Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હરિયાણાનાં કુરૂક્ષેત્રમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના શિલાન્સાય પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

હરિયાણાનાં કુરૂક્ષેત્રમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના શિલાન્સાય પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

હરિયાણાનાં કુરૂક્ષેત્રમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના શિલાન્સાય પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

હરિયાણાનાં કુરૂક્ષેત્રમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના શિલાન્સાય પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


મંચ પર બિરાજમાન હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન મનોહરલાલજી, મંત્રીમંડળના મારા સહયોગી સુશ્રી ઉમા ભારતીજી, હરિયાણા સરકારમાં મંત્રી બહેન કવિતા જૈનજી, ધારાસભ્ય બરાલાજી, રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષા રેખા શર્માજી, મંચ પર ઉપસ્થિત તમામ અન્ય મહાનુભવો, દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં અહિં પધારેલા સ્વચ્છાગ્રહી ભાઈઓ અને બહેનો.

જ્ઞાન, ધર્મ અને કર્મની ભૂમિ કે જેને સભ્યતાના પારણા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંથી ભગવાન કૃષ્ણએ માનવતાને જીવનનો માર્ગ દેખાડયો. સત્ય અને ન્યાયનો માર્ગ જે ધરતી પરથી પ્રચલિત થયો, એવી પવિત્ર ધરતી પર દેશના ખૂણે-ખૂણેથી આવેલા આપ સૌનું હું હૃદયપૂર્વક અભિવાદન કરૂં છું. કુરૂક્ષેત્રના આ એ ધરતી છે કે જ્યાં હજારો વર્ષ પહેલાં આ ધરતી પરથી સ્વચ્છતા માટેનું એક અભિયાન શરૂ થયું હતું. શ્રી કૃષ્ણના નેતૃત્વમાં થયું હતુ અને અનૈતિકતાને સાફ કરવાનું કામ શરૂ થયું હતું. આજે યુગ બદલાઈ ગયો છે અને આપણે રોજબરોજની જીંદગીમાં સફાઈ માટે લડાઈ લડી રહ્યા છીએ. દુનિયામાં કદાચ ગીતાનો સંદેશ પોતે સ્વયં એક અજાયબી છે કે યુદ્ધની ભૂમિમાં જ્યાં જીવન મરણનો ખેલ ખેલવામાં આવે છે ત્યાં નૈતિકતા અને અનૈતિકતાની વચ્ચે ભીષણ સંગ્રામ થયો હતો. એ ધરતી પર અને એ વાતાવરણમાં હજારો વર્ષ સુધી જીવિત રહેલો એક સંદેશ આ ભૂમિ પરથી પ્રગટ થયો હતો. શ્રી કૃષ્ણના મુખેથી બોલાયો હતો, જેને આપણે આજે ગીતાના નામથી ઓળખીએ છીએ. કદાચ યુદ્ધની ભૂમિ પર માનવતાનો આટલો મોટો સંદેશો ભાગ્યે જ નિકળી શકતો હોય છે અને આ દેશની એ વિશેષતા છે કે હજારો સ્વચ્છાગ્રહીઓ સ્વચ્છ શક્તિના આ વિસ્તરણ માટે અને દેશમાં નવા સંસ્કારનો જીવતો જાગતો પૂરાવો બની રહ્યા છે.

સમગ્ર દેશમાંથી આવેલા આપ સૌને કુરૂક્ષેત્રના આ પ્રેરણા સ્થળ પર એકત્ર થઈને સ્વચ્છ ભારતનો લેવાયેલો સંકલ્પ નૂતન ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી રહ્યો છે. મને એવુ કહેવામાં આવ્યું છે કે, સમગ્ર દેશના અનેક કેન્દ્રોમાંથી ટેકનોલોજીના માધ્યમથી બહેનો આ કાર્યક્રમ સાથે જોડાઈ છે. તેની સાથે-સાથે હરિયાણામાં પણ 5 સ્થળોએ સમાંતરપણે ખૂબ મોટા કાર્યક્રમો ચાલી રહ્યા છે અને આવી જ જનમેદની એ સ્થળોએ પણ છે, પછી ભલેને તે ફરીદાબાદ હોય, પાણીપત હોય, કર્નાલ હોય, પંચકુલા હોય. માત્ર દેશના જ નહીં, વિદેશમાંથી પણ લોકો આ સમારંભમાં આવ્યા છે. મને અહિંથી નાઈજીરિયાનું એક પ્રતિનિધિમંડળ દેખાઈ રહ્યું છે. મને એવું કહેવામાં આવ્યું છે કે તમે અહિં અભ્યાસ પ્રવાસના હેતુથી આવ્યા છો અને ગયા સપ્તાહથી તમે શીખી રહ્યા છો કે સ્વચ્છ ભારતનું અભિયાન કેવી રીતે સિદ્ધ થયું. આવી નાટ્યત્મક સફળતા, આટલી ઝડપથી કેવી રીતે હાંસલ થઈ અને તેનું નાઈજીરિયામાં પુનરાવર્તન કઈ રીતે કરી શકાય તે તમે શીખી રહ્યા છે. હું નમ્ર પણે આપને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.

હું હમણાં અહિં મનોહરલાલજીને સાંભળી રહ્યો હતો. તેમણે જે આંકડા બતાવ્યા અને જે જાણકારીઓ આપી તેનાથી હું સાચા અર્થમાં અભિભૂત થઈ ગયો છું. અગાઉ ઘણી સરકારો આવી અને ગઈ, પરંતુ નારીશક્તિ માટે હરિયાણામાં જે પ્રમાણમાં કામ કરવામાં આવ્યું છે અને તેમાં સફળતા મળી છે તેની વિગત તેમણે આંકડા સાથે આપી હતી. હું મનોહરલાલજીને અને તેમની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને તમે પણ તાળીઓથી હરિયાણા સરકારને અભિનંદન આપો તેવું ઈચ્છુ છું.

સાથીઓ, એ બાબત જાણીતી છે કે આજે સ્વચ્છ ભારત અભિયાનનું અનુકરણ દુનિયાના અન્ય દેશોમાં પણ કરવામાં આવી રહ્યું છે. તે તમારા સંકલ્પ અને સમર્પણની શક્તિ છે. તમારામાંથી જે બહેનોને આ અભિયાન માટે આજે સ્વચ્છ શક્તિ પુરસ્કાર મળ્યો છે તેના માટે આપ સૌને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને તમારા એ ગ્રામવાસીઓને પણ અભિનંદન પાઠવું છું કે જેમણે તમારા નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને, તમારી સાથે ખભેથી ખભા મિલાવીને તે ગામને આટલું ઊંચુ સ્થાન અપાવ્યું છે. આથી આ ગામોના તમામ લોકોને પણ હું પ્રણામ કરૂં છું. હજુ થોડીજ વાર પહેલા જ અહિં ગોઠવવામાં આવેલા એક પ્રદર્શનમાં મેં જોયું કે એક મહિનાથી ઓછા સમયમાં સવા કરોડથી વધુ શૌચાલય પર પેઈન્ટીંગ કરવા તે એક ઘણી મોટી સિદ્ધિ છે. આજ કાલ તો કોઈ જિલ્લામાં જો સૌંદર્ય સ્પર્ધા થાય તો મહિનાઓ સુધી તેના સમાચારો અખબારોમાં છવાયેલા રહે છે અને તસવીરો છપાતી રહે છે. અને આ સ્પર્ધા પાછળ એક મૂળભૂત હેતુ એ હતો કે ગામમાં આવતાંની સાથે જ દરેક ઘરની પાસે તમને નાની-નાની રંગબેરંગી જગાઓ જોવા મળશે, આથી આવનાર દરેક વ્યક્તિને એ જાણવાનું મન થશે કે આ શું છે. ત્યાર પછી તેને ખબર પડશે કે આ આપણું ઈજ્જતઘર છે, આ આપણું શૌચાલય છે. સૌને એવું લાગશે કે આ નગરમાં પરિવર્તન આવ્યું છે.

તમને એ જાણીને અચરજ થશે કે યુરોપમાં એક એવું સ્થળ છે કે જ્યાં પ્રવાસન પ્રવૃત્તિ ખૂબ ચાલી છે. ઘણાં મુસાફરો આવે છે, કારણ શું છે એવું પૂછીએ તો ત્યાંના લોકો પોતાના ઘરની બહાર જે ભાગ હોય તેની આગળની દિવાલ પર જ્યાં દરવાજો લાગેલો હોય છે તે જગ્યાને સારી રીતે રંગી લે છે. હવે આ લોકોએ જે કર્યું તેમાં જેને જે રંગ લગાવવાની ઈચ્છા થઈ તેનો ઉપયોગ કર્યો, પરંતુ ધીરે ધીરે આ સ્થળ એક પ્રચારનું કારણ બની ગયું અને ત્યાર પછી દરેક વ્યક્તિ પણ દર વર્ષે પોતાના ઘરને રંગરોગાન કરીને ખૂબ જ સુંદર બનાવે છે. તમને જાણીને અચરજ થશે કે તે એક જ કારણથી એ નગરની રચનાને જોવા માટે હજારો પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં આવે છે. કદાચ ભારતમાં પણ કોઈ ગામ એવુ નિકલી આવશે કે જ્યાં શૌચાલય આટલા શાનદાર હશે અને તેની ઉપર શાનદાર રીતે રંગરોગાન કરેલું હશે, તેના પર ચિત્રકામ પણ એટલું શાનદાર કર્યું હશે કે જેનાથી પ્રવાસીઓ શૌચાલય જોવા માટે મજબૂર બને એવો પણ એક દિવસ આવી શકે છે.

સાથીઓ, આજના દિવસે હરિયાણાની આ ધરતીનો હું એટલા માટે વિશેષ આભાર માનવા આવ્યો છું કે અહિંયાથી આપણે જે કોઈ પણ મોટા લક્ષ્ય નક્કી કર્યા તે તમામ લક્ષ્ય આપણે સિદ્ધ કરી શક્યા છીએ. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર બનાવ્યો હતો ત્યારે પણ મેં આ હરિયાણાથી જ દેશવાસીઓના આશીર્વાદ લેવાથી શરૂઆત કરી હતી. એ સમયે મેં હરિયાણાના યુવાનોના આશીર્વાદ લીધા હતા. આજે પણ હું સમગ્ર દેશની માતાઓના આશીર્વાદ લઈ રહ્યો છું, અને તે પણ આ કુરૂક્ષેત્રની ધરતી પરથી લઈ રહ્યો છું કે જ્યાંથી કૃષ્ણ ભગવાને પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો ત્યાંથી હું તમારા આશીર્વાદ લઈ રહયો છું.

સાથીઓ,

હરિયાણાએ મને જે પ્રેમ આપ્યો છે, તે તેને હું વ્યાજ સહિત પરત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. વિતેલાં સાડા ચાર વર્ષમાં મનોહર લાલની આગેવાની હેઠળ ચાલી રહેલી આ સરકારની સાથે મળીને દરેક હરિયાણવીના જીવનને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો આવ્યો છે. થોડી વાર પહેલાં આ ઘટનાચક્રનું વિસ્તરણ કરતાં સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલી હજારો કરોડ રૂપીયાની યોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ઝજ્જરનું નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ હોય કે પછી કુરૂક્ષેત્રની આયુષ યુનિવર્સિટી હોય કે પછી કરનાલની હેલ્થ સાયન્સ યુનિવર્સિટી હોય, કે પછી પંચકૂલાની નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી હોય, ઈએસઆઈસી મેડિકલ કોલેજ હોય કે પછી હૉસ્પિટલ હોય. આ તમામ યોજનાઓ હરિયાણાના નિવાસીઓના જીવનને સ્વસ્થ અને સુગમ બનાવવાની યોજનાઓ છે. સાથે સાથે આ યોજનાઓથી હરિયાણાના યુવાનોને રોજગારીની નવી તકો પણ આ યોજનાઓને કારણે પ્રાપ્ત થવાની છે. આ ઉપરાંત આજે અહિં પાણીપતના યુદ્ધ સાથે સંકળાયેલા સંગ્રહાલયનો પણ શિલાન્યાસ કરવામાં આવી છે. આ યુદ્ધ આપણને દેશની રક્ષા અને સુરક્ષા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાઠ ભણાવે છે.

હવે હું મનોહરલાલજીને એ બાબત અંગે અભિનંદન આપીશ કે પાણીપતના યુદ્ધની તેમણે જે કલ્પના કરી છે, તે એક પ્રકારે સદીઓ પહેલા એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સમગ્ર દેશે એક બીજા સાથે ખભાથી ખભો મિલાવીને જે લડાઈ લડી હતી તેનો તે જીવતો જાગતો પૂરાવો છે. કોઈ પણ માનવ જાત પોતાના ઇતિહાસનાં મૂળથી કપાઈને ક્યારેય ઇતિહાસ રચી શકતી નથી. ઇતિહાસ એ જ બનાવી શકે છે કે જે ઇતિહાસનાં મૂળમાંથી રસ લઈને ફૂલે ફાલે છે. કેટલાક લોકોએ એવુ વિચાર્યું હશે કે હિન્દુસ્તાનનો ઇતિહાસ 1947થી શરૂ થાય છે અને એક પરિવારથી જ શરૂ થાય છે. અને તે પરિવારે જ દેશના ઇતિહાસનાં મૂળ કાપવાનું કામ કર્યું છે.

મને એ બાબતનો આનંદ છે કે હરિયાણાની આ ધરતી પર ઇતિહાસને આધુનિક ટેકનોલોજી મારફતે જીવિત કરવાનો અને આવનાર પેઢીઓને ઇતિહાસથી પરિચિત કરવાનો તથા તે અંગે જાણકારી આપવાના એક ઉત્તમ કાર્યનો આજે અહિંથી પ્રારંભ થવાનો છે. આ તમામ યોજનાઓ માટે હું હરિયાણાનો લોકોને ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવુ છું.

સાથીયો, હરિયાણા દેશની એ પરંપરાને સશક્ત બનાવવામાં જોડાયું છે કે જેના મૂળમાં નારી શક્તિ પડેલી છે. અહિંની ધરતીએ અનેક એવી બેટીઓને જન્મ આપ્યો છે કે જે મણે આધુનિક ભારતના નિર્માણમાં પોતાનુ યોગદાન આપ્યું છે અને નૂતન ભારતના અભિગમને સશક્ત બનાવી રહી છે.

અહિંની દિકરી કલ્પના ચાવલાએ એ બતાવી આપ્યું કે ભારતની દિકરીઓ માટે આસમાનની ઊંચાઈઓ પણ ઓછી પડી શકે તેમ છે. આજે ભારત જ્યારે ખેલકૂદના મેદાનમાં દુનિયાની એક મોટી શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમાં હરિયાણાની દિકરીઓ આગેવાની લઈ રહી છે.

સાથીઓ, મને એવું કહેવામાં આવ્યું છે કે તમારામાંથી અનેક બહેનો, અહિંથી કલ્પના ચાવલા પ્લેનટોરિયમ ગઈ હતી. તમે અહિં મહિલા ચોકી પણ જોઈ, તે સિવાય કચરામાંથી સંપત્તિ એટલે કે કચરામાંથી કંચન બનાવવાની નવી તકનિક, આ ઉપરાંત ખેતી સાથે જોડાયેલી નવી નવી તકનિક એવા અનેક પ્રોયોગો હરિયાણામાં થઈ રહ્યા છે. તે બાબતે મેં પણ જાણકારી મેળવી છે. જે રીતે આ કાર્યક્રમનું અગાઉ દિલ્હીમાં આયોજન કરવામાં આવતુ હતું તે રીતે અમે હવે આ કાર્યક્રમ દિલ્હીની બહાર પણ યોજી એછીએ. લોકો અહિં આવીને હરિયાણાની ચીજોને જોઈ શકશે અને તેવુ પોતાને ત્યાં લાગુ કરવા પ્રયાસ પણ કરશે. આ રીતે આ પ્રયાસથી એક તાલિમ પ્રકારનુ કામ પણ આજે અહિં થઈ રહ્યું છે.

સાથીઓ, મારૂં એવું સ્પષ્ટ અનુમાન રહ્યું છે કે જો દિકરીઓ સશક્ત હશે તો સમાજ પણ સશક્ત થશે અને આ જ કારણથી વિતેલા સાડા ચાર વર્ષ દરમ્યાન જેટલી પણ મોટી યોજનાઓ અથવા તો કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા તેમાં મહિલા સશક્તિકરણનું પણ એક મોટું ધ્યેય રહેલું છે. અમારી સરકારનો પ્રયાસ મહિલાઓના જીવનમાં દરેક મુકામે તેમને સાથ આપવાનો રહ્યો છે. બેટી બચાવો, બેટી પઢાવો યોજનાથી દિકરીઓની વસતિમાં વધારો થયો છે. ઉજ્જવલા યોજનાથી બહેનોને ધૂમાડાથી મુક્તિ મળી છે. રાષ્ટ્રીય પોષણ અભિયાન અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એ પ્રસૂતા માતાઓના જીવન પર આવનારા જોખમ ઓછા કરે છે. દિકરીઓ પર બળાત્કાર જેવા અત્યાચાર કરનારા લોકોને ફાંસી સુધીની સજાની જોગવાઈ પ્રથમ વખત અમારી સરકારે કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મકાનો આપવામાં આવી રહ્યા છે તેમાં પણ તે ઘર મહિલાઓના નામે નોંધવામાં આવે છે. મહિલાઓના નામે જ ઘર મળે તે બાબતને અગ્રતા આપવામાં આવી રહી છે. નહીંતર આપણી સમાજ રચના એવી છે કે પરિવારમાં જમીન હોય તો તે પતિના નામ ઉપર, ગાડી હોય તો તે પણ પતિના નામ ઉપર, બંગલા, દુકાન, ઘર કોઈપણ હોય તો તે પતિના નામે હોય છે અને જ્યારે પતિ ન હોય ત્યારે આ બધું દિકરાઓના નામ પર કરવામાં આવે છે. મહિલાઓના નામ પર કશું જ હોતું નથી. આ પરિસ્થિતિ બદલવા માટે અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમામ ઘર મહિલાઓના નામે આપવાનો નિર્ણય કર્યો છે.

સાથીઓ, પ્રથમ વખત દિકરીઓને રસોડાના આસપાસના વાતાવરણથી બહાર નિકળીને કશુંક પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. દેશમાં પ્રથમ વખત દિકરીઓ ફાઈટર પાયલોટ બની છે અને હવે તો મિલિટ્રી પોલિસમાં પણ દિકરીઓની ભરતી કરવામાં આવી રહી છે. નોકરી કરતી મહિલાઓ પોતાના નવજાત બાળકનું સારી રીતે લાલન-પાલન કરી શકે તે માટે તેમને પૂરતો સમય મળી રહે તે હેતુથી માતૃત્વની રજાઓ 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહની કરવામાં આવી છે. આવી જ રીતે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં અપાયેલા રૂ. 15 કરોડના ધિરાણમાંથી લગભગ 11 કરોડ એટલે કે આશરે 75 ટકા ધિરાણ મહિલા ઉદ્યોગકારોને આપવામાં આવ્યું છે. દિન દયાળ અંત્યોદય યોજના હેઠળ લગભગ 6 કરોડ મહિલાઓ સ્વ- સહાય જૂથો સાથે જોડાયેલી છે. આવા સેલ્ફ હેલ્પ ગ્રુપને 75 હજાર કરોડથી વધુનું ધિરાણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ રકમ વર્ષ 2014ની પહેલાના 4 વર્ષમાં આપવામાં આવેલા ધિરાણોથી અઢી ગણી વધારે છે.

સાથીઓ, આ વર્ષના બજેટમાં મહિલાઓ સાથે જોડાયેલી યોજનાઓ પછી તે આંગણવાડી હોય કે આશા વર્કર હોય કે પછી રાષ્ટ્રીય પોષણ મિશન હોય કે બાળકો સાથે જોડાયેલી યોજનાઓ હોય, તેની તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તે તમે બજેટમાં જોયું હશે.

સાથીઓ, સ્વચ્છ ભારત અભિયાન પર હું આટલો ભાર મૂકી રહ્યો છું તો તેની પાછળ પણ દેશની બહેન દિકરીઓની ગરિમા છે, તેમનું સન્માન છે. વર્ષ 2014માં જ્યારે તમે મને પ્રધાન સેવક તરીકેની જવાબદારી સોંપી હતી તે સમયે સ્થિતિ એવી હતી કે દેશમાં લગભગ 30 કરોડ બહેનોએ શૌચાલય માટે અંધારૂ થાય તેની રાહ જોવી પડતી હતી. અનેક દિકરીઓ એટલા માટે શાળા છોડી દેતી હતી કે કોઈ સ્થળે દિકરીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા ન હતી. આવા સત્યની સાથે હું નાનપણથી જીવી રહ્યો છું, પરંતુ કરોડો બહેનોની પીડાએ મને હલાવી દીધો હતો. અને આ કારણે જ મેં લાલ કિલ્લાપરથી દેશની બહેન દિકરીઓને આ અપમાન અને પીડાથી મુક્તિ અપાવવાનો સંકલ્પ કર્યો હતો. એ સમયે તમે પણ જોયું હશે કે જે લોકો મારી પહેલાં સત્તામાં હતા તેમણે એ સમયે મારી કેવી કેવી મજાક ઉડાવી હતી. ન જાણે મને શું શું કહેવામાં આવ્યું હતું. કેટલીબધી ટીકા કરવામાં આવી હતી…. આ કેવા પ્રધાનમંત્રી છે, લાલ કિલ્લા પરથી શૌચાલયની વાત કરે છે. મારી વિચારધારા અને સમજ અંગે અપમાનજનક ઉલ્લેખો પણ કરવામાં આવ્યા હતા.

સાથીઓ, આવી ટીકા કરનારા લોકો કાંતો એવા લોકો હતા કે જેમને બહેનોની પીડાની કોઈ પરવાહ ન હતી. મને આ પીડા અંગેની જાણકારી હતી અને તેથી જ કરોડો દિકરીઓની પરવાહ પણ હોવાથી અને એટલા માટે જ મને મોંઢામાં ચમચી લઈને જન્મેલા લોકોએ કરેલો કટાક્ષ નડતો નથી. આ લોકો મારૂં અપમાન કરતાં રહ્યા છે, પરંતુ કરોડો બહેન-દિકરીઓને સન્માનની સ્થિતિ ઈજ્જત ઘર કેવી રીતે મળે, ઝડપથી કેવી રીતે મળે તે બાબતે મેં બાળપણથી જ વિચારી લીધું હતું અને આજે હું જીવ અને જાન લગાવીને તેની સાથે જોડાયેલો છું.

સાથીઓ મને એ બાબતનો આનંદ છે કે તમે સૌ લોકોએ, દેશના દરેક સામાન્ય માનવી મારી આ ભાવનાઓને સમજ્યા છે અને પૂરી તાકાતથી મને સહયોગ આપ્યો છે. પરિણામ એ આવ્યું છે કે આઝાદીના 70 વર્ષ પછી સ્વચ્છતાનો આ વ્યાપ લગભગ 40 ટકા હતો તે આજે 98 ટકા સુધી પહોંચી ગયો છે. સાડા ચાર વર્ષમાં 10 કરોડથી વધુ શૌચાલયસ બનાવવામાં આવ્યા છે. 600 જિલ્લાઓના સાડા પાંચ લાખથી વધુ ગામોએ પોતાને ખૂલ્લામાં શૌચથી મુક્ત કરી દીધા છે.

સાથીઓ, સ્વચ્છ ભારત અભિયાનથી બહેન દિકરીઓને અપમાન અને પીડામાંથી મુક્તિ મળી રહી છે. રોજગારીનું પણ એક મોટું માધ્યમ પૂરવાર થઈ ચૂક્યું છે. એક એવો અંદાજ છે કે આ અભિયાનને કારણે અંદાજે 25 લાખ લોકોને રોજગારીની તક મળી છે. આ અભિયાનને કારણે રાણી મિસ્ત્રીઓને તક મળી છે. અમારે ત્યાં પહેલાં એવી પરંપરા હતી કે રાજ મિસ્ત્રી એ સ્વચ્છતાનું અભિયાન છે, જેમણે રાજ મિસ્ત્રીના બદલે રાણી મિસ્ત્રીઓને જન્મ આપ્યો છે અને આ રાણી મિસ્ત્રીને સૌથી વધુ સશક્ત બનાવવામાં આવી છે, કારણ કે તેમને શૌચાલય બનાવવાની તાલિમ આપવામાં આવી છે. તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું ઘર બનાવવામાં પણ તેમનો આ અનુભવ અને જ્ઞાન કામમાં આવ્યું છે. પોતાના કૌશલ્યનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરી રહી છે.

સાથીઓ, તમારા પ્રયાસોના કારણે જ આજે સ્વચ્છ ભારત મિશન એક મહત્વના મુકામ પર છે. હું તમને ફરીથી એ બાબત યાદ અપાવવા માંગુ છું કે આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ આપણે જ્યારે બાપુની 150મી જન્મજયંતિ ઉજવીશું ત્યારે આપણે તેમને સ્વચ્છ ભારત આપવાનું વચન આપ્યું હતું. આ વચન પૂરૂ કરવામાં નારી શક્તિએ નેતૃત્વની બહુ મોટી ભૂમિકા બજાવી છે.

હવે આપણે એ બાબતની ખાતરી કરવાની છે કે જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તેનો ઉપયોગ પણ થાય. સ્વચ્છતાને આપણે ગામડે-ગામડે અને ઘર-ઘરનો સંસ્કાર બનાવવાની છે. તમારામાંથી ઘણી બહેનો પોતાના ગામની સરપંચ છે, પંચાયતની સભ્ય છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી છે અથવા તો આંગણવાડી કે આશા વર્કર છે.

મને તમારા પ્રયાસો, તમારા સંઘર્ષો અંગે પણ જાણકારી આપવામાં આવી છે. મુશ્કેલી પરિસ્થિતિની વચ્ચે તમે કેવી રીતે તમારી અલગ-અલગ જવાબદારીઓ નિભાવતા રહીને ભારતને સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કર્યો તે અંગે પણ મને વાત કરવામાં આવી છે. જે રીતે જમ્મુ- કાશ્મીરમાં અલીના ગામની નસીમા બેગમની વાત કરીએ તો, નસીમા બેગમજીએ ગામડાઓમાં જઈને લોકોના ઘરોમાં શૌચાલય બનાવવા માટે પ્રેરણા આપી હતી. આજે ત્યાંના લોકો એટલા ખુશ છે કે નસીમાજીને ગામના સરપંચ બનાવી દીધા છે. એવી જ રીતે મધ્ય પ્રદેશના સુશ્રી નારાજીએ સોની જિલ્લામાં 21 ગામોને ખૂલ્લામાં શૌચથી મુક્ત કરાવ્યા છે. તમારામાંથી જેટલા પણ લોકો અહિંયા છે, જેટલી પણ બહેનો છે, તેમની આવી જ કથાઓ છે. હું આપ સૌને અભિનંદન આપવાની સાથે સાથે હું એવો આગ્રહ પણ રાખીશ કે તમે આ બધા કામો કેવી રીતે કર્યા તેની એક બીજા સાથે ચર્ચા જરૂર કરો. કયા કયા વિસ્તારોમાં આવા કામો થઈ રહ્યા છે તે જાણવાની કોશિષ કરો. એવું બની શકે છે કે તમારા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવવા માટે કોઈ નવા વિચાર, કોઈ નવા આઈડિયા તમને મળી જાય. આ નવા વિચાર અને નવા અનુભવ તમને વધુ કામમાં આવશે. આ વિચારોને પોતાના ગામમાં લાગુ કરો અને તેના દ્વારા પરિવર્તનને ગતિ મળી શકે છે.

સાથીઓ, સ્વચ્છતાનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે છે. ગરીબ પરિવારોને તેનો વિશેષ લાભ મળી રહ્યો છે. સ્વચ્છતાને કારણે આપણે ડાયેરિયા (ઝાડા) જેવી ઘાતક બિમારીઓથી આપણાં બાળકોને બચાવી શકીએ તેમ છીએ. હજુ હમણાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલેકે WHOના એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાનને કારણે 3 લાખ લોકોના જીવ બચાવવાનું શક્ય બન્યું છે. જો આપણે કોઈની જીંદગી બચાવી શકીએ તો જન્મો જન્મનું પુણ્ય પ્રાપ્ત થતુ હોય છે. તમે લોકોએ તો 3 લાખ લોકોની જીંદગી બચાવી છે. જન્મો જન્મનું પુણ્ય તમારી સાથે જોડાયેલું છે.

સાથીઓ, સ્વાસ્થ્ય ભલે ગરીબનું હોય કે પછી મધ્યમ વર્ગના પરિવારનું હોય. દેશની ઇતિહાસમાં પહેલી વાર સરકારે વ્યાપક સ્તરે પ્રયાસ કર્યો છે. મોટી હોસ્પિટલોનું નેટવર્ક હોય કે પછી આયુષમાન ભારત હેઠળ સમગ્ર દેશના ગામડાંઓમાં દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવાનું અભિયાન હોય કે પછી ગરીબોને મફત ઈલાજ આપવાની દુનિયાની સૌથી મોટી યોજના આયુષમાન ભારત એક સાથે અનેક કામો કરી રહી છે.

સાથીઓ, થોડીકવાર પહેલાં મેં તમને જણાવ્યું હતું કે માત્ર હરિયાણામાં જ નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટ સહિત ઈલાજ અને સ્વાસ્થ્ય શિક્ષણ સાથે જોડાયેલી 5 મોટી સંસ્થાઓનું લોકાર્પણ અથવા તો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. રૂ.2000 કરોડના ખર્ચે બનેલું નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ ખર્ચની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો સરકારી હોસ્પિટલ પ્રોજેક્ટ છે. આ સ્થળે કેન્સર જેવી ગંભીર બિમારીની સારવાર કરવા માટે અત્યંત આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે અહિંયા કુરૂક્ષેત્રમાં શ્રી કૃષ્ણ આયુષ યુનિવર્સિટી અને પંચકુલાની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદની સ્થાપનાથી આયુર્વેદ સાથે જોડાયેલી આપણી પૌરાણિક ઉપચારની પદ્ધતિઓને વધુ વેગ મળશે. અહિં કરનાલની પંડિત દિન દયાળ હેલ્થ સાયન્સ યુનિવર્સિટીમાં આરોગ્ય સાથે જોડાયેલું સંશોધન કરવામાં આવશે. ફરીદાબાદમાં ઈએસઆઈસી મેડીકલ કોલેજ અને હોસ્પિટલ સાથે જોડાયેલા કામ કરનાર આપણાં શ્રમિક ભાઈઓ અને બહેનોને સારવારની ખૂબ મોટી સુવિધા પ્રાપ્ત થવાની છે.

સાથીઓ, કેન્દ્ર સરકારે દેશમાં મોટી હોસ્પિટલોનું નેટવર્ક જે ઝડપથી વિસ્તારી રહી છે તેનો અંદાજ એ બાબત ઉપરથી લાવી શકાય તેમ છે કે આજે દેશમાં 21 એઈમ્સ તો કામ કરી જ રહી છે અથવા તો તેનું નિર્માણ કાર્ય ચાલુ છે. આમાંથી 14 એઈમ્સનું કામ 2014માં અમારા આવ્યા પછી શરૂ થયું છે. મને એ બાબતનો આનંદ છે કે આ યાદીમાં વધુ એક એઈમ્સ જોડાવાનું છે અને તે હરિયાણામાં રેવાડી ખાતે બનશે.

મને કહેવામાં આવ્યું છે કે મલેઠીના જાગૃત લોકોએ આ એઈમ્સ માટે જમીન પણ ઉપલબ્ધ કરી આપી છે. હું તમામ લોકોને સાધુવાદ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે ખૂબ ઝડપથી આ યોજનાનું કામ શરૂ થઈ જશે.

સાથીઓ, સારી અને મોટી હોસ્પિટલોની સાથે-સાથે દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ઘૂંટણ અને હૃદયના ઓપરેશન પણ અનેકગણાં સસ્તા કરી દેવામાં આવ્યા છે. કિડનીના દર્દીઓ માટે જિલ્લાઓની હોસ્પિટલોમાં મફત ડાયાલિસીસની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આયુષમાન ભારત યોજના હેઠળ તો દેશના લગભગ 50 કરોડ પરિવારોને રૂ.5 લાખ સુધીની સારવાર મફતમાં મળી રહી છે. હજુ આ યોજનાને લાગુ થયે 150 દિવસ પણ થયા નથી અને અત્યાર સુધીમાં 11 લાખથી વધુ ગરીબોને આ યોજના હેઠળ સારવાર મળી ચૂકી છે.

સાથીઓ, આજે જ્યારે હું નારી શક્તિની વાત કરી રહ્યો છું ત્યારે દેશમાં કૃષિ ક્ષેત્રની વાત ના કરૂં તેવું બની શકે નહીં. અને હરિયાણામાં ના કરૂં તેવું તો બને જ નહીં. આ તો, જય જવાનનો પણ દેશ છે, જય કિસાનનો પણ પ્રદેશ છે. મહિલાઓના યોગદાન વગર આ ક્ષેત્રની કલ્પના પણ કરી શકાય તેમ નથી. દેશના ખેતી ક્ષેત્રને મજબૂત કરવા માટે આ બજેટમાં સરકારે એક ખૂબ મોટી યોજનાની જાહેરાત કરી છે. આ પીએમ કિસાન યોજના હેઠળ આપણે એવા ખેડૂતો કે જેમની પાસે 5 એકરથી ઓછી જમીન હોય તેમના બેંકના ખાતામાં દર વર્ષે રૂ. 6,000 સીધા જમા કરાવીશું. આ પૈસા રૂ. 2000 હજારના ત્રણ હપ્તામાં જમા થશે અને તેનો પ્રથમ હપ્તો ખૂબ જલ્દીથી મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સાથીઓ, અમારો એવો પ્રયાસ રહ્યો છે કે ગામનો ગરીબ હોય, ગામનો ખેડૂત હોય કે મધ્યમ વર્ગ હોય. તેમનું જીવન સરળ અને સુગમ બની રહે તેવું કામ મોટા પાયાપર અને ઘણી જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે, કારણ કે સાડા ચાર વર્ષ પહેલાં આ તમામ લોકોએ એક મજબૂત સરકાર માટે, પૂર્ણ બહુમતી ધરાવતી સરકાર માટે તમારા મતદાનનો સદ્દઉપયોગ કર્યો હતો અને તેના કારણે જ આ તમામ કામ શક્ય બન્યા છે.

આપણાં દેશમાં ઈમાનદારી ધરાવતું તંત્ર લાવવા માટે તમે મત આપ્યા હતા. તમારા એ વિશ્વાસથી આગળ વધીને વચેટિયાઓ દ્વારા ગરીબોના હક્ક લૂંટાય તેવી તમામ વ્યવસ્થાઓ દૂર કરી દેવામાં આવી છે. આજે દેશના દરેક ઈમાનદાર વ્યક્તિને આ ચોકીદાર પર વિશ્વાસ છે, પરંતુ જે લોકો ભ્રષ્ટ છે તેમને મોદીના કારણે કષ્ટ થઈ રહ્યું છે. તમે અહિં હરિયાણામાં પણ જોઈ રહ્યા છો કે તપાસ એજન્સીઓ જ્યારે કાર્યવાહિ કરે છે ત્યારે કેવા કેવા લોકોને પરસેવો છૂટી જાય છે.

સાથીઓ, મહામિલાવટ વાળા આ તમામ ચહેરા તપાસ એજન્સીઓ અને કોર્ટને ધમકાવવાનું કામ કરે છે. મોદીને ગાળો દેવાની તો સ્પર્ધા થઈ રહી છે. તમે વિશ્વાસ રાખજો કે આ ચોદીદાર આવી ધમકીઓને વશ થવાનો નથી કે પછી તેમની ગાળીગલોચથી ડરવાનો નથી. તે અટકવાનો નથી અને ઝૂકવાનો પણ નથી. દેશને ભ્રષ્ટાચારીઓ અને ગંદકીથી મુક્ત કરવાનું અમારૂં સફાઈ અભિયાન હવે ઝડપભેર આગળ વધવાનું છે. આ અભિયાન માટે તમારા આશીર્વાદ હંમેશા અમને મળતા રહે. અને હમણાં તો તમારા રાજ્યના ઘણાં લોકો કદાચ કુંભના મેળામાં પણ ગયા હશે. આ વખતે જે લોકો કુંભના મેળામાંથી આવે છે અને પાછા ફરે છે ત્યારે દરેક ગામમાં ચર્ચા થઈ રહી છે. ભારતમાંથી કેટલા બધા લોકો કુંભના મેળામાં ગયા હશે… મને કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસ પહેલાં જ્યારે શાહી સ્નાન થયું ત્યારે લગભગ 17 કરોડ લોકો એટલે કે દુનિયાના ઘણાં દેશોની વસતિથી પણ વધુ લોકો ગંગાના કિનારે સ્નાન કરવા માટે આવ્યા હતા અને આ 17 કરોડ લોકોએ સ્વચ્છતાના વિષયમાં જે માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા તેમાં સહેજ પણ ઢીલાશ રખાઈ નથી તે જોયું છે. તમે આશ્ચર્ય થશે કે અમેરિકાના એક અખબાર ન્યૂ યૉર્ક ટાઈમ્સમાં કુંભના મેળાની ચર્ચા કરતો એક લેખ લખવામાં આવ્યો હતો અને તેમાં કુંભના મેળામાં જે સ્વચ્છતા જોવા મળી હતી તે સ્વચ્છતા માટે કુંભ મેળાના ખૂબ વખાણ કર્યા હતા. જુઓ, આ બદલાતા જતા ભારતનું દ્રશ્ય છે.

આ કુંભના મેળામાં જે લોકો સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છે, રાત દિવસ કામ કરી રહ્યા છે તે મારા તમામ ભાઈઓ અને બહેનોને આજે હું કુરૂક્ષેત્રની ધરતી પરથી આદરપૂર્વક નમન કરૂં છું. અને અખાડા, સંત સમાજ, સાધુ મહાત્મા વગેરેએ પણ કુંભના મેળામાં પોતાના વ્યાખ્યાન, પ્રવચનોમાં પણ સ્વચ્છતા અંગેની વાત વારંવાર દોહરાવી છે. સ્વચ્છતા અભિયાનને સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા તે બાબત પણ મોટા ગૌરવની વાત છે. હું આ તમામ સંતો મહંતો, ઋષિમુનિઓને પણ આદરપૂર્વક નમન કરૂં છું અને તેમને અભિનંદન પાઠવું છું.

ભાઈઓ અને બહેનો, તમે અહિં દેશના ખૂણે-ખૂણેથી આવ્યા છો. તમારા આશીર્વાદ હંમેશા અમને મળતા રહે તેવી આશા સાથે મારી વાત અહિં સમાપ્ત કરૂં છું. હું વધુ એક વખત સ્વચ્છ શક્તિ પુરસ્કાર જીતનારા તમામને આદરપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. શુભેચ્છા આપું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

NP/J.Khunt/GP/RP