Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

30 ઓક્ટોબર 2016ના રોજ આકાશવાણી પરના પ્રધાનમંત્રીની “મન કી બાત” કાર્યક્રમનો સંપૂર્ણ પાઠ


મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,

ભારતના ખૂણેખૂણામાં ઉત્સાહ અને ઉમંગની સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવે છે. ભારત એક એવો દેશ છે કે, ત્રણસોને પાંસઠેય દિવસ દેશના કોઇને કોઇ ખૂણામાં કોઇને કોઇ ઉત્સવ નજરે પડે છે. દૂરથી જોનારાને તો એમ જ લાગે કે જાણે ભારતીય જનજીવન ઉત્સવનું બીજું નામ છે, અને તે સ્વાભાવિક પણ છે. વેદકાળથી આજ સુધી ભારતમાં જે ઉત્સવોની પરંપરા રહી છે તે સમયાનુકુળ પરિવર્તન લાવનારા ઉત્સવ રહ્યા છે. સમયથી બહારના ઉત્સવોની પરંપરા સમાપ્ત કરવાની હિંમત આપણે જોઇ છે અને સમય તથા સમાજની માંગ અનુસરા ઉત્સવોમાં બદલાવ પણ સહજરૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ આ બધામાં એક બાબત આપણે સારી રીતે જોઇ શકીએ છીએ કે ભારતના ઉત્સવોની આ પૂરી માત્રા, તેનો વ્યાપ, તેનું ઊંડાણ, લોકોમાં તેનું સ્થાન એક મૂળમંત્ર સાથે જોડાયેલું છે, “સ્વને સમષ્ટિ તરફ લઇ જવો” વ્યકિત અથવા વ્યકિતત્વનું વિસ્તરણ કરવું. પોતાની મર્યાદિત વિચારસરણીનો પરિધીને સમાજથી બ્રહ્માંડ સુધી વિસ્તરિત કરવાનો પ્રયાસ કરવો. અને તે આ ઉતસ્વોના માધ્યમથી કરવું. ભારતના ઉત્સવ કોઇવાર ખાણીપીણીની મહેફિલ જેવા દેખાય છે. પરંતુ તેમાં પણ ઋતુ કેવી છે. કઇ ઋતુમાં શું ખાવું જોઇએ ? ખેતીની કઇ ઉપજ થઇ છે. તે ઉપજને કેવી રીતે ઉત્સવમાં બદલવી, આરોગ્યની દ્રષ્ટિએ કેવા સંસ્કાર હોવા જોઇએ ? આ તમામ બાબતો આપણા પૂર્વજોએ બહુ વૈજ્ઞાનિક ઢબે ઉત્સવમાં આવરી લીધી છે. આજ પૂરૂં વિશ્વ, પર્યાવરણની ચર્ચા કરે છે, પ્રાકૃતિક વિનાશ ચિંતાનો વિષય બન્યો છે. ભારતની ઉત્સવ પરંપરા પ્રકૃતિપ્રેમને બળવતર બનાવનારી છે. બાળકથી લઇને દરેક વ્યકિતને સંસ્કૃત કરનારી છે. વૃક્ષ હોય, છોડ હોય, નદી હોય, પશુ હોય, પર્વત હોય, પક્ષી હોય, દરેક પ્રત્યે જવાબદારીનો ભાવ જગાડનારા ઉત્સવ રહ્યા છે. આજકાલ તો આપણે રવિવારે રજા રાખીએ છીએ, પરંતુ જે જૂની પેઢીના લોકો છે, મજૂરી કરનારો વર્ગ હોય, માછીમારો હોય વગેરે… આપે જોયું હશે કે, સદીઓથી આપણે ત્યાં પરંપરા હતી, પૂનમ અને અમાસના દિવસે રજા રાખવાની, અને વિજ્ઞાને આ વાતને સિદ્ધ કરી છે કે, પૂનમ અને અમાસના દિવસે સમુદ્રના પાણીમાં કઇ રીતે બદલાવ આવે છે. અને તે અસર માનવમન પર પણ પડે છે. એટલે ત્યાં સુધી કે, આપણે ત્યાં રજા પણ બ્રહ્માંડ અને વિજ્ઞાનને જોડીને રાખવાની પરંપરા વિકસિત થઇ હતી. આજે જયારે આપણે દિવાળીનું પર્વ ઉજવીએ છીએ ત્યારે, મે જેમ કહ્યું તેમ આપણું દરેક પર્વ એક શિક્ષણદાયક હોય છે. શિક્ષણનો બોદ લઇને આવે છે. આ દિવાળીનું પર્વ પણ “ તમસો મા જયોતિર્ગમય ” અંધકારથી પ્રકાશ તરફ જવાનો એક સંદેશ આપે છે. અને અંધકાર, પેલો પ્રકાશના અભાવવાળો અંધકાર જ અંધકાર નથી, અંધશ્રધ્ધાનો પણ અંધકાર છે. નિરક્ષરતાનો પણ અંધકાર છે. ગરીબીનો પણ અંધકાર છે. સામાજિ ખરાબીઓનો પણ અંધકાર છે. દિવાળીનો દિપ પ્રગટાવીને સમાજ દોષ-રૂપી જે અંધકાર છવાયેલો છે, વ્યકિતદોષ રૂપી જે અંધકાર છવાયેલો છે તેનાથી ઋણ મુક્તિ મેળવવાનો પ્રયાસ છે અને તે જ તો દિવાળીનો દીપ પ્રગટાવીને પ્રકાશ પહોંચાડવાનું પર્વ બને છે.

એક બાબત આપણે બધા સારી રીતે જાણીએ છીએ, હિંદુસ્તાનના કોઇપણ ખૂણામાં જાવ, અમીરથી અમીરના ઘરમાં જઇ આવો, ગરીબથી ગરીબના ઝૂંપડામાં જાવ, દિવાળીના તહેવારોમાં, દરેક પરિવારમાં સ્વચ્છતાનું અભિયાન ચાલતું જોવા મળે છે. ઘરના ખૂણેખૂણાની સફાઇ થાય છે. ગરીબ પોતાના માટીના વાસણ હોય તે એ માટીના વાસણ પણ એવી રીતે સાફ કરે છે, કે જેમ બસ આ દિવાળી આવી છે. દિવાળી સ્વચ્છતાનું એક અભિયાન પણ છે. પરંતુ સમયની માંગ છે કે, માત્ર આપણા ઘરની જ સફાઇ નહીં, પૂરા પરિસરની સફાઇ, પૂરા મહોલ્લાની સફાઇ, પૂરા ગામની સફાઇ થાય. આપણે આપણા આ સ્વભાવ અને પરંપરાનો વિસ્તાર કરવાનો છે. બહોળા બનાવવાના છે. દિવાળીનું પર્વ હવે ભારતના સીમાડાઓ સુધી મર્યાદિત નથી રહ્યું. વિશ્વના તમામ દેશોમાં કોઇને કોઇ રૂપમાં દિપાવલીના પર્વને યાદ કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે. દુનિયાની કેટલીયે સરકારો પણ, ત્યાંની સંસદ પણ, ત્યાંના શાસકો પણ દિપાવલીના પર્વનો હિસ્સો બનવા લાગ્યા છે. એ દેશ ચાહે પૂર્વના હોય કે પશ્ચિમના, ચાહે વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, ભલે આફ્રિકા હોય, કે આયર્લેન્ડ હોય બધ્ધે જ દિવાળીની ધૂમધામ નજરે પડે છે. આપ સૌને ખબર હશે, અમેરિકાની યુએસ પોસ્ટલ સર્વિસ, તેણે પણ આ વખતે દિપાવલીની ટપાલ ટીકીટ બહાર પાડી છે. કેનેડાના પ્રધાનમંત્રીજીએ પણ દિવાળી નિમિત્તે દીવો પ્રગટાવતી પોતાની તસવીર ટ્વીટર પર શેર કરી છે.

બ્રિટનના પ્રધાનમંત્રીએ લંડનમાં દિવાળી નિમિત્તે બધા સમાજને જોડનારા એ સત્કાર સમારંભનો કાર્યક્રમ આયોજીત કર્યો, તેઓ પોતે એમાં ભાલ લીધો અને કદાચ યુ.કે.માં તો કોઇ શહેર એવું નહીં હોય, જયાં ભારે ધામધૂમથી દિવાળી ઉજવવામાં આવી ના હોય, સિંગાપુરના પ્રધામંત્રીજીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર મૂકી છે અને આ તસવીરને તેમણે દુનિયા સાથે શેર કરી છે. તે પણ બહુ ગૌરવ સાથે શેર કરી છે. અને તસ્વીર શું છે ? સિંગાપુરના 16 મહિલા સાંસદો ભારતીય સાડે પહેરીને સંસદની બહાર ઉભાં છે અને આ ફોટો વાયરલ થયો છે. અને આ બધું દિવાળી નિમિત્તે કરવામાં આવ્યું છે. સિંગાપુરના તો દરેક ગલી-મહોલ્લામાં અત્યારે દિવાળીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને દિવાળીની શુભેચ્છાઓ પાઠવીને ઓસ્ટ્રેલિયાના જુદાંજુદાં શહેરોમાં દિવાળીના તહેવારે દરેક સમાજને જોડાવાનું આહવાન કર્યું છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી આવ્યા હતા. તેમણે મને કહ્યું કે, “ મારે જલદી એટલા માટે પાછા જવું છે કે, મારે ત્યાં દિવાળીના સમારોહમાં સામેલ થવાનું છે, ” મારું કહેવાનું તાત્પર્ય એ છે કે, દીપાવલી, આ પ્રકાશનું પર્વ, વિશ્વ સમુદાયને પણ અંધકારથી પ્રકાશની તરફ લઇ જવાનો એક પ્રેરણા ઉત્સવ બની રહ્યો છે.

દિવાળીના પર્વ પર સારાં કપડાં, સારૂં ખાવા-પીવાનું વગેરેની સાથેસાથે ફટાકડાની પણ ભારે ધૂમ મચે છે. અને બાળકોને, યુવાનોને ખૂબ આનંદ આવે છે. પરંતુ બાળકો કયારેય દુસ્સાહસ પણ કરી બેસે છે. ઘણાબધા ફટાકડાને એકઠા કરીને મોટો અવાજ કરવાની કોશિશમાં એક બહુ મોટા અકસ્માતને નિયંત્રણ આપી દે છે. કયારેય એ પણ ધ્યાન નથી રહેતું કે આસપાસમાં શું પડેલું છે ? દિવાળીના દિવસોમાં અકસ્માતના સમાચાર, આગના સમાચાર, અપમૃત્યુના સમાચાર ભારે ચિંતા ઉપજાવે છે. અને એક મુસીબત એ પણ થઇ જાય છે કે, દિવાળીના દિવસોમાં ડૉકટરો પણ મોટી સંખ્યામાં પોતપોતાના પરિવારની સાથે દિવાળી ઉજવવા ચાલ્યા ગયા હોય છે. એટલે સંકટમાં વધુ એક સંકટનો ઉમેરો થઇ જાય છે. મારે ખાસ કરીને માતાપિતાને, વાલીઓને, વડિલોને વિશેષ આગ્રહ છે કે, બાળકો જયારે ફટાકડા ફોડતાં હોય ત્યારે મોટાંઓએ સાથે ઉભાં રહેવું જોઇએ, કોઇ ભૂલ ના થઇ જાય, તેની ચિંતા કરવી જોઇએ અને દુર્ઘટનાથી બચવું જોઇએ. આપણા દેશમાં દિવાળીનું પર્વ બહુ લાંબું ચાલે છે. તે કેવળ એક દિવસનું નથી હોતું. તેમાં ગોવર્ધન પૂજા કહો, ભાઇબીજ કહો, લાભપાંચમ કહો, અને કાર્તિકી પૂર્ણિમાના પ્રકાશપર્વ સુધી લઇ જાય, આમ એક પ્રકારે બહુ લાંબા સમયગાળા સુધી તે ચાલે છે. તેની સાથે સાથે આપણે દિવાળીનો તહેવાર પણ ઉજવીએ છીએ અને છઠ પૂજાની તૈયારી પણ કરીએ છીએ. ભારતના પૂર્વના વિસ્તારોમાં છઠ પૂજાનો તહેવાર એક બહુ મોટો તહેવાર હોય છે. એક રીતે મહાપર્વ હોય છે. ચાર દિવસ સુધી ચાલે છે. પરંતુ તેની એક ખાસિયત છે કે તે સમાજને બહુ ગહન સંદેશો આપે છે. તેનાથી આપણને સઘળું પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, ભગવાન સૂર્યદેવતા પાસેથી જે મળે છે તે એટલું બધું મળે છે કે, તેની ગણતરી કરવાનું પણ આપણા માટે અઘરૂં છે. પરંતુ કહેવત તો એવી છે કે, ભાઇ, દુનિયામાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે. છઠ પૂજા એક એવો ઉત્સવ છે જેમાં ઢળતા સૂરજની પણ પૂજા થાય છે. એક બહુ મોટો સામાજિક સંદેશ છે આ પર્વમાં…

હું દિપાવલીના પર્વની વાત કરૂં કે છઠ પૂજાની વાત કરૂં, આ સમય આપને ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવવાનો છે. પરંતુ સાથેસાથે મારા માટે વિશેષ સમય પણ છે. ખાસ કરીને દેશવાસીઓને ધન્યવાદ આપવા છે, આભાર વ્યકત કરવો છે. છેલ્લા કેટલાક મહિનાઓતી જે ઘટનાઓ આકાર લઇ રહી છે. તેમાં આપણા સુખચેન માટે આપણી સેનાના જવાનો પોતાનું સર્વસ્વ લુંટાવી રહ્યા છે. મારા ભાવિ વિશ્વ પર સેનાના જવાનોની સલામતિ દળોના જવાનોના ત્યાગ, તપશ્ચર્યા, પરિશ્રમ સતત છવાયેલા રહે છે. અને તેમાંથી જ એક વાત મનમાં વસી ગઇ હતી કે, આ દિવાળી સંરક્ષણ દળોને સમર્પિત કરીએ. મેં દેશવાસીઓને “સંદેશ ટુ સોલ્જર્સ” નામના અભિયાન માટે નિમંત્રિત કર્યા. પરંતુ હું આજે માથું નમાવીને કહેવા ઇચ્છું છું કે, હિંદુસ્તાનનો કોઇ એવો માનવી નહીં હોય, જેના દિવસમાં દેશના જવાનો પ્રત્યે જે અપ્રતિમ પ્રેમ છે, સેના પ્રત્યે ગૌરવ છે, જે રીતે તેની અભિવ્યકિત થઇ છે, તે દરેક દેશવાસીને તાકાત આપનારી છે. સલામતિ દળોના જવાનો માટે તો આપણે કલ્પના ન કરી શકીએ તેટલો હિંમત વધારનારો આપનો એક એક સંદેશ શકિતના રૂપમાં પ્રગટ થયો છે. શાળા હોય, કોલેજ હોય, વિદ્યાર્થી હોય, ગામ હોય, ગરીબ હોય, વેપારી હોય, દુકાનદાર હોય, રાજનેતા હોય, ખેલાડી હોય કે સિને-જગત હોય, ભાગ્યે જ કોઇ બચ્યું હશે, જેણે દેશના જવાનો માટે દીપ ન પ્રગટાવ્યો હોય, દેશના જવાનો માટે સંદેશ ન આપ્યો હોય, પ્રસાર માધ્યમોએ પણ આ દીપોત્સવીને સેના પ્રત્યે આભાર વ્યક્ત કરવાની તકમાં બદલી નાંખ્યો, અને કેમ ન કરીએ ? ચાહે બીએસએફ, સીઆરપીએફ હોય, ઇન્ડો-તીબેટમ પોલીસ હોય, આસામ રાઇફલ્સ હોય, જળસેના હોય, ભૂમિદળ હોય કે વાયુદળ હોય, તટરક્ષક દળ હોય, હું બધાંના નામ બોલી નથી શકતો, પણ અગણિત આપણા આ જવાનો કયાં કયાં પ્રકારનાં કષ્ટ વેઠે છે ? આપણે જયારે દિવાળીની ઉજવી રહ્યા છીએ ત્યારે કોઇ રણમાં ઉભા છે, કોઇ હિમાલયના શીખરો પર, કોઇ ઉદ્યોગોનું રક્ષણ કરી રહ્યું છે તો કોઇ એરપોર્ટની રખેવાળી કરે છે. કેટકેટલી જવાબદારીઓ નિભાવી રહ્યા છે !!! આપણે જયારે ઉત્સવના મૂડમાં હોઇએ ત્યારે તેમને યાદ કરીએ, તો તે યાદથીપણ એક નવી તાકાત આવી જાય છે. એક સંદેશમાં સામર્થ્ય વધી જાય છે. અને દેશે તે કરી બતાવ્યું. હું ખરેખર દેશવાસીઓનો આભાર માનું છું. અનેકોએ, જેમની પાસે કલા હતી તેમણે કલાના માધ્યમથી કર્યું. કેટલાક લોકોએ ચિત્રો બનાવ્યાં, રંગોળી બનાવી, કાર્ટુન બનાવ્યાં, જેમના પર સરસ્વતીની કૃપા હતી તેમણે કવિતાઓ બનાવી, અનેકોએ સુંદર નારા બનાવ્યા, એવું લાગી રહ્યું છે જાણે મારા નરેન્દ્ર મોદી એપ્પ કે, મારા માય ગોવ પોર્ટલ પર ભાવનાઓનો દરિયો ઉમટી પડ્યો છે. શબ્દોના રૂપમાં, પીંછીના રૂપમાં, કલમના રૂપમાં, રંગોના રૂપમાં, અગણિત પ્રકારની ભાવનાઓ… હું કલ્પના કરી શકું છું કે, મારા દેશના જવાનો માટે કેટલા ગર્વની આ પળ છે ! “સંદેશ ટુ સોલ્જર્સ” હેશટેગ પર એટલી બધી કૃતિઓ આવી છે, પ્રતિકાત્મક રૂપે કે શું વાત કરૂં ?

શ્રીમાન અશ્વિનીકુમાર ચૌહાણે એક કવિતા મોકલી છે તે હું વાંચવા ઇચ્છું છું. અશ્વિનીજીએ લખ્યું છે…

मैं त्योहार मनाता हुं, खुश होता हुं, मुस्कुराता हुं,

मैं त्योहार मनाता हुं, खुश होता हुं, मुस्कुराता हुं, ,

ये सब है, कयोंकि, तुम हो, ये तुमके आज बताता हुं ।,

मेरी आजादी का कारण तुम, खुशियो की सौगात हो, ,

मैं चैन से सोता हुं, कयोंकि, ,

मैं चैन से सोता हुं, क्योंकि तुम सरहद पर तैनात हो, ,

शीश झुकाएं पर्वत अम्बर और भारत का चमन तुम्हैं, ,

उसी तरह सेनानी भी है शत-शत नमन तुम्हैं, ,

उसी तरह सेनानी मेरा भी है शत-शत नमन तुम्हैं ।।,

“મારા વ્હાલા દેશવાસીઓ, દેશવાસીઓ, જેમનું પિયર પણ સેનાના જવાનોથી છલોછલ છે અને જેમનું સાસરૂં પણ સેનાના જવાનોથી ભરેલું છે. એવાં બહેન શિવાનીએ મને એક ટેલીફોન સંદેશો મોકલ્યો છે. આવો આપણે ફૌઝી પરિવાર શું કહે છે ?

નમસ્કાર પ્રધાનમંત્રીજી, હું શિવાની મોહન બોલું છું. આ દિવાળીએ જે સંદેશ ટુ સોલ્જર્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેનાથી આપણા ફૌઝી ભાઇઓને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. હું એક લશ્કરી કુટુંબની જ છું. મારા પતિ પણ લશ્કરના અધિકારી છે. મારા પિતા અને સસરા, બંને લશ્કરના અધિકારી રહી ચૂક્યા છે. તો અમારૂં તો પૂરૂં કુટુંબ જવાનોથી ભરેલું છે. અને સરહદ પર આપણા કેટલાય એવા અધિકારીઓ છે જેમને આટલા સંદેશા મળી રહ્યા છે અને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. લશ્કરી વર્તુળોમાં બધ્ધાંને… હું કહેવા માંગું છે કે, લશ્કરી અધિકારીઓ અને સૈનિકોની સાથે તેઓના પરિવાર, તેમની પત્નીઓ પણ સારૂં એવું બલિદાન આપે છે. તો એક રીતે પૂરા લશ્કરી સમુદાયને ખૂબ સારો, સંદેશ મળી રહ્યો છે અને, હું આપને પણ હેપ્પી દિવાળી કહેવા ઇચ્છું છું, આપનો આભાર !”

મારા વ્હાલા દેશવાલીઓ, એ વાત સાચી છે કે, સેનાના જવાનો કેવળ સરહદ પર જ નહીં, જીવનના દરેક મોરચે ઉભેલા મળે છે. કુદરતી આફત હોય, કોઇવાર કાનૂની વ્યવસ્થાનું સંકટ હો, કયારેક વળી દુશ્મનો સામે બાથ ભીડવાની હોય, કયારેક ખોટા રસ્તે ચાલતા નવયુવાનોને પાછા વાળવા માટે સાહસ બતાવવાનું હોય, આપણા જવાન જીવનના દરેક વળાંક પર રાષ્ટ્રભાવનાથી પ્રેરાઇને કામ કરતા રહે છે.

એક ઘટના મારા ધ્યાન પર લાવવામાં આવી છે. હું પણ આપને તે જણાવવા ચાહું છું. અત્યારે હું એટલા માટે જણાવવા માંગું છું કે, સફળતાના મૂળમાં કેવી કેવી બાબતો બહુ મોટી તાકાત બની જાય છે. (તે જાણવા મળે છે.) તમે સાંભળ્યું હશે, હિમાચલ પ્રદેશ ખુલ્લામાં ઝાડે જવાથી મુક્ત – open defecation free – થયું. પહેલાં સિક્કિમ રાજય બન્યું હતું. હવે હિમાચલ પણ બન્યું. પહેલી નવેંબરે કેરળ પણ બનવા જઇ રહ્યું છે. પરંતુ આ સફળતા કેવી રીતે જોવા મળે છે ? કારણ હું બતાવું છું. સંરક્ષણદળોમાં આપણા એક ITBPના જવાન, શ્રી વિકાસ ઠાકુર કે જેઓ મૂળ હિમાચલના સિરમૌર જિલ્લાના એક નાના એવા ગામના છે, તેમના ગામનું નામ છે બધાના. હવે આ આપણા આઇટીબીપીના જવાન પોતાની ફરજ પરથી રજાઓમાં ગામ ગયા હતા. તો ગામમાં કદાચ તે સમયે ગ્રામસભા મળવાની હતી. તે તો પહોંચી ગયા ગ્રામસભામાં, અને તેમાં ચર્ચા થઇ રહી હતી શૌચાલય બનાવવાની. જાણવા મળ્યું કે કેટલાક પરિવારો પૈસાના અભાવે શૌચાલય બનાવી શકતા નહોતા. આ વિકાસ ઠાકુર દેશભકિતથી ભરેલો આપણો આઇટીબીપીનો જવાન. તેમણે થયું ના.. ના.. આ કલંક તો ભૂંસવું જ જોઇએ, અને તેમની દેશભકિત જુઓ, માત્ર દુશ્મનો પર ગોળીઓ છોડવા જ તે દેશની સેવા કરતો હતો એવું નથી. તેમણે ફટ્ટ દઇને પોતાની ચેકબૂકથી સત્તાવન હજાર રૂપિયા કાઢ્યા અને ગામના સરપંચને આપી દીધા અને કહ્યું કે, જે 57 ઘરોમાં શૌચાલય નથી બન્યા, મારા તરફથી તે દરેક પરિવારને એક એક હજાર રૂપિયા આપી દો. 57 શૌચાલય બનાવી નાંખો અને આપણા બધાના ગામને ખુલ્લામાં ઝાડે જવાથી મુક્ત બનાવી નાંખો. વિકાસ ઠાકુરે કરી બતાવ્યું. 57 પરિવારોને એક એક હજાર રૂપિયા પોતાના ખિસ્સામાંથી આપીને સ્વચ્છતા અભિયાનને તેમણે એક નવી તાકાત બક્ષી, અને તેથી જ તો પૂરા હિમાચલને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનાવવાની તાકાત આવી. તેવું જ કેરળમાં થયું. હું ખરેખર નવયુવાનોનો આભાર માનવા માંગું છું. મારા ધ્યાનમાં આવ્યું કે, કેરળના દૂર-સુદૂરના જંગલોમાં, જયાં કોઇ માર્ગ પણ નથી. આખો દિવસ પગે ચાલીએ ત્યારે મુશ્કેલીથી તે ગામ પહોંચી શકાય છે. ત્યાંની જનજાતિય પંચાયત ઇડમાલાકુડી ત્યાં પહોંચવાનું મુશ્કેલ, એટલે લોકો કયારેય નહોતા જતા, તેની નજીકના શહેરી વિસ્તારમાં એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓના ધ્યાનમાં આવ્યું કે, આ ગામમાં શૌચાલય બનાવવાનાં છે. એનસીસીના કેજેટ્સ, એનએસએસના યુવાનો, એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ, બધ્ધાંએ મળીને નક્કી કર્યું કે, આપણે શૌચાલય બનાવીશું. શૌચાલયો બનાવવા જે માલસામાન લઇ જવાનો હતો, ઇંટો, સિમેન્ટ્સ, બધ્ધો સામાન આ નવયુવાનો પોતાના ખભે ઉઠાવીને, આખો દિવસ પગે ચાલીને તેઓ પેલા જંગલમાં ગયા. જાતે પરિશ્રમ કરીને તે ગામમાં શૌચાલય બનાવ્યાં અને આ નવયુવાનોએ દૂરસુદૂર જંગલમાં એક નાના એવા ગામને open Defeation free કર્યું. આ જ તો કારણ છે કે, કેરળ ઓડીએફ થઇ રહ્યું છે. ગુજરાતે પણ તમામ નગરપાલિકાઓ – મહાનગરપાલિકાઓ, કદાચ 150થી વધુને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેરી કરી છે. 10 જિલ્લા પણ ખુલ્લામાં ઝાડે જવાથી મુક્ત જાહેર કરાયા છે. હરિયાણાથી પણ ખુશખબર આવ્યાં છે. હરિયાણા પણ પહેલી નવેંબરે પોતાની સુવર્ણજયંતિ ઉજવવા જઇ રહ્યું છે. અને તેમણે નિર્ણય કર્યો છે કે, થોડાક જ મહિનામાં પૂરા રાજયને ઓડીએફ કરી નાખશે. હજી સુધી તેમણે સાત જિલ્લા પૂરા દીધા છે. તમામ રાજયોમાં કામ ચાલી રહ્યું છે. મેં કેટલાંકનો ઉલ્લેખ કર્યો છે. હું આ તમામ રાજયોના નાગરિકોને આ મહાન કાર્ય સાથે જોડાવા બદલ અને દેશમાંથી ગંદકીરૂપી અંધકાર દૂર કરવાના કામમાં યોગદાન આપવા બદલ ખૂબખૂબ હાર્દક અભિનંદન આપું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, સરકારમાં યોજનાઓ તો ઘણી હોય છે. અને પહેલી યોજના પછી તેને અનુરૂપ બીજી સારી યોજના આવે તો પહેલી યોજના છોડવી પડે છે. પરંતુ સામાન્ય રીતે આ બાબતો પર કોઇ ધ્યાન નથી આપતું. જૂની યોજના પણ ચાલતી રહે છે અને નવી યોજના પણ ચાલતી રહે છે. અને આવનારી યોજનાની રાહ પણ જોવાય છે. આવું ચાલતું રહે છે. આપણા દેશમાં જે ઘરમાં ગેસની સગડી હોય, જે ઘરમાં વીજળી હોય, એવાં ઘરોને કેરોસીનની જરૂર નથી હોતી. પરંતુ સરકારમાં કોણ પૂછે છે ? કેરોસીન પણ જઇ રહ્યું છે. ગેસ પણ જઇ રહ્યો છે. વીજળી પણ જઇ રહી છે. અને પછી વચેટિયાઓને તો મલાઇ ખાવાનો મોકો મળી જાય છે. હું હરિયાણાને અભિનંદન આપવા માંગુ છું કે, તેમણે આ બીડું ઝડપ્યું છે. હરિયાણા પ્રદેશને કેરોસીનથી મુક્ત કરાવવાનું. જે જે કુટુંબો પાસે ગેસની સગડી છે, જે જે કુટુંબો પાસે વીજળી છે, તેમનો આધાર નંબરથી ખરાઇ કરવામાં આવી અને મેં સાંભળ્યું છે કે, અત્યારસુધીમાં સાત કે આઠ જિલ્લાને કેરોસીનમુક્ત કરી દીધા છે. જે રીતે તેમણે આ કામને હાથ પર લીધું થે, મને ભરોસો છે કે, પૂરૂં રાજય બહુ જલદી કેરોસીન મુક્ત બની જશે. કેટલો મોટો બદલાવ આવશે ? ચોરી પણ અટકશે. પર્યાવરણનો પણ લાભ થશે. આપણા વિદેશી હુંડિયામણની પણ બચત થશે. અને લોકોની સુવિધા પણ વધશે. હા, તકલીફ થશે, વચટિયાઓને થશે, અપ્રામાણિકને તકલીફ થશે.

મારા વ્હાલા દેશવાસીઓ, મહાત્મા ગાંધી આપણા સૌના માટે હંમેશા હંમેશા માર્ગદર્શક છે. તેમની દરેક વાત, દેશ કયાં જવો જોઇએ ? આજે પણ આ બધા માટે માપદંડ નક્કી કરે છે. ગાંધીજી કહેતા હતા, આપ જયારે પણ કોઇ યોજના બનાવો તો સૌથી પહેલાં તે ગરીબ અને નિર્બળ ચહેરાને યાદ કરો અને પછી નક્કી કરજો કે આપ જે કરવા જઇ રહ્યા છો તેનાથી પેલા ગરીબને કોઇ લાભ થશે કે નહીં ? કયાંક તેને નુકસાન તો નહીં થાયને ? આ માપદંડના આધારે તમે નિર્ણય કરો. સમયની માંગ છે કે, આપણે હવે, દેશના ગરીબોની જે આશાઓ જાગી છે તેને સંતોષવી જ પડશે. મુસીબતોથી છુટકારો મળે તે માટે આપણે એક પછી એક પગલા ભરવાં જ પડશે. આપણી જૂની વિચારસરણી ગમે તે કેમ ના હોય, પણ સમાજને દીકરા-દીકરીના ભેદભાવથી મુક્ત કરવો જ પડશે. હવે શાળાઓમાં દીકરીઓ માટે પણ શૌચાલય છે. છોકરાઓ માટે પણ શૌચાલય છે. આપણી દિકરીઓ માટે ભેદભાવ વિનાના ભારતની અનુભૂતિનો આ અવસર છે.

સરકાર તરફથી રસીકરણ તો થાય છે જ, અને છતાં પણ લાખો બાળકો રસીકરણ વિનાનાં રહી જાય છે. બિમારીઓનો શિકાર બને છે. “મિશન ઇન્દ્ર ધનુષ” રસીરણનું એક એવું અભિયાન છે, જે આવાં રહી ગયેલાં બાળકોને આવરી લેવા માટે શરૂ કરાયું છે અને તે બાળકોને ગંભીર રોગોથી છૂટકારો અપાવવાની તાકાત આપે છે. 21મી સદી હોય અને ગામમાં અંધારૂં હોય એ હવે ન ચાલી શકે. અને એટલા માટે ગામોને અંધકારથી મુક્ત કરાવવા માટે, ગામો સુધી વીજળી પહોંચાડવાનું મહાઅભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. સમય મર્યાદામાં આગળ વધી રહ્યું છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી, ગરીબ મા, લાકડાના ચૂલા પર રસોઇ રાંધીને દિવસમાં 400 સિગારેટનો ધુમાડો પોતાના શરીરમાં લેતી હોય તેની તબિયતનું શું થશે ? આવા પાંચ કરોડ પરિવારે ધુમાડાથી મુક્ત જિંદગી આપવા માટે સફળતાથી આગળ વધી રહ્યા છીએ. આ એક કોશીશ છે.

નાનો વેપારી, નાનો કારોબારી, શાકભાજી વેચનાર, દૂધવાળો, નાઇની દુકાન ચલાવનાર, શાહુકારોના વ્યાજના ચક્કરમાં એવા ફસાયેલા રહેતા હતા, એવા ફસાયેલા રહેતા હતા. મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ યોજના, જન-ધન એકાઉન્ટ આ વ્યાજખોરોથી છુટકારાનું એક સફળ અભિયાન છે. આધાર દ્વારા બેંકોમાં સીધા પૈસા જમા થાય, હકદારને વિદ્યાર્થીને સીધા પૈસા મળે. સામાન્ય માનવીના જીવનમાં આ વચેટીયાઓથી મુક્તિની તક છે. એક એવું અભિયાન ચલાવવું છે. જેમાં ફકત સુધારો અને પરિવર્તન નહીં. સમસ્યાથી છૂટકારા સુધીનો માર્ગ ચોક્કસ કરવાનો છે અને થઇ રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આવતીકાલે 31 ઓકટોબર, આ દેશના મહાપુરૂષ ભારતની એકતાને જ જેમણે પોતાના જીવનનો મંત્ર બનાવ્યો. જીવીને બતાવ્યું. એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિનું પર્વ છે. 31 ઓકટોબર એક તરફ સરદાર સાહેબની જયંતિનું પર્વ છે. દેશની એકતાનો જીવતોજાગતો મહાપુરૂષ. તો બીજી તરફ શ્રીમતી ગાંધીની પુણ્યતિથિ પણ છે. આપણે મહાપૂરૂષોનું પુણ્ય સ્મરણ તો આપણે કરીએ છીએ જ, કરવું પણ જોઇએ. પરંતુ પંજાબના એક સજ્જનનો ફોન, તેમનું દર્દ, મને પણ સ્પર્શી ગયું.

“પ્રધાનમંત્રીશ્રી નમસ્કાર, સર, હું જસદીપ બોલી રહ્યો છું. પંજાબથી, સર, આપ જાણો છો કે, 31મી તારીખે સરદાર પટેલનો જન્મદિવસ છે. સરદાર પટેલ એક એવી વિભૂતિ છે જેમણે પોતાની આખી જિંદગી દેશને જોડવામાં વિતાવી દીધી અને તેઓ આ ઝુંબેશમાં મને લાગે છે કે, સફળ પણ થયા. તેઓ દરેકને સાથે લાવ્યા. અને આપણે તેને દેશની કરૂણતા કે કમનસીબી કરી શકીએ કે તે જ દિવસે ઇન્દિરા ગાંધીજીની પણ હત્યા થઇ. અને આપણે સૌ જાણીએ છીએ કે તેમની હત્યા પછી દેશમાં કેવા બનાવો બન્યા સર, હું એ કહેવા ઇચ્છું છું કે આવી દુર્ભાગ્યપૂર્ણ જે ઘટનાઓ બને છે, જે બનાવો બને છે તેને કેવી રીતે રોકી શકીએ છીએ.”

મારા વ્હાલા દેશવાસીઓ આ દર્દ એક વ્યકિતનું નથી. એક સરદાર, સરદાર વલ્લભભાઇ પટેલ, ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે, ચાણક્ય પછી દેશને એક કરવાનું ભગીરથ કામ સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું. આઝાદ હિંદુસ્તાનને એક ધ્વજ નીચે લાવવાનો સફળ પ્રયાસ, આટલું મોટું ભગીરથ કામ જે મહાપુરૂશે કર્યું તે મહાપુરૂષને શત શત નમન.. પરંતુ આ પણ એક દર્દ છે કે સરદાર સાહેબ એકતા માટે જીવ્યા, એકતા માટે ઝઝુમતા રહ્યા, એકતાની તેમની પ્રાથમિકતાના કારણે, કેટલાંયની નારાજીનો શિકાર પણ રહ્યા, પરંતુ એકતાનો માર્ગ કયારેય છોડ્યો નહીં. પરંતુ, તે જ સરદારની જન્મજયંતિના દિને જ હજારો સરદારોને હજારો સરદારોના પરિવારોને શ્રીમતી ગાંધીની હત્યા પછી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. એકતા માટે જીવનભર જીવનારા તે મહાપુરૂષના જન્મદિને જ અને સરદારના જ જન્મદિવસે સરાદરોની સાથે જુલ્મ ! ઇતિહાસનું એક પાનું આપણે સૌને પીડા આપે છે.

પરંતુ આ સંકટોની વચ્ચે પણ એકતાના મંત્રને લઇને આગળ વધવાનું છે. વિવિધતામાં એકતા એ જ દેશની તાકાત છે. ભાષાઓ અનેક હોય, જાતીઓ અનેક હોય, પહેરવેશ અનેક હોય, ખાન-પાન અનેક હોય, પરંતુ અનેકતામાં એકતા, આ ભારતની તાકાત છે. ભારતની વિશેષતા છે. દરેક પેઢીની ફરજ છે. તમામ સરકારોની જવાબદારી છે કે, આપણે દેશના દરેક ખૂણામાં એકતાની તક શોધીએ. એકતાના તત્વને ઉપસાવીએ. વિભાજનવાદી વિચારણસરણી, વિભાજનવાદી પ્રકૃતિથી આપણે પણ બચીએ. દેશને પણ બચાવીએ. સરદાર સાહેબે આપણને એક ભારત આપ્યું, આપણા બધાનું કર્તવ્ય છે કે, શ્રેષ્ઠ ભારત બનાવીએ. એકતાનો મૂળમંત્ર જ શ્રેષ્ઠ ભારતનો મજબૂત પાયો નાંખે છે. સરદાર સાહેબની જીવનયાત્રાનો પ્રારંભ ખેડૂતો માટેના સંઘર્ષથી થયો હતો. ખેડૂતના પુત્ર હતા. આઝાદીના આંદોલનને ખેડૂતો સુધી પહોંચાડવામાં સરદાર સાહેબની બહુ મોટી મહત્વની ભૂમિકા રહી છે. આઝાદીના આંદોલનને ગામડાંઓમાં તાકાતનું રૂપ બનાવવાનો સરદાર સાહેબનો સફળ પ્રયાસ હતો. તેમની સંગઠન શકિત અને કૌશલ્યનું પરિણામ હતું. પરંતુ સરદાર સાહેબ કેવલ સંઘર્ષની જ વ્યકિત હતા તેવું નથી. તેઓ સંરચનાની પણ વ્યકિત હતા. કયારેક કયારેક આપણામાંતી ઘણા લોકો અમૂલનું નામ સાંભળીએ છીએ. ‘અમૂલ’ના દરેક ઉત્પાદનથી આજે હિંદુસ્તાન અને હિંદુસ્તાનની બહાર પણ લોકો પરિચિત છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે તે સરદાર સાહેબની દિવ્યદ્રષ્ટિ હતી, જેમણે સહકારી દૂધ ઉત્પાદક સંઘની કલ્પના કરી હતી. અને ખેડા જિલ્લો કે જેને તે સમયે ‘કેરા’ જિલ્લો કહેવામાં આવતો હતો, અને 1942માં આ વિચારને તેમણે બળ આપ્યું. તે સાકારરૂપ, આજનું ‘અમૂલ’ ખેડૂતો માટે સુખ-સમૃદ્ધિનું સર્જન સરદાર સાહેબે કેવી રેતી કર્યું હતું તેનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે. હું સરદાર સાહેબને આદરપૂર્વક અંજલિ અર્પું છું. અને આ એકતા દિવસે, 31 ઓકટોબરે આપણે જયાં પણ હોઇએ, સરદાર સાહેબનું સ્મરણ કરીએ, એકતાનો સંકલ્પ કરીએ.

મારા વ્હાલા દેશવાસીઓ, દિવાળીના પર્વોની આ શ્રૃંખલામાં કાર્તિકી પૂર્ણિમાના (દેવદિવાળીના) પ્રકાશ ઉત્સવનું પણ પર્વ છે. ગુરૂ નાનકદેવ, તેમનો બોધ પૂરી માનવજાતિ માટે, માત્ર હિંદુસ્તાન માટે નહીં, પૂરી માનવજાતિ માટે આજે પણ દિશાદર્શક છે. સેવા, સચ્ચાઇ અને સૌનું ભલું, આ જ તો ગુરૂ નાનક દેવનો સંદેશ હતો. શાંતિ, એકતા અને સદભાવના, આ જ તો મૂળમંત્ર હતો. ભેદભાવ, અંધવિશ્વાસ, કુરૂઢીઓથી સમાજને મુક્તિ અપાવવાનું જ તો તે અભિયાન હતું. ગૂરુ નાનકદેવની દરેક વાતમાં… જયારે આપણે ત્યાં છૂતા-છૂત, જાતિપ્રથા, ઉંચ-નીચ, તેની વિકૃતિની ટોચ પર હતા ત્યારે ગુરૂ નાનકદેવને ભાઇ લાલોને પોતાના સહયોગી તરીકે પસંદ કર્યા. આવો આપણે પણ ગૂરૂ નાનક દેવે આપણને જે જ્ઞાનનો પ્રકાશ આપ્યો છે, ભેદભાવ છોડવાની જે પ્રેરણા આપે છે, ‘સૌનો સાથ સૌનો વિકાસ’ મંત્રને લઇને જો આગળ વધવું હોય તો ગુરૂનાનક દેવ સારા આપણા માર્ગદર્શક બીજું કોણ હોઇ શકે છે.!! હું ગુરૂ નાનક દેવને પણ , જયારે તેમના જન્મદિનનો આ પ્રકાશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અંતઃકરણપૂર્વક પ્રણામ કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓ, ફરી એકવાર દેશના જવાનોને નામ આ દિવાળી, આ દિવાળીએ આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. !! આપનાં સપનાં, આપના સંકલ્પ, દરેક રીતે સફળ થાય. આપનું જીવન સુખચેનનું જીવન બને, તે જ આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ…

TR