પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના મદુરાઈમાં ₹4,400 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. મદુરાઈના પવિત્ર શહેરમાં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ તમિલનાડુની વિકાસ યાત્રામાં એક ગૌરવશાળી પ્રકરણ છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવવા, અર્થતંત્રને વેગ આપવા અને યુવાનો માટે નોકરીની નોંધપાત્ર તકો ઊભી કરવાનો અને રાજ્યના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉચ્ચ ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ મૂળભૂત રીતે લોકોને સશક્ત બનાવવા વિશે છે. “આ વિકાસનો અર્થ છે ખેડૂતોને બજારો સુધી પહોંચવા માટે વધુ સારા રસ્તાઓ, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સરળ મુસાફરી અને વ્યવસાયો માટે ઝડપી પરિવહન”, તેમ શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું, “છેલ્લા બાર વર્ષોમાં, ભારત સરકારે તમિલનાડુના હાઈવે નેટવર્કમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેમાં 2014 થી ચાર હજાર કિલોમીટરથી વધુ હાઈવે બનાવવામાં આવ્યા છે.” તેમણે બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસની નોંધ લીધી, જેમાં દરિયાકાંઠાના પર્યટન અને વેપારને મજબૂત કરવા માટે ₹2,100 કરોડથી વધુના રોકાણ સાથે મરક્કાનમ–પુડુચેરી વિભાગનું ફોર–લેનિંગ અને પરમકુડી–રામનાથપુરમ પટ્ટાના ફોર–લેનિંગનો સમાવેશ થાય છે. ₹1,800 કરોડથી વધુના રોકાણ સાથે, બાદમાંનો પ્રોજેક્ટ રામેશ્વરમ અને ધનુષકોડી જેવા સ્થળો સુધીની પહોંચમાં નોંધપાત્ર વધારો કરશે, જે શ્રદ્ધાળુઓ માટે મુસાફરીમાં સરળતા અને કૃષિ તથા દરિયાઈ ઉત્પાદનોની સુગમ હેરફેર સુનિશ્ચિત કરશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતીય રેલવેમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે, જે એક આધુનિક, કાર્યક્ષમ અને લોકો–કેન્દ્રીય પરિવહન પ્રણાલી તરીકે ઉભરી આવ્યું છે. “આ પરિવર્તન ખાસ કરીને તમિલનાડુમાં દેખાય છે, જ્યાં વર્તમાન સરકારે સત્તા સંભાળી ત્યારથી રેલવે બજેટની ફાળવણીમાં લગભગ નવ ગણો વધારો થયો છે,” શ્રી મોદીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે જ્યારે 2009 થી 2014 વચ્ચે સરેરાશ વાર્ષિક ફાળવણી રૂ. 880 કરોડ હતી, જે વર્ષ 2026–27 માટે વધીને રૂ. 7,600 કરોડ થઈ છે. તેમણે વધુમાં વિગતવાર જણાવ્યું કે રાજ્યમાં 1,300 કિલોમીટરથી વધુ નવા પાટા નાખવામાં આવ્યા છે, 97% ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કરવામાં આવ્યું છે અને સેંકડો ફ્લાયઓવર તથા અંડરપાસથી સુરક્ષા અને કાર્યક્ષમતામાં સુધારો થયો છે. એક મુખ્ય સીમાચિહ્ન યાદ કરતા, પ્રધાનમંત્રીએ ગયા વર્ષે નવા પામ્બન બ્રિજનું ઉદ્ઘાટન કરવાના તેમના વિશેષાધિકારનો ઉલ્લેખ કર્યો અને ભારતના પ્રથમ વર્ટિકલ બ્રિજનું વર્ણન કર્યું.
પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે હાલમાં 9 વંદે ભારત ટ્રેનો અને 9 અમૃત ભારત ટ્રેનો તમિલનાડુના લોકોની સેવા કરી રહી છે, જેના કોચ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી રહ્યા છે. તેમણે ‘મેક ઇન ઇન્ડિયા‘ વિઝન પર ગૌરવ વ્યક્ત કરતા નોંધ્યું કે, “તે આત્મનિર્ભરતાને વેગ આપી રહ્યું છે અને યુવાનો માટે નોકરીઓનું સર્જન કરી રહ્યું છે.” અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, રાજ્યમાં 70 રેલવે સ્ટેશનોને આરામ, સુલભતા અને સ્થાનિક ઓળખના મિશ્રણ સાથે આધુનિક બનાવવામાં આવી રહ્યા છે, જેમાં 8 પુનઃવિકસિત સ્ટેશનોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચેન્નાઈ બીચ–ચેન્નાઈ એગ્મોર ચોથી લાઇનનું સમર્પણ હજારો દૈનિક મુસાફરોને લાભ આપશે. પ્રધાનમંત્રીએ કુંભકોણમ, યેરકાઉડ અને વેલ્લોરમાં આકાશવાણીના નવા FM રિલે ટ્રાન્સમિટર્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને આ રેડિયો સ્ટેશનોને લોકોની સેવા માટે સમર્પિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે તમિલનાડુ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ પાછલા દાયકાની સરખામણીમાં ત્રણ ગણું થયું છે, અને નોંધ્યું હતું કે 2026 નું કેન્દ્રીય બજેટ રાજ્ય પર આ મજબૂત ધ્યાન જાળવી રાખે છે. તેમણે બેંગલુરુ–ચેન્નાઈ અને ચેન્નાઈ–હૈદરાબાદ બુલેટ ટ્રેન કોરિડોર માટેના પ્રસ્તાવોની વિગતો આપી હતી, જે પ્રાદેશિક અર્થતંત્રમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. વધુમાં, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, “બજેટ તમિલનાડુને રેર અર્થ કોરિડોરની અંદર રાખે છે, જેનો હેતુ અદ્યતન ઉત્પાદન, સંશોધન અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે તમિલનાડુ સમૃદ્ધ ઈતિહાસ અને વારસો ધરાવે છે, અને જાહેરાત કરી હતી કે આદિચનલ્લુર જેવા ઐતિહાસિક સ્થળોને વૈશ્વિક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે પુલીકટ તળાવ અને પોધિગાઈ મલાઈની આસપાસની ઈકો–ટૂરિઝમ પહેલો નવી નોકરીની તકો ઊભી કરશે અને સાથે સાથે કુદરતી ઇકોસિસ્ટમની જાળવણી પણ કરશે. તદુપરાંત, તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઉત્પાદનને વેગ આપવા માટે દેશભરમાં આશરે 200 ઔદ્યોગિક ક્લસ્ટરો ઓળખવામાં આવશે અને તેને ટેકો આપવામાં આવશે. તમિલનાડુ ઘણા ઉદ્યોગોનું ઘર હોવાનું ભારપૂર્વક જણાવતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજનાથી સ્થાનિક યુવાનોને ઘણો લાભ થશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક ભારતીય 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રેરિત છે, અને નોંધ્યું હતું કે તમિલનાડુ રાષ્ટ્રનું ભાગ્ય નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. સર્વસમાવેશક વિકાસ અને રાજ્યની પ્રગતિને સક્ષમ કરવા માટે કેન્દ્રની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતા, તેમણે આ વિધાન સાથે સમાપન કર્યું, “આપણો સામૂહિક ધ્યેય વિકસિત ભારત માટે વિકસિત તમિલનાડુ છે.”
Speaking at the launch of various infrastructure works in Madurai. These will improve connectivity and significantly benefit the people across Tamil Nadu.
https://t.co/BtyKdVaZWM— Narendra Modi (@narendramodi) March 1, 2026
SM/JD
Speaking at the launch of various infrastructure works in Madurai. These will improve connectivity and significantly benefit the people across Tamil Nadu.
— Narendra Modi (@narendramodi) March 1, 2026
https://t.co/BtyKdVaZWM