Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

29 જાન્યુઆરી,2017ના રોજ પ્રધાનમંત્રીના‘મન કી બાત’ સંબોધનનોમૂળ પાઠ


મારા પ્રિય દેશવાસીઓ, આપ સર્વેને નમસ્કાર. 26 જાન્યુઆરી, આપણા ગણતંત્ર દિવસને દેશના દરેક ખૂણામાં ઉમંગ અને ઉત્સાહ સાથે આપણે સૌએ મનાવ્યો. ભારતનું બંધારણ, નાગરિકોનું કર્તવ્ય, લોકશાહી પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા, એક રીતે આ સંસ્કાર ઉત્સવ પણ છે, જે આવનારી પેઢીને લોકતંત્ર પ્રત્યે, લોકતાંત્રિક જવાબદારીઓ પ્રત્યે જાગૃત પણ કરે છે તેમજ સંસ્કારીત પણ કરે છે. પરંતુ હજુ પણ આપણા દેશમાં નાગરિકોનું કર્તવ્ય તેમજ નાગરિકોના અધિકાર – તેના પર જેટલી ચર્ચા થવી જોઈએ, જેટલી ઉંડાણપૂર્વક ચર્ચા થવી જોઈએ તે થઈ નથી રહી. હું આશા કરું છું કે દરેક સ્તરે, દરેક સમયે, જેટલું મહત્વ અધિકારોને આપવામાં આવે છે, તેટલું જ મહત્વ કર્તવ્યોને પણ મળવું જોઈએ. અધિકાર અને કર્તવ્યના બે પાટા પર જ ભારતના લોકતંત્રની ગાડી પૂરપાટ ગતિએ આગળ વધી શકે છે.

 

          કાલે 30 જાન્યુઆરી છે, આપણા પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરીએ આપણે સૌ 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખીને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એક સમાજના રૂપમાં, એક દેશના રૂપમાં, 30 જાન્યુઆરીએ 11 વાગ્યે 2 મિનિટ શ્રદ્ધાંજલિ એ સહજ ભાવ રહેવો જોઈએ. 2 મિનિટ જ કેમ ન હોય પરંતુ તેમાં સામૂહિકતા, સંકલ્પ તેમજ શહીદો પ્રત્યે શ્રદ્ધા પણ અભિવ્યક્ત થવી જોઈએ.

 

          આપણા દેશમાં સેના પ્રત્યે, સુરક્ષાદળો પ્રત્યે એક સહજ આદરભાવ પ્રગટ થતો રહે છે. આ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ અલગ અલગ વીરતા પુરસ્કારોથી જે વીર જવાનો સન્માનિત થયા, તેમને અને તેમના પરિવારજનોને હું શુભેચ્છા પાઠવું છું. આ પુરસ્કારોમાં કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, પરમ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ જેવી અનેક શ્રેણીઓ છે. હું ખાસ કરીને નવયુવાનોને આગ્રહ કરવા માંગુ છું. આપ સોશિયલ મીડિયામાં ઘણાં સક્રિય છો. આપ એક કામ કરી શકો છો? આ વખતે જે વીરોને આ સન્માન પ્રાપ્ત થયું છે – આપ નેટ પર શોધો, તેના સંબંધિત બે સારા વાક્યો લખો અને આપના સાથીયોમાં તેનો ફેલાવો કરો. જ્યારે તેમના સાહસની, વીરતાની, પરાક્રમની વાતને ઉંડાણપૂર્વક જાણીયે છીએ તો આપણને આશ્ચર્ય પણ થાય છે, ગર્વ પણ થાય છે અને પ્રેરણા પણ મળે છે.

 

          એક તરફ આપણે સૌ 26 જાન્યુઆરીની ઉમંગ અને ઉત્સાહની ખબરોથી આનંદિત હતા તો તે જ સમયે કાશ્મીરમાં આપણી સેનાના જે જવાનો દેશની સેવામાં લાગેલા હતા તેઓ હિમસ્ખલનને કારણે વીરગતી પામ્યા. હું એ દરેક વીર જવાનોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું, નમન કરું છું.

 

          મારા યુવા સાથીઓ, આપ તો બહુ સારી રીતે જાણો છો કે હું સતત ‘મન કી બાત’ કરતો રહું છું. જાન્યુઆરી- ફેબ્રુઆરી – માર્ચ – એપ્રિલ, આ બધા મહિના દરેક પરિવાર માટે કસોટીના મહિના હોય છે. ઘરમાં એક કે બે બાળકોની પરીક્ષા હોય છે, પરંતુ આખો પરિવાર પરીક્ષાના ભાર હેઠળ દબાયેલો હોય છે. તો મને મન થયું કે આ સાચો સમય છે કે હું વિદ્યાર્થી મિત્રો સાથે વાત કરું, તેમના વાલી સાથે વાત કરું, તેમના શિક્ષકો સાથે વાત કરું. કારણ કે કેટલાય વર્ષોથી હું જ્યાં ગયો, જેને મળ્યો, પરીક્ષા એક બહુ મોટી પરેશાનીનું કારણ જોવા મળ્યું. પરિવાર પરેશાન, વિદ્યાર્થી પરેશાન, શિક્ષક પરેશાન,દરેક ઘરમાં એક વિચિત્ર મનોવૈજ્ઞાનિક વાતાવરણ જોવા મળતું હોય છે. તેમજ મને હંમેશા એવું લાગતું હોય છે કે આમાંથી બહાર નીકળવું જોઈએ અને એટલે જ હું આજે યુવા સાથીઓ સાથે થોડી વિસ્તારથી વાત કરવા માંગું છું. જ્યારે આ વિષયની મેં ઘોષણા કરી, તો અનેક શિક્ષકોએ, વાલીઓએ, વિદ્યાર્થીઓએ મને સંદેશા મોકલ્યા, સવાલ મોકલ્યા, પીડા પણ વ્યક્ત કરી, પરેશાનીઓ વિશે પણ જણાવ્યું અને તેને જોઈને મારા મનમાં વિચાર આવ્યો, જેની આજે હું આપની સાથે વાત કરવા માગું છું. મને સૃષ્ટીનો એક ટેલિફોનીક સંદેશો મળ્યો. આપ પણ સાંભળો સૃષ્ટી શું કહી રહી છે., –

 

          “સર હું આપને એટલું કહેવા માગું છું કે પરીક્ષા સમયે એવું થાય છે કે અમારા ઘરમાં, પડોશમાં, અમારી સોસાયટીમાં બહુ ડરનો માહોલ ઉભો થઈ જાય છે. જેથી વિદ્યાર્થીઓને પ્રેરણા તો નથી મળતી પરંતુ તેઓ ઢીલા થઈ જાય છે. તો હું આપને એટલું પૂછવા માગું છું કે શું આ માહોલ ખુશનુમા ન થઈ શકે?”

 

            સવાલ તો સૃષ્ટીએ પૂછ્યો છે પરંતુ આ સવાલ આપ દરેકના મનમાં હશે. પરીક્ષા એ પોતે જ એક ખુશીનો અવસર હોવો જોઈએ. આખું વર્ષ મહેનત કરી છે, જેને હવે દેખાડવાનો સમય આવ્યો છે, એવા ઉમંગ અને ઉત્સાહનો આ પર્વ હોવો જોઈએ. બહુ ઓછા લોકો છે જેમના માટે પરીક્ષા એ ખુશી હોય છે, તો મોટાભાગના લોકો માટે પરીક્ષા એક દબાણ હોય છે. નિર્ણય આપે કરવાનો છે કે આપ તેને ખુશી માનશો કે દબાણ માનશો. જે ખુશી માનશે એ મેળવશે અને જે દબાણ માનશે તે પસતાશે. અને તેથી જ મારો મત છે કે પરીક્ષા એક ઉત્સવ છે, પરીક્ષાને એવી રીતે લો કે જે એક તહેવાર હોય અને જ્યારે તહેવાર હોય છે, ઉત્સવ હોય છે, તો આપણી અંદર જે સૌથી સારું હોય છે તે જ બહાર નીકળીને આવે છે. સમાજની તાકાતની અનુભૂતિ પણ ઉત્સવ સમયે જ થાય છે. જે ઉત્તમ થી ઉત્તમ છે તે પ્રગટ થાય છે. સામાન્ય રીતે આપણને લાગે છે કે આપણે કેટલા ગેરશિસ્ત છીએ, પરંતુ 40-45 દિવસ ચાલનારા કુંભમેળાની વ્યવસ્થા જુઓ તો ખ્યાલ આવે કે લોકોમાંMake Shift Arrangement તથા શું શિસ્ત છે! આ જ ઉત્સવની તાકાત છે. પરીક્ષા સમયે પણ આખા પરિવારમાં, મિત્રોમાં પડોશીઓમાં એક ઉત્સવનો માહોલ બનવો જોઈએ. આપ જોશો કે આ દબાણ ખુશીમાં પરિવર્તિત થઈ જશે. ઉત્સવપૂર્ણ વાતાવરણ ભારમુક્ત બનાવી દેશે. અને હું અહીં માતા-પિતાને આગ્રહપૂર્વક કહેવા માગું છું કે આપ આ ત્રણ-ચાર મહિના એક ઉત્સવનું વાતાવરણ બનાવો. આખો પરિવાર એક ટીમના રૂપમાં આ ઉત્સવને સફળ બનાવવા પોતપોતાની ભૂમિકા ઉત્સાહપૂર્વક નિભાવે. જોત જોતામાં જ બદલાવ આવી જશે. હકીકત તો એ છે કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી, કચ્છથી લઈને કામરૂપ સુધી અને અમરેલીથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી, આ ત્રણ-ચાર મહિના પરીક્ષાઓ જ હોય છે. આપણા સૌનું એ દાયિત્વ છે કે આપણે દરેક વર્ષે આ ત્રણ-ચાર મહિનાઓને આપણી રીતે, આપણી પરંપરા સમજીને, આપણા પરિવારના વાતાવરણને સમજીને ઉત્સવમાં પરિવર્તિત કરીએ. અને તેથી જ હું આપને કહીશ કે ‘Smile More, Score More’.  જેટલી વધુ ખુશી સાથે આ સમયને વિતાવશો તેટલા જ સારા ગુણ મેળવશો. કરી જુઓ. આપે જોયું હશે કે જ્યારે આપ ખુશ થાઓ છો, ત્યારે આપ પોતાની જાતને Relax થયેલા જુઓ છો. આપ સહજરૂપથી Relax થઈ જાઓ છો અને જ્યારે આપ Relax થાઓ છો ત્યારે આપની વર્ષો જૂની વાતો પણ સહજપૂર્વક યાદ આવશે. એક વર્ષ અગાઉ વર્ગખંડમાં શિક્ષકે શું કહ્યું હતું તે આખું દ્રશ્ય યાદ આવી જશે.  તેમજ આપને એ ખબર હોવી જોઈએ કે યાદશક્તિને રિ-કોલ કરવાની જે શક્તિ છે તે Relaxationમાં સૌથી વધારે છે. જો આપ તણાવમાં છો તો દરેક દરવાજા બંધ થઈ જાય છે, બહારનું અંદર નથી જતું અને અંદરનું બહાર નથી આવતું. વિચાર પ્રક્રિયા રોકાઈ જાય છે, જે પોતે એક બોજ બની જાય છે. પરીક્ષામાં પણ આપે જોયું હશે કે આપને બધું જ યાદ આવે છે. ચોપડી યાદ આવે છે, વિષય યાદ આવે છે, પાનાં ક્રમાંક યાદ આવે છે, પાનાંમાં ઉપરની તરફ લખ્યું છે કે નીચેની તરફ એ પણ યાદ આવે છે. પરંતુ જેવા પરીક્ષા આપીને બહાર નીકળો છો અને ખંડની થોડા બહાર આવ્યા ત્યારે અચાનક યાદ આવે છે કે – હા યાર આ જ શબ્દ હતો. અંદર કેમ યાદ ન આવ્યું, દબાણ હતું. બહાર કેવી રીતે યાદ આવ્યું ? તે તમે જ હતા અને કોઈએ કહ્યું પણ નહોતું. પરંતુ જે અંદર હતું તે તરત જ બહાર આવી ગયું અને બહાર એટલે આવ્યું કે તમે Relax થઈ ગયા. અને એટલે જ Memory Recall કરવાની સૌથી મોટી જો કોઈ ઔષધિ છે તો એ Relaxation છે. અને આ હું સ્વ-અનુભવના આધારે કહું છું કે જો દબાણ હોય તો આપણે આપણી વસ્તુઓ ભૂલી જઈએ છીએ અને જો Relax હોઈએ તો ક્યારેય કલ્પના પણ ના કરી હોય અને અચાનક એવી વસ્તુઓ યાદ આવી જાય છે, જે બહુ કામ આવે છે. અને એવું નથી કે આપની પાસે જ્ઞાન નથી, એવું નથી કે આપની પાસે માહિતી નથી, એવું પણ નથી કે તમે મહેનત નથી કરી. પરંતુ જ્યારે ટેન્શન થાય છે ત્યારે તમારું જ્ઞાન, તમારી માહિતી દબાઈ જાય છે અને તમારું ટેન્શન તેના પર હાવી થઈ જાય છે. અને તેથી જ આવશ્યક છે કે ‘A Happy Mind is the secret for a good mark-sheet’.  ક્યારેક એવું પણ લાગે છે કે આપણે સાચા પરિપ્રેક્ષ્યમાં પરીક્ષાને નથી જોઈ શકતા. એવું લાગે છે કે તે જાણે જીવન-મરણનો સવાલ હોય. તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તે આખું વર્ષ આપ જે ભણ્યા છો તેની જ પરીક્ષા છે. તે તમારા જીવનની કસોટી નથી. તમે કેવું જીવન જીવ્યા, કેવું જીવન જીવી રહ્યા છો, કેવું જીવન જીવવા માંગો છો, તેની પરીક્ષા નથી. તમારા જીવનમાં, વર્ગખંડમાં નોટબુક લઈને અપાયેલી પરીક્ષાઓ સિવાય પણ કેટલીયે કસોટીમાંથી પસાર થવાનો અવસર આવ્યો હશે. અને તેથી જ જીવનની સફળતા-નિષ્ફળતા સાથે પરીક્ષાને કોઈ લેવા-દેવા છે એવા ભારથી મુક્ત થઈ જજો. આપણા બધાની સામે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામજીનું મોટું પ્રેરક ઉદાહરણ છે. તેઓ વાયુસેનામાં ભર્તી માટે ગયા અને નાપાસ થયા. માની લ્યો કે તે નિષ્ફળતાને કારણે જો તેઓ નિરાશ થઈ જાત, જિંદગી થી હારી ગયા હોત, તો શું ભારતને આટલા મોટા વૈજ્ઞાનિક મળ્યા હોત, આટલા મોટા રાષ્ટ્રપતિ મળ્યા હોત! ન મળ્યા હોત. કોઈ ઋચા આનંદજીએ મને એક સવાલ મોકલ્યો છે :

 

            “આજના આ સમયમાં શિક્ષણની સામે જો સૌથી મોટો પડકાર હું જોઈ શકું છું તે છે કે શિક્ષણ પરીક્ષા કેન્દ્રિત થઈ ગયું છે. ગુણ સૌથી વધારે મહત્વના બની ગયા છે. તેને કારણે પ્રતિસ્પર્ધા તો ઘણી વધી જ ગઈ છે, સાથે જ વિદ્યાર્થીઓમાં તણાવ પણ ઘણો વધી ગયો છે. તો શિક્ષણની આ વર્તમાન દિશા અને તેના ભવિષ્યને લઈને આપના વિચારો જાણવા માંગુ છુ.”

 

          આમ તો એમણે પોતે જ જવાબ આપી દીધો છે, પરંતુ ઋચાજી ઈચ્છે છે કે હું પણ મારી વાત અહીં રજૂ કરું. માર્ક્સ અને માર્કશીટનો બહુ સીમિત ઉપયોગ છે. જીવનમાં એ જ બધું નથી હોતા. તમે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, તેના પર જીવન ચાલે છે. તમે જે જાણ્યું છે તેનાથી જીવવાનો પ્રયાસ કર્યો છે કે નહીં તેના પર જીવન ચાલે છે. આપને જે sense of mission મળ્યું છે, જે તમારીsense of ambition છે, આપના mission અને ambition વચ્ચે કોઈ મેળ પડી રહ્યો છે કે નહીં તેના પર જીવન ચાલે છે. જો આપ આવી બાબતોમાં ભરોસો કરશો તો માર્ક્સ ઉભી પૂંછડીએ આપની પાછળ આવશે, આપને માર્કસ પાછળ ભાગવાની જરૂર નહીં પડે. જીવનમાં આપને જ્ઞાન કામ આવશે, કુશળતા કામ આવશે, આત્મવિશ્વાસ કામ આવશે, સંકલ્પશક્તિ કામ આવશે. તમે જ મને કહો કે આપના પરિવારમાંથી કોઈ ડોક્ટર હશે અને પરિવારના દરેક લોકો તેની પાસે જ જતા હશે જે ફેમિલી ડોક્ટર હોય છે. તમારામાંથી કોઈ એવું નહીં હોય કે જેણે તેના ફેમિલી ડોક્ટરને, તે કેટલા ગુણથી પાસ થયા હતા એવું પૂછ્યું હોય. કોઈએ નહીં પૂછ્યું હોય. બસ, તમને લાગ્યું કે ભાઈ, એક ડોક્ટર તરીકે બહુ સારા છે, આપને લાભ થઈ રહ્યો છે અને આપે તેમની સેવા લેવાની શરૂ કરી. કોઈ મોટામાં મોટો કેસ લડવા માટે આપ કોઈ વકિલ પાસે જાઓ તો શું એ વકિલની માર્કશીટ જુઓ છો ? આપ તેના અનુભવને, તેના જ્ઞાનને અને તેની સફળ યાત્રાને જુઓ છો. અને એટલે જ આ જે ગુણોનો ભાર છે તે ક્યારેક આપણને સાચી દિશા તરફ જતા રોકી દે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે હું એમ કહું કે બસ, ભણવું જ નથી. આપણી કસોટી માટે તેનો ઉપયોગ જરૂરી છે. હું કાલે હતો અને આજે ક્યાં છું, એ જાણવા માટે જરૂરી છે. ક્યારેક એવું પણ થાય છે અને નજીકથી તમે તમારા સ્વયંના જીવનને જોશો તો ધ્યાનમાં આવશે કે જો ગુણોઓની પાછળ પડી ગયા તો આપ ટૂંકામાં ટૂંકો રસ્તો શોધશો, અમુક પસંદગીની વસ્તુઓને જ પકડશો અને તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરશો. પરંતુ તમે જે વસ્તુઓ પર હાથ અજમાવ્યો હતો, તેની બહારની કોઈ વસ્તુ આવી ગઈ, તમે જે સવાલો તૈયાર કર્યા હતા, એની બહારનો સવાલ આવી ગયો, તો તમે એકદમથી નીચે ઉતરી જશો. જો તમે જ્ઞાનને કેન્દ્રમાં રાખો છો, તો કેટલીયે વસ્તુઓને પોતાનામાં સમેટવાનો પ્રયાસ કરો છો. પરંતુ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, તો ધીરેધીરે તમે પોતે જ પોતાની જાતને સંકોચી રહ્યા છો અને માત્ર માર્ક મેળવવા માટે જ એક નિશ્ચિત વિસ્તાર સુધી જ તમે પોતાને સીમિત કરો છો. તો બની શકે કે પરીક્ષામાં હોંશિયાર હોવા છતાં જીવનમાં ક્યારેક નિષ્ફળ થઈ જાવ છો.

 

       ઋચાજીએ એક વાત આ પણ  કહી છે – “પ્રતિસ્પર્ધા”.  આ એક  બહુ મોટી  મનોવૈજ્ઞાનિક લડાઇ છે. સાચે જ, જીવનને આગળ વધવા માટે પ્રતિસ્પર્ધા  કામમાં નથી આવતી. જીવનને આગળ વધવા અનુસ્પર્ધા કામ આવે  છે, અને હું જ્યારે અનુસ્પર્ધા  કહું છું તો તેનો અર્થ છે પોતાની સાથે સ્પર્ધા કરવી. ગઇ કાલથી  આવતીકાલ વધુ સારી કેવી રીતે હોય ?  વિતેલા પરિણામથી આવનાર અવસર વધુ સારો કેવી રીતે  હોય. ઘણી વાર તમે રમત ક્ષેત્રે જોયું હશે  કારણ કે તેમાં તરત સમજાય છે. આથી હું ખેલ જગતનું ઉદાહરણ આપું છું. મોટા ભાગના સફળ ખેલાડીઓના જીવનની  એક વિશેષતા એ છે કે  તેઓ અનુસ્પર્ધા  કરે છે. આપણે શ્રીમાન સચિન તેંડુલકરજીનું જ ઉદાહરણ લઇએ.  વીસ વર્ષ સતત પોતાના જ રેકોર્ડ તોડતા જવા, પોતાને જ દર વખતે હરાવવા અને  આગળ વધવું. બહુ અદ્દભૂત જીવન યાત્રા છે. તેના કારણે  તેમણે પ્રતિસ્પર્ધાથી વધુ અનુસ્પર્ધાનો માર્ગ અપનાવ્યો.

 

       જીવનના દરેક ક્ષેત્રમાં મિત્રો જ્યારે તમે પરીક્ષા દેવા જઇ રહ્યા છો ત્યારે વિચારો, પહેલા જો બે કલાક શાંતિથી વાંચી શકતા હો તો ત્રણ કલાક વાંચી શકો છો ? પહેલાં સવારે જેટલા વાગે ઉઠવાનું નક્કી કરતા હતા તો મોડું ઉઠાતું હતું. હવે સમયસર ઉઠી શકો છો ?  પહેલાં પરીક્ષાની ચિંતામાં ઊંઘ નહોતી આવતી, હવે આવે છે ? પોતાની જ કસોટી  કરો તો તમારા ધ્યાનમાં આવશે – પ્રતિસ્પર્ધા, પરાજય, હતાશા, નિરાશા અને ઇર્ષાને  જન્મ આપે છે, પરંતુ અનુસ્પર્ધા, આત્મમંથન, આત્મચિંતનનું  કારણ બને છે, સંકલ્પ  શક્તિને દૃઢ બનાવે છે અને જ્યારે કોઇ પોતાને જ પરાજિત કરી દે છે તો આગળ વધવાનો ઉત્સાહ સ્વયંભૂ પેદા થાય છે, બહારથી કોઇ વધારાની શક્તિની જરૂર પડતી નથી. અંદરથી તે

 

 

શક્તિ આપોઆપ પેદા થાય છે. સરળ ભાષામાં કહું તો – જ્યારે તમે કોઇની સાથે પ્રતિસ્પર્ધા કરો તો મોટા પાયે ત્રણ સંભાવના નજરે પડે છે.

 

       એક, તમે તેનાથી ઘણા સારા છો. બીજું તમે તેનાથી બહુ ખરાબ છો અથવા તમે તેની બરાબરીના છો. જો તમે તેનાથી સારા હશો તો બેદરકાર થઇ જશો. અતિ વિશ્વાસ આવી જશે. જો તમે તેની સરખામણીમાં ખરાબ કરશો તો દુઃખી અને નિરાશ થઇ જશો, ઇર્ષા આવશે, આ ઇર્ષા તમને ખાતી રહેશે અને જો તમે બરાબરીના હશો તો સુધારાની જરૂરિયાત તમે ક્યારેય નહીં અનુભવો. જેમ ગાડી ચાલે છે તેમ ચલાવતા રહેશો. તો મારો આપને આગ્રહ છે – અનુસ્પર્ધાનો – પોતાની સાથે સ્પર્ધાનો. પહેલાં શુ કર્યું હતું, તેનાથી આગળ  કેમ કરીશ, સારૂં કેવી રીતે કરીશ. બસ, તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમે જુઓ, ઘણું પરિવર્તન અનુભવશો.

 

       શ્રીમાન એસ.સુંદરજીએ વાલીઓની ભૂમિકાના સંદર્ભે પોતાની લાગણી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે પરીક્ષામાં વાલીઓની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. તેમણે વધુમાં લખ્યું છે – “મારી માતા ભણેલી- ગણેલી નહોતી, તેમ છતાં તે મારી પાસે બેસતી અને મને ગણિતના દાખલા ગણવા  કહેતી. તે ઉત્તર મેળવતી અને આ રીતે તે મારી મદદ કરતી હતી. ભૂલો સુધારતી હતી. મારી માતાએ દસમા ધોરણની પરીક્ષા પાસ નહોતી કરી, પરંતુ તેના સહયોગ વગર મારા માટે સી.બી.એસ.ઇ.ની  પરીક્ષા પાસ કરવી અશક્ય હતી.”

 

       સુંદરજી, આપની વાત સાચી છે અને આજે પણ તમે જોયું હશે તો, મને પ્રશ્નો પૂછનારા,  સૂચનો કરનારામાં મહિલાઓની સંખ્યા વધુ છે. કારણ કે ઘરમાં

બાળકોના ભવિષ્ય અંગે માતાઓ સજાગ હોય છે. સક્રિય હોય છે, તેઓ ચીજો ઘણી સરળ કરી દે છે. હું વાલીઓને એટલું જ કહેવા માગીશ – ત્રણ વાતો પર આપણે ભાર આપીએ.  સ્વીકારવું, શીખવવું, સમય આપવો.  જે છે તેને સ્વીકારો. તમારી પાસે જેટલી ક્ષમતા છે, તેની ધાર કાઢો. તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હો, સમય કાઢો. ટાઇમ આપો. એક વાર તમે સ્વીકારતા શીખી જશો તો મોટા ભાગની સમસ્યા ત્યાં જ સમાપ્ત થઇ જશે. દરેક વાલી એ વાત અનુભવતો કે અનુભવતી હશે. વાલીઓ, શિક્ષકોની અપેક્ષા જ સમસ્યાના મૂળમાં હોય છે. સ્વીકાર્યતા સમસ્યાઓના સમાધાનનો માર્ગ ખોલી દે છે. અપેક્ષાઓ રાહ મુશ્કેલ કરી દે છે. અવસ્થાને સ્વીકાર કરવાથી નવો રસ્તો ખોલવાનો અવસર મળી જાય છે. અને આથી જે છે તેને સ્વીકારો. તમે પણ ભારમુક્ત બની જશો. આપણે લોકો નાનાં બાળકોની સ્કૂલ બેગના વજનની ચર્ચા કરતા રહીએ છીએ પરંતુ ક્યારેક મને લાગે છે કે વાલીઓની જે અપેક્ષા હોય છે, આશાઓ હોય છે તે બાળકોની સ્કૂલ બેગથી પણ થોડી વધુ ભારે બની જાય છે.

 

       ઘણાં વર્ષ પહેલાની વાત છે. અમારા એક પરિચિત  વ્યક્તિ હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં હતા. આપણા ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ દાદા માવલંકરના પુત્ર પુરૃષોત્તમ માવલંકર, જે ક્યારેક સાંસદ પણ હતા. તેઓ તેમના ખબર પૂછવા ગયા. હું તે વખતે હાજર હતો અને મેં જોયું કે તેમણે ત્યાં આવીને તેમની તબિયત સંદર્ભે એક પણ પ્રશ્ન ન પૂછ્યો. બેઠા, અને આવતાં જ ત્યાં શું સ્થિતિ છે, બીમારી કેવી છે, આવી કોઇ વાતો ન કરી. ટૂચકાઓ સંભળાવવા લાગ્યા અને પહેલી બે-ચાર મિનિટમાં જ વાતાવરણ હળવું બનાવી દીધું. બીમાર વ્યક્તિ પાસે જઇને આપણે ઘણી વાર તેમને બીમારીથી  ડરાવી દઇએ છીએ.  વાલીઓને હું કહીશ, ક્યારેક આપણે બાળકો સાથે પણ આવું જ  કરીએ છીએ. શું

તમને ક્યારેય લાગ્યું કે પરીક્ષાના દિવસોમાં બાળકોને હસી-ખુશીનું  વાતાવરણ આપીએ ? તમે જોજો, વાતાવરણ બદલાઇ જશે.

 

       એક કમાલનો ફોન કોલ મને આવ્યો છે. તે સજ્જન મને તેમનું નામ કહેવા માગતા નથી. ફોન સાંભળીને તમને  ખબર પડી જશે કે તેઓ પોતાનું નામ કહેવા કેમ નથી માગતા ?

 

       “નમસ્કાર, વડાપ્રધાનશ્રી, હું મારું નામ કહી શકતો નથી કારણકે મેં કામ જ કંઇક એવું કર્યું હતું બાળપણમાં. મેં બાળપણમાં  એક વાર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે મેં ઘણી તૈયારી કરવાની શરૂ કરી હતી કે ચોરી કેવી રીતે કરવી.  તેની રીતો શોધવાનો પ્રયાસ કર્યો. તેના લીધે મારો ઘણો સમય વેડફાઇ ગયો.  તે વખતે હું ભણીને-વાંચીને એટલા જ માર્ક લાવી શકતો હતો, જેટલો મેં ચોરી કરવા માટે મગજ ચલાવવામાં વાપર્યું.  અને જ્યારે મેં નકલ કરીને પાસ થવાનો પ્રયાસ કર્યો તો તેમાં હું પકડાઇ પણ ગયો  અને મારા કારણે મારી આસપાસના અનેક મિત્રોને ઘણી તકલીફ પડી.”

 

       તમારી વાત સાચી છે. આ શોર્ટ કટવાળા રસ્તા જે હોય છે તે નકલ કરવા માટે કારણ બની જાય છે. ઘણી વાર પોતાના પર વિશ્વાસ ન હોવાના લીધે મન થાય છે કે બાજુવાળામાંથી જરા જોઇ લઉં , ખાતરી કરી લઉં કે મેં જે લખ્યું છે તે સાચું છે કે નહીં અને ઘણી વાર તો આપણે સાચું લખ્યું હોય છે પણ બાજુવાળાએ ખોટું લખ્યું હોય છે તો તેણે જે લખ્યું છે તેને આપણે સાચું માની બેસીએ છીએ અને ફસાઇ જઇએ છીએ. આમ, ચોરી ક્યારેય ફાયદો કરાવતી નથી. “To cheat is to be cheap, So  please don’t cheat.” મહેરબાની કરીને  છેતરપિંડી ન કરો. ચોરી તમને ખરાબ બનાવે છે. આથી ચોરી ન કરો. તમે ઘણી વાર એ સાંભળ્યું હશે કે

ચોરી ન કરો, ચોરી ન કરો. હું પણ તમને એ જ વાત ફરી ફરીને કહું છું. ચોરીને તમે દરેક રૂપમાં જોઇ લો. તે જીવનને નિષ્ફળ બનાવવાના રસ્તા તરફ તમને ઢસડી જઇ રહી છે,  અને પરીક્ષામાં જ નિરીક્ષકે પકડી લીધા તો તમારી કારકિર્દી ખરાબ થઇ જશે અને મારી વાત માનો તો, કોઇ તમને નહીં પકડે તો પણ તમારા મન પર જીવનભર એક ભાર તો રહેશે જ કે તમે આવું કર્યું હતું અને જ્યારે પણ તમારે તમારાં બાળકોને સમજાવવાં હશે તો તમે આંખમાં આંખ મેળવીને સમજાવી નહીં શકો.  એક વાર જો ચોરીની ટેવ પડી ગઇ તો જીવનમાં ક્યારેય કંઇ શીખવાની ઇચ્છા જ નહીં રહે. પછી તો તમે ક્યાં પહોંચી શકશો ?

 

       ધારો કે, તમે તમારા રસ્તાને ખાડામાં પરિવર્તિત કરી રહ્યા છો અને મેં જોયું છે કે કેટલાક લોકો એવા હોય છે જે ચોરીની રીતો શોધવામાં પોતાની પ્રતિભાનો ઉપયોગ કરી દે છે, એટલો ભોગ તેની પાછળ આપે છે કે વાત ન પૂછો.  તેમની સમગ્ર રચનાત્મકતા, આટલો જ સમય જો તમે પરીક્ષાની તૈયારીમાં- વાંચવામાં આપો તો કદાચ નકલની  તમને જરૂર જ નહીં પડે. તમારી પોતાની મહેનતથી જે પરિણામ પ્રાપ્ત થશે, તેનાથી જે આત્મવિશ્વાસ વધશે તે અદ્દભૂત હશે. 

 

       એક ફોન કોલ આવ્યો છે –

       “નમસ્તે, વડાપ્રધાનશ્રી, My name is Monica. મારૂં નામમોનિકા છે અને હું બારમા ધોરણની વિદ્યાર્થિની છું. હું તમને બોર્ડની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું. મારો પહેલો પ્રશ્ન એ છે કે શું આપણે આપણી પરીક્ષા દરમિયાન જે ભાર જે તણાવ ઊભો થાય છે તેને ઘટાડી શકીએ અને  મારો બીજો પ્રશ્ન એ છે કે  અથવા પરીક્ષા ભાર રૂપ કેમ લાગે છે  હળવી કેમ નહીં આપનો આભાર.”

 

       જો પરીક્ષાના દિવસોમાં હું રમતગમતની વાત કરીશ તો તમારા શિક્ષકો, તમારાં માતાપિતા મારા પર ગુસ્સો કરશે, તેઓ નારાજ થઇ જશે કે આ કેવા વડાપ્રધાન છે જે બાળકોને પરીક્ષાના સમયમાં કહી રહ્યા છે કે રમો. કારણ કે સામાન્ય ધારણા એવી છે કે જો વિદ્યાર્થી રમતગમતમાં ધ્યાન આપે તો ભણવા પ્રત્યે બેધ્યાન થઇ જાય છે. આ  મૂળભૂત ધારણા જ ખોટી છે, સમસ્યાનું મૂળ તે જ છે.  સર્વાંગીણ વિકાસ કરવો હોય તો પુસ્તકોની બહાર પણ જિંદગી હોય છે અને તે ઘણી મોટી હોય છે. તેને પણ જીવવાનો, શીખવાનો  આ જ સમય હોય છે. કોઇ એમ કહે કે હું પહેલા આ બધી પરીક્ષાઓ પાસ કરી લઉં, પછી રમીશ. તો તે અસંભવ છે. જીવનને ઢાળવાનો આ જ સમય હોય છે. તેને જ ઉછેર કહે છે. વાસ્તવમાં, પરીક્ષા સંદર્ભે, મારી દૃષ્ટિએ ત્રણ વાત ઘણી જરૂરી છે – પૂરતો આરામ, બીજું શરીર માટે જેટલી જરૂરી છે તેટલી ઊંઘ અને ત્રીજું મગજની પ્રવૃત્તિ સિવાય પણ શરીરનો એક ઘણો મોટો  હિસ્સો છે. તો શરીરના બાકી હિસ્સાઓને પણ શારીરિક પ્રવૃત્તિ મળવી જોઇએ.

 

       શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આટલું બધું સામે હોય તો બે પળ બહાર નીકળીને જરા આકાશ તરફ જોઇ લઇએ, જરા વૃક્ષ – છોડ તરફ જોઇ લઇએ, થોડું મન હળવું કરી લઇએ. આમ કરવાથી તમે જોજો, એક તાજગી સાથે ફરીથી તમે તમારા ઓરડામાં, પોતાનાં પુસ્તકો વચ્ચે આવી જશો. તમે જે પણ કરી રહ્યા હો, તેને થોડી વાર પડતું મૂકો, ઊભા થઇ બહાર જાવ, રસોડામાં જાવ, તમારી પસંદની જે ચીજ છે તેને જરા શોધો. તમને ભાવતાં બિસ્કિટ મળી જાય તો ખાવ. થોડું હસો– મજાક કરો. માત્ર પાંચ મિનિટનો જ કેમ ન હોય, પણ થોડો બ્રેક લો. તમને લાગશે કે કામ સરળ બની રહ્યું છે. બધાયની પસંદ તો મને ખબર નથી પણ મારો તો આ અનુભવ છે. આવા સમયે ઊંડા શ્વાસ લો તો ઘણો ફાયદો થાય છે. ઊંડા શ્વાસ   લેવાથી ઘણા હળવા થઇ જવાય છે. ઊંડા શ્વાસ લેવા માટે કોઇ ઓરડામાં બંધ રહેવાની જરૂર નથી. જરા ખુલ્લા આકાશની નીચે જાવ, અગાશી પર ચાલ્યા જાવ, પાંચ મિનિટ ઊંડા શ્વાસ લઇને પછી ફરી ભણવા બેસી જાવ. તમે અનુભવશો કે શરીર એકદમ હળવું  બની જશે અને શરીર તો હળવું બનશે જ , મગજને  પણ હળવું બનાવી દેશે. કેટલાક લોકોને લાગે છે કે રાત્રે મોડે સુધી જાગશું – વધુને વધુ વાંચશું, જી ના. શરીરને જેટલી ઊંઘની આવશ્યકતા છે તેટલી જરૂર લો. તેનાથી તમારો વાંચવાનો સમય વેડફાશે નહીં. ઉલટું, વાંચવાની શક્તિ વધશે. ઝડપથી યાદ  રહેશે.  તમારી એકાગ્રતા વધશે. તાજગી આવશે. તમારી કાર્યક્ષમતામાં એકંદરે  ઘણો બધો વધારો થશે.  હું જ્યારે ચૂંટણી સમયે સભાઓ કરૂં છું તો ક્યારેક મારૂં ગળું બેસી જાય છે. મને એક લોક ગાયક મળવા આવ્યા. તેમણે આવીને મને પૂછ્યું – તમે કેટલા કલાક સૂવો છો ? મેં કહ્યું , “કેમ ભાઇ, ? તમે ડોક્ટર છો, શું ?” “ના ના.” તેઓ બોલ્યા.” ચૂંટણી સમયે ભાષણ કરતા કરતાં તમારો અવાજ ખરાબ થઇ જાય છે તેનો તેની સાથે સંબંધ છે. તમે પૂરતી ઊંઘ લેશો તો જ તમારી સ્વરપેટીને પૂરતો આરામ મળશે. હવે મેં તો ક્યારેય ઊંઘ, મારા ભાષણ અને મારા અવાજ વિશે વિચાર્યું જ નહોતું. તેમણે મને એક જડીબુટ્ટી આપી દીધી.  તો સાચે જ, આપણે આ ચીજોનું જેટલું મહત્વ સમજીએ તો આપણને  ફાયદો થશે, તમે જોજો.  પરંતુ એનો  અર્થ એ પણ નથી કે બસ સૂતા જ રહેવું. પરંતુ કેટલાક લોકો કહેશે કે વડાપ્રધાનશ્રીએ કહી દીધું છે કે હવે જાગવાની જરૂર નથી. બસ સૂતા જ રહેવાનું છે. આવું ન કરતા નહીંતર તમારા પરિવારના લોકો મારાથી નારાજ થઇ જશે. અને  જે દિવસે તમારી માર્કશીટ આવશે, તેમને તમે નહીં, હું જ દેખાઇશ.  તો આવું ન કરતા.  અને આથી હું કહીશ, “p for prepared and p for play,” જે રમે તે ખિલે. “ ધ પર્સન હુ પ્લેયસ

શાઇન્સ. ” (The person who plays, shines ) મન, બુદ્ધિ, શરીરને સચેત રાખવા માટે આ એક ઘણી મોટી ઔષધિ છે.

 

ઠીક છે, યુવા મિત્રો,  તમે પરીક્ષાની તૈયારી કરી  રહ્યા છો અને હું તમને મનની વાતોમાં જકડીને બેઠો છું. બની શકે કે, આજની મારી આ વાતો પણ તમારા માટે હળવાશનું કામ કરશે જ. પરંતુ સાથે-સાથે એમ પણ કહીશ, મેં જે કહ્યું છે, તેને ભાર ન બનવા દો. થાય તો જ કરો, ન થાય તો ન કરતા, નહીં તો તે પણ એક બોજ બની જશે. તો જેવી રીતે હું તમારા પરિવારને – માતાપિતાને બોજ ન બનવાની સલાહ આપું છું તે વાત મને પણ લાગુ પડે છે. પોતાના સંકલ્પને યાદ કરતા પોતાના પર વિશ્વાસ રાખીને , પરીક્ષા માટે જાવ. મારી ઘણી ઘણી શુભકામનાઓ છે. દરેક કસોટીમાંથી પાર ઉતરવા માટે કસોટી, ઉત્સવ બનાવી દો. પછી ક્યારેય કસોટી કસોટી જ નહીં રહે. આ મંત્રને આગળ લઇને આગળ વધો.

 

       પ્રિય દેશવાસીઓ, ફેબ્રુઆરી 2017 એ ભારતીય તટ રક્ષક દળ (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ) ને ચાલીસ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે. આ અવસરે હું કોસ્ટ ગાર્ડના બધા અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્ર પ્રત્યે તેમની સેવા માટે ધન્યવાદ આપું છું.   એ ગર્વની વાત છે કે કોસ્ટ ગાર્ડે દેશમાં નિર્મિત પોતાના બધાં 126 જહાજો અને 62 વિમાનો સાથે વિશ્વનાં ચાર સૌથી મોટા કોસ્ટ ગાર્ડ વચ્ચે  પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે. કોસ્ટ ગાર્ડનો મંત્ર છે. – “વયમ રક્ષામઃ” પોતાના  આ આદર્શ વાક્યને ચરિતાર્થ કરતા, દેશની સમુદ્ર સીમાઓ અને સમુદ્રિ જગ્યાઓને સુરક્ષિત રાખવા માટે કોસ્ટ ગાર્ડના જવાનો પ્રતિકૂળ સ્થિતિઓમાં પણ દિવસ-રાત તત્પર રહે છે. ગત વર્ષે કોસ્ટ ગાર્ડના લોકોએ પોતાની જવાબદારીઓની સાથે સાથે આપણા દેશના સમુદ્ર તટને સ્વચ્છ બનાવવાનું પણ એક મોટું અભિયાન હાથ ધર્યું હતું અને હજારો લોકો તેમાં જોડાયા હતા. તટીય સુરક્ષાની સાથોસાથ તટીય સ્વચ્છતાની પણ તેમણે ચિંતા કરી, કાળજી લીધી. ખરેખર તેઓઅભિનંદનના અધિકારી છે.  અને  બહુ ઓછો લોકોને ખબર હશે કે આપણા દેશમાં કોસ્ટ ગાર્ડમાં માત્ર પુરૂષો જ નહીં, સ્ત્રીઓ પણ ખભે ખભા મેળવીને સમાન રીતે પોતાની જવાબદારીઓ નિભાવી રહી છે. અને સફળતાપૂર્વક નિભાવી રહી છે. કોસ્ટ ગાર્ડની આપણી મહિલા અધિકારી પાઇલોટ , નિરીક્ષક (ઓબ્ઝર્વર) તરીકે પણ છે એટલું જ નહીં, હોવરક્રાફ્ટ પણ સંભાળે છે. આજે જ્યારે સામુદ્રિક સુરક્ષા એક મહત્વનો વિષય સમગ્ર વિશ્વમાં બનેલો છે, ત્યારે ભારતની સામુદ્રિક સુરક્ષામાં લાગેલા ભારતીય તટરક્ષક  દળ (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ) ની ચાલીસમી વર્ષગાંઠ પર તેમને ખૂબ અભિનંદન આપું છું.

 

       1 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર છે. વસંતને સર્વશ્રેષ્ઠ ઋતુના રૂપમાં સ્વીકૃતિ મળી છે. વસંત ઋતુઓની રાણી છે. આપણા દેશમાં વસંત પંચમી સરસ્વતી પૂજાનો એક મોટો તહેવાર હોય છે. વિદ્યાની આરાધનાનો અવસર મનાય છે. એટલું જ નહીં, વીરો માટે પ્રેરણાનો પર્વ પણ છે. “મેરા રંગ દે બસંતી ચોલા” – આ જ તો પ્રેરણા છે. આ વસંત પંચમીના પવિત્ર તહેવાર પર મારી દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામના છે.

 

       મારા પ્રિય દેશવાસીઓ, “મનની વાત” માં આકાશવાણી પણ પોતાની કલ્પના સાથે હંમેશાં નવા રૂપ-રંગ ભરે છે. ગત મહિનાથી તેણે મારી  “મનની વાત” પૂરી થયા પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં “મનની વાત” સંભળાવવાનું શરૂ કર્યું છે. તેને વ્યાપક સ્વીકૃતિ મળી છે. દૂર-દૂરથી લોકો પત્રો લખી રહ્યા છે.

 

હું આકાશવાણીને  તેના આ સ્વયં પ્રેરણાથી કરાયેલા કામ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. દેશવાસીઓ, હું આપને પણ અભિનંદન આપું છું,  “મનની વાત” મને આપની સાથે જોડાવાનો એક બહુ મોટો  અવસર  આપે છે.  ઘણી ઘણી શુભકામનાઓ.

ધન્યવાદ.

AP/J.Khunt