Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

24.02.2019નાં રોજ મન કી બાતનાં 53માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે મનકી બાત શરુ કરતા મારૂં હૃદય ભરાયેલુ છે. દસ દિવસ પહેલા ભારતમાતાએ પોતાના વિર સપૂતોને ગુમાવ્યા છે. આપણે સવાસો કરોડ ભારતીયોના રક્ષણ માટે આ પરાક્રમી વીરોએ પોતાની આહુતી આપી દીધી. દેશવાસીઓ, શાંતિથી સુઇ શકે એટલા માટે આ આપણા વીર સપૂતોએ દિવસ-રાત એક કરી દીધા હતા. પુલવામાના ત્રાસવાદી હુમલામાં વીરજવાનોની શહીદી પછી આખા દેશના લોકોમાં અને લોકોના મનમા આઘાત અને આક્રોશ છે. શહીદો અને તેમના પરીવારો પ્રત્યે ચારેતરફ સંવેદનાઓ ઉમટી પડી છે. આ ત્રાસવાદી હિંસા ના વિરોધમાં જે આવેગ આપના અને મારા મનમાં છે તે જ ભાવ દરેક દેશવાસીઓના હૈયામાં છે અને માનવતામાં વિશ્વાસ રાખનારા વિશ્વના માનવતાવાદી સમુદાયોમાં પણ છે. ભારતમાતાનું રક્ષણ કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના તમામ વીર સપૂતોને હું નમન કરૂં છું. આ શહીદી આતંકવાદનો સમૂળગો નાશ કરવા માટે આપણને હંમેશા પ્રેરીત કરતી રહેશે, આપણા સંકલ્પને વધુને વધુ મજબૂત બનાવતી રહેશે. દેશની સામે આવી પડેલા પડકારોનો સામનો આપણે બધાએ જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ, પ્રદેશવાદ અને બીજા તમામ મતભેદોને ભૂલાવીને કરવાનો છે. જેથી આતંકવાદ સામેના આપણા કદમ પહેલાથી પણ ઘણા વધારે દ્રઢ બને. આપણા સશસ્ત્રદળો કાયમથી અદ્વિતિય સાહસ અને પરાક્રમનો પરિચય આપતા રહ્યા છે. શાંતિ સ્થાપવા માટે એકતરફ તેમણે અદભૂત ક્ષમતા બતાવી છે. તો બીજી તરફ હુમલાખોરોને પણ તેમની ભાષામાં જવાબ આપવાનું કામ કર્યું છે. આપે જોયું હશે કે, હુમલો કર્યાના 100 કલાકમાં જ કેવા પગલાં લેવામાં આવ્યા છે. સેનાએ આતંકવાદીઓ અને તેમને મદદ કરનારાઓનો સમૂળગો નાશ કરવાનો સંકલ્પ કરી લીધો છે. વીર સૈનિકોની શહીદી પછી પ્રસાર માધ્યમો દ્વારા તેઓના પરિવારના સભ્યોની જે પ્રેરણાદાયક બાબતો સામે આવી છે તેને પૂરા દેશને હિંમત અને બળ આપ્યું છે. બિહારના ભાગલપુરના શહીદ રતન ઠાકુરના પિતા રામનિરંનજીએ દુઃખની આ ઘડીમાં પણ જે જુસ્સાનો પરિચય કરાવ્યો છે તે આપણને બધાને પ્રેરિત કરે છે. તેમણે કહ્યું છે કે, તેઓ પોતાના બીજા દિકરાને પણ દુશ્મનો સામે લડવા માટે મોકલશે અને જરૂર પડી તો પોતે પણ લડવા જશે. ઓડીસાના જગતસિંહપુરના શહીદ પ્રસન્ના સાહુના પત્ની મીનાજીના અદમ્ય સાહસને પૂરો દેશ સલામ કરી રહ્યો છે. તેઓએ પોતાના એકના એક દિકરાને પણ સીઆરપીએફમાં ભરતી કરવાના શપથ લીધા છે. શહીદ વિજય સોરેનનો પાર્થિવ દેહ જયારે ત્રિરંગામાં લપેટાઇને ઝારખંડના ગુમલા પહોંચ્યો ત્યારે તેમના માસૂમ દિકરાએ એ જ કહ્યું હતું કે, હું પણ ફોજમાં જોડાઇશ જ. આ માસૂમનો જુસ્સો સમગ્ર ભારતના એકેએક બાળકની ભાવના વ્યકત કરે છે. આવી જ ભાવનાઓ આપણા વીરપરાક્રમી શહીદોના ઘરઘરમાં જોવા મળી રહી છે. તેમાં આપણો એક પણ વીર શહીદ અપવાદ નથી. તેમનો પરિવાર અપવાદ નથી. પછી તે દેવરીયાના શહીદ વિજય મૌર્યનો પરિવાર હોય, કાંગડાના શહીદ તિલકરાજના માતાપિતા હોય કે પછી કોટાના શહીદ હેમરાજનનો છ વર્ષનો દિકરો હોય. શહીદોના દરેક પરિવારની વાત પ્રેરણાથી ભરેલી છે. હું યુવા પેઢીને અનુરોધ કરૂં છું કે, તેઓ આ પરિવારોએ જે જુસ્સો બતાવ્યો છે, જે ભાવના બતાવી છે, તેને જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરે. દેશભક્તિ શું હોય છે ? ત્યાગ, તપસ્યા શું હોય છે ? તે જાણવા આપણે ઇતિહાસની પ્રાચીન ઘટના તરફ જવાની જરૂર નહીં પડે. આપણી આંખોની સામે જ આ જીવતા જાગતા ઉદાહરણ છે અને તે જ ઉજ્જવળ ભારતના ભવિષ્ય માટે પ્રેરણાનું કારણ છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આઝાદી પછી આટલા લાંબા સમય સુધી આપણે બધા જે વોરમેમોરીયલ(યુદ્ધ સ્મૃતિસ્થાન)ની રાહ જોઇ રહ્યા હતા તે હવે પૂરી થવા જઇ રહી છે. તેના માટે દેશવાસીઓની જીજ્ઞાસા, ઉત્સુકતા, બહુ સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદી એપ પર ઉડુપી કર્ણાટકના શ્રી ઓમકાર શેટ્ટીજીએ નેશનલ વોર મેમોરીયલ(રાષ્ટ્રીય યુદ્ધ સ્મૃતિસ્થાન) તૈયાર થવા બદલ પોતાની પ્રસન્નતા વ્યકત કરી છે. મને આશ્ચર્ય પણ થતું હતું અને પીડા પણ થતી હતી કે, ભારતમાં કોઇ નેશનલ વોર મેમોરીયલ ન હતું. આ એવું સ્મૃતિસ્થાન(સ્મારક) છે કે, જયાં રાષ્ટ્રના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોની શૌર્યગાથાઓને સાચવીને રાખી શકાય. મે નિશ્ચય કર્યો કે, દેશમાં એક એવું સ્મારક ચોક્કસ હોવું જોઇએ. આપણે નેશનલ વોર મેમોરિયલ(રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક)ના નિર્માણનો નિર્ણય કર્યો અને મને આનંદ છે કે, આ સ્મારક આટલા ઓછા સમયમાં બનીને તૈયાર થઇ ચૂક્યું છે. આવતીકાલે એટલે કે 25મી ફેબ્રુઆરીએ આપણે કરોડો દેશવાસી આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક આપણી સેનાને અર્પણ કરીશું. દેશ પોતાનું ઋણ ચૂકવવાનો એક નાનો એવો પ્રયાસ કરશે. દિલ્હીનું દિલ એટલે તે જગ્યા કે જયાં ઇન્ડિયાગેટ અને અમર જવાન જયોતિ આવેલા છે. બસ તેની બિલકુલ નજીકમાં આ એક નવું સ્મારક બનાવવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે, આપણે દેશવાસીઓ માટે આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક જવાનું કોઇ તિર્થસ્થળે જવા બરાબર હશે. સ્વતંત્રતા પછી સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતિક આ રાષ્ટ્રીય સૈનિક સ્મારક છે. સ્મારકની ડીઝાઇન આપણા અમર સૈનિકોના અદમ્ય સાહસને પ્રદર્શિત કરે છે. રાષ્ટ્રીય સૈનિક સ્મારકનો કન્સેપ્ટ(વિભાવના-પરિકલ્પના) concept, Four Concentric Circles એટલે કે ચાર ચક્રો પર કેન્દ્રિત છે. જયાં એક સૈનિકના જન્મથી લઇને શહિદી સુધીની યાત્રાનું ચિત્રણ છે. અમરચક્રની જવાળા શહીદ સૈનિકની અમરતાનું પ્રતિક છે. બીજું સર્કલ વીરતા ચક્રનું છે જે સૈનિકોના સાહસ અને બહાદુરી વ્યકત કરે છે. આ એક એવી Gallary (દીર્ઘા) છે. જયાં દિવાલો ઉપર સૈનિકોની બહાદુરીની ગાથાઓ અંકિત કરાઇ છે. ત્યારપછી ત્યાગચક્ર છે. આ સર્કલ સૈનિકોના બલીદાનના દર્શન કરાવે છે. તેમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોના નામ સોનેરી અક્ષરોમાં લખાયેલા છે. તેના પછી રક્ષકચક્ર સુરક્ષા પ્રદર્શિત કરે છે. આ સર્કલમાં ગાઢ વૃક્ષોની પંકિત છે. આ વૃક્ષો સૈનિકોના પ્રતિક છે. અને દેશના નાગરિકોને એ ભરસો આપતો સંદેશો આપી રહ્યા છે કે, પળેપળ સૈનિક સરહદે તૈનાત છે. અને દેશવાસી સુરક્ષિત છે. એકંદર જોતાં રાષ્ટ્રીય સૈનિક સ્મારકની ઓળખ એક એવા સ્થાનના રૂપમાં ઉભી થશે જયાં લોકો દેશના મહાન શહીદો વિશે જાણવા પોતાની કૃતજ્ઞતા વ્યકત કરવા એમના પર અધ્યયન કરવાના ઉદ્દેશ્યથી આવશે. અહીંયા એ બલિદાન આપનારાઓની વાતો છે. જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. જેથી આપણે જીવીત રહી શકીએ, જેથી દેશ સુરક્ષિત રહે અને વિકાસ કરી શકે. દેશના વિકાસમાં આપણા સશસ્ત્રદળો, પોલીસ અને અર્ધલશ્કરીદળોના મહાન યોગદાનને શબ્દોમાં અભિવ્યક્ત કરવાનું શક્ય નથી. ગયા વર્ષે ઓકટોબર માસમાં મને નેશનલ પોલીસ મેમોરીયલને પણ દેશને સમર્પિત કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. તે પણ આપણા તે જ વિચારનું પ્રતિબિંબ હતું. જેના હેઠળ આપણે માનીએ છીએ કે, જે અવિરત આપણી સુરક્ષામાં વ્યસ્ત રહે છે તેવા પુરૂષ અને મહિલા પોલીસ જવાનો પ્રત્યે દેશે કૃતજ્ઞ થવું જોઇએ. હું આશા રાખું છું કે, આપ રાષ્ટ્રીય સૈનિક સ્મારક અને નેશનલ પોલીસ મેમોરીયલ જોવા જરૂર જશો. આપ જયારે પણ ત્યાં જાઓ ત્યારે ત્યાં લીધેલી તમારી તસ્વીરોને સોશ્યલ મીડીયા પર ચોક્કસ શેર કરજો. જેથી બીજા લોકોને પણ તેમાંથી પ્રેરણા મળે. અને તેઓ પણ આ પવિત્ર સ્થળ, આ મેમોરીયલ જોવા માટે ઉત્સુક બને.

મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માટે આપના હજારો પત્રો અને કમેન્ટસ મને અલગઅલગ માધ્યમોથી વાંચવા મળતા રહે છે. આ વખતે જયારે હું આપની કમેન્ટ્સ વાંચી રહ્યો હતો. ત્યારે આતિશ મુખોપાધ્યાયજીની એક ખૂબ રસપ્રદ ટીપ્પણી મારા ધ્યાનમાં આવી. એમણે લખ્યું છે કે, વર્ષ 1900માં 3જી માર્ચે અંગ્રેજોએ જયારે બિરસા મુંડાની ધરપકડ કરી હતી ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. યોગાનુયોગ 3જી માર્ચે જ જમશેદજી તાતાની જયંતિ પણ છે. તેઓ આગળ લખે છે કે, આ બંને વ્યક્તિત્વ સંપૂર્ણપણે અલગઅલગ પારિવારિક પૃષ્ઠ ભૂમિમાંથી આવેલા છે. જેમણે ઝારખંડનો વારસો અને ઇતિહાસને સમૃદ્ધ કર્યા. મન કી બાતમાં બિરસા મુંડા અને જમશેદજી તાતાને શ્રદ્ધાંજલિ આપવાનું એક રીતે ઝારખંડના ગૌરવશાળી ઇતિહાસ અને વારસાને નમન કરવા બરાબર છે. આતિશજી હું આપની સાથે સહમત છું. આ બે મહાન વિભૂતિઓએ ઝારખંડનું જ નહિં, આખા દેશનું નામ રોશન કર્યું છે. સમગ્ર દેશ તેઓના યોગદાન માટે કૃતજ્ઞ છે. આજે જો આપણા નવયુવાનોને માર્ગદર્શન માટે કોઇ પ્રેરણાદાયક વ્યક્તિત્વની જરૂર છે તો તે છે, ભગવાન બિરસા મુંડા. તેઓ જયારે સૂતા હતા ત્યારે અંગ્રેજોએ છુપાઇને બહુ ચાલાકીથી તેમને પકડયા હતા. શું તમે જાણો છો કે, અંગ્રેજોએ આવી કાયરતાપૂર્ણ કાર્યવાહીનો આશરો શા માટે લીધો ? કારણ કે, આટલું મોટું સામ્રાજ્ય ઉભું કરનારા અંગ્રેજો પણ તેમનાથી ડરતા હતા. ભગવાન બિરસા મુંડાએ કેવળ પોતાના પરંપરાગત તીરકામઠાથી જ બંદૂકો અને તોપોથી સજ્જ અંગ્રેજી શાસનને હચમચાવી નાંખ્યું હતું. હકીકતમાં લોકોને જયારે એક પ્રેરણાદાયક નેતૃત્વ મળે છે ત્યારે હથિયારોની શક્તિ ઉપર લોકોની સામૂહીક ઇચ્છાશક્તિ ભારે પડે છે. ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે કેવળ રાજકીય આઝાદી માટે સંઘર્ષ નહોતો કર્યો. પરંતુ આદિવાસીઓના સામાજીક અને આર્થિક અધિકારો માટે પણ લડાઇ લડ્યા હતા. પોતાના ટૂંકા જીવનમાં તેઓએ આ બધું કરી બતાવ્યું. વંચિતો અને શોષિતોના અંધકારભર્યા જીવનમાં તેમણે સૂરજની જેમ ચમક પ્રસરાવી. ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષની નાની વયે જ પોતાનું બલિદાન આપ્યું. બિરસા મુંડા જેવા ભારતમાતાના સપૂત દેશના તમામ ભાગોમાં થયા છે. હિંદુસ્તાનનો કોઇ ખૂણો એવો નહીં હોય, જયાં સદીઓ સુધી ચાલેલા આઝાદીના આ જંગમાં કોઇએ યોગદાન આપ્યું ન હોય. પરંતુ દુર્ભાગ્ય એ છે કે, તેઓના ત્યાગ, શૌર્ય અને બલિદાનની વાતો નવી પેઢી સુધી પહોંચી જ નથી. જો ભગવાન બિરસા મુંડા જેવા વ્યક્તિત્વે આપણને પોતાના અસ્તિત્વનું ભાન કરાવ્યું, તો જમશેદજી તાતા જેવા મહાનુભાવે દેશને મોટીમોટી સંસ્થાઓ આપી. જમશેદજી તાતા ખરા અર્થમાં દિર્ઘદ્રષ્ટા હતા. જેમણે માત્ર ભારતના ભવિષ્યને જ ન જોયું, પણ તેનો મજબૂત પાયો નાંખ્યો. તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે ભારતને વિજ્ઞાન ટેકનોલોજી અને ઉદ્યોગોનું કેન્દ્ર બનાવવું ભવિષ્ય માટે જરૂરી છે, તે એમનું જ વિઝન હતું. કે, જેના પરિણામે તાતા ઇન્સિટીટયુટ ઓફ સાયન્સની સ્થાપના થઇ જેને હવે ઇન્ડિયન ઇન્સ્ટીટીયુટ ઓફ સાયન્સ (ભારતીય વિજ્ઞાન સંસ્થા) કહેવામાં આવે છે. એટલું જ નહીં, તેમણે તાતા સ્ટીલ જેવી વિશ્વસ્તરની સંસ્થાઓ અને ઉદ્યોગોની પણ સ્થાપના કરી. જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદજીની મુલાકાત યાત્રા દરમિયાન જહાજમાં થઇ હતી. તે વખતે તેઓ બંનેની ચર્ચામાં એક મહત્વનો મુદ્દો ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર પ્રસારને લગતો હતો. કહેવાય છે કે, આ ચર્ચામાંથી જ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ(ભારતીય વિજ્ઞાન સંસ્થા)નો પાયો નંખાયો.

મારા વ્હાલા દેશવાસીઓ, આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઇ દેસાઇનો જન્મ 29મી ફેબ્રુઆરીએ થયો હતો. આપ સૌ જાણો છો કે, આ દિવસ ચાર વર્ષમાં એક જ વાર આવે છે. સહજ અને શાંત વ્યક્તિત્વના માલિક મોરારજીભાઇ દેસાઇ દેશના સૌથી શિસ્તબદ્ધ નેતાઓમાંના એક હતા. સ્વતંત્ર ભારતમાં સંસદમાં સૌથી વધુ અંદાજપત્ર રજૂ કરવાનો વિક્રમ મોરારજીભાઇ દેસાઇના જ નામે છે. મોરારજી દેસાઇએ એવા મુશ્કેલ સમયમાં ભારતનું કુશળ નેતૃત્વ કર્યું, જયારે દેશના લોકતાંત્રિક તાણાવાણાને ખતરો હતો. એ માટે આપણી ભાવિ પેઢીઓ પણ તેમની આભારી રહેશે. મોરારજીભાઇ દેસાઇએ લોકશાહીની રક્ષા માટે કટોકટી વિરૂદ્ધના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. તે માટે તેમને વૃદ્ધાવસ્થામાં પણ ભારે કિંમત ચૂકવવી પડી હતી. તે સમયની સરકારે તેમની ધરપકડ કરીને તેમને જેલમાં નાંખ્યા હતા. પરંતુ 1977માં જયારે જનતા પક્ષ ચૂંટણી જીત્યો તો તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા. તેમના કાર્યકાળ દરમ્યાન ન જ 44મો બંધારણિય સુધારો લાવવામાં આવ્યો. એ મહત્વનો એટલા માટે છે કે, કટોકટી દરમ્યાન જે 42મો સુધારો કરવામાં આવ્યો હતો. તેમાં સર્વોચ્ચ અદાલતની સત્તા ઓછી કરવાની અને બીજી એવી જોગવાઇઓ હતી જે આપણા લોકશાહી મૂલ્યોની હત્યા કરતી હતી. 44માં સુધારાથી તે સત્તાઓ પાછી આપવામાં આવી. 44મા સુધારા દ્વારા જેમ સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીના સમાચારોનું અખબારોમાં પ્રકાશનની જોગવાઇ કરવામાં આવી હતી તે રીતે જ સર્વોચ્ચ અદાલતની કેટલીક સત્તાને પણ ફરી બહાલ કરવામાં આવી. આ સુધારામાં એવી પણ જોગવાઇ કરવામાં આવી કે બંધારણની કલમ-20 અને 21 હેઠળ મળેલા મૌલિક અધિકારોનું કટોકટી દરમ્યાન પણ હનન(હત્યા) કરી શકાઇ નહીં. પહેલીવાર એવી વ્યવસ્થા કરવામાં આવી કે મંત્રીમંડળની લેખિત ભલામણ પછી જ રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરશે. સાથોસાથ એ પણ નક્કી કરવામાં આવ્યું કે કટોકટીની મુદ્ત એક વારમાં છ મહિનાથી વધારે વધારી શકાય નહીં. આ રીતે મોરારજીભાઇએ એ સુનિશ્ચિત કર્યું કે, કટોકટી લાદીને 1975માં જે રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવી હતી. તેનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઇ શકે. ભારતીય લોકશાહીનો મહિમા જાળવી રાખવામાં તેમના અમૂલ્ય યોગદાનને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. ફરી એકવાર આ મહાન નેતાને હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, દર વર્ષની જેમ આ વર્ષે પણ પદ્મપુરસ્કારો વિશે લોકોમાં ખૂબ ઉત્સુકતા હતી. આજે આપણે એક નૂતન ભારતના પથ ઉપર અગ્રેસર છીએ, તેમાં આપણે એ લોકોનું સન્માન કરવા માંગીએ છીએ જે પાયાના સ્તરે પોતાનું કામ નિષ્કામ ભાવથી કરી રહ્યા છે. પોતાના પરિશ્રમના જોરે જેઓ જુદી-જુદી રીતે અન્યના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. પોતાના પરિશ્રમના જોરે જેઓ જુદી-જુદી રેતી અન્યના જીવનમાં હકારાત્મક પરીવર્તન લાવી રહ્યા છે. હકીકતમાં તેઓ સાચા કર્મયોગી છે. જે જનસેવા, સમાજસેવા અને આ બધાની આગળ રાષ્ટ્રસેવામાં નિસ્વાર્થ લાગેલા રહે છે. તમે જોયું હશે કે, જયારે પદ્મપુરસ્કારોની જાહેરાત થાય છે ત્યારે લોકો પૂછે છે કે, આ કોણ છે ? એક રીતે તેને હું બહુ મોટી સફળતા માનું છું. કેમ કે, આ એવા લોકો છે જે ટીવી, સામાયિકો કે છાપાઓનાં પહેલાં પાનાં પર નથી દેખાતાં. તેઓ ઝાકઝમાળની દુનિયાથી દૂર છે. પરંતુ આ એવા લોકો છે જે પોતાના નામની પરવા નથી કરતા. અને બસ પાયાના સ્તરે કામ કરવામાં જ વિશ્વાસ રાખે છે. યોગઃ કર્મસુ કૌશલમ્ ગીતાના આ સંદેશને તેઓ એક રીતે જીવી રહ્યા છે. હું એવા કેટલાક લોકો વિષે આપને જણાવવા માંગું છું. ઓડીસાના દૈતારી નાયક વિશે આપે જરૂર સાંભળ્યું હશે. તેમને canal man of the odisha (ઓડીશાના નહેરપુરૂષ) એમ જ નથી કહેવામાં આવતા. દૈતારી નાયકે પોતાના ગામમાં પોતાના હાથે જ પહાડ ખોદીને 3 કિલોમીટર સુધી નહેરનો રસ્તો બનાવી દીધો. પોતાના પરિશ્રમથી સિંચાઇ અને પાણીની સમસ્યા હંમેશ માટે દુર કરી દીધી. ગુજરાતના અબ્દુલ ગફુર ખત્રીજીની વાત લઇએ તો, તેમણે કચ્છના પરંપરાગત રોગન રંગકળાને પુનર્જીવીત કરવાનું અદભૂત કામ કર્યું. તેઓ આ દુર્લભ ચિત્રકળાને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહાન કાર્ય કરી રહ્યા છે. અબ્દુલ ગફુર દ્વારા બનાવવામાં આવેલી “Tree of life” (જીવન વૃક્ષ) કલાકૃતિને જ મે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટ આપી હતી. પદ્મપુરસ્કાર મેળવવામાં મરાઠાવાડના શબ્બીદ સૈયદને ગૌમાતાના સેવકના રૂપમાં ઓળખવામાં આવે છે. તેમણે જે રીતે પોતાનું સમગ્ર જીવન ગૌ માતાની સેવામાં સોંપી દીધું છે તે પોતે જ અજોડ છે. મદુરૈ ચિન્ના પિલ્લઇ પણ એક એવી જ વિભૂતિ છે જેમણે સૌથી પહેલાં તમિલનાડુમાં કલન્જિયમ આંદોલન દ્વારા પિડીતો અને શોષિતોને સશક્ત કરવાનો પ્રયાસ કર્યો. સાથોસાથ સમુદાય આધારીત લઘુ આર્થિક વ્યવસ્થાની પણ શરૂઆત કરી. અમેરિકાના Tao Porchon-Lynch વિશે સાંભળીને તમે સુખદ આશ્ચર્ય પામી જશો. Lynch આજે યોગની જીવતી જાગતી સંસ્થા બની ગયા છે. 100 વર્ષની ઉંમરે પણ તેઓ દુનિયાભરના લોકોને યોગની તાલીમ આપી રહ્યા છે. અને અત્યાર સુધીમાં દોઢ હજાર લોકોને યોગશિક્ષક બનાવી ચૂકયા છે. ઝારખંડમાં લેડી ટારઝનના નામથી જાણીતા જમુના ટુડુએ ટીમ્બરના માફીયા અને નકસલવાદીઓનો સામનો કરવાનું સાહસિક કાર્ય કર્યું. તેમણે માત્ર 50 હેકટર જંગલને વેરાન થતું નથી બચાવ્યું પરંતુ દસ હજાર મહિલાઓને સંગઠિત કરીને વૃક્ષો અને વન્ય જીવોના રક્ષણ માટે પ્રેરિત કરી. જમુનાજીના પરિશ્રમનો જ એ પ્રતાપ છે કે, આજે ગામલોકો દરેક બાળકના જન્મ વખતે 18 વૃક્ષો અને દીકરાના લગ્ન વખતે 10 વૃક્ષ વાવે છે. ગુજરાતના મુક્તાબેન પંકજકુમાર ડગલીની વાત આપને પ્રેરણાથી ભરી દેશે. પોતે દિવ્યાંગ હોવા છતાં પણ તેમણે દિવ્યાંગ મહિલાનોના ઉત્થાન માટે જે કાર્યો કર્યા તેનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ નામની સંસ્થાની સ્થાપના કરી ને તેઓ નેત્રહિન બાળકોને સ્વનિર્ભર બનાવવાનું પુનિત કાર્ય કરી રહ્યા છે. બિહારના મુજફ્ફરપુરના કિસાન ચાચી એટલે કે રાજકુમારી દેવીની વાત ખૂબ જ પ્રેરક છે. મહિલા સશક્તિકરણ અને ખેતીને ફાયદાકારક બનાવવાની દિશામાં તેમણે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. કિસાન ચાચીએ તેમના વિસ્તારની 300 મહિલાઓને સ્વસહાય જૂથમાં જોડીને તેમને આર્થિક રીતે પગભર બનવા પ્રેરિત કરી છે. તેમણે ગામની મહિલાઓને ખેતીની સાથેસાથે રોજગારીના અન્ય સાધનોની તાલીમ આપી. ખાસ બાબત તો એ છે કે, તેમણે ખેતીની સાથે ટેકનોલોજીને જોડવાનું કામ કર્યું. અને મારા દેશવાસીઓ કદાચ પહેલીવાર એવું બન્યુ છે કે, આ વર્ષે જે પદ્મપુરસ્કાર આપવામાં આવ્યા. તેમાં 12 ખેડૂતોને પદ્મપુરસ્કાર મળ્યા છે. સામાન્ય રીતે કૃષિજગત સાથે સંકળાયેલા પ્રત્યક્ષ રીતે ખેતી કરનારા બહુ ઓછા લોકો પદ્મશ્રીની યાદીમાં આવેલા છે. આ બાબત પોતે જ બદલાઇ રહેલા હિન્દુસ્તાનની જીવતી જાગતી તસ્વીર છે.

મારા વ્હાલા દેશવાસીઓ, હું પાછલા થોડા દિવસોથી જેનો અનુભવ કરી રહ્યો છું તેવા સૌના હૃદયને સ્પર્શી જાય તેવો અનુભવ વિશે આજે વાત કરવા માંગું છું. આજકાલ દેશમાં જયા પણ જાઉં છું ત્યાં મારો પ્રયાસ રહ્યો છે કે, આયુષ્યમાન ભારતની યોજના PmJay એટલે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કેટલાક લાભાર્થીઓને મળું. કેટલાક લોકો સાથે વાત કરવાની તક મળી છે. એકલી મા તેના બાળકોને પૈસાના અભાવે સારવાર કરાવી શક્તિ ન હતી. આ યોજનાથી તેમનો ઇલાજ થયો. અને ફરી સાજા થઇ ગયા. ઘરના મોભી મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા અકસ્માતનો ભોગ બન્યા. કામ કરી શકતા ન હતા. આ યોજનાનો તેમને લાભ મળ્યો અને ફરી સાજા થયા. નવું જીવન મળ્યું.

ભાઇઓ-બહેનો છેલ્લાં પાંચ મહિનામાં લગભગ 12 લાખ ગરીબ કુટુંબો આ યોજનાનો લાભ ઉઠાવી ચૂક્યા છે. મે જોયું છે કે, ગરીબના જીવનમાં તેનું કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે. આપ સૌ પણ જો કોઇપણ આવી ગરીબ વ્યક્તિને જાણતા હો કે જે, પૈસાના અભાવે સારવાર કરાવી શકતા ન હોય, તો તેને આ યોજના વિશે ચોક્કસ જણાવજો. આ યોજના દરેક એવી ગરીબ વ્યક્તિ માટે જ છે.

મારા વ્હાલા દેશવાસીઓ, શાળાઓમાં પરીક્ષાનો સમય શરૂ થવામાં જ છે. સમગ્ર દેશમાં અલગ અલગ શિક્ષણબોર્ડ આગામી કેટલાક અઠવાડિયામાં 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે કાર્યવાહીનો પ્રારંભ કરશે. પરીક્ષા દેનારના તમામ વિદ્યાર્થીઓને, તેમના વાલીઓને અને સૌ શિક્ષકોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ છે.

થોડા દિવસ પહેલાં દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચાનું એક બહુ મોટું આયોજન ટાઉનહોલ સ્વરૂપમાં થયું. આ ટાઉનહોલ કાર્યક્રમમાં મને ટેકનોલોજીના માધ્યમથી દેશવિદેશના કરોડો વિદ્યાર્થીઓ સાથે અનેક અભિભાવકો સાથે, શિક્ષકો સાથે વાત કરવાની તક મળી. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની વિશેષતા એ રહી કે, પરીક્ષા સાથે જોડાયેલા જુદાજુદા વિષયો ઉપર ખુલ્લા દિલે વાતચીત થઇ. કેટલાક એવા પાસાઓ સામે આવ્યા જે નિશ્ચિતરૂપે વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની શકે છે. બધા વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા અને શિક્ષકો યુ-ટયુબ પર આ સંપૂર્ણ કાર્યક્રમને જોઇ શકે છે. તો આગામી પરીક્ષા માટે મારા સૌ પરીક્ષાના યૌદ્ધાઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

મારા વ્હાલા દેશવાસીઓ, ભારતની વાત હોય અને તહેવારની વાત ન હોય ! એવું તો બની જ ન શકે. કદાય આપણા દેશમાં જ કોઇ દિવસ એવો નહીં હોય કે જેનું મહત્વ જ ન હોય, જેનો કોઇ તહેવાર જ ન હોય. કારણ કે, હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિનો આ વારસો આપણી પાસે છે. થોડાક દિવસો પછી મહાશિવરાત્રીનો તહેવાર આવશે. અને આ વખતે તો શિવરાત્રી સોમવારે છે અને જયારે શિવરાત્રી સોમવારે હો તો તેનું એક વિશેષ મહત્વ આપણા મનમંદિરમાં છવાઇ જાય છે. આ શિવરાત્રીના પાવન પર્વે પણ મારી આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં હું કાશી ગયો હતો. ત્યાં મને દિવ્યાંગ ભાઇઓ-બહેનો સાથે સમય વિતાવવાની તક મળી. તેમની સાથે કેટલાય વિષયો પર ચર્ચા થઇ. અને તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રભાવિત કરે તેવો હતો, પ્રેરક હતો. વાતચીત દરમ્યાન તેમાંના એક પ્રજ્ઞાચક્ષુ યુવાન સાથે હું જયારે વાત કરી રહ્યો હતો ત્યારે તેણે મને ક્હ્યું કે, હું તો મંચનો કલાકાર(સ્ટેજ આર્ટિસ્ટ) છું. હું મનોરંજનના કાર્યક્રમમાં મીમીક્રી કરૂં છું. તો મે એને એમ જ પૂછી લીધું કે, આપ કોની મીમીક્રી કરો છો ? તો એમણે કહ્યું કે, હું પ્રધાનમંત્રીની મીમીક્રી કરૂં છું. તો મે એમને કહ્યું કે, જરા કરીને બતાવો. તો મારા માટે ખૂબ સુખદ આશ્ચર્ય હતું. તેમણે મન કી બાતમાં જે રીતે હું વાત કરૂં છું એની પૂરી મીમીક્રી કરી. અને મન કી બાતની જ મીમીક્રી કરી. મને આ સાંભળીને બહુ જ સારૂં લાગ્યું કે, લોકો માત્ર મન કી બાત સાંભળતા જ નથી. પરંતુ તેને કેટલાય પ્રસંગે યાદ પણ કરે છે. હું ખરેખર તે દિવ્યાંગ નવયુવાનની શક્તિથી ખૂબ જ પ્રભાવિત થયો.

મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત ના કાર્યક્રમના માધ્યમથી આપ સૌ સાથે જોડાવવાનો મારા માટે એક અનોખો અનુભવ રહ્યો છે. રેડીયોના માધ્યમથી હું એક રીતે કરોડો પરિવારો સાથે દર મહિને મળું છું. રૂબરૂ થાઉ છું. કેટલીકવાર તો આપ સૌ સાથે વાત કરતાં, આપના પત્રો વાંચતા કે આપે ફોન પર મોકલેલા વિચાર સાંભળતા મને એવું પ્રતીત થાય છે કે, આપે મને પોતાના કુટુંબનો હિસ્સો માની લીધો છે. આ મારા માટે ખૂબ જ સુખદ અનુભૂતિ છે. દોસ્તો ચૂંટણી લોકશાહીનો ખૂબ જ મોટો ઉસ્તવ હોય છે. આવતા બે મહિના આપણે બધા ચૂંટણીની દોડાદોડમાં વ્યસ્ત હોઇશું. હું પોતે પણ આ ચૂંટણીમાં એક ઉમેદવાર રહીશ. સ્વસ્થ લોકશાહી પરંપરાનું સન્માન કરતાં હવે પછીની મન કી બાત મે મહિનાના છેલ્લા રવિવારે થશે. એટલે કે માર્ચ મહીનો, એપ્રિલ મહિનો અને પૂરો મે મહિનો આ ત્રણ મહિનાની બધી જ આપણી જે ભાવનાઓ છે. તે સૌને હું ચૂંટણી પછી એક નવા વિશ્વાસની સાથે, આપના આશીર્વાદની તાકાતની સાથે, ફરી એક વાર મન કી બાતના માધ્યમથી આપણી વાતચીતના દોરનો આરંભ કરીશું. અને વર્ષો સુધી આપની સાથે મન કી બાત કરતો રહીશ. ફરી એક વાર આપ સૌને હૃદયથી ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું.

 

RP