Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2 ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2 ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


કેન્દ્ર સરકારના તમામ મંત્રીગણ, તમામ સાંસદગણ, સરકારના તમામ કર્મચારીઓ, અન્ય મહાનુભાવો અને મારા વહાલા સાથીઓ!

આજે આપણે સૌ એક નવો ઈતિહાસ રચાતો જોઈ રહ્યા છીએ. આજે વિક્રમ સંવત બે હજાર બયાસી, ફાગણ કૃષ્ણ પક્ષ, વિજયા એકાદશી, આ મહત્વપૂર્ણ શુભ દિવસ માઘ ચોવીસ, શક સંવત ઓગણીસો સુડતાલીસનો પુણ્ય અવસર અને આજની પ્રચલિત ભાષામાં કહું તો, 13 ફેબ્રુઆરીનો આ દિવસ, ભારતની વિકાસ યાત્રામાં એક નવા આરંભનો સાક્ષી બની રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં વિજયા એકાદશીનું ખૂબ મહત્વ રહ્યું છે, આ દિવસે જે સંકલ્પ સાથે આગળ વધીએ છીએ, તેમાં વિજય ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. આજે આપણે સૌ પણ વિકસિત ભારતના સંકલ્પ સાથે સેવા તીર્થમાં, કર્તવ્ય ભવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણા લક્ષ્યમાં વિજયી થવાના દૈવી આશીર્વાદ આપણી સાથે છે. હું આપ સૌને, PMO ની આખી ટીમને, કેબિનેટ સચિવાલય અને વિવિધ વિભાગોના તમામ કર્મચારીઓને સેવાતીર્થ અને નવા ભવનોની અભિનંદન પાઠવું છું. હું આના નિર્માણ સાથે જોડાયેલા તમામ એન્જિનિયરો અને શ્રમિક સાથીઓનો આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ, આઝાદી પછી સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જેવી ઈમારતોમાંથી દેશ માટે અનેક મહત્વના નિર્ણયો લેવાયા, નીતિઓ બની. પરંતુ એ પણ સત્ય છે કે આ ઈમારતો બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીક તરીકે બનાવવામાં આવી હતી. આ ઈમારતો બનાવવાનો હેતુ ભારતને સદીઓ સુધી ગુલામીની જંજીરોમાં જકડી રાખવાનો હતો.

સાથીઓ, તમે પણ જાણો છો, એક સમય હતો, જ્યારે કોલકાતા શહેર દેશની રાજધાની હતું. પરંતુ 1905 ના બંગાળ વિભાજનના તે ગાળામાં કોલકાતા બ્રિટિશ વિરોધી આંદોલનનું પ્રબળ કેન્દ્ર બની ચૂક્યું હતું. અને તેથી અંગ્રેજોએ 1911 માં ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હી શિફ્ટ કરી, અને તે પછી અંગ્રેજી હકુમતની જરૂરિયાતો અને તેની વિચારધારાને ધ્યાનમાં રાખીને નોર્થ બ્લોક, સાઉથ બ્લોક જેવી ઈમારતો બનાવવાનું કામ શરૂ થયું. ત્યારબાદ જ્યારે રાયસીના હિલ્સના આ ભવનોનું ઉદ્ઘાટન થયું હતું, ત્યારે તે સમયના વાઈસરોયે કહ્યું હતું કે, જે નવા ભવનો બન્યા છે, તે બ્રિટિશ સમ્રાટની ઈચ્છાઓને અનુરૂપ બન્યા છે, એટલે કે તે સમયમાં આ ભવન બ્રિટનના મહારાજાની વિચારધારાને ગુલામ ભારતના મેદાન પર ઉતારવાનું માધ્યમ હતા. રાયસીના હિલ્સની પસંદગી પણ એટલા માટે કરવામાં આવી હતી કે આ ઈમારતો, અન્ય ઈમારતોથી ઉપર રહે, કોઈ તેમની બરાબરી ના કરી શકે. હવે સંયોગથી સેવા તીર્થનું આખું પરિસર કોઈ ટેકરી પર ના હોઈને, જમીનથી વધારે જોડાયેલું છે. સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જેવી ઈમારતો, જ્યાં બ્રિટિશ હકુમતની વિચારધારાને લાગુ કરવા માટે બની હતી, ત્યાં આજે હું ગર્વ સાથે કહી શકું છું કે સેવા તીર્થ અને કર્તવ્ય ભવન જેવા નવા પરિસરો, ભારતની, જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટે બન્યા છે. અહીંથી જે નિર્ણયો થશે, તે કોઈ મહારાજાની વિચારધારાને નહીં, 140 કરોડ દેશવાસીઓની અપેક્ષાઓને આગળ વધારવાનો આધાર બનશે. આ જ અમૃત ભાવના સાથે આજે હું આ સેવા તીર્થ, આ કર્તવ્ય ભવન, ભારતની જનતાને સમર્પિત કરી રહ્યો છું.

સાથીઓ, આ સમયે 21મી સદીનો પહેલો ક્વાર્ટર પૂરો થઈ ચૂક્યો છે. એ આવશ્યક છે કે વિકસિત ભારતની આપણી કલ્પના માત્ર નીતિઓ અને યોજનાઓમાં જ નહીં, આપણા કાર્યસ્થળો, આપણી ઈમારતોમાં પણ દેખાય. જ્યાંથી દેશનું સંચાલન થાય છે, તે જગ્યા પ્રભાવશાળી પણ હોવી જોઈએ અને પ્રેરણાદાયી પણ હોવી જોઈએ. તે ઈમ્પ્રેસિવ પણ હોય અને ઈન્સ્પાયરિંગ પણ હોય. આજે નવી-નવી ટેકનોલોજી ઝડપથી આપણી વચ્ચે જગ્યા બનાવી રહી છે. પરંતુ, આ સુવિધાઓના વિસ્તાર માટે, નવા ટુલ્સના ઉપયોગ માટે જૂની ઈમારતો નાકાફી (અપૂરતી) સાબિત થઈ રહી હતી. સાઉથ બ્લોક, નોર્થ બ્લોક, જૂના ભવનોમાં જગ્યાની અછત હતી, સુવિધાઓની પણ પોતાની મર્યાદાઓ હતી, આશરે સો વર્ષ જૂની આ ઈમારતો અંદરથી જર્જરિત થતી જતી હતી, તે સિવાય પણ ઘણા પડકારો હતા. હું સમજું છું, આ પડકારો વિશે પણ દેશને સતત જણાવવું જરૂરી છે. જેમ કે આઝાદીના આટલા દાયકાઓ પછી પણ ભારત સરકારના અનેક મંત્રાલયો દિલ્હીના 50 થી વધુ અલગ-અલગ સ્થળોએથી ચાલી રહ્યા છે. દર વર્ષે, આ મંત્રાલયોની ઈમારતોના ભાડા પર જ પ્રતિ વર્ષ દોઢ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થઈ રહ્યા હતા. દરરોજ 8 થી 10 હજાર કર્મચારીઓને એક ઈમારતથી બીજી ઈમારતમાં જવા માટેનો લોજિસ્ટિક્સ ખર્ચ અલગ હતો. હવે સેવા તીર્થ અને કર્તવ્ય ભવનોના નિર્માણથી આ ખર્ચ ઓછો થશે, સમય બચશે અને કર્મચારીઓના સમયની આ બચતથી પ્રોડક્ટિવિટી વધશે.

સાથીઓ, આ બદલાવ વચ્ચે, ચોક્કસપણે જૂના ભવનમાં વિતાવેલા વર્ષોની સ્મૃતિઓ આપણી સાથે રહેશે. અલગ-અલગ સમયના પડકારો સાથે ઝઝૂમતા, ત્યાંથી ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યાંથી દેશને નવી દિશા મળી, સુધારાની અનેક પહેલ થઈ. તે પરિસર, તે ઈમારત, ભારતની ઈતિહાસનો અમર હિસ્સો છે. એટલા માટે જ, અમે તે ભવનને દેશ માટે સમર્પિત મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. તે યુગે યુગીન ભારત મ્યુઝિયમનો જ હિસ્સો હશે, તે ઈમારત દેશની આવનારી પેઢી માટે એક પ્રેરણા કેન્દ્ર બનશે. નવી પેઢીના યુવાનો જ્યારે ત્યાં જશે, તો ઐતિહાસિક લિગસી તેમનું માર્ગદર્શન કરશે.

સાથીઓ, વિકસિત ભારતની આ યાત્રામાં, આ બહુ જરૂરી છે કે ભારત ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને આગળ વધે. દુર્ભાગ્ય છે, આઝાદી પછી પણ આપણા દેશમાં ગુલામીના પ્રતીકોને ઢોવામાં આવતા રહ્યા. તમે જુઓ, પહેલા શું સ્થિતિ હતી? પ્રધાનમંત્રી નિવાસ જ્યાં છે, તેને રેસ કોર્સ કહેવામાં આવતું હતું. ઉપરાષ્ટ્રપતિ માટે કોઈ નિવાસ સ્થાન નક્કી જ નહોતું. રાષ્ટ્રપતિ ભવન સુધી આવતા રસ્તાને લોકશાહીમાં રાજપથ કહેવામાં આવતો હતો. આઝાદ ભારતમાં જે સૈનિકો શહીદ થયા, તેમના માટે કોઈ સ્મારક જ નહોતું. જે સુરક્ષા દળો, જે પોલીસકર્મી શહીદ થયા, તેમના માટે પણ કોઈ સ્મૃતિ સ્થળ નહોતું. એટલે કે, 1947 માં સ્વતંત્ર થયેલા દેશની રાજધાની, જ્યાંથી દેશના મોટા-મોટા નિર્ણયો લેવાતા હતા, તે પૂરેપૂરી ગુલામીની માનસિકતામાં જકડેલી હતી. દિલ્હીની ઈમારતો, જાહેર સ્થળો, ઐતિહાસિક સ્થળો પર ગુલામીના ચિહ્નો જ ભરેલા પડ્યા છે.

પરંતુ સાથીઓ, કહેવાય છે ને, સમયનું ચક્ર ક્યારેય એક જેવું રહેતું નથી. 2014 માં, દેશે નક્કી કર્યું કે ગુલામીની માનસિકતા હવે વધુ નહીં ચાલે. અમે ગુલામીની આ માનસિકતા બદલવાનું અભિયાન શરૂ કર્યું. અમે વીરોના નામે ‘નેશનલ વોર મેમોરિયલ’ બનાવ્યું. અમે પોલીસની વીરતાને સન્માન આપવા માટે ‘પોલીસ સ્મારક’ બનાવ્યું. રેસ કોર્સ રોડ, તેનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ રાખવામાં આવ્યું. અને આ માત્ર નામ બદલવાનો નિર્ણય જ નહોતો, આ સત્તાના મિજાજને સેવાની ભાવનામાં બદલવાનો પવિત્ર પ્રયાસ હતો.

સાથીઓ, આપણા આ નિર્ણયો પાછળ એક ઊંડી ભાવના છે, એક વિઝન છે. તે આપણા વર્તમાન, આપણા અતીત અને ભવિષ્યને ભારતના ગૌરવ સાથે જોડે છે. જે જગ્યાને પહેલા રાજપથના નામથી ઓળખવામાં આવતી હતી, ત્યાં ના પૂરતી સુવિધાઓ હતી, ના સામાન્ય નાગરિકો માટે યોગ્ય વ્યવસ્થા. અમે તેને કર્તવ્ય પથ તરીકે વિકસાવ્યું, આજે તે જ સ્થળ પરિવારો, બાળકો, દેશભરમાંથી આવતા નાગરિકો માટે એક જીવંત જાહેર સ્થળ બની ચૂક્યું છે. આ જ પરિસરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. લાંબા સમય સુધી આપણી રાજધાનીમાં આપણા મહાન નાયકોની સ્મૃતિને આ સ્વરૂપે સ્થાન મળ્યું નહોતું. અમે આ નક્કી કર્યું કે દેશની નવી પેઢી રાજધાનીના કેન્દ્રમાં પોતાના નાયકો પાસેથી પ્રેરણા લે. રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા. મુગલ ગાર્ડનનું નામ બદલીને, અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું. જ્યારે જૂની સંસદ પાસે નવા સંસદ ભવનનું નિર્માણ થયું, તો અમે જૂના ભવનને ભૂલ્યા નહીં, અમે તેને ‘સંવિધાન સદન’ તરીકે નવી ઓળખ આપી. જ્યારે અલગ-અલગ મંત્રાલયોને એક પરિસરમાં લાવવામાં આવ્યા, તો તે ભવનોને ‘કર્તવ્ય ભવન’ નામ આપવામાં આવ્યું. નામ બદલવાની આ પહેલ, માત્ર શબ્દોનો બદલાવ નથી, આ તમામ પ્રયાસો પાછળ વૈચારિક સૂત્રતા એક જ છે- સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, ગુલામીથી મુક્ત નિશાન.

સાથીઓ, નવા પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ છે- સેવા તીર્થ. સેવાની ભાવના જ ભારતની આત્મા છે, સેવાની ભાવના જ ભારતની ઓળખ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસજી કહેતા હતા- શિવ જ્ઞાનથી જીવ જ્ઞાન સેવા, આ વિચાર માત્ર આધ્યાત્મિક નથી, આ રાષ્ટ્ર નિર્માણનું દર્શન છે. આ ભવન આપણને દરેક ક્ષણે યાદ અપાવશે કે શાસનનો અર્થ સેવા છે, દાયિત્વનો અર્થ સમર્પણ છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે- ‘સેવા પરમો ધર્મઃ’. અર્થાત્, સેવા જ સૌથી મોટો ધર્મ છે. ભારતીય સંસ્કૃતિનો આ જ વિચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને સરકારનું વિઝન છે. એટલા માટે જ, સેવાતીર્થ, આ માત્ર એક નામ નથી, આ એક સંકલ્પ છે. સેવા તીર્થ એટલે- નાગરિકની સેવાથી પવિત્ર થયેલું સ્થળ! સેવાના સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જવાનું સ્થળ! તીર્થનો અર્થ પણ હોય છે- “તરતિ અનેન ઇતિ તીર્થ” અર્થાત્, જે તારવાની, પાર કરવાની ક્ષમતા રાખે, જે લક્ષ્યોની પ્રાપ્તિમાં સહાયક હોય, તે તીર્થ છે. આજે ભારત સામે પણ વિકસિત ભારતનું લક્ષ્ય છે, આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય છે. આપણે કરોડો દેશવાસીઓને ગરીબીમાંથી મુક્તિ અપાવવાની છે, આપણે દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અપાવવાની છે, અને આ કામ સેવાના સામર્થ્યથી જ સિદ્ધ થશે.

સાથીઓ, આજે જ્યારે ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે, આજે જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય સંબંધોની એક નવી ગાથા લખી રહ્યું છે, આજે જ્યારે નવા-નવા ટ્રેડ એગ્રીમેન્ટ્સ (વેપાર કરારો) સંભાવનાઓની નવી બારીઓ ખોલી રહ્યા છે, જ્યારે દેશ saturation (પરિપૂર્ણતા) ના લક્ષ્ય તરફ ઝડપથી વધી રહ્યો છે, તો સેવા તીર્થ અને કર્તવ્ય ભવનોમાં, આપ સૌના કામની નવી ગતિ અને તમારો નવો આત્મવિશ્વાસ, દેશના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવશે.

સાથીઓ, આપણી સંસ્કૃતિ કહે છે, દરેક શુભ કાર્યથી પહેલા સ્વસ્તિવાચન, મંગળની કામના, શુભનો સંકલ્પ, વેદનો મંત્ર આપણને દિશા આપે છે, “આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ।” અર્થાત્, કલ્યાણકારી વિચારો દરેક દિશામાંથી આપણા સુધી આવતા રહે. આ જ આ ભવનની આત્મા હોવી જોઈએ. ભારતના મહાન લોકશાહીમાં જનતાના વિચારો જ આપણી શક્તિ છે, જનતાના સપના જ આપણી પૂંજી છે, જનતાની અપેક્ષાઓ જ આપણી પ્રાથમિકતા છે, જનતાની આકાંક્ષાઓ જ આપણું માર્ગદર્શન છે. આ ભાવનાઓ અને આ ભવન વચ્ચે કોઈ દીવાલ ના હોવી જોઈએ, કોઈ અંતર ના હોવું જોઈએ. જ્યારે તમે જનતાના સપનાઓને સમજશો, ત્યારે જ નીતિઓ જીવંત થશે, જ્યારે તમે જનતાની આકાંક્ષાઓને અનુભવશો, ત્યારે જ નિર્ણયો પ્રભાવશાળી થશે. છેલ્લા 11 વર્ષોમાં અમે Governance નું એક નવું મોડલ જોયું છે, એક એવું મોડલ જ્યાં નિર્ણય, નિર્ણયનું કેન્દ્ર ભારતનો નાગરિક છે. “નાગરિક દેવો ભવ” આ માત્ર વાક્ય નથી, આ આપણી કાર્ય-સંસ્કૃતિ છે. તેને આત્મસાત કરીને તમારે આ નવા ભવનોમાં પ્રવેશ કરવાનો છે. સેવા તીર્થમાં લેવાયેલો દરેક નિર્ણય, અહીં ચાલતી દરેક ફાઈલ, અહીં વિતાવેલી દરેક ક્ષણ, 140 કરોડ દેશવાસીઓના જીવનને બહેતર બનાવવા માટે હોવી જોઈએ. હું દરેક અધિકારીથી, દરેક કર્મચારીથી, દરેક કર્મયોગીથી કહેવા માંગુ છું, જ્યારે પણ તમે આ ભવનમાં કદમ રાખો, પળવાર માટે રોકાઈ જાઓ, થોડી ક્ષણ થોભો, પોતાની જાતને પૂછો, શું આજનું મારું કાર્ય કરોડો દેશવાસીઓના જીવનને સરળ બનાવશે? આ જ આત્મમંથન આ સ્થાનની સૌથી મોટી શક્તિ બનશે.

સાથીઓ, આપણે અહીં અધિકાર બતાવવા નથી આવ્યા, આપણે અહીં જવાબદારી નિભાવવા આવ્યા છીએ, અને આપણે જોયું છે જ્યારે શાસન સેવા ભાવથી ચાલે છે, તો પરિણામ પણ અસાધારણ હોય છે, અને ત્યારે જ તો 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળે છે, ત્યારે જ તો અર્થવ્યવસ્થા નવી ગતિ પકડે છે.

સાથીઓ, આજે વિકસિત ભારત 2047 માત્ર આપણું લક્ષ્ય નથી, તે વિશ્વની નજરમાં ભારતની પ્રતિજ્ઞા છે. અને તેથી અહીં બનનારી દરેક નીતિ, અહીં થનારો દરેક નિર્ણય, સેવાની નિરંતર ભાવનાથી પ્રેરિત હોવો જોઈએ. અને એક દિવસ, જ્યારે તમે સેવા-નિવૃત્ત થઈને અથવા બદલી (ટ્રાન્સફર) પછી આ ભવનથી વિદાય લેશો, તમે પાછળ વળીને જોશો, પોતાના આજના દિવસોને ગર્વની સાથે યાદ કરશો. ત્યારે તમે સ્વયંથી કહી શકશો કે હા, જેટલા દિવસ હું સેવા તીર્થમાં રહ્યો, કર્તવ્ય ભવનમાં રહ્યો, દરેક દિવસે મેં દેશના નાગરિકોની સેવા કરી, દરેક નિર્ણય રાષ્ટ્રના હિતમાં લીધો. તે ક્ષણ તમને સુકૂન (શાંતિ) આપશે, તે ક્ષણ તમારી સૌથી મોટી ઉપલબ્ધિ (સિદ્ધિ) હશે, તે ક્ષણ તમારી વ્યક્તિગત પૂંજી હશે, અને તે જ પૂંજી તમારા જીવનને ગૌરવથી ભરી દેશે.

સાથીઓ, મહાત્મા ગાંધીની ભાવના હતી, કર્તવ્યની બુનિયાદ (પાયા) પર જ અધિકારની ભવ્ય ઈમારતનું નિર્માણ થાય છે, જ્યારે આપણે આપણું કર્તવ્ય નિભાવીએ છીએ, તો મોટી થી મોટી ચુનોતી (પડકાર) થી ટકરાઈ શકીએ છીએ, તેનું સમાધાન કરી શકીએ છીએ. આપણા સંવિધાન નિર્માતાઓએ એટલા માટે જ કર્તવ્ય પર બહુ જોર આપ્યું છે. અને તેથી આપણે યાદ રાખવાનું છે, કોટિ-કોટિ દેશવાસીઓના સપનાઓને સાકાર કરવાનો આધાર છે- કર્તવ્ય! કર્તવ્ય આરંભ છે, કર્તવ્ય આ જીવંત રાષ્ટ્રની પ્રાણવાયુ છે. કરુણા અને કર્મઠતાના સ્નેહ-સૂત્રમાં બંધાયેલું કર્મ છે- કર્તવ્ય! સંકલ્પોની આશ છે- કર્તવ્ય! પરિશ્રમની પરાકાષ્ઠા છે- કર્તવ્ય! દરેક સમસ્યાનું સમાધાન છે- કર્તવ્ય, વિકસિત ભારતનો વિશ્વાસ છે- કર્તવ્ય! કર્તવ્ય સમતા છે, કર્તવ્ય મમતા છે, કર્તવ્ય સાર્વભૌમિક છે, કર્તવ્ય સર્વસ્પર્શી છે. સૌનો સાથ-સૌનો વિકાસના ભાવમાં પરોવાયેલો મંત્ર છે- કર્તવ્ય! રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનો ભાવ છે- કર્તવ્ય! દરેક જીવનમાં જ્યોત જગાવી દે, તે ઈચ્છાશક્તિ છે- કર્તવ્ય! આત્મનિર્ભર ભારતનો ઉલ્લાસ છે- કર્તવ્ય! ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે- કર્તવ્ય! મા ભારતીની પ્રાણ-ઊર્જાનો ધ્વજવાહક છે- કર્તવ્ય! રાષ્ટ્ર પ્રત્યે ભક્તિ-ભાવથી કરેલું દરેક કાર્ય છે- કર્તવ્ય! ‘નાગરિક દેવો ભવ’ ની સાધનાનો જાગૃત પથ છે- કર્તવ્ય!

સાથીઓ, કર્તવ્યની આ જ ભાવનાથી, આ ભાવનાને સર્વોપરી રાખતા, આપણે સેવાતીર્થ અને નવા બનેલા ભવનોમાં કર્તવ્ય ભાવથી પ્રવેશ કરવાનો છે.

સાથીઓ, આજે ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે, એક નવી ઊંચાઈ તરફ, એક નવા યુગ તરફ. આવનારા વર્ષોમાં આપણી ઓળખ માત્ર અર્થવ્યવસ્થાથી નહીં હોય, આપણી ઓળખ હશે, Governance ની ગુણવત્તાથી, નીતિઓની સ્પષ્ટતાથી, અને કર્મયોગીઓની નિષ્ઠાથી. સેવા તીર્થ અને કર્તવ્ય ભવનોમાં લેવાયેલો દરેક નિર્ણય, માત્ર એક ફાઈલનો નિર્ણય નહીં હોય, 2047 ના વિકસિત ભારતની દિશા નક્કી કરશે. યાદ રાખો 2047 નું લક્ષ્ય માત્ર એક તારીખ નથી, તે 140 કરોડ સપનાઓની સમય-સીમા છે. આ યાત્રામાં દરેક સંસ્થા મહત્વની છે, દરેક અધિકારી મહત્વના છે, દરેક કર્મચારી, દરેક કર્મયોગી મહત્વના છે. હું ઈચ્છું છું, સેવાતીર્થ સંવેદનશીલ શાસનનું પ્રતીક બને, નાગરિક-કેન્દ્રિત વ્યવસ્થાનું રોલ મોડલ બને, એવું સ્થાન, જ્યાં સત્તા નહીં, સેવા દેખાય, જ્યાં પદ નહીં, પ્રતિબદ્ધતા દેખાય, જ્યાં અધિકાર નહીં, ઉત્તરદાયિત્વ દેખાય. મને પૂરો વિશ્વાસ છે, આપણો સંકલ્પ ઈતિહાસ લખશે, આપણો પરિશ્રમ પેઢીઓને દિશા આપશે. મેં લાલ કિલ્લાથી કહ્યું હતું- ‘એ જ સમય છે, સાચો સમય છે’. આવો, આપણે દરેક પળ, દરેક ક્ષણનો સાચો ઉપયોગ કરીએ. આપણે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી એવા પુણ્ય કાર્ય કરીએ કે આવનારી સદીઓ કહે, એ જ તે સમય હતો, જ્યારે ભારતે સ્વયંના ભાગ્યને પુનઃ વ્યાખ્યાયિત કર્યું હતું. એ જ તે સમય હતો, જ્યારે ભારતે આવતા એક હજાર વર્ષના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું મજબૂત કદમ નવી ઊર્જા, નવી ગતિની સાથે ઉઠાવ્યું હતું. આ જ વિશ્વાસ સાથે, આપ સૌને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

વંદે માતરમ્!

SM/JY/GP/JD