો અપનાવું છું. જે રીતે એક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં લાંબા કલાકો સુધી કામ કરીને આનંદ મેળવે છે, તે જ રીતે હું શાસનમાં, નવી વસ્તુઓ કરવામાં અને લોકોને એક સાથે લાવવામાં આનંદનો અનુભવ કરું છું. એ આનંદ મારા માટે પૂરતો છે.
પ્રધાનમંત્રી: હું ભાગ્યશાળી છું કે મારો નાની ઉંમરમાં જ યોગ અને પ્રાણાયામની દુનિયા સાથે પરિચય થયો છે. તે મારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. હું હંમેશા દરેકને સલાહ આપું છું કે તેઓ આને પોતાના જીવનનો એક ભાગ બનાવે.
પ્રધાનમંત્રી: કેટલીકવાર, આપણે જોઈએ છીએ કે આપણું મન એક વસ્તુ પર કામ કરે છે, શરીર બીજી વસ્તુ પર, અને તેના લીધે સમય આપણને સંઘર્ષમાં લાવે છે. યોગ હૃદય, મન અને શરીરનો સુમેળ સાધે છે. તે યોગ છે.