પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા-AI ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસનાયકા સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાના થોડા સમય બાદ ડિસેમ્બર 2024 માં તેમની રાજ્ય મુલાકાત પછી રાષ્ટ્રપતિ દિસનાયકાની આ બીજી ભારત મુલાકાત છે.
બંને નેતાઓએ એપ્રિલ 2025 માં પ્રધાનમંત્રીની શ્રીલંકાની રાજ્ય મુલાકાત સહિત તાજેતરની ઉચ્ચ સ્તરીય મુલાકાતોમાંથી ઉદ્ભવેલી દ્વિપક્ષીય પહેલોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. નેતાઓએ ભૌતિક, ડિજિટલ અને ઊર્જા કનેક્ટિવિટીના મુખ્ય સ્તંભોમાં સહકારને વધુ વેગ આપવા માટે સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. વિકાસલક્ષી લક્ષ્યોની પ્રગતિમાં ટેકનોલોજીની ભૂમિકાને સ્વીકારીને, તેઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની તૈનાતીમાં સામ્યતા પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
રાષ્ટ્રપતિ દિસનાયકાએ ચક્રવાત ‘દિતવાહ‘ (Cyclone Ditwah) પછી ભારતે આપેલા ત્વરિત અને બિનશરતી સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે, ભારતે કટોકટીની રાહત સામગ્રી મોકલી હતી અને ‘ઓપરેશન સાગર બંધુ’ હેઠળ શોધ અને બચાવ પ્રયાસોને ટેકો આપ્યો હતો. બંને નેતાઓએ USD 450 મિલિયનના સહાય પેકેજ દ્વારા પુનઃનિર્માણ અને પુનઃપ્રાપ્તિ માટે ભારતના ચાલુ સમર્થનમાં થયેલી પ્રગતિની સંતોષ સાથે નોંધ લીધી હતી.
શ્રીલંકામાં પવિત્ર ‘દેવનીમોરી‘ અવશેષોના તાજેતરમાં સંપન્ન થયેલા પ્રદર્શનની સફળતાને આવકારતા, બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સભ્યતાના જોડાણોની મજબૂતી ભારત-શ્રીલંકા ભાગીદારીને અપ્રતિમ લાભ આપે છે.
નેતાઓએ શ્રીલંકાની ટકાઉ વિકાસલક્ષી જરૂરિયાતોને પૂરી કરવા અને હિંદ મહાસાગર ક્ષેત્રની સ્થિરતામાં યોગદાન આપવા માટે દ્વિપક્ષીય સહયોગને વધુ આગળ વધારવા સંયુક્ત રીતે કામ કરવા સંમતિ આપી હતી.
SM/BS/GP/JD