Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PM 13મી એપ્રિલે ‘નારી શક્તિ વંદન સંમેલન’ને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી એપ્રિલ 2026ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘નારી શક્તિ વંદન સંમેલન’માં હાજરી આપશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત મેદનીને સંબોધિત પણ કરશે.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ અને મહિલા સિદ્ધિ હાંસલ કરનારાઓની સહભાગિતા જોવા મળશે. તે સરકાર, શિક્ષણવિદ્યા, વિજ્ઞાન, રમતગમત, ઉદ્યમશીલતા, મીડિયા, સામાજિક કાર્ય અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓને એકસાથે લાવશે.

સપ્ટેમ્બર 2023માં સંસદે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર કર્યો જે વિધાન મંડળોમાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ અધિનિયમમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકોના આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. હવે દેશભરમાં મહિલા અનામતના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે 16મી એપ્રિલના રોજ સંસદનું સત્ર બોલાવવામાં આવી રહ્યું છે.

ભારતના વિકાસના પથને આકાર આપવામાં મહિલાઓની વધુ ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે પંચાયતથી લઈને સંસદ સુધી તમામ સ્તરે શાસન અને નેતૃત્વમાં મહિલાઓની વધતી જતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડશે. આ કાર્યક્રમ નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓના ઉન્નત પ્રતિનિધિત્વના મહત્વ પર ભાર મૂકશે.

સંમેલન વિકસિત ભારત 2047 તરફની યાત્રામાં મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડશે. તે વિકસિત ભારત 2047ના વિઝનના કેન્દ્રીય સ્તંભ તરીકે મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ પ્રત્યે સરકારની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.

SM/BS/JD