Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

26 માર્ચ, 2017ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ


મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને મારા નમસ્કાર, દેશમાં બધી જગ્યાએ મોટા ભાગના પરિવારો પોતાના બાળકોની પરીક્ષામાં વ્યસ્ત હશે. જેમની પરીક્ષા પૂરી થઇ ગઇ હશે તેમને ત્યાં કંઇક હળવાશનું વાતાવરણ હશે અને જયાં પરીક્ષા ચાલી રહી હશે, તે પરિવારોમાં અત્યારે પણ થોડી-ઘણી તો ચિંતા હશે જ. પરંતુ આ સમયે હું એ જ કહીશ કે ગયા વખતે મેં મન કી બાતમાં વિદ્યાર્થીઓને જે જે વાતો કરી છે, તેને ફરી સાંભળી લો. પરીક્ષાના સમયે તે વાર્તા આપને જરૂર કામમાં આવશે.

આજે 26 માર્ચ છે. 26 માર્ચ બાંગ્લાદેશની સ્વતંત્રતાનો દિવસ છે. અન્યાયની સામે એક ઐતિહાસિક લડાઇ, બંગ-બંધુના નેતૃત્વમાં બાંગ્લાદેશની જનતાનો અભૂતપૂર્વ વિજય. આજના આ મહત્વના દિવસે હું બાંગ્લાદેશના નાગરિક ભાઇઓ-બહેનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને એ કામના કરૂં છું કે, બાંગ્લાદેશ આગળ વધે, વિકાસ કરે અને બાંગ્લાદેશીવાસીઓને હું વિશ્વાસ અપાવું છું કે, ભારત બાંગ્લાદેશનું એક મજબૂત સાથી છે, એક સારૂં મિત્ર છે અને આપણે ખભે-ખભા મેળવીને આ સમગ્ર ક્ષેત્રની અંદર શાંતિ, સુરક્ષા અને વિકાસમાં આપણું યોગદાન કરતા રહીશું.

આપણે બધાને એ વાતનો ગર્વ છે કે, રવીન્દ્રનાથ ટાગોર, તેમની યાદો, એ આપણો સંયુક્ત વારસો છે. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની રચના છે. ગુરૂદેવ ટાગોર વિશે એક બહુ રસપ્રદ વાત એ છે કે, વર્ષ 1913માં તેઓ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારના સર્વપ્રથમ એશિયાઇ વ્યક્તિ તો હતા જ સાથે અંગ્રેજોએ તેમને નાઇટહુડની પદવી આપી હતી. અને વર્ષ 1919માં જયારે અંગ્રેજોએ જલિયાંવાલા બાગમાં નરસંહાર કર્યો તો રવીન્દ્રનાથ ટાગોર એ મહાપુરૂષોમાં હતા જેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો અને આ જ કાળખંડ હતો જયારે 12 વર્ષના એક બાળક પર આ ઘટનાનો ઉંડો પ્રભાવ પડ્યો. કિશોર અવસ્થામાં ખેતરોમાં હસતાકૂદતા એ બાળકને જલિયાંવાલા બાગના નૃશંસ હત્યાકાંડે જીવનની એક નવી પ્રેરણા આપી હતી અને વર્ષ 1919ના 12 વર્ષના એ બાળક ભગત, આપણા બધાના પ્રિય, આપણા બધાની પ્રેરણા શહીદ ભગતસિંહ હતા. આજથી ત્રણ દિવસ પહેલાં, 23 માર્ચે ભગતસિંહજીને અને તેમના સાથી સુખદેવ અને રાજગુરૂને અંગ્રેજોએ ફાંસી પર લટકાવી દીધા હતા અને આપણે બધા 23 માર્ચની એ ઘટના જાણીએ છીએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂના ચહેરા પર મા ભારતીની સેવા કરવાનો સંતોષ હતો મૃત્યુનો ભય નહોતો. જીવનના બધાં સપનાં મા ભારતીની સ્વતંત્રતાના યજ્ઞમાં હોમી દીધાં હતાં. અને આ ત્રણેય વીરો આજે પણ આપણા બધાની પ્રેરણા છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના બલિદાનની ગાથાને આપણે શબ્દોમાં અલંકૃત પણ કરી નહીં શકીએ. અને આખી બ્રિટિશ સલ્તનત આ ત્રણેય યુવકોથી ડરતી હતી. જેલમાં બંધ હતા, ફાંસી નક્કી હતી, પરંતુ તેની સાથે પણ કેવી રીતે આગળ વધવું, તેની ચિંતા બ્રિટિશરોને સતાવતી હતી. અને ત્યારે જ તો ફાંસી દેવાની હતી તો 24 માર્ચે, પરંતુ 23 માર્ચે જ દઇ દેવામાં આવી. ફાંસી ચોરીછુપીથી દઇ દેવામાં આવી, જે સામાન્ય રીતે કરાતું નથી. અને પછી તેમનાં શરીરને આજના પંજાબમાં લઇ જઇને અંગ્રેજોએ ચૂપચાપ સળગાવી દીધાં હતાં. કેટલાંક વર્ષો પહેલાં મને જયારે પહેલીવાર ત્યાં જવાની તક મળી તો એ ધરતી પર હું એકપ્રકારના તરંગોનો અનુભવ કરતો હતો. અને હું દેશના નવયુવાનોને જરૂર કહીશ કે જયારે પણ તક મળે તો, પંજાબ જાવ તો, ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, ભગતસિંહના માતાજી અને બટુકેશ્વર દત્તની સમાધિના સ્થાન પર જરૂર જજો.

આ જ તો કાળખંડ હતો જયારે આઝાદીની ઝંખના, તેની તીવ્રતા, તેનો વ્યાપ વધતો જ જઇ રહ્યો હતો. એક તરફ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા વીરોએ સશસ્ત્ર ક્રાંતિ માટે અનેક યુવકોને પ્રેરણા આપી હતી તો આજથી બરાબર સો વર્ષ પહેલાં 10 એપ્રિલ 1917ના રોજ મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. આ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દિનું વર્ષ છે. ભારતની સ્વતંત્રતાના આંદોલનમાં ગાંધીવિચાર અને ગાંધીશૈલી, તેનું પ્રગટરૂપ પહેલીવાર ચંપારણમાં નજરે પડ્યું હતું. સ્વતંત્રતાની સમગ્ર આંદોલન યાત્રામાં આ એક મોટો વળાંક હતો. ખાસ કરીને સંઘર્ષની રીત-પદ્ધતિની દ્રષ્ટિએ, આ જ કાળખંડમાં ચંપારણનો સત્યાગ્રહ, ખેડાનો સત્યાગ્રહ, અમદાવાદમાં મિલમજૂરોની હડતાળ.. તે બધામાં મહાત્મા ગાંધીના વિચાર અને કાર્યશૈલીનો ઉંડો પ્રભાવ નજરે પડતો હતો. 1915માં ગાંધી વિદેશથી પાછા આવ્યા અને 1917માં બિહારના એક નાનકડા ગામડામાં જઇને તેમણે દેશને એક નવી પ્રેરણા આપી. આજે આપણા મનમાં મહાત્મા ગાંધીની જે છબિ છે તે છબિના આધાર પર આપણે ચંપારણ સત્યાગ્રહનું મૂલ્યાંકન ન કરી શકીએ. કલ્પના કરો કે એક માણસ, જે 1915માં ભારત પાછા આવ્યા. માત્ર બે વર્ષનો કાર્યકાળ. ન તો દેશ તેમને જાણતો હતો, ન તેમનો પ્રભાવ હતો, હજુ તો શરૂઆત હતી. તે સમયે તેમને કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે, કેટલી મહેનત કરવી પડી હશે, તેનું આપણે અનુમાન કરી શકીએ છીએ. અને ચંપારણ સત્યાગ્રહ એવો હતો જેમાં મહાત્મા ગાંધીના સંગઠન કૌશલ્ય, મહાત્મા ગાંધીની ભારતીય સમાજની નાડી પારખવાની શકિત, મહાત્મા ગાંધી દ્વારા પોતાના વ્યવહારથી અંગ્રેજ સલ્તનત સામે અતિ ગરીબ, અભણ વ્યકિતને પણ સંઘર્ષ માટે સંગઠિત કરવી, પ્રેરિત કરવી, સંઘર્ષ માટે મેદાનમાં લાવવી, આ અદભૂત શકિતનું દર્શન કરાવે છે. અને આથી આ રૂપમાં આપણે મહાત્મા ગાંધીની વિરાટતાનો અનુભવ કરીએ છીએ. પરંતુ જો સો વર્ષ પહેલાના ગાંધી વિશે વિચારીએ, તે ચંપારણ સત્યાગ્રહવાળા ગાંધીને, તો સાર્વજનિક જીવનની શરૂઆત કરનારા કોઇપણ વ્યકિત માટે ચંપારણ સત્યાગ્રહ ખૂબ જ મોટા અધ્યયનનો વિષય છે. સાર્વજનિક જીવનની શરૂઆત કઇ રીતે કરી શકાય, પોતે કેટલો પરિશ્રમ કરવો પડે અને ગાંધીએ કઇ રીતે કર્યો હતો તે આપણે તેમની પાસેથી શીખી શકીએ છીએ. અને આ જ સમય હતો જયારે આપણે જે મોટા-મોટા દિગ્ગજ નેતાઓના નામ સાંભળીએ છીએ, ગાંધીએ તે સમયે રાજેન્દ્ર બાબુ હોય, આચાર્ય કૃપલાણીજી હોય, તે બધાને ગામડાઓમાં મોકલ્યા હતા. લોકો સાથે જોડાઇને, લોકો જે કામ કરી રહ્યા હતા, તેને સ્વતંત્રતાના રંગથી રંગી દેવાની રીત શીખવી હતી. અને અંગ્રેજો સમજી ન જ શક્યા કે આ ગાંધીની પદ્ધતિ-રીત શું છે ? સંઘર્ષ પણ ચાલે, સર્જન પણ ચાલે અને બંને એક સાથે ચાલે. ગાંધીએ જાણે કે એક સિક્કાની બે બાજુ બનાવી દીધી હતી. સિક્કાની એક બાજુ સંઘર્ષ તો બીજી બાજુ સર્જન. એક તરફ જેલ ભરી દેવી તો બીજી તરફ રચનાત્મક કાર્યોમાં પોતાની જાતને હોમી દેવી. ગાંધીની કાર્યશૈલીમાં એક બહુ અદભૂત સંતુલન હતું. સત્યાગ્રહ શબ્દ શું હોય છે, અસહમતિ શું હોઇ શકે છે, આટલી મોટી સલ્તનત સામે અસહયોગ શું હોય છે. એક આખી નવી વિભાવના ગાંધીએ શબ્દો દ્વારા નહીં પરંતુ એક સફળ પ્રયોગ દ્વારા પ્રસ્થાપિત કરી દીધી હતી.

આજે જયારે દેશ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી મનાવી રહ્યો છે ત્યારે ભારતના સામાન્ય માનવીની શકિત કેટલી અપાર છે, તે અપાર શકિતને સ્વતંત્રતાના આંદોલનની જેમ, સ્વરાજથી સુરાજની યાત્રા માટે, સવા સો કરોડ દેશવાસીઓની સંકલ્પ શકિત, પરિશ્રમની પરાકાષ્ઠા, સર્વજન હિતાય સર્વજન સુખાય, આ મૂળ મંત્રને લઇને દેશ માટે, સમાજ માટે, કંઇ કરી છુટવાનો અખંડ પ્રયાસ જ સ્વતંત્રતા માટે બલિદાન આપનારા આ મહાપુરૂષોના સપનાંઓને સાકાર કરશે.

આજે જયારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે કયો હિન્દુસ્તાની એવો  હશે જે ભારતને બદલવા નહીં માગતો હોય ? કયો હિન્દુસ્તાની હશે જે દેશમાં પરિવર્તન માટે ભાગીદાર બનવા નહીં ઇચ્છતો હોય ? સવાસો કરોડ દેશવાસીઓની આ પરિવર્તનની ઇચ્છા, આ પરિવર્તનનો પ્રયાસ, આ જ તો છે જે નવા ભારત, ન્યુ ઇન્ડિયાનો મજબૂત પાયો નાખશે. ન્યૂ ઇન્ડિયા ન તો કોઇ સરકારી કાર્યક્રમ છે, ન તો કોઇ રાજકીય પક્ષનો ચૂંટણી ઢંઢેરો અને ન તો કોઇ પ્રોજેક્ટ છે. ન્યુ ઇન્ડિયા સવા સો કરોડ દેશવાસીઓનું આહવાન છે. આ ભાવ છે કે સવા સો કરોડ દેશવાસી મળીને કેવું ભવ્ય ભારત બનાવવા માગે છે. સવા સો કરોડ દેશવાસીઓના મનની અંદર એક આશા છે, એક ઉમંગ છે, એક સંકલ્પ છે, એક ઇચ્છા છે.

મારા પ્રિય દેશવાસીઓ, જો આપણે થોડું પણ પોતાની જીંદગીથી દૂર જઇને સંવેદનાસભર નજરથી સમાજમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને જોઇએ, આપણી આજુબાજુમાં શું થઇ રહ્યું છે, તેને જાણવા-સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને આશ્ચર્ય થશે કે લક્ષાવધિ લોકો નિઃસ્વાર્થ ભાવથી પોતાની અંગત જવાબદારીઓ ઉપરાંત સમાજ માટે, શોષિત, પીડીત, વંચિતો માટે, ગરીબો માટે, દુઃખી લોકો માટે કંઇને કંઇ કરતા નજરે પડે છે. અને તે પણ એક મૂકસેવકની જેમ તપસ્યા કરતા હોય, સાધના કરતા હોય તેમ કરતા રહે છે. અનેક લોકો નિત્ય હોસ્પિટલ જાય છે, દર્દીઓની મદદ કરે છે. અનેક લોકો જેમને ખબર પડે કે તરત રક્તદાન માટે દોડી જાય છે. અનેક લોકો છે જે કોઇ ભૂખ્યું હોય તો તેના ભોજનની ચિંતા કરે છે. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. જનસેવા એ જ પ્રભુ સેવા, આ મંત્ર આપણા લોહીમાં છે. જો આપણે એક વાર તેને સામૂહિકતાના રૂપમાં જોઇએ, સંગઠિત રૂપમાં જોઇએ તો ખબર પડશે કે આ કેટલી મોટી શક્તિ છે. જયારે ન્યુ ઇન્ડિયાની વાત થાય છે તો તેની ટીકા થવી, વિવેચના થવી, ભિન્ન દ્રષ્ટિકોણથી તેને જોવું બહુ સ્વાભાવિક છે અને તે લોકતંત્રમાં આવકાર્ય છે. પરંતુ એ વાત સાચી છે કે, સવાસો કરોડ દેશવાસીઓ જો સંકલ્પ કરે, સંકલ્પને સિદ્ધ કરવા માટે માર્ગ નક્કી કરી લે, એક પછી એક ડગ માંડતા જાય તો ન્યૂ ઇન્ડિયા સવાસો કરોડ દેશવાસીઓનું સપનું આપણી આંખોની સામે જ સિદ્ધ થઇ શકે છે. અને જરૂરી નથી કે બધી ચીજો બજેટથી જ થાય, સરકારી પ્રોજેક્ટ કે સરકારી ધનથી જ થાય. જો દરેક નાગરિક સંકલ્પ કરે કે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, જો દરેક નાગરિક સંકલ્પ કરે કે હું મારી જવાબદારીઓને પૂરી પ્રમાણિકતા અને નિષ્ઠાથી નિભાવીશ. જો દરેક નાગરિક સંક્લ્પ કરે કે સપ્તાહમાં એક દિવસ મારા જીવનમાં હું પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નહીં કરૂં તો કેટલું મોટું પરિવર્તન આવી શકે. ચીજો નાની-નાની હોય છે. તમે જોજો, આ દેશનું, જે ન્યુ ઇન્ડિયાનું સપનું સવા સો કરોડ દેશવાસીઓ જોઇ રહ્યા છે, તે પોતાની આંખોની સામે સાકાર થતું જોઇ શકીશું. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક નાગરિક પોતાના નાગરિક ધર્મનું પાલન કરે, કર્તવ્યનું પાલન કરે. તે જ આપોઆપ ન્યુ ઇન્ડિયાની એક સારી શરૂઆત બની શકે છે.

આવો, 2022 ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવાં જઇ રહ્યાં છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂને યાદ કરીએ છીએ. ચંપારણ સત્યાગ્રહને યાદ કરીએ છીએ તો શા માટે આપણે પણ સ્વરાજથી સુરાજની આ યાત્રામાં આપણા જીવનને અનુશાસિત કરીને, સંકલ્પબદ્ધ કરીને ન જોડાઇએ ? હું આપ સહુને નિમંત્રણ આપું છું. આવો.

મારા પ્રિય દેશવાસીઓ, હું આજે આપનો આભાર પણ માનવા માગું છું. ગત કેટલાક દિવસોમાં આપણા દેશમાં એક એવું વાતાવરણ બન્યું. બહુ મોટી સંખ્યામાં લોકો ડીજીટલ ચૂકવણી, ડિજીધન આંદોલનમાં સહભાગી બન્યા. રોકડ વગર કેવી રીતે લેવડદેવડ થઇ શકે છે, તેની જીજ્ઞાસા પણ વધી છે. સાવ ગરીબ વ્યકિત પણ શીખવા પ્રયાસ કરી રહ્યો છે અને ધીરેધીરે લોકો પણ રોકડ વગર કેવી રીતે વેપાર કરવો, તેના તરફ આગળ વધી રહ્યા છે. વિમુદ્રિકરણ, નોટબંધી પછીથી ડીજીટલ ચૂકવણીની અલગ-અલગ રીતોમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. ભીમ એપનો પ્રારંભ થયાને હજું તો માત્ર બે-અઢી મહિના જેટલો સમય જ થયો છે પરંતુ અત્યારસુધીમાં લગભગ દોઢ કરોડ લોકોએ તેને ડાઉનલોડ કરી છે.

મારા પ્રિય દેશવાસીઓ, કાળાં નાણાં, ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઇને આપણે આગળ વધારવાની છે, સવા સો કરોડ દેશવાસીઓ એક વર્ષમાં અઢી હજાર કરોડ ડિજીટલ લેવડદેવડ કામ કરવાનો સંકલ્પ કરી શકે શું ? અમે બજેટમાં ઘોષણા કરી છે. સવા સો કરોડ દેશવાસીઓ માટે આ કામ અગર તેઓ ઇચ્છે તો એક વર્ષ રાહ જોવાની જરૂર નથી, છ મહિનામાં કરી શકે છે. અઢી હજાર કરોડ ડીજીટલ લેવડદેવડ, જો આપણે નિશાળની ફી ભરવાની હોય તો રોકડમાં નહીં ભરીએ, ડીજીટલથી ભરીશું, આપણે રેલવેમાં પ્રવાસ કરવાનો હોય, વિમાનમાં પ્રવાસ કરવાનો હોય તો ડીજીટલ ચૂકવણી કરીશું, આપણે દવાઓ ખરીદશું તો ડીજીટલ ચૂકવણી કરીશું, આપણે સસ્તા અનાજની દુકાન ચલાવતા હોઇએ તો ડીજીટલ વ્યવસ્થા કરીશું. રોજબરોજની જીંદગીમાં આ કામો કરી શકીએ છીએ આપણે. તમને કલ્પના નથી પરંતુ તેનાથી તમે દેશની બહુ મોટી સેવા કરી શકો છો અને કાળાં નાણાં, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઇના તમે એક વીર સૈનિક બની શકો છો. ગત દિવસોમાં લોકશિક્ષા માટે ડીજીધન મેળાના અનેક કાર્યક્રમો થયા છે. દેશભરમાં 100 કાર્યક્રમો કરવાનો સંકલ્પ છે. 80-85 કાર્યક્રમો થઇ ચૂક્યા છે. તેમાં ઇનામ યોજના પણ હતી. લગભગ સાડા બાર લાખ લોકોએ ગ્રાહકનું આ ઇનામ પ્રાપ્ત કર્યું છે. 70 હજાર લોકોએ વેપારીઓ માટે જે ઇનામ હતું તે મેળવ્યું છે. અને દરેક જણે આ કામને આગળ વધારવાનો સંકલ્પ પણ કર્યો છે. 14 એપ્રિલ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. અને ઘણા વખત પહેલેથી જેમ નક્કી થયું હતું તેમ 14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડીજીધન મેળાનું સમાપન થવાનું છે. સો દિવસ પૂરા થયા બાદ એક છેલ્લો બહુ મોટો કાર્યક્રમ થવાનો છે. બહુ મોટા ડ્રો ની પણ તેમાં જોગવાઇ છે. મને વિશ્વાસ છે કે, બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીનો જેટલો પણ સમય આપણી પાસે બચ્યો છે, તેમાં આપણે ભીમ એપનો પ્રચાર કરીએ. રોકડ વ્યવહાર ઓછા કેવી રીતે થાય, નોટોથી વ્યવહાર ઓછો કેવી રીતે થાય, તેમાં આપણે તેમાં આપણે આપણું યોગદાન આપીએ.

મારા વહાલા દેશવાસીઓ, મને ખુશી થાય છે  કેમ કે દરેક વખતે હું મન કી બાત માટે લોકો પાસેથી સૂચન મંગાવું છું ત્યારે દરેક પ્રકારના સુચનો આવે છે. પરંતુ મેં એ જોયું છે કે, સ્વચ્છતા વિષય માટે હર હંમેશ લોકોનો આગ્રહ રહ્યો છે.

હમણાં જ થોડા સમય પહેલાં દહેરાદૂનથી ગાયત્રી નામની 11મા ધોરણમાં ભણતી એક દિકરીએ મને ફોન કરીને એક સંદેશ મોકલ્યો છે.

આદરણીય પ્રધાનાચાર્ય, પ્રધાનમંત્રીજી, સાદર પ્રણામ, સૌ પ્રથમ તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે આ ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે વિજય હાંસલ કર્યો છે. હું તમારી સાથે મારા મનની વાત કરવા માંગું છું. હું કહેવા માંગું છું કે, લોકોએ સમજવું પડશે કે સ્વચ્છતા કેટલી જરૂરી છે. હું દરરોજ એક નદી પાસેથી પસાર થાઉં છું જેમાં લોકો ખૂબ જ કચરો ફેંકે છે અને નદીને પ્રદૂષિત કરે છે. તે નદી રિસ્પના પુલ પાસેથી વહેતી-વહેતી મારા ઘર સુધી આવે છે. તે નદી માટે અને અનેક વિસ્તારોમાં જઇને રેલી કાઢી છે અને એ વિશે અનેક લોકો સાતે વાતો પણ કરી છે, પરંતુ તેનો કોઇપણ ફાયદો થયો નથી. હું તમને વિનંતી કરવા માંગું છું કે, તમારી એક ટીમ મોકલીને અથવા ન્યૂઝપેપર માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડો, ધન્યવાદ.

જુઓ ભાઇઓ અને બહેનો, 11મા ધોરણમાં અભ્યાસ કરતી દિકરીને કેટલી પીડા છે, તે નદીમાં ગંદકી જોઇને તેને કેટલો ગુસ્સો આવી રહ્યો છે. હું આ વાતને સારો સંકેત માનું છું. હું એ જ તો ઇચ્છું છું કે, સવાસો કરોડ દેશવાસીઓના મનમાં ગંદકી પ્રત્યે ગુસ્સો પેદા થાય, નારાજગી પેદા થાય, તેના પ્રત્યે રોષ જન્મે તો આપણે જ ગંદકી વિરૂદ્ધ કંઇક કરવા લાગી પડીશું. અને સારી વાત તો એ છે કે, ગાયત્રી પોતે પોતાનો ગુસ્સો પણ પ્રગટ કરી રહી છે, મને સૂચન પણ કરી રહી છે અને સાથે-સાથે એ પણ જણાવી રહી છે કે તેણે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તેને નિષ્ફળતા મળી. જયારથી સ્વચ્છતા આંદોલનની શરૂઆત થઇ છે જાગૃતતા આવી છે. દરેક વ્યકિત તેમાં સકારાત્મક રૂપથી જોડાતા ગયા છે. તેણે એક આંદોલનનું રૂપ પણ લીધું છે. ગંદકી પ્રત્યે નફરત પણ વધી રહી છે. જાગૃતિ હોય, સક્રિય ભાગીદારી હોય, આંદોલન થાય તે તમામનું પોતાનું મહત્વ છે. પરંતુ સ્વચ્છતા આંદોલન કરતા આદતો સાથે જોડાયેલી છે. આ આંદોલન ટેવો બદલવા માટેનું આંદોલન છે, આ આંદોલન સ્વચ્છતાની ટેવો પેદા કરવા માટેનું આંદોલન છે. આ આંદોલન સામૂહિક રીતે થઇ શકે છે. કામ અઘરૂં છે પરંતુ કરવાનું છે. મને વિશ્વાસ છે કે, દેશની નવી પેઢીમાં, બાળકોમાં, વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં આ ભાવ જાગ્યો છે અને આ ખુદ એક સારા પરિણામના સંકેત છે. આજે મારા મન કી બાત કાર્યક્રમમાં ગાયત્રીની વાત જેઓ સાંભળી રહ્યાં છે હું એ તમામ દેશવાસીઓને કહીશ કે ગાયત્રીનો આ સંદેશ આપણા બધા જ માટે એક સંદેશ બનવો જોઇએ.

મારા વહાલા દેશવાસીઓ જયારથી મન કી બાત હું કરી રહ્યો છું ત્યારથી શરૂઆતથી જ મને એક વાત પર ઘણાં સૂચનો મળતા રહ્યાં અને મોટાભાગના લોકોએ અન્નના બગાડ વિષે ચિંતા વ્યક્ત કરી છે. આપણે જાણીએ છીએ કે, આપણે પરિવારમાં અને સામૂહિક ભોજન સમારંભોમાં પણ જરૂરિયાતથી વધુ ભોજન થાળીમાં લઇએ છીએ. જેટલી પણ વસ્તુ દેખાય બધું જ થાળીમાં લઇ લઇએ છીએ અને તે ખાઇ શકતા નથી. જેટલું થાળીમાં ભરીએ છીએ એનાથી અડધું પણ આપણે ખાઇ શકતા નથી અને તેને ત્યાં જ મૂકીને ચાલી નીકળીએ છીએ. તમે કયારેય વિચાર્યું છે કે આપણે જે ભોજન છોડી દઇએ છીએ તેનાથી કેટલું નુકસાન કરીએ છીએ. શું કયારેય વિચાર્યું છે કે, આપણે ભોજનનો બગાડ ન કરીએ તો કેટલાક ગરીબોનું પેટ ભરી શકીએ છીએ. આ વાત એવી નથી કે સમજાવવી પડે. આમ તો આપણાં પરિવારમાં નાના બાળકોને જયારે મા પીરસે છે તો કહેતી હોય છે કે, બેટા જેટલું ખાવું હોય એટલું જ લો. કોઇકને કોઇક પ્રયત્નો થતાં રહે છે આમ છતાં આ વિષય પર ઉદાસીનતા એક સમાજદ્રોહ છે. ગરીબો સાથે અન્યાય છે. બીજી તરફ જો બચત થાય તો પરિવારનો પણ આર્થિક લાભ થશે. સમાજ માટે વિચારો, સારી વાત છે. જો કે, આ વિષય એવો છે કે, પરિવારને પણ લાભ થાય. હું આ વિષય પર વધારે આગ્રહ નથી કરી રહ્યો પરંતુ હું ઇચ્છું છું કે, જાગૃતિ વધવી જોઇએ. હું કેટલાક યુવાનોને ઓળખું છું કે, જેઓ આ પ્રકારનું આંદોલન ચલાવે છે, તેમણે મોબાઇલ એપ બનાવેલી છે અને જયાં પણ આવો અન્નનો બગાડ થયો હોય ત્યાં લોકો તેમને બોલાવે છે, તેઓ વધારાનું અન્ન એકઠું કરે છે અને તેનો સદઉપયોગ કરે છે, મહેનત કરે છે, અને આપણાં દેશના જ યુવાનો આ બધું કરી રહ્યા છે. ભારતના દરેક રાજયમાં કોઇને કોઇ ખૂણે આવા લોકો તમને મળી રહેશે. એમનું જીવન જ આપણને પ્રેરણા આપે છે કે, આપણે અન્નનો બગાડ ન કરીએ. આપણે એટલું જ લઇએ જેટલું ખાવું હોય.

જુવો, બદલાવ માટે આ પ્રકારના જ ઉપાયો હોય છે. અને જે લોકો શરીર સ્વાસ્થ્ય અંગે જાગૃત હોય છે તે હંમેશા કહે છે થોડું પેટ ખાલી રાખો, થોડી પ્લેટ ખાલી રાખો. અને જયારે સ્વાસ્થ્યની વાત આવી જ છે તો સાંભળો 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ WORD HEALTH DAY છે. સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2030 સુધી યુનિવર્સલ હેલ્થ કવરેજ એટલે સૌનું આરોગ્યનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ વખતે યુનાઇટેડ નેશન્સે 7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ પર, ડિપ્રેશન વિષય પર ફોકસ કર્યું છે. આ વખતની તેમની થીમ ડિપ્રેશનછે. આપણે પણ ડિપ્રેશન શબ્દથી પરિચિત છીએ. પરંતુ જો, તેનો શાબ્દિક અર્થ કરવો હોય તો કેટલાક લોકો તેને હતાશા તરીકે પણ જાણે છે. એક અંદાજ છે કે, વિશ્વમાં 35 કરોડથી વધુ લોકો માનસિક રીતે ડિપ્રેશનથી પિડિત છે. મુશ્કેલી એ છે કે આપણી આસપાસ આવા લોકો હોય છે પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી અને કદાચ આ વિષય પર ખુલીને વાત કરવામાં પણ આપણને સંકોચ થતો હોય છે. જે પોતે ડિપ્રેશનથી પિડીત હોય એ પણ કશું બોલતા નથી કારણ કે, તેઓ પોતે પણ આ અંગે શરમ અનુભવે છે.

હું મારા દેશવાસીઓને કહેવા માંગું છું કે, ડિપ્રેશન એવી કોઇ બિમારી નથી કે જેનાથી મુક્તિ ન મળી શકે. એના માટે એક મનોવૈજ્ઞાનિક વાતાવરણ ઉભું કરવાની જરૂર હોય છે અને તેમાંથી બહાર આવવા માટેનો પહેલો મંત્ર છે કે, ડિપ્રેશનના સપ્રેશનને બદલે તેના એકસપ્રેશનની જરૂર છે. તમે શું અનુભવી રહ્યાં છો તેના વિશે તમારા સાથી, મિત્રો, માતા-પિતા, ભાઇ-બહેન અને શિક્ષક સાથે ખુલીને વાત કરો. કયારેક-કયારેક એકલાપણું લાગતું હોય છે અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલીઓ પડતી હોય છે. આપણા દેશનું સૌભાગ્ય એ છે કે આપણો ઉછેર સંયુક્ત પરિવારમાં થયો છે. પરિવાર મોટા હોય છે, ત્યાં હળી-મળીને રહીએ છીએ જેના કારણે ડિપ્રેશનની શક્યતા નહિંવત હોય છે. આમ છતાં હું માતા-પિતાને કહેવા માંગું છું કે, કયારેય તમે જોયું છે કે તમારા દિકરો કે દિકરી અથવા પરિવારનો કોઇપણ સભ્ય, બધા સાથે જમવા બેઠા હોય અને તે એવું કહે કે હું હમણાં નહીં જમું, પછી જમીશ, અને તે ટેબલ પર ન આવે. ઘરના બધા જ લોકો બહાર જતાં હોય અને તે એવું કહે કે મારે નથી આવવું અને તે એકલા રહેવાનું પસંદ કરે છે. કયારેય તમારૂં ધ્યાન ગયું છે કે તે આવું કેમ કરે છે ? તમારે એ સમજવું જોઇએ કે આ ડિપ્રેશનની દિશામાં પહેલું પગથિયું છે. જો તે સમૂહમાં રહેવાનું પસંદ ન કરતો હોય અને એકલો ખૂણામાં રહેતો હોય તો પ્રયત્નપૂર્વક ધ્યાન રાખો કે આવું ન થાય. તેની સાથે ખૂલીને વાત કરો, આવા લોકોને સમૂહમાં રાખવાનો માહોલ બનાવો. હસી-ખુશીની વાતો કરતાં કરતાં તેને મુક્ત અભિવ્યકિત માટે પ્રેરિક કરો. તેની અંદર કઇ મૂંઝવણ છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો. આ ઉત્તમ ઉપાય છે. અને ડિપ્રેશન જ માનસિક અને શારિરીક બિમારીઓનું કારણ બનતું હોય છે. જેમ કે, ડાયાબિટીસ દરેક બિમારીઓનો યજમાન બનતો હોય છે. એવી  જ રીતે ડિપ્રેશન પણ આપણી ટકી રહેવાની, લડવાની, સાહસ કરવાની અને નિર્ણય લેવાની ક્ષમતાઓને ખતમ કરી દે છે. તમારા મિત્રો, તમારૂં પરિવાર, તમારૂં પરિસર અને તમારો માહોલ આ બધાં જ મળીને તમને ડિપ્રેશનમાં જતા અટકાવી શકે છે. અને જો ગયા હોય તો ઝડપથી તેમાંથી બહાર લાવી શકે છે. એક બીજી રીત એ છે કે, જો તમે પોતાના લોકો સાથે અભિવ્યકત ન થઇ શકતા હોવ તો આસપાસના જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. મન લગાવીને મદદ કરો, તેમના સુખ-દુઃખ વહેંચો, તમે અનુભવશો કે તમારી અંદરની પીડા ખતમ થતી જશે. એમના દુઃખોને જો તમે સમજવાનો પ્રયત્ન કરશો, સેવાભાવથી કરશો, તો તમારી અંદર એક નવો જ આત્મવિશ્વાસ જન્મ લેશે. અન્ય લોકો સાથે જોડાવવાથી, કોઇની સેવા કરવાથી અને નિઃસ્વાર્થભાવે સેવા કરવાથી તમારા મનનો બાર હળવો થઇ જશે.

આમ તો યોગ પણ મનને સ્વસ્થ રાખવાનો સારો ઉપાય છે. તણાવથી મુક્તિ, દબાવથી મુક્તિ અને પ્રસન્નચીત તરફ પ્રયાણ કરવા માટે યોગ બહુ મદદરૂપ બને છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને તેનું આ ત્રીજું વર્ષ છે. તમે બધા જ તૈયારીઓ કરો અને લાખોની સંખ્યામાં સમૂહમાં યોગ ઉત્સવ ઉજવો. તમારી પાસે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે કોઇ સૂચન હોય તો મને મોબાઇલ એપ્લીકેશન દ્વારા મને મોકલી આપો. યોગ વિશે જેટલા પણ ગીત અને કાવ્યમય રચનાઓ તૈયાર કરી શકતા હોય એ તૈયાર કરવી જોઇએ જેથી તેને સહજ રીતે લોકોને સમજાવી શકાય.

કારણ કે, આજે આરોગ્ય વિશે, સ્વાસ્થ્ય વિશે ઘણી વાતો નીકળી છે, ત્યારે માતાઓ અને બહેનોને એક વાત જરૂર કહેવા માંગીશ કે ભારત સરકારે થોડા દિવસો પહેલા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આપણા દેશમાં જે નોકરિયાત મહિલાઓ છે તેમની સંખ્યામાં સતત ઉમેરો થઇ રહ્યો છે, સમાજમાં તેમની ભાગીદારીમાં વધારો થઇ રહ્યો છે અને આ આવકારદાયક બાબત પણ છે. પરંતુ કામની સાથે સાથે મહિલાઓ પાસે વિશેષ જવાબદારીઓ પણ છે. તેઓ પારિવારિક જવાબદારીઓ પણ સંભાળે છે અને કુટુંબની આર્થિક જવાબદારીઓમાં પણ તેઓ સહયોગ આપે છે જેને કારણે કયારેક-કયારેક તેમના નવજાત બાળકોને અન્યાય થતો હોય છે. ત્યારે ભારત સરકારે એક ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે કે, આ નોકરિયાત મહિલાઓને તેમના પ્રસૂતિ સમયે, મેટરનિટી લીવ કે જે પહેલાં 12 અઠવાડિયાની મળતી હતી તે વધારીને હવે 26 અઠવાડિયાની કરી દેવામાં આવી છે. વિશ્વમાં માત્ર બે કે ત્રણ દેશ એવા છે કે જેઓ આ બાબતે આપણાં કરતા આગળ છે. આપણી આ બહેનો માટે ભારતે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે જેનો મુખ્ય હેતુ નવજાત બાળકની દેખભાળ, ભારતના ભાવિ નાગરિકને જન્મના શરૂઆતના દિવસોમાં સારો ઉછેર મળે, માતાનો ભરપૂર પ્રેમ મળે એ છે. જો આમ થશે તો આપણાં આ બાળકો મોટા થઇને દેશની અમૂલ્ય અનામત બનશે. માતાઓનું આરોગ્ય પણ સચવાશે અને એ માટે આ એક મહત્વો નિર્ણય બની રહેશે. જેને કારણે ફોર્મલ સેકટરમાં કાર્ય કરવાવાળી અંદાજે 18 લાખ મહિલાઓને તેનો લાભ થશે.

મારા વહાલા દેશવાસીઓ, 5 એપ્રિલે રામનવમીનું પાવન પર્વ છે. 9 એપ્રિલે મહાવીરજયંતિ છે. 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ તમામ મહાપુરૂષોનું જીવન આપણને પ્રેરણા આપતું રહે, અને ન્યુ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાની શકિત આપે. બે દિવસ પછી ચૈત્ર શુકલ પ્રતિપદા, વર્ષ પ્રતિપદા, નવ સંવત્સર છે આ નવા વર્ષ માટે આ સૌને ખૂબ શુભકામનાઓ. વસંતુ ઋતુ પછી પાક લણવાની શરૂઆત થશે અને ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળશે તેમનો આ શુભ સમય છે. દેશના જુદા-જુદા ભાગોમાં નવ વર્ષને જુદા-જુદા રૂપમાં ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવો, આંધ્ર-કર્ણાટકમાં નવા વર્ષના રૂપે ઉગાદી તરીકે, સિંધીઓ ચેટીચાંદ તરીકે, કશ્મીરીઓ નવરેહ તરીકે, જયારે અવધના વિસ્તારમાં સંવત્સર પૂજા, બિહારના મિથિલામાં જુડશીતલ અને મગધના સતુવાનીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભારત આવી અસંખ્ય વિવિધતાઓનો દેશ છે ત્યારે આપ સૌને આ નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌનો આભાર..

 

J.Khunt/TR/GP