Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

25 ડિસેમ્બર, 2016ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ


મારા પ્યારા દેશવાસીઓ નમસ્કાર (પ્રણામ). તમને બધાને ક્રિસમસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ એટલે જીવનમાં સેવા, ત્યાગ અને કરુણાને આપણાં જીવનમાં મહત્વ આપવાનો અવસર છે. પ્રભુ ઇસુએ કહ્યું હતું કે, “ગરીબો આપણો ઉપકાર નહીં, આપણો સ્વીકાર ઇચ્છે છે” સેન્ટ લ્યૂકના ગોસ્પલમાં લખ્યું છે કે, “પ્રભુ ઇસુએ ગરીબોની સેવા માત્ર નથી કરી, પરંતુ ગરીબો દ્વારા કરાયેલી સેવાના વખાણ પણ કર્યા છે”અને આ જ સાચું(ખરેખરનું, વાસ્તવનું) સશક્તિકરણ છે. આની સાથે જોડાયેલી એક વાર્તા છે જે ખૂબ પ્રચલિત છે. વાર્તામાં એવું કહેવાયું છે કે, પ્રભુ ઇસુ એક મંદિરના ખજાના પાસે ઊભા હતા. ત્યાં કેટલાય અમીર લોકો આવ્યાં અને તેમણે અઢળક દાન કર્યું. ત્યાર બાદ એક ગરીબ વિધવા આવી અને તેણે દાનરૂપે તાંબાના બે સિક્કા આપ્યા. આમ જોવા જઇએ તો તાંબાના બે સિક્કા એ બહુ મોટુ દાન ન કહેવાય. ત્યાં હાજર ભક્તોનાં મનમાં કુતૂહલ થાય એ બહુ સ્વાભાવિક હતુ. ત્યારે પ્રભુ ઇસુએ કહ્યું કે, આ સ્ત્રીએ સૌથી વધુ દાન કર્યું છે. કેમકે બીજા બધા લોકોએ દાનમાં ઘણું બધું આપ્યું પરંતુ આ સ્ત્રીએ તો પોતાનું સર્વસ્વ દાનમાં અર્પણ કરી દીધું.

આજે 25 ડિસેમ્બર, મહામહીમ મદન મોહન માલવીયજી ની જન્મજયંતી પણ છે. ભારતીય જનમાનસમાં સંકલ્પ અને આત્મવિશ્વાસની જાગૃતિ લાવવાવાળા માલવીયજીએ આધુનિક શિક્ષાને એક નવી દિશા આપી. જન્મજયંતિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલી. હમણાં બે દિવસ પહેલાં જ, માલવીયજીની તપોભૂમિ બનારસમાં ઘણાં બધા વિકાસ કાર્યોંનો શુભારંભ કરવાનો મને અવસર મળ્યો.મૈં વારાણસીમાં બીએચયુમાં, મહામહીમ મદન મોહન માલવીય કેન્સર સેન્ટરનું ખાતમુહૂર્ત (ભૂમિપૂજન) કર્યું છે. આ સમગ્ર વિસ્તારમાં નિર્માણ થઇ રહ્યું છે, આ કેન્સર સેન્ટર માત્ર પૂર્વી ઉતર-પ્રદેશનાં લોકો માટે જ નહીં, પરંતુ ઝારખંડ-બિહાર સુધીનાં લોકો માટે પણ મહત્વપૂર્ણ વરદાન બની રહેશે.

આજે ભારત રત્ન તેમજ પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો પણ જન્મદિવસ છે. આ દેશ અટલજીના યોગદાનને ક્યારેય ભૂલી ન શકે. તેમનાં નેતૃત્વમાં આપણે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાંસફળતા મેળવીને દેશને સન્માન અપાવ્યું. પાર્ટીના નેતા હોય કે સંસદ સભ્ય હોય, મંત્રી હોય કે પ્રધાનમંત્રી, અટલજીએ પ્રત્યેક ભૂમિકામાં એક આદર્શવાદિતા પ્રસ્થાપિત કરી. અટલજીનાં જન્મદિવસે હું તેમને વંદન કરું છું અને તેમનાં સારાં સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. એક કાર્યકર્તા તરીકે અટલજી સાથે મને કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમની સાથેની ઘણી બધી યાદોં આંખ સામે તરી આવે છે. આજે સવારે જ્યારે મેં ટ્વીટ કર્યું ત્યારે એક જૂનો વિડીઓ પણ શેયર કર્યો. એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં અટલજીના પ્રેમનું જે સૌભાગ્ય મને મળ્યું(સાંપડ્યું) છે એ માત્ર તે વિડીયો જોઇને સમજાઇ જશે.

આજે ક્રિસમસના દિવસે, ભેટ સ્વરૂપે, દેશવાસીઓને બે યોજનાઓનો લાભ મળવાનો છે. બીજી રીતે કહીએ તો દેશવાસીઓ માટે બે નવી યોજનાઓનો શુભારંભ થવા જઇ રહ્યો છે.સમસ્ત દેશમાં, ગામ હોય કે શહેર હોય, શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, કેશલેસ શું છે, કેશલેસ વેપાર કેવી રીતે ચાલે છે, પૈસા(કેશ) વગર ખરીદી કેવી રીતે થઇ શકે– ચારો તરફ જીજ્ઞાષાનો માહોલ ફેલાયેલો છે. દરેક લોકો એક-બીજા પાસેથી શીખવા-સમજવા માગે છે. આ વાતને પ્રોત્સાહન આપવા માટે, મોબાઇલ બેંકીંગ વધુ મજબૂત બને એ માટે – ઇ-પેમેન્ટ ની આદત કેળવાય તે માટે, ભારત સરકાર તરફથી, ગ્રાહકો માટે અને નાના વેપારીઓ માટે બે નવી પ્રોત્સાહન યોજનાનો આજથી આરંભ થવા જઇ રહ્યો છે. એક યોજના ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે – “લકી ગ્રાહક યોજના” અને બીજી યોજના વેપારીઓના પ્રોત્સાહન માટે–Digiધન વેપાર યોજના.

આજે 25 ડિસેમ્બરે ક્રિમસમની ભેટ સ્વરૂપે, પંદર હજાર લોકોને ડ્રો સિસ્ટમથી ઇનામ મળશે અને એ પંદર હજાર લોકોના ખાતામાં એક-એક હજાર રૂપીયા ઇનામ રૂપે ભરાશે અને આ ભેટ માત્ર આજના એક દિવસ પૂરતી સિમીત નથી, આ યોજના આજથી શરૂ થઇને હવેના 100 દિવસ સુધી ચાલશે. દરરોજ પંદર હજાર લોકોનેએક-એક હજાર રૂપિયાનું ઇનામ મળશે. 100 દિવસમાં, લાખો પરિવારોને, કરોડો રૂપિયાની ભેટ મળવાની છે પરંતુ આ ઇનામના હકદાર ત્યારેજ બનાશે જ્યારે તમે મોબાઇલ બેંકીંગ, ઇ-બેંકીંગ, રુપે કાર્ડ(RuPay Card), યુપીઆઇ(UPI), યુએસએસડી (USSD)– આ ડિજીટલ ચુકવણીની પધ્ધતિઓનો ઉપયોગ કરશો, અને તેના આધારે જ ડ્રો થશે. આ સાથે આવા ગ્રાહકો માટે અઠવાડિયામાં એક દિવસ મોટો ડ્રો થશે, જેમાં ઇનામ પણ લાખોનાં હશે અને ત્રણ મહિના પછી, 14 એપ્રિલે ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, ત્યારે એક બંપર ડ્રો થશે, જેમાં કરોડોનાં ઇનામ હશે. “Digiધન વેપાર યોજના” મુખ્ય રૂપે વેપારીઓ માટે છે. વેપારીઓ સ્વયં આ યોજના સાથે જોડાય અને પોતાનો વેપાર પણ કેશલેસ બનાવે એ માટે ગ્રાહકોને પણ જોડે. આવાં વેપારીઓને પણ અલગથી ઇનામ આપવામાં આવશે અને આ ઇનામ હજારોની સંખ્યામાં હશે.વેપારીઓનો પોતાનો વેપાર પણ ચાલશે અને ઇનામનો લહાવો પણ મળશે. આ યોજના, સમાજનાં દરેક વર્ગ, ખાસ કરીને સામાન્ય ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે, અને એટલા માટે જ જો 50 રૂપીયાથી ઉપર કોઇ વસ્તુ ખરીદે છે અને ત્રણ હજારથી ઓછી ખરીદી કરે છે એ જ લોકોને આ યોજનાનો લાભ મળશે.ત્રણ હજાર રૂપીયાથી વધુ ખરીદી કરવાવાળાઓને આ ઇનામનો લાભ નહીં મળે. ગરીબથી ગરીબ લોકો પણ USSD નો ઉપયોગ કરી feature ફોન, સાધારણ ફોનના માધ્યમથી સામાન ખરીદી પણ શકે છે અને સામાન વેચી પણ શકે છે અને રૂપીયાની ચુકવણી પણ કરી શકે છે અને એ દરેક વ્યક્તિ આ યોજનાના લાભાર્થી બની શકે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકો AEPS ના માધ્યમથી ખરીદ-વેચાણ કરી શકે છે અને એ લોકો પણ ઇનામ જીતી શકે છે. કેટલાય લોકોને આશ્ર્ચર્ય થશે કે, ભારતમાં આજે લગભગ 30 કરોડ RuPay Card છે, જેમાંથી 20 કરોડ ગરીબ પરિવારવાળા, જે જન-ધન ખાતાવાળા છે તેમની પાસે છે. આ 30 કરોડ લોકો તરત જ આ ઇનામી યોજનાનો ભાગ બની શકે છે. મને વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ આ વ્યવસ્થામાં રુચિ કેળવશે અને તમારી આસ-પાસ જે યુવાનો હશે, તેઓ જરૂરથી આના વિશે જાણતાં જ હશે, તમે તેમને પૂછી શકો છો, તે તમને જરૂરથી સમજાવશે. અરે, તમારા પરિવારમાં પણ 10 માં – 12 માં ધોરણમાં ભણતાં બાળકો હશે, તે લોકો પણ તમને સરળ રીતે આ શીખવી સકશે. આ ખૂબ જ સરળ છે – તમે જે રીતે મોબાઇલ ફોનથી વોટ્સઅપ મેસેજ મોકલો છો આ એટલું જ સરળ કાર્ય છે.

મારા પ્યારા દેશવાસીઓ, મને એ જાણીને આનંદ થાય છે કે દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, ઇ-પેમેન્ટ કેવી રીતે કરવું, ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવું, તેની જાગૃતતા ખૂબ ઝડપથી વધી રહી છે. છેલ્લાં કેટલાક દિવસોમાં કેશલેસ વેપાર, રોકડ વિનાનો વેપાર, 200 થી 300 ટકા વધ્યો છે. આને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય કેટલો મોટો છે, એઅંદાજ વેપારીઓ સારી રીતે લગાવી શકે છે. જે વેપારી ડિજીટલ લે-વેચ કરશે, પોતાના વેપારમાં રોકડાની જગ્યાએ ઓનલાઇન પેમેન્ટની પધ્ધતિ વિકસાવશે, એવા વેપારીઓને ઇનકમટેક્ષમાં છૂટ અપાઇ છે.
હું દેશનાં દરેક રાજ્યોને શુભેચ્છા પાઠવું છું, યુનિયન ટેરીટરી ને પણ શુભેચ્છા પાઠવું છું. દરેકે પોત-પોતાની રીતે આ અભિયાનને આગળ વધાળ્યું છે. આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રીમાન ચંદ્રબાબૂ નાયડૂની અધ્યક્ષતામાં એક કમિટીની નિમણૂક કરી છે, જે આ વિષય સંદર્ભે અનેક યોજનાઓ પર વિચાર કરી રહી છે. પરંતુ મારા ધ્યાનમાં આવ્યું છે કે, અનેક રાજ્ય સરકારોએ પણ પોતાની રીતે આવી કેટલીય યોજનાઓનો આરંભ કર્યો છે અને તેનો અમલ પણ કર્યો છે. કોઇકે મને જણાવ્યું કે આસામ સરકારે પ્રોપર્ટી ટેક્ષ અને વેપાર લાયસન્સ ફીની ડિજીટલ ચૂકવણી પર 10 ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જે ગ્રામીણ બેંકોની બ્રાન્ચ જાન્યુઆરીથી માર્ચ વચ્ચેના ગાળામાં પોતાના 75 ટકા ગ્રાહકોના ઓછામાં ઓછા બે ડિજીટલ ટ્રાન્જેક્શન કરાવશે, તેમને સરકાર તરફથી 50 હજાર રૂપિયા ઇનામ રૂપે મળશે. 31 માર્ચ, 2017 સુધી 100 ટકા ડિજીટલ ટ્રાન્જેક્શન કરવાવાળા ગામોને સરકાર તરફથી ‘ઉત્તમ પંચાયત ફોર ડિજી ટ્રાન્જેક્શન’ અંતર્ગત 5 લાખ રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે ‘ડિજીટલ કૃષક શિરોમણી’ અંતર્ગત અસમ સરકારે 10 ખેડૂતોને 5 હજાર રૂપિયાનું ઇનામ આપવાનો નિર્ણય કર્યો છે, જે બીજ અને ખાતરની ખરીદી માટે સંપૂર્ણપણે ડિજીટલ ચૂકવણીના ઉપયોગ કરનારને મળશે. હું આસામ સરકારને શુભેચ્છા પાઠવું છું, તેમજ આવી શુભ શરૂઆત કરનાર દરેક સરકારને બિરદાવું છું.

કેટલીય સંસ્થાઓએ પણ ગામ ગરીબ ખેડૂતોની વચ્ચે ડિજીટલ ખરીદ-વેચાણને પ્રોત્સાહન આપવા માટે કેટલાય સફળ પ્રયોગ કર્યા છે. મને જાણવા મળ્યું છે કે, GNFC – ‘ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇજર્સ એન્ડ કેમીકલ્સ લિમીટેડ’ જે પ્રમુખ રીતે ખાતરનું કામ કરે છે, ખેડૂતોને સુવિધા રહે તે માટે તેમણે ખાતર જ્યાં વેચાય છે ત્યાં એક હજાર POS Machine લગાવ્યા છે અને 35 હજાર ખેડૂતોને 5 લાખ ખાતરની થેલીઓ ડિજીટલ માધ્યમથી આપવામાં આવી છે અને આ કાર્ય છેલ્લાં બે અઠવાડિયામાં જ થયું છે તેમજ મજાની વાત તો એ છે કે, ગયા વર્ષની સરખામણીએ GNFC ના ખાતરની વેચાણમાં 27 ટકા વૃધ્ધિ નોંધાઇ છે.
ભાઇઓ-બહેનો, આપણી અર્થવ્યવસ્થામાં, આપણી જીવન વ્યવસ્થામાં, અનૈપચારિક ક્ષેત્ર (ઇન્ફોર્મલ સેક્ટર) ખૂબ મોટું છે અને મોટાભાગે લોકોને મજૂરીના પૈસા, કામના પૈસા અથવા પગારના પૈસા રોકડમાં જ ચૂકવાય છે, રોકડેથી જ પગાર અપાઇ ચૂકવાઇ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે આ કારણે જ મજૂરોનું શોષણ થાય છે. જ્યાં 100 રૂપિયા મળવા જોઇએ ત્યાં તેમને 80 મળે છે, 80 મળવા જોઇએ ત્યાં તેમને 50 મળે છે અને ઇન્શ્યોરન્સ જેવા આરોગ્ય ક્ષેત્રની દ્રષ્ટિએ અન્ય બીજી સુવિધાઓ હોય છે, તેમાં પણ તેઓ વંચિત રહી જાય છે. પરંતુ હવે કેશલેસ ચૂકવણી થઇ રહી છે. રૂપિયા સીધા બેંકમાં જમા થઇ રહ્યા છે. એક રીતે જોઇએ તો અનૌપચારિક ક્ષેત્ર ઔપચારિક ક્ષેત્રમાં બદલાઇ રહ્યું છે, શોષણ બંધ થઇ રહ્યું છે, કટકી આપવી પડતી હતી તે પણ હવે બંધ થઇ રહી છે અને મજૂરોને, કારીગરોને, એવા સામાન્ય વ્યક્તિઓને પૂરું વળતર મળવું શક્ય બન્યું છે. સાથોસાથ બીજા અન્ય લાભ મળે છે, તે લાભના પણ તેઓ હકદાર બની રહ્યા છે.

આપણો દેશ તો સર્વાધિક યુવાનોનો દેશ છે. ટેકનોલોજી આપણને સહજ મળેલી છે. ભારત જેવા દેશે તો આ ક્ષેત્રમાં સૌથી આગળ રહેવું જોઇએ. આપણા યુવાઓએ સ્ટાર્ટઅપથી ઘણી પ્રગતિ કરી છે. આ ડિજીટલ મુવમેન્ટ એક સોનેરી તક છે. આપણાં યુવાઓ નવા-નવા વિચારો સાથે, નવી-નવી ટેકનોલોજી સાથે, નવી-નવી પધ્ધતિ સાથે આ ક્ષેત્રને જેટલું મજબૂત બનાવી શકતા હોય, એટલું બનાવવું જોઇએ, સાથે જ દેશને કાળાનાણાંથી, ભ્રષ્ટાચારથી છુટકારો અપાવવાના અભિયાન સાથે પણ આપણે જોડાવું જોઇએ.

મારા પ્યારા દેશવાસિઓ, હું દરેક મહિને ‘મન કી બાત’ પહેલાં જ લોકોને આગ્રહ કરું છું કે તમે મને તમારા સૂચનો આપો, પોતાના વિચાર જણાવો અને હજારોની સંખ્યામાં MyGovપર, NarendraModiAppપર આ વખતે જે સૂચનો આવ્યા, એ વિશે હું કહી શકુ છું કે, 80-90 ટકા સૂચનો ભ્રષ્ટાચાર અને કાળાનાણાં વિરુધ્ધ અવાજ ઉઠાવવાના વિષયને લગતાં આવ્યા, નોટબંધીની ચર્ચા વિશે સૂચનો આવ્યા. આ દરેક બાબતોને જેમ હું સમજ્યો તે આધારેઆને ત્રણ ભાગોમાં વિભાજીત કરું છું.કેટલાક લોકોએ મને લખ્યું છે, તેમાં નાગરિકોનો કેવી-કેવી મુશ્કેલીઓનો નડે છે, કેવી અસુવિધાઓનો સામનો કરવો પડે છે, આ વિષય પર વિસ્તારથી લખ્યું છે. બીજા ઘણાં લખવાવાળાઓના વર્ગમાં મોટોભાગના લોકોએ એ વાત પર ધ્યાન દોર્યું છે કે, આટલું સરસ કાર્ય, દેશની ભલાઇનું કાર્ય, આટલું પવિત્ર કામ, પરંતુ આમ છતાં ક્યાં-ક્યાં કેવી રીતે ગોરખધંધા થઇ રહ્યા છે, કેવી રીતથી ખોટાધંધાઓ માટે નવા-નવા રસ્તા શોધાઇ રહ્યા છે, તેનો પણ ઉલ્લેખ લોકોએ કર્યો છે. અને ત્રીજો તબક્કો એ છે, જેમાં લોકોએ જે થઇ રહ્યું છે તેમાં સમર્થન તો આપ્યું છે, પરંતુ સાથોસાથ આ લડાઇ આગળ વધવી જોઇએ, ભ્રષ્ટાચાર, કાળુંનાણું નષ્ટ થવું જોઇએ, તેના માટે વધુ કઠોર પગલાં લેવાં જોઇએ, આવો ઉત્સાહ વધારનાર, લખવાવાળા લોકો પણ છે.

હું દેશવાસીઓનો આભારી છું કે, આટલા બધા પત્રો લખીને આપે મને મદદ કરી છે. શ્રીમાન ગુરૂમણિ કેવળે માય ગોવ પર લખ્યું છે – ‘કાળાં નાણાં પર અંકુશ મૂકવા માટેનું આ પગલું પ્રશંસાને યોગ્ય છે. અમને નાગરિકોને પરેશાની થઇ રહી છે, પરંતુ આપણે બધાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યા છીએ અને આ લડાઇમાં અમે જે સહયોગ આપી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ. ભ્રષ્ટાચાર, કાળાં નાણાં વગેરે સામે આપણે લશ્કરીદળોની જેમ લડી રહ્યાં છીએ’ ગૂરૂમણિ કેવળજીએ જે વાત લખી છે તેવી જ ભાવના દેશના ખૂણેખૂણામાં ઉજાગર થઇ રહી છે. આપણે બધા તેનો અનુભવ કરી રહ્યા છીએ. પરંતુ એ વાત પણ સાચી છે કે, જયારે જનતા કષ્ટ વેઠતી હોય, તકલીફો સહન કરતી હોય ત્યારે એવો કયો માણસ હોય જેને દર્દ ન થતું હોય ? જેટલી પીડા આપને છે એટલી જ પીડા મને પણ થાય છે. પરંતુ એક ઉત્તમ ધ્યેય માટે, એક ઉચ્ચ હેતુ પાર પાડવા માટે, જયારે સારી નિયતથી કામ થાય છે, ત્યારે આ કષ્ટો વચ્ચે, દુઃખ વચ્ચે, પીડા વચ્ચે પણ દેશવાસીઓ હિંમતથી ટકી રહે છે. હકીકતમાં આ લોકો જ પરિવર્તનના પુરોગામી છે. લોકોને હું એક અન્ય કારણ માટે પણ ધન્યવાદ આપું છું કે, તેમણે માત્ર મુશ્કેલીઓ જ નથી વેઠી, બલ્કે એવા કેટલાક લોકોને સણસણતો જવાબ આપ્યો છે, જે જનતાને ગુમરાહ કરવાની કોશિષ કરી રહ્યા છે. કેટલી બધી અફવાઓ ફેલાવવામાં આવી ? ભ્રષ્ટાચાર અને કાળાંનાણાં સામેની લડાઇમે પણ સાંપ્રદાયિકતાના રંગો રંગવાનો પણ કેટલો પ્રયાસ કરવામાં આવ્યો ? કોઇકે અફવા ફેલાવી, નોટ પર લખેલો સ્પેલિંગ ખોટો છે, કોઇકે કહી દીધું, મીઠાના ભાવ વધી ગયા છે, કોઇકે અફવા ફેલાવી, 2000ની નોટ રદ્દ થવાની છે, 500 અને 100ની નોટો પણ રદ્દ થવાની છે, આ પણ ફરીથી રદ્દ થવાનું છે. પરંતુ મે જોયું કે, જાતજાતની અફવાઓ ફેલાવવા છતાં પણ દેશવાસીઓના મનને કોઇ વિચલીત કરી શક્યું નથી. એટલું જ નહીં, કેટલાય લોકો મેદાનમાં આવ્યા, પોતાની સર્જનાત્મકતા દ્વારા, પોતાની બુદ્ધિશકિત દ્વારા અને અફવા ફેલાવનારાઓને ઉઘાડા પાડી દીધા. અફવાઓને પણ ખુલ્લી પાડી દીધી અને સત્યને સામે લાવીને ખડું કરી દીધું. જનતાના આ સામર્થ્યને પણ હું સો સો વંદન કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓ, હું એ સ્પષ્ટ અનુભવ કરી રહ્યો છું કે, જયારે સવાસો કરોડ દેશવાસી તમારી સાથે ઉભા હોય, ત્યારે કંઇ પણ અશક્ય નથી હોતું. અને જનતા જનાર્દન જ તો ઇશ્વરનું રૂપ હોય છે. જનતાના આશીર્વાદ, ઇશ્વરના જ આશીર્વાદ બની જાય છે. “ હું દેશની જનતાને ધન્યવાદ આપું છું, એમને વંદન કરૂં છું કે, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામેના આ મહાયજ્ઞમાં લોકોએ પૂરા ઉત્સાહથી ભાગ લીધો છે. હું ઇચ્છતો હતો કે, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં વિરૂદ્ધ જે આ લડાઇ ચાલી રહી છે. રાજકીયપક્ષો માટે પણ, રાજકીય પક્ષોને અપાતા ફાળા માટે પણ સંસદગૃહમાં વ્યાપક ચર્ચા થાય. જો સંસદ ચાલી હોત તો ચોક્કસ સારી ચર્ચા થાત. જે લોકો અફવા ફેલાવી રહ્યા છે કે, રાજકીય પક્ષોને બધી છૂટછાટ છે તે ખોટી છે. કાયદો બધા માટે સમાન જ હોય છે, પછી એ વ્યકિત હોય, સંગઠન હોય કે રાજકીય પક્ષ હોય, દરેકે કાયદાનું પાલન કરવાનું જ હોય છે અને કરવું જ પડશે. જે લોકો ખુલ્લંખુલ્લા ભ્રષ્ટાચાર અને કાળાંનાણાંને ટેકો નથી આપી શકતાં તે આખો વખત સરકારની ત્રૂટીઓ શોધવામાં જ લાગ્યા રહે છે. ”

એક વાત એવી પણ આવે છે કે, વારંવાર નિયમ શા માટે બદલાય છે ? આ સરકાર જનતા-જનાર્દન માટે છે. સરકાર જનતાનો સતત પ્રતિભાવ લેવાનો પ્રયાસ કરે છે. જનતા-જનાર્દનને કયાં તકલીફ પડે છે ? કયા નિયમના કારણે મુશ્કેલી ઉભી થાય છે ? તેનો શું ઉપાય થઇ શકે છે ? સરકાર એક સંવેદનશીલ સરકાર હોવાના કારણે સરકાર હરપળ જનતા-જનાર્દનની સુખસુવિધાને ધ્યાનમાં રાખીને જેટલા પણ નિયમ બદલવા પડે છે. તે બદલતી રહે છે. જેથી લોકોની પરેશાની ઓછી થાય. બીજી બાજુ મેં પહેલા જ દિવસે કહ્યું હતું, આઠમી તારીખે કહ્યું હતું કે, આ લડાઇ અસાધારણ છે. 70 વર્ષથી બેઇમાની અને ભ્રષ્ટાચારના કાળા ધંધામાં જે શકિતઓ જોડાયેલી છે, તેમની તાકાત કેટલી છે ! એવા લોકો સાથે મુકાબલો કરવાનું મેં જયારે નક્કી કરી લીધું છે, તો તે લોકો પણ સરકારને હરાવવા માટે રોજ નવા નુસ્ખા અપનાવે છે. એ લોકો જયારે નવો નુસ્ખો અજમાવે છે તો તેને કાપવા માટે નવી રીત અપનાવવી પડે છે. “તું ડાળે –ડાળે તો હું પાંદડે – પાંદડે ” કેમ કે, આપણે નક્કી કર્યું છે કે, ભ્રષ્ટાચારીઓને, કાળાધંધાને, કાળાં નાણાંને આપણે નાબૂદ કરવા છે.

બીજી તરફ, કેટલાય લોકોના પત્રો એ બાબતના આવે છે કે, જેમાં કઇ રીતે ગડબડ કરાઇ રહી છે, કઇ રીતે નવાનવા માર્ગ શોધાઇ રહ્યા છે, તેની ચર્ચા છે. વ્હાલા દેશવાસીઓને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. આજે આપ લોકો ટીવી પર, સમાચારપત્રોમાં જોતાં હશો કે, રોજ નવા-નવા લોકો પકડાઇ રહ્યા છે, નોટો પકડાઇ રહી છે, દરોડા પડાઇ રહ્યા છે, સારા-સાર લોકો પકડાઇ રહ્યા છે. આ કેવી રીતે શક્ય બન્યું ? હું તેનું રહસ્ય જણાવું. રહસ્ય એ છે કે, આ બધી જાણકારી મને લોકો પાસેથી મળી રહી છે. સરકારી તંત્ર તરફથી જેટલી જાણકારી મળે છે, તેના કરતાં અનેકગણી વધારે માહીતી અદના નાગરિકો પાસેથી મળી રહી છે અને મોટાભાગે અમને સફળતા મળી રહી છે તે સાધારણ નાગરિકોની જાગરૂકતાના કારણે મળી રહી છે. મારા દેશનો જાગૃત નાગરિક આવા તત્વોને ખુલ્લાં પાડવા માટે કેટલું જોખમ ઉઠાવી રહ્યો છે તેની કોઇ કલ્પના કરી શકે છે ? અને જે જાણકારી મળી રહી છે તેમાં મોટાભાગે સફળતા મળી રહી છે. મને ભરોસો છે કે, સરકારે આ માટે જે એક ઇમેઇલ એડ્રેસ આપ્યું છે કે -જેના પર આપ આ પ્રકારની માહીતી આપવા માગો છે તેના પર પણ મોકલી શકો છો. “ માય ગોવ ” પર પણ મોકલી શકો છો. સરકાર આવી તમામ ખરાબીઓ સામે લડવા કટીબદ્ધ છે અને જયારે આપણે સહયોગ છે તો લડવાનું બહુ સરળ છે.

પત્ર લખનારાનું એક ત્રીજું જૂથ પણ છે. તે પણ બહુ મોટી સંખ્યામાં છે. તેઓ કહે છે : “ મોદીજી થાકી ના જશો, અટકી ના જશો, અને જેટલા કઠોર પગલાં ભરવા પડે તેટલા ભરજો, પણ હવે એકવાર માર્ગ લીધો છે તો મંઝીલ સુધી પહોંચવું જ છે. આવા પત્રો લખનારા સૌને હું ખાસ ધન્યવાદ આપું છું, કેમ કે તેમના પત્રોમાં એક રીતનો વિશ્વાસ પણ છે, આશીર્વાદ પણ છે. હું આપને ભરોસો આપું છું કે, આ પૂર્ણવિરામ નથી. આ તો હજી શરૂઆત છે. આ જંગ જીતવો છે અને થાકવાનો તો સવાલ જ કયાં ઉભો થાય છે ? અને જે કામ માટે સવાસો કરોડ દેશવાસીઓના આશીર્વાદ હોય તેમાં પાછા હટવાનો તો કોઇ પ્રશ્ન જ ઉભો નથી થતો. તમને ખબર હશે, આપણા દેશમાં ‘બેનામી સંપત્તિ’નો એક કાનૂન નાઇન્ટીન એઇટી એઇટ – ઓગણીસસો અઠ્ઠયાસીમાં બન્યો હતો, પરંતુ કયારેય નથી તેના નિયમો બન્યા કે નથી તેને કયારેય જાહેર કરાયો. બસ એમ જ બરફની પેટીમાં એ પડ્યો રહ્યો છે. અમે તેને બહાર કાઢ્યો છે અને બહુ ધારદાર ‘બેનામી સંપત્તિ’નો કાયદો અમે બનાવ્યો છે. આગામી દિવસોમાં તે કાયદો પણ પોતાનું કામ કરશે. દેશહિત માટે, લોકહિત માટે જે કાંઇપણ કરવું પડે, તે કરવાની અમારી પ્રાથમિકતા છે.”

મારા વ્હાલા દેશવાસીઓ, ગયા મહિને પણ “મન કી બાત”માં મેં કહ્યું હતું કે, આ તકલીફો વચ્ચે પણ આપણા ખેડૂતોએ સખત મહેનત કરીને વાવેતરમાં ગયા વર્ષનો વિક્રમ તોડી નાખ્યો છે. ખેતીક્ષેત્રની દ્રષ્ટિએ આ શુભ સંકેત છે. આ દેશનો મજૂર હોય, આ દેશનો ખેડૂત હોય, આ દેશનો નવુયુવાન હોય, આ બધાની મહેનત આજે નવો રંગ લાવી રહી છે. વિતેલા દિવસોમાં વિશ્વના આર્થિક મંચ પર ભારતે અનેક ક્ષેત્રમાં પોતાનું નામ બહુ ગૌરવપૂર્વક અંકિત કરાવ્યું છે. અલગ અલગ માપદંડો દ્વારા ભારતનું વૈશ્વિક ક્રમાંકન(રેન્કીંગ) વધ્યું છે. તે આપણા દેશવાસીઓના સતત પ્રયાસોનું પરિણામ છે. વિશ્વબેન્કના ધંધો-વ્યવસાય કરવાની સરળતાવાળા દેશોના અહેવાલમાં ભારતનું સ્થાન ઉપર આવ્યું છે. ભારતમાં બિઝનેસ પ્રેકટીસીઝને દુનિયાની શ્રેષ્ઠ પ્રેકટીસીઝની બરોબર બનાવવા માટે અમે ઝડપથી પ્રયાસો કરી રહ્યા છીએ અને તેમાં સફળતા મળી રહી છે. (UNCTAD) (વેપાર અને વિકાસ વિષેની રાષ્ટ્રસંઘની સમિતિ) ‘અંકટાડ’ દ્વારા બહાર પડાયેલા વિશ્વ મૂડીરોકાણ અહેવાલ અનુસાર 2016-18 માટે રોકાણની ઉજ્જવળ સંભાવનાવાળા ટોચના અર્થતંત્રોમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલમાં ભારતે 32 સ્થાનની છલાંગ લગાવી છે. વૈશ્વિક નાવિન્ય સૂચકાંક – 2016માં આપણે 16 સ્થાનોની ઉન્નતિ હાંસલ કરી છે અને વિશ્વ બેંકના પરિવહન કાર્યક્ષમતા સૂચકાંક 2016માં 19 ક્રમાંકનો સુધારો થયો છે. કેટલાય અહેવાલ એવા છે જેના મૂલ્યાંકનમાં પણ આ દિશા તરફનો જ નિર્દેશ કરાયો છે. ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આ વખતે સંસદનું સત્ર દેશવાસીઓની નારાજીનું કારણ બન્યુ. ચારેતરફ સંસદના કામકાજ વિષે રોષ પ્રગટ થયો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિજીએ પણ ખુલ્લેઆમ નારાજી વ્યકત કરી. પરંતુ આવા સંજોગોમાં પણ કયારેક-કયારેક કેટલીક સારી બાબતોય બની જતી હોય છે. અને ત્યારે મનને એક મોટો સંતોષ મળતો હોય છે. સંસદના હોબાળા વચ્ચે પણ એક એવું ઉત્તમ કામ થયું, જેના તરફ દેશનું ધ્યાન નથી ગયું. ભાઇઓ-બ્હેનો, આજે મને આ વાત જણાવતાં બહુ ગર્વ અને હર્ષનો અનુભવ થાય છે કે, દિવ્યાંગ-જનો વિષે જે અભિયાન લઇને મારી સરકાર નીકળી હતી, તેની સાથે જોડાયેલું એક વિધેયક સંસદમાં પસાર થઇ ગયું. તે માટે લોકસભા અને રાજયસભાના તમામ સાંસદોનો પણ હું આભાર વ્યકત કરૂં છું. દેશના કરોડો દિવ્યાંગ-જનો વતી આભાર વ્યકત કરૂં છું. દિવ્યાંગો માટે અમારી સરકાર વચનબદ્ધ છે. મેં વ્યકિતગત રીતે પણ તેને લઇને ઝુંબેશ વધુ સતેજ બનાવવાની કોશિશ પણ કરી છે. મારો આશય હતો, દિવ્યાંગજનોને તેમનો હક્ મળે, સન્માન મળે, જેના તેઓ હકદાર છે. આપણા પ્રયત્નો અને ભરોસાને આપણા દિવ્યાંગ ભાઇઓ-બ્હેનોએ તે વખતે મજબૂત બનાવ્યા, જ્યારે તેઓ પેરાલ્મિપિકસમાં ચાર ચંદ્રક જીતીને લાવ્યા. તેમણે પોતાની જીતથી કેવળ દેશનું માન જ નથી વધાર્યું, પરંતુ પોતાની ક્ષમતાથી લોકોને આશ્ચર્યચકિત પણ કરી દીધા છે. આપણા દિવ્યાંગ ભાઇઓ-બ્હેનો પણ દેશના દરેક નાગરિકની જેમ આપણો એક અણમોલ વારસો છે, અણમોલ શકિત છે. હું આજે અનહદ ખુશ છું કે, દિવ્યાંગજનોના હિતમાં આ કાયદો પસાર થયા પછી દિવ્યાંગો પાસે નોકરીઓની વધુ તકો હશે. તેમના માટે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા વધારીને 4 ટકા કરી દેવામાં આવી છે. આ કાયદાથી દિવ્યાંગોના શિક્ષણ, સગવડો અને ફરિયાદોના નિવારણ માટે ખાસ જોગવાઇઓ પણ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે થઇને સરકાર કેટલી સંવેદનશીલ છે તેનો અંદાજ આપ એ વાત પરથી લગાવી શકો છો કે, કેન્દ્ર સરકારે પાછલાં બે વર્ષમાં દિવ્યાંગજનો માટે ચાર હજાર ત્રણસો પચાસ કેમ્પ યોજયા છે. 352 કરોડ રૂપિયાની રકમ ખર્ચીને 5 લાખ 80 હજાર દિવ્યાંગ ભાઇઓ-બ્હેનોને સાધનો વહેંચ્યાં છે. સરકારે રાષ્ટ્રસંઘની ભાવનાને અનૂરૂપ જ નવો કાયદો પસાર કર્યો છે. પહેલાં દિવ્યાંગોના સાત પ્રકારના વર્ગો હતા, પરંતુ હવે કાયદો બનાવીને તેને 21 પ્રકારના કરવામાં આવ્યા છે, તેમાં ચૌદ નવા વર્ગો વધારીને જોડવામાં આવ્યા છે. દિવ્યાંગોના કેટલાય એવા વર્ગોનો સમાવેશ કરાયો છે, જેમને પહેલી વાર ન્યાય મળ્યો છે, તક મળી છે, થેલેસેમિયા, પાર્કિન્સન્સ અથવા ઠીંગણાપણું જેવા વર્ગના વિકલાંગોનો પણ આ વર્ગોમાં સમાવેશ કરાયો છે.

મારા યુવાન સાથીઓ, પાછલાં કેટલાંક અઠવાડિયામાં રમતના મેદાનમાંથી એવા ખબર આવ્યા છે જેણે આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે. ભારતીય હોવાના નાતે આપણને સૌને ગર્વ થવો બહુ સ્વાભાવિક છે. ભારતીય ક્રિકેટ ટીમની ઇંગ્લેન્ડ વિરૂદ્ધની શ્રેણીમાં ચાર-શૂન્યથી જીત થઇ છે. એમાં કેટલાક યુવાન ખેલાડીઓની કામગીરી વખાણવાલાયક રહી. આપણા નવયુવાન કરૂણ નાયરે ત્રેવડી સદી ફટકારી, તો કે.એલ.રાહુલે દાવમાં 199 રન કર્યા. ટેસ્ટ સુકાની વિરાટ કોહલીએ તો સારા બેટીંગની સાથેસાથે સારૂં નેતૃત્વ પણ કર્યું. ભારતીય ક્રિકેટ ટીમના ઓફ-સ્પીનર આર.અશ્વિનને આઇસીસીએ વર્ષ 2016ના વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર અને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કર્યો છે. આ સહુને મારા ખૂબ ખૂબ અભિનંદન – અનેક અનેક શુભેચ્છાઓ. હોકીના ક્ષેત્રમાં પણ પંદર વરસ પછી બહુ સારા સમાચાર આવ્યા, શાનદાર ખબર આપ્યાં. આપણી જૂનિયર હોકી ટીમે વિશ્વકપ કબ્જે કર્યો. પંદર વરસ પછી આ તક આવી છે કે, જયારે જુનિયર હોકી ટીમે વિશ્વકપ જીત્યો છે. આ સિદ્ધિ બદલ નવયુવાન ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સિદ્ધિ ભારતીય હોકી ટીમના ભાવિ માટે શુભ સંકેત છે. ગયા મહિને આપણી મહિલા ખેલાડીઓએ પણ કમાલ કરી બતાવી. ભારતની મહિલા હોકી ટીમે એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી અને હજી થોડા દિવસ પહેલાં જ 18 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના એશિયા કપની સ્પર્ધામાં ભારતની મહિલા હોકી ટીમે કાંસ્યચંદ્રક જીત્યો. ક્રિકેટ અને હોકી ટીમના તમામ ખેલાડીઓને હું હૃદયપૂર્વક ખૂબખૂબ અભિનંદન પાઠવું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, 2017નું વર્ષ નવા ઉમંગ અને ઉસ્તાહનું વર્ષ બને, આપના બધા સંકલ્પો સિદ્ધ થાય, વિકાસની નવી ઉંચાઇને આપણે સર કરીએ, સુખ-ચેનની જીંદગી જીવવા માટે ગરીબમાં ગરીબને પણ તક મળે, એવું આપણું 2017નું વર્ષ રહે. 2017ના વર્ષ માટે સૌ દેશવાસીઓને મારા તરફથી અનેક અનેક શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.

TR