પીએમઇન્ડિયા
ક્રિસમસના દિવસે ભારત સરકારે એક ભેટનો પ્રારંભ કર્યો હતો અને તે અંતર્ગત આવનારા 100 દિવસ સુધી દરરોજ 15 હજાર લોકોને લકી ડ્રો મારફતે 100 રૂપિયા ઇનામમાં આપવાની યોજના અને આ તેના લાભાર્થી એવા લોકો છે કે જે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકના રૂપે ખરીદી કરે છે અને 50 રૂપિયાથી વધારે અને ૩ હજાર રૂપિયાથી ઓછી; જેથી કરીને ઇનામ ગરીબ લોકોને મળે.
100 દિવસમાં લાખો પરિવારોમાં ઇનામ જવાનું છે અને ડ્રો થવાના ત્રણ દિવસ પછી બેંકના લોકો તેમાંથી કયા નામ છે તે કાઢી લે છે, જે પહેલા દિવસે ડ્રો થયો હતો, તેમાં જેને ઇનામ લાગ્યું હતું તેમાંથી ચાર લોકોને મને આજે મારા હાથે ઇનામ આપવાનો અવસર મળ્યો.
આજે ૩૦ તારીખે લકી ગ્રાહક યોજનાની સાથે સાથે ડિજિધન વ્યાપાર યોજનાનો પણ ડ્રો થયો છે. તે અઠવાડિયામાં એક દિવસ થાય છે, આજે પહેલો હતો, અને તેમાં તે વ્યાપારીઓને પ્રોત્સાહન આપવાની યોજના છે કે જે પોતાની દુકાનોમાં ગ્રાહકોને ડિજીટલ પેમેન્ટ માટે પ્રેરિત કરે, તેમને સમજાવે, તે વ્યવસ્થા આપે, અને 14 એપ્રિલ, બાબાસાહેબ આંબેડકરજીની જયંતી ઉપર એક મેગા ડ્રો હશે જેમાં કરોડો રૂપિયાના ઇનામ આપવામાં આવશે. જે લોકોને આ લકી ડ્રોમાં ઇનામ મળ્યા છે તેમને હું અભિનંદન આપું છું, પરંતુ હું તેમનો આભાર પણ માનું છું કારણકે તેમણે ઝારખંડ જેવા નાના ગામમાં રહેવાવાળા કોઈ નાના નવયુવકે આ ટેકનોલોજીને આત્મસાત કરી. આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો; મહિલાઓએ ઉપયોગ કર્યો. અને આથી જ દેશમાં જે લોકો તેની સાથે જોડાઈ રહ્યા છે તે એક રીતે ઉજ્જવળ ભારતનો પાયો મજબુત કરવાનું કામ કરી રહ્યા છે અને એટલા માટે જ હું તે સૌને અભિનંદન આપું છું, તેમને વધામણી આપું છું.
આજે એક બીજું પણ કામ થયું. મારી નજરે એ સૌથી મહત્વપૂર્ણ કામ થયું છે અને એ છે એક નવી એપ લોન્ચ કરવામાં આવી અને તેનું નામ રાખવામાં આવ્યુ છે, ભીમ. બહુ ઓછા લોકોને ખબર હશે કે જે મહાપુરુષે આપણને સંવિધાન આપ્યું, તે ડોક્ટર ભીમરાવ આંબેડકર, અર્થશાસ્ત્રમાં તેમની નિપુણતા, તે તેમની સાચી ઓળખાણ હતી, અને તેમણે આજથી આશરે 80-90વર્ષ પહેલા ભારતનો રૂપિયો, તેની ઉપર થીસીસ લખી હતી, અને મુદ્રા નીતિ કેવી હોવી જોઈએ; તે સમયે જયારે અંગ્રેજોનું શાસન હતું; ભીમરાવ આંબેડકરે વિશ્વ સમક્ષ ભારતની મુદ્રા નીતિના સંબંધમાં એક નવીન રીતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને આજે આપણે લોકો જે રીઝર્વ બેંકની ચર્ચા કરીએ છીએ, RBIની વાત કરીએ છીએ, ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે થીસીસ લખી હતી, તેના જ પ્રકાશમાંથી વિચારો લઈને આ રીઝર્વ બેન્કનો જન્મ થયો હતો. એટલું જ નહીં, આઝાદ ભારતમાં આપણા જે ફેડરલ બાંધકામો છે રાજ્યો અને કેન્દ્રની વચ્ચે આર્થિક વ્યવસ્થા કેવી રીતે ચાલે, નાણાનું વિભાજન કઈ રીતે થાય તેના માટે નાણા પંચની કલ્પના કરવામાં આવી તે પણ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જ વિચારોનું પરિણામ છે.
કહેવાનો અર્થ એ છે કે ભારતની મુદ્રા વ્યવસ્થામાં ભારતની સેન્ટ્રલ બેંકની કલ્પનામાં ભારતના ફેડરલ સ્ટ્રક્ચરમાં અર્થવ્યવસ્થાના સંબધમાં એક મહાપુરુષનું સ્પષ્ટ દર્શન હતું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગદાન હતું, તે મહાપુરુષનું નામ છે, ભીમરાવ આંબેડકર. અને એટલે અંતે આજે જે એપ અને આવનારા દિવસોમાં તમે જોશો કે બધો વહીવટ જેમ આપણે પહેલા નોટ કે સિક્કાઓ દ્વારા કરતા હતા, તો એ દિવસ હવે દૂર નહીં રહે જયારે આ બધો વહીવટ ભીમ એપ દ્વારા જ ચાલવાનો છે. એટલે કે એક રીતે બાબાસાહેબ આંબેડકરનું નામ આખી અર્થવ્યવસ્થામાં ભીમ એપ દ્વરા કેન્દ્રબિંદુમાં આવવાનું છે. તેનો પ્રારંભ આ કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યો છે.
ખુબ સરળ છે. તેને તમે ડાઉનલોડ કર્યા પછી સ્માર્ટ ફોન હોય, 1000 – 1200 વાળો મામૂલી ફીચર ફોન હોય, તેનાથી તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઈન્ટરનેટ હોવું જ જોઈએ એ પણ જરૂરી નથી, અને આવનારા બે અઠવાડિયાની અંદર અંદર એક બીજું પણ કામ થવાનું છે, જેની સુરક્ષા તપાસનું કામ ચાલી રહ્યું છે આ દિવસોમાં. તે આવ્યા પછી તો આ ભીમની તાકાત એવી થશે, એવી થશે કે તમારે ના તો મોબાઇલ ફોનની જરૂર પડશે ના તો સ્માર્ટફોનની જરૂર પડશે, ના ફીચર ફોનની જરૂર પડશે, ના ઈન્ટરનેટની જરૂર પડશે, માત્ર તમારો અંગુઠો પુરતો છે, તમારો અંગુઠો જ કાફી છે. કોઈ કલ્પના કરી શકે છે, એક જમાનો હતો અભણને અંગુઠા છાપ કહેવામાં આવતા હતા, સમય બદલાઈ ગયો છે; અંગુઠો! તમારો જ અંગુઠો! તમે જ તમારી બેંક, તમારો જ અંગુઠો તમારી ઓળખ! તમારો જ અંગુઠો તમારો વહીવટ!
કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે, અને બે અઠવાડિયા પછી જયારે આ વ્યવસ્થા શરુ થશે, હું બહુ સ્પષ્ટ જોઈ રહ્યો છું, આ ભીમ દુનિયા માટે સૌથી મોટી અજાયબી હશે. દેશમાં આધાર કાર્ડ,100 કરોડથીપણ વધુ લોકોને આધાર નંબર મળી ગયો છે, જે 12 – 15 વર્ષથી ઓછી ઉંમરના છે તેમના બાકી છે, કામ ચાલી રહ્યું છે, પણ જે મોટી ઉંમરના છે 14થી ઉપરના; લગભગ લગભગ તેમાંથી મોટા ભાગના લોકોના આવી ગયા છે. ક્યાંક છૂટા છવાયા કોઈક રહી ગયા હશે તો કામ ચાલી રહ્યું છે. બીજી તરફ દેશમાં 100 કરોડથી વધુ ફોન છે, મોબાઇલ ફોન. જે દેશ પાસે 65 ટકા નવયુવાનો 35 વર્ષથી ઓછી ઉંમરના હોય, જે દેશના લોકોના હાથમાં મોબાઇલ ફોન હોય, જે દેશના લોકોના અંગુઠામાં તેમનું ભવિષ્ય સુનિશ્ચિત કરી દેવામાં આવ્યું હોય, તે દેશ એકવાર જો ડિજીટલ જોડાણ કરી દે તો કેટલો મોટો નવો ઈતિહાસ બની શકે તેમ છે, તે તમને આની અંદર જોવા મળશે. વિશ્વના કોઈપણ દેશ માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગમે તેટલો આગળ વધેલો દેશ હશે, તેના માટે પણ, અને એટલા માટે પછી તેઓ ગુગલ પાસે જશે, ગુગલ ગુરુને પૂછશે કે આ ભીમ એ શું છે? તો શરૂઆતમાં તો તેમને મહાભારત વાળો ભીમ દેખાશે, અને જો વધારે ઊંડા જશે તો તેમને ખબર પડશે, કે હિન્દુસ્તાનની ધરતી ઉપર કોઈ ભીમરાવ આંબેડકર નામના મહાપુરુષ થઇ ગયા, ભારતરત્ન ભીમરાવ આંબેડકર. ભીમરાવ આંબેડકરના જીવનનો મંત્ર આ જ હતો, “બહુજન હિતાય, બહુજન સુખાય.” તેઓ દલિત, પીડિત, શોષિત, વંચિતોના મસીહા હતા. આ ટેકનોલોજીમાં ખુબ મોટી તાકાત; ગરીબમાં ગરીબને પણ સશક્ત કરવાની તાકાત તેમાં પડેલી છે. તે ભ્રમ છે કે આ ભણેલા ગણેલા અમીરોનો ખજાનો છે, ના જી, આ ગરીબોનો ખજાનો છે. તે ગરીબોને તાકાત આપવાનો છે, નાના વેપારીઓને આપવાનો છે, દૂર સુદૂર ગામમાં રહેનારા ખેડૂતોને આપવાનો છે, જંગલોમાં જીવન ગુજારનારા આદિવાસીઓને આપવાનો છે, અને એટલા માટે તેનું નામ તે મહાપુરુષ સાથે જોડવામાં આવ્યું છે, જેમણે પોતાની જીન્દગી દલિત, પીડિત, શોષિત, વંચિત આદિવાસીઓ માટે ખપાવી દીધી.
શરૂઆતમાં ક્યારેક ક્યારેક એવું લાગે છે, આજે પણ દુનિયાના અનેક સમૃદ્ધ દેશો છે, ભણેલા ગણેલા ફોરવર્ડ દેશો છે, તેમને જયારે ખબર પડે છે કે હિન્દુસ્તાનમાં કરોડો લોકો બટન દબાવીને વોટીંગ કરે છે અને જયારે ગણતરી થાય છે તો બે કલાકમાં પરિણામ આવવાનું શરુ થઇ જાય છે, તો દુનિયાના અનેક દેશોને નવાઈ લાગે છે કે હજુ સુધી અમે જયારે પણ ચૂંટણી થાય તો મતપત્ર છાપીએ છીએ, ગામડે ગામડે મતદાન કરવા લોકો આવે છે, થપ્પો મારે છે, પછી બોક્ષમાં નાખે છે, પછી અમે લોકો તેનું વિભાજન કરીએ છીએ, અલગ પાડીએ છીએ, તે પછી ગણતરી કરીએ છીએ, આપણે ત્યાં તો અઠવાડિયા અઠવાડિયા થઇ જાય છે. જે દેશને અભણ કહેવામાં આવે છે, જે દેશના નાગરિકોને; તેમની સમજ ઉપર કેટલાક લોકો પ્રાશ્નિક નિશાન તાંકે છે, તે દેશ દુનિયાની સામે ગર્વ કરી શકે છે કે ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન દ્વારા દુનિયામાં ક્રાંતિ લાવનારા અમે લોકો છીએ અને આટલી મોટી માત્રામાં સફળતાપૂર્વક તે કરીએ છીએ.
કોઈ કોઈવાર હું આશ્ચર્યચકિત છું, કેટલાક લોકો કહે છે, કેટલાક લોકો હોય છે જેમના મન મસ્તિષ્કમાં નિરાશા સાથે જ તેમના જીવનનો આરંભ થાય છે, તેમની સવાર પણ નિરાશા સાથે જ થાય છે. આવા નિરાશાવાદી લોકો માટે હાલ તો કોઈ ઔષધ ઉપલબ્ધ નથી. તો આવા નિરાશાવાદી લોકોને તેમની નિરાશા મુબારક. કોઈ કલ્પના કરી શકે છે, હિન્દુસ્તાનમાં એક જમાનો હતો, તમે લોકોએ જુના જમાનાની ફિલ્મો જોઈ હશે, તો શેર માર્કેટમાં વેપારીઓ ભેગા થઈને બુમો પાડતા હતા, આવી આવી રીતે આંગળીઓ કરી કરીને તેઓ પોતાનો ભાવ શેર બજારમાં બોલતા હતા અને તેને લખવાવાળા પછી ફરી દુરથી ટાઈ કરતા કે હા, આ પેલી બોલી બોલી રહ્યો છે અને પેલો આ બોલી બોલી રહ્યો છે, એક જમાનો એવો હતો.
તમે જોયું હશે પહેલા શેર માર્કેટમાં કોઈ રોકાણ કરતું તો મોટા મોટા શેર સર્ટીફીકેટ આવતા હતા, તેને સંભાળવા પડતા હતા, ઘરમાં કોઈ ધ્યાન રાખતું હતું કે જુઓ શેર લીધા હતા તો શું થયું કોઈ ભાવ વધ્યો, ઓછો થયો? આજે હિન્દુસ્તાન કઈ રીતે પરિવર્તનને સ્વીકારી ચુક્યું છે, કરોડો કરોડો લોકો સ્ટોક માર્કેટથી ડીમેટ એકાઉન્ટ વડે પોતાનો પુરેપુરો વહીવટ ઓનલાઈન કરે છે, મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો તેમાં પોતાનું રોકાણ કરે છે અને તે કોઈ કાગળનો ટુકડો નથી હોતો અને અરબો અરબો રૂપિયાનો કારોબાર ચલાવે છે, પણ આ દેશની અંદર; કદાચ બની શકે છે કે આજે મેં કહ્યું તો કેટલાક લોકો જાગી જશે શોધવા માટે જશે કે મોદી જે કહેતો હતો તે સાચું હતું કે ખોટું. શું ખરેખર શેર બજારમાં બધું ઓનલાઈન થાય છે ખરું? કારણકે અત્યાર સુધી કોઈનું ધ્યાન જ નથી ગયું, આ બની ચુક્યું છે, આ બની ગયું છે, પણ ધ્યાન નથી ગયું. પણ આ દિવસોમાં જયારે હું કહું છું કે ઈ-પેમેન્ટ માટે તો લોકોને લાગે છે કે આ કંઈક નવું લાવ્યો છે મોદી, ગરબડ લાગે છે. અને એટલા માટે મોટા મોટા લોકો ઊંચા ઊંચા પદ ઉપર રહેનારા લોકો તેઓ પણ પોતાની; બહુ મૃદુ ભાષામાં બોલે છે, નાજુકતાથી બોલે છે, આવું કેવી રીતે બની શકે છે, દેશ અભણ છે, મોબાઇલ ફોન ક્યાં છે, એવું બોલે છે. એટલા માટે આવા નિરાશામાં ઉછરેલા લોકો માટે મારી પાસે કોઈ ઔષધ નથી, પણ આશાવાદી લોકો માટે મારી પાસે હજારો અવસરો છે.
ભાઈઓ, બહેનો, આજે કોઈ ધોબી શું એવું વિચારી શકે છે કે તે બેંક પાસેથી લોન લઇ શકે છે? કોઈ નાના વાળંદની દુકાન ચલાવનારો વાળ કાપવાવાળો વ્યક્તિ, શું તે વિચારી શકે છે કે મને બેંક પાસેથી લોન મળી શકે છે? કોઈ અખબારની પસ્તી ભેગી કરવાવાળો કે અખબાર વેચવાવાળો વિચારી શકે છે? તે કલ્પના જ નથી કરી શકતો કે બેંકમાં હું જાઉં તો મને પૈસા મળી શકે છે. વિચારી જ નથી શકતો, કારણકે આપણે સંજોગો જ એવા બનાવીને મૂકી દીધા છે.
આ જે હું ડિજીટલ પેમેન્ટની વાત કરું છું, તે કેવી ક્રાંતિ લાવશે અને જયારે આ લોકો ભીમ, આ ભીમ સામાન નથી, તમારા પરિવારની તે આર્થિક મહાસત્તા બનવાનો છે, કઈ રીતે? ધારો કે ધોબી આજે તેની પાસે લોકો આવે છે, કપડા ડ્રાય ક્લીનીંગ, ફલાણું, ઢીકણું કરાવવા આવે છે, સાંજે 500 1000 રૂપિયા કમાઈ લે છે, ઘરે લઇ જાય છે પોતાનો ગલ્લો, પણ જે દિવસે તે ડિજીટલ પેમેન્ટ લેવાનું શરુ કરે છે, તો તેનો આખો ટ્રેક રેકોર્ડ તૈયાર થઇ જશે, તેનો મોબાઇલ ફોન બોલશે કે રોજના 800, 1000 રૂપિયા આવે છે,100, 200 રૂપિયા બચી જાય છે, પછી તેને જો બેંક પાસેથી લોન લેવી હશે તો બેન્કને કહેશે કે જુઓ ભાઈ મારો મોબાઈલ ચેક કરી લો, મારા એકાઉન્ટમાં આટલા પૈસાની લેણ – દેણ ચાલે છે. હવે મારે જરૂર છે એક પાંચ હજાર રૂપીયા જોઈએ છે, આપી દો. આ વ્યવસ્થા એવી હશે કે આજે તેને શાહુકાર પાસે ઊંચા વ્યાજથી પાંચ હજાર રૂપિયા લેવા પડે છે, તે પોતાના મોબાઇલ ફોનથી, એ દિવસ દૂર નથી, 5 મિનીટની અંદર અંદર 5 હજાર રૂપિયા તેના ખાતામાં મળી જશે. આ ઈ-બેન્કિંગની વ્યવસ્થા વિકસિત થવાની છે, આ દિવસ દૂર નથી દોસ્તો. આ થવાનું છે. અને આ કામને આગળ વધારવા માટે એક સામાન્ય મંચ આજે ભીમના રૂપમાં દેશવાસીઓને 2016ના વર્ષના અંતમાં જયારે હું આવ્યો છું એક રીતે 2017ની ઉત્તમમાં ઉત્તમ ભેટ હું આપું છું.
ભાઈઓ બહેનો, આજથી ત્રણ વર્ષ પહેલાના અખબાર ઉઠાવો, જૂના જો કોઈ યુટ્યુબ પર જશો, જો જૂના ટીવી ન્યૂઝના ક્લીપીંગ પડ્યા હોય તો તે જોઈ લેજો, શું આવે છે, કેટલું ગયું, કોલસામાં કેટલા ગયા, 2Gમાં કેટલા ગયા, ખબર એ જ રહેતી હતી કે કેટલા ગયા. આજે લોકો જુએ યાર આજે કેટલા આવ્યા. જુઓ સમય સમયની વાત છે. આ જ દેશ, આ જ લોકો, આ જ કાયદો, આ જ સરકાર, આ જ ફાઈલો, આ જ નિયમો, તે પણ એક સમય હતો જયારે ગયેલાની ચર્ચા થતી હતી, આ પણ એક સમય છે કે આવવાની ચર્ચા થાય છે, લોકો હિસાબ લગાવે છે, સોમવારે કેટલું આવ્યું, મંગળવારે કેટલું આવ્યું.
ભાઈઓ બહેનો, દેશના ગરીબોમાં જો હિમ્મત હોય, તેમની માટે સમર્પણ હોય, તો બધી જ વસ્તુઓ સારી કરવા માટે ઈશ્વર પણ તાકાત આપે છે. મને નવાઈ લાગે છે કે એક નેતાએ વક્તવ્ય આપેલું, તેમણે કહેલું કે ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર. ભાઈ મારે ઉંદર જ નીકળવો હતો, એ જ તો બધું ખાઈ જાય છે, ચોરી છુપીથી. ખેડૂત મહેનત કરીને, ખેડૂત મહેનત કરીને અનાજનો ઢગલા કરે, અને બે ઉંદર આવી જાય, સાહેબ બધું ખતમ કરી નાખે છે. તો જે નેતાજીએ કહ્યું, હું તેમનો ધન્યવાદ કરું છું કે ઓછામાં ઓછું સાચું તો બોલ્યા, આ ઉંદર પકડવાનું જ કામ છે જે દેશના ગરીબનું ધન ખાઈ જતા હતા, તે ઉંદર પકડવાનું જ કામ છે જે ચાલી રહ્યું છે અને તેજ ગતિએ ચાલી રહ્યું છે.
ભાઈઓ બહેનો, હું અત્યારે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરવા માગું છું. તમને ખબર હશે જે વસ્તુ મીડિયાના લોકો નક્કી કરી લે તો તેની એક અસર ઊભી થાય છે. જયારે લોકો લાલ લાઈટવાળી ગાડીઓમાં ફરવાના શોખીન હતા તો મીડીયાવાળા પાછળ પડી ગયા. કેમરા લઇ આવ્યા, અચ્છા આ લાલ લાઈટ લગાવીને બેઠા છે. ધીરે ધીરે જેમને લાલ લાઈટનો હક હતો તેઓ પણ ડરવા લાગ્યા, યાર છોડો. ઘણા લોકો હતા, સરકાર કહે, કાયદો કહે, સીટ બેલ્ટ લગાવો, સીટબેલ્ટ લગાવો, કોઈ નહોતું લગાવતું. મીડીયાવાળા પાછળ પડી ગયા, કોઈ કારમાં બેઠો છે મોટો માણસ, તો તરત જ સમાચાર છાપતા હતા, આણે સીટ બેલ્ટ નથી લગાવ્યો, પછી બીજા દિવસે ટીવી પર બતાવતા હતા, તો તેનું મોઢું આવડું થઇ જતું હતું, હવે સીટ બેલ્ટની જાગૃતિ આવી છે.
ક્યારેક હેલ્મેટ માટે સરકાર કહે છે કે ભાઈ જિંદગી બચાવવા માટે જરા હેલ્મેટ લગાવો, આમ કરો, સાંભળતા જ નથી, પણ મીડિયાના લોકો કોઈ પોલીસવાળો હેલ્મેટ વગર જતો હોય તો પકડતા હતા, ટીવી ઉપર દેખાડતા હતા અને પછી તે ધ્રુજવા લાગતો હતો. લોકો પણ જતા હોય, અને દેખાય તો જુઓ આ જઈ રહ્યો છે. સરકાર પણ જાગતી હતી, પોલીસ પણ જાગતી હતી. આ આ સેવા ઓછી નથી જી, આ સેવા બહુ મોટી છે.
એક એવી જાગૃતતા આવી, સ્વચ્છતા અભિયાનમાં પણ, કોઈ મીડિયાના લોકો સ્વચ્છતા રાખવી જોઈએ એવું કહે એ અલગ વાત છે પણ મેં જોયું તો સવાર સાંજ તેમના કેમેરાના લોકો એવી જગ્યાએ ફરતા રહેતા હતા કે અને કોઈ કચરો નાખતા હતા કે તરત જ પકડીને પછી તેનો ઈન્ટરવ્યુ લેતા હતા. તો પછી એ એવો ભાગતો કે, ના ના મારો ઈરાદો એવો નહોતો, મેં જોયું નહોતું. તેઓ કહેતા કે જો દેખાય છે કે નથી દેખાતું. તો પછી એ ભાગતો હતો. જુઓ હું માનું છું કે આપણા દેશના ઇલેક્ટ્રોનિક મીડીયાએ, આમ તો હું કેટલીય વસ્તુઓ ગણાવી શકું છું કારણ કે હું આશાવાદી વિચારોવાળો માણસ છું તો મને તેમાંથી સારું સારું દેખાય છે. કેટલાક લોકોને ફરિયાદ કરવાનું મન થાય છે કે આવું કેમ કરે છે, પણ મને નથી થતું. મને લાગે છે કે સારું કરે છે. અને એટલા માટે જ આવનારા દિવસોમાં મીડિયા બહુ મોટી સેવા કરી શકે તેમ છે.
પાછલા 50 દિવસોમાં તમે જોયું હશે, હું ભાષણ કરતો હતો કે ડિજીટલ કરવું જોઈએ, મોબાઇલ કરવું જોઈએ તો મને દેખાડતા હતા અને બાજુમાં કોઈ પેડલ રિક્ષાવાળાને પૂછતા હતા કે તમારી પાસે મોબાઇલ છે? તે કહેતો હતો કે નથી. તમે કેશલેસ જાણો છો, બોલ્યો ના. પછીએ લોકો મને..એ મોદી! અને તેના કારણે સરકારને પણ વિચારવું પડ્યું કે હા ભાઈ ફીચર ફોનમાં પણ કરવું જોઈએ, અંગુઠામાં પણ બેન્કિંગ આવવું જોઈએ. આવ્યું કે ના આવ્યું? તો બોલો, મીડિયાને હું થેંક યુ કહું કે ના કહું? એટલા માટે હું તેમને થેન્ક યુ કહું છું. પણ મને વિશ્વાસ છે કે તમે લોકો ચેતીને રહો. હવે મીડીયાવાળા 1 તારીખ પછી તમારા હાથમાં મોબાઇલ જોશે, કેમેરો ઊંચો કરીને પૂછશે તારી પાસે મોબાઇલ છે? ભીમ છે? કેશ લઈને કેમ ફરે છે? ભણેલા ગણેલા છો શું કરો છો? તમે જોજો 2017માં મીડિયાના લોકો તમને પૂછવાના છે. બધા હિન્દુસ્તાનવાળાઓને પૂછવાના છે કે બબ્બે મોબાઇલ ફોન લઈને ફરો છો, તો પણ તમે કેશલેસ નથી થઇ રહ્યા? તેનાથી જ રિવોલ્યુશન આવે છે. ક્રાંતિ આનાથી જ આવે છે. અને મને વિશ્વાસ છે કે દેશ વિશ્વના આધુનિક દેશોની તુલનામાં ટેકનોલોજીના ક્ષેત્રમાં અને ટેકનોલોજીની સાથે સાથે કોમન મેનની કનેક્ટીવીટી, તે થઈને જ રહેશે.
ભાઈઓ બહેનો, હું સ્પષ્ટ મંતવ્યનો છું. આપણો દેશ એમ જ સોનાનું પક્ષી નહોતો. આપણો દેશ એમ જ સોનાના પક્ષીમાંથી ગરીબ નથી બન્યો. આપણી પોતાની ત્રુટિઓને કારણે, આપણી ભૂલોને કારણે, આપણા ખોટા વર્તનના કારણે સોનાનું પક્ષી કહેવાતો દેશ ગરીબ દેશની ગણતરીમાં આવીને ઊભો રહી ગયો છે. પણ એનો અર્થ એ છે કે આજે પણ આ દેશમાં ફરી એકવાર સોનાનું પંક્ષી બનવાની ક્ષમતા પડેલી છે. તે સપનાની સાથે, એ વિશ્વાસની સાથે, કેમ આપણે, કેમ આપણે દેશના ગરીબોને તેમનો હક ના અપાવીએ, મધ્યમવર્ગીય લોકોનું જે શોષણ કરી રહ્યા છે, તેમને રોકીએ. ઈમાનદારીના રસ્તે દેશ ચાલવા માગે છે, તેને આપણે જોર આપીએ.
ભાઈઓ બહેનો! હું જાણું છું, આજે લોકો તેનું મૂલ્યાંકન કરવાની ના તો હિમ્મત કરશે, ના તો કદાચ એટલુ સામર્થ્ય હશે, પણ એ દિવસ દૂર નહીં હોય જયારે આ આખા ઘટનાક્રમનું મૂલ્યાંકન થશે, ઇતિહાસની તારીખોમાં જયારે મઢવામાં આવશે ત્યારે એક વાત ઉજાગર થવાની છે, આપણો દેશ; ક્યારેક કહેવાતું હતું યુનાન, મિસર નામશેષ થઇ ગયા, પણ શું વાત છે કે હસ્તી આપણી નામશેષ નથી થતી. આ તે કઈ વાત છે? એવી તો કઈ વાત છે કે આપણી હસ્તી મટતી નથી.
ભાઈઓ, બહેનો! તમે તમારા કાર્યકાળમાં પણ જોયું હશે, જે નાની ઉંમરના છે તેમણે પણ જોયું હશે કે જયારે પણ આપણા દેશમાં કોઈ બાહ્ય આક્રમણ થાય છે, કોઈ બાહ્ય જુલમ થાય છે, કોઈ બહારથી કઈ કહી દે છે, તો સમગ્ર હિન્દુસ્તાન એક થઈને તેની વિરુદ્ધ મુકાબલો કરવા માટે તૈયાર થઇ જાય છે. આ આપણે ઘણી વાર જોયું છે. પણ પહેલીવાર આ દેશે એ વાતનો અનુભવ કર્યો છે અને જે ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોમાં લખાશે. આ દેશ પોતાની અંદરની ખરાબીઓને ખતમ કરવા માટે એક થયો છે દોસ્તો! પોતાની જાત સામે લડવા માટે એક થયો! પોતાની જાત સામે લડવા માટે આગળ આવ્યો છે, પોતાની ખરાબીઓને હરાવવા માટે સવા સો કરોડ દેશવાસીઓ આટલી તકલીફ ઉઠાવવા માટે આવ્યા છે, તકલીફ પછી પણ હસતા હસતા કહે છે.
ભાઈઓ, બહેનો! આ જ તો આ દેશની તાકાત છે કે આપણે આપણી બદીઓને ખતમ કરવા માટે જાતે ચાલીને આગળ આવીએ છીએ, સમય મળતા જ નીકળી પડીએ છીએ અને કરીને જ જંપીએ છીએ. આ આઠ તારીખ પછી દેશે તે તાકાતના દર્શન કરાવ્યા છે, જે દેશની અનમોલ તાકાત છે. પોતાની ખરાબીઓ વિરુદ્ધ લડવું એ સામાન્ય વાત નથી. સવા સો કરોડ દેશવાસી અને એ પણ સાચું છે કે ખરાબીઓ કેટલાક લોકોએ સ્વેચ્છાએ સ્વીકાર કરી હશે, કેટલાક લોકો મજબુરીથી તેનો શિકાર થયા હશે, પણ ઈચ્છા-અનિચ્છાથી પણ તે ઊધઈની જેમ ફેલાઈ ગઈ છે. અને એટલા માટે જ ઊધઈની જેમ ફેલાયેલી બેઈમાનીની બીમારી, સમાજમાં પણ ક્યારેક તો એવું લાગતું હતું કે લોકો કદાચ તેને જીવનની આદત બનાવી લેશે પણ આઠ નવેમ્બર પછી મેં જોયું કે લોકો તકની રાહ જોઈ રહ્યા હતા. આવી જીંદગી તેમને નથી જોઈતી. તેમને ઈમાનદારીની જીંદગી જોઈએ છે, તેમને ઈમાનદારીનો રસ્તો જોઈએ છે અને આ દેશવાસીઓએ, આ દેશવાસીઓએ કરીને બતાવ્યું છે.
અને ભાઈઓ બહેનો! હું વિશ્વાસપૂર્વક કહું છું આ જે બધી મહેનત થઇ રહી છે અને આ કામ નાનું નથી; દુનિયાને અચરજ થાય છે કે 86 ટકા નાણું એકદમથી વ્યવહારમાંથી નીકળી જાય, દુનિયા આજે એની ઉપર જ વિચારી નથી શકતી દેશ કેવો છે! કેવા લોકો છે! અને જુઓ જીવી રહ્યા છે. વિચારે છે કે આગળ વધવાનું છે. આ દેશની કોઈ સામાન્ય તાકાત નથી, અને આ તાકાત દેશવાસીઓએ દેખાડી છે. અને આ જ તાકાત છે જે આવનારા દિવસોમાં દેશને આગળ લઇ જવાની છે.
ભાઈઓ બહેનો! અને મારો મત છે કે આ દેશ, આ દેશના ધન પર, આ દેશની સંપદા પર, આ દેશના ગરીબનો હક સૌથી પહેલા હોવો જોઈએ. ગરીબીની વિરુદ્ધમાં લડાઈ નારાઓથી નથી થતી. તમે જુઓ, મેં દેશવાસીઓને એક પ્રાર્થના કરી હતી, કહ્યું હતું કે તમે જો આર્થિક રૂપે જો તમારું વધારે નુકસાન ના થતું હોય તો તમે એલપીજીની સબસીડી છોડી દો.
આ દેશ કે જે ક્યારેક 9 સિલિન્ડર અને 12 સિલિન્ડર પર 2014ની ચૂંટણીનો એજન્ડા લઈને ચાલતો તો, એક પાર્ટી આ વાતના મુદ્દે ચૂંટણી લડી રહી હતી, કે 9 સિલિન્ડર આપશે કે 12 સિલિન્ડર આપશે. જે દેશમાં આખી ચૂંટણી સિલિન્ડરની સંખ્યા ઉપર લડવામાં આવી હોય, તે દેશની અંદર એક સરકાર આવીને લોકોને એ કહે કે સબસીડી છોડી દો, કેટલો મોટો વિરોધાભાસ! અમે તમને 12 સિલિન્ડર આપીએ તો વોટ આપી દો, તે બીજો એવો આવ્યો તો કહે છે કે સિલિન્ડરની સબસીડી છોડી દો.
અને આજે હું માથું નમાવીને મારા દેશવાસીઓની સામે નમન કરીને કહેવા માગું છું કે એક કરોડ વીસ લાખ લોકો કરતા વધુ પરિવારોએ પોતાની સબસીડી છોડી દીધી. અને મેં વાયદો કર્યો હતો કે તમે જે સબસીડી છોડી રહ્યા છો, હું તેને ગરીબ માતા ને આપીશ, જે ગરીબ માતાને લાકડાના ચુલાથી, ધુમાડાની આગમાં પોતાના બાળકોની સાથે ગુજારો કરવો પડે છે. તે ગરીબ માતાને એક દિવસમાં 400 સિગરેટનો ધુમાડો પોતાના શરીરમાં લેવો પડે છે. તે માતાના સ્વાસ્થ્યનું શું થતું હશે, તમે તમારી સબસીડી છોડી દો, હું તે સિલિન્ડર તે ગરીબ માતા ને આપવા માગું છું, જે લાકડાનો ચૂલો સળગાવીને ખાવાનું બનાવે છે. અને આજે, આજે હું દેશવાસીઓને કહેવા માગું છું કે એક કરોડ વીસ લાખ લોકોએ સબસીડી છોડી; અત્યાર સુધીમાં દોઢ કરોડ ગરીબ માતાઓને ગેસ સિલિન્ડર અમે આપી ચુક્યા છીએ. કહેવાનો અર્થ એ છે કે જે પણ આવે છે, તે જઈ નથી રહ્યું. આ જે પણ આવે છે તે ગરીબને કામ લાગવાનું છે, ગરીબની ભલાઈ માટે કામ આવવાનું છે.
દેશને બદલાવું છે દોસ્તો! દેશના સામાન્ય માનવીની જીંદગી બદલશે, ત્યારે દેશ બદલવાનો છે. અને જયારે આજે હું પંડિત દીનદયાળજીની જન્મ શતાબ્દી ઉજવી રહ્યો છું, અને ભારત સરકારે ગરીબ કલ્યાણ વર્ષના રૂપમાં તેને ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ બધો પરિશ્રમ ગરીબોને સમર્પિત છે; તેમના કલ્યાણને સમર્પિત છે; મધ્યમ વર્ગની વ્યક્તિને સમર્પિત છે અને મને વિશ્વાસ છે કે દેશે જે રીતે આશીર્વાદ આપ્યા છે, કષ્ટ સહન કરીને આશીર્વાદ આપ્યા છે, આવનારા દિવસોમાં આ બદલાવના હકદાર પણ તેઓ જ થવાના છે.
હું ફરી એકવાર ઇનામ પ્રાપ્ત કરનારા લોકોને અભિનંદન આપુ છું, હું દેશવાસીઓને આગ્રહ કરું છું, કે 2017ની પહેલી જન્યુઆરીને તમે ઓછામાં ઓછું એક જાન્યુઆરીથી શરુ કરો, જો તમારી પાસે મોબાઇલ છે, સ્માર્ટ ફોન છે, તો ઓછામાં ઓછી પાંચ લેવડ દેવડ તો કરો. દરેક હિન્દુસ્તાની એકવાર પાંચ લેવડ દેવડ કરીને જુએ તો પછી તેને તેની આદત પડી જશે, અને દેશ ડિજીટલ પળની આગેવાની કરશે. હું ફરી એકવાર બધાને ખુબ ખુબ અભિનંદન આપું છું, ખુબ ખુબ આભાર માનું છું.
AP/Jkhunt/TR/GP
These two initiatives, the Lucky Grahak Yojana and DigiDhan Vyapar Yojana are a Christmas gift to the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 30, 2016
Over the 100 day period, several families will be given the prizes: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 30, 2016
The mega draw will take place on 14th April, the birth anniversary of Dr. Babasaheb Ambedkar: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 30, 2016
Launch of the BHIM App is significant. In addition to his role in making of the Constitution, Dr. Ambedkar was also a great economist: PM
— PMO India (@PMOIndia) December 30, 2016
Dr. Ambedkar's thesis offers significant insights of various economic issues: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 30, 2016
The BHIM App is very simple to use: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 30, 2016
Furthering digital connectivity would do wonders for our nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 30, 2016
Mantra of Dr. Ambedkar was to work for the upliftment of the poor. And the biggest power of technology is that it can empower the poor: PM
— PMO India (@PMOIndia) December 30, 2016
For those with a positive mindset, India has several opportunities: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 30, 2016
Look at the newspapers 3 years ago, the news was about what is lost (in scams), today it is about what has come back or what is the gain: PM
— PMO India (@PMOIndia) December 30, 2016
Vibrancy at Delhi's #DigiDhanMela showed yet again how strongly India has joined the movement to end corruption. https://t.co/rd8gdaJC36
— Narendra Modi (@narendramodi) December 30, 2016
The launch of the BHIM App is a landmark moment in our journey to move towards digital transactions & eliminate the menace of corruption. pic.twitter.com/d7d2VD6IVR
— Narendra Modi (@narendramodi) December 30, 2016
The App's name is inspired by Dr. Babasaheb Ambedkar, at the core of whose vision was empowerment of the poor & a focus on self-reliance.
— Narendra Modi (@narendramodi) December 30, 2016
Honoured youngsters, entrepreneurs based in villages & collectors who are adding strong support in the movement towards digital transactions pic.twitter.com/zI1XfenIL4
— Narendra Modi (@narendramodi) December 30, 2016
The most severe effect of corruption & black money is on the aspirations of the poor. A corruption free India is the best gift for our poor.
— Narendra Modi (@narendramodi) December 30, 2016
Download BHIM (Bharat Interface for Money) App. It will improve ease, experience & efficiency of digital transfers. https://t.co/vTFd5B4aHW
— Narendra Modi (@narendramodi) December 30, 2016