Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં અંદાજે ₹5,650 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા, શિલાન્યાસ કર્યો અને ફ્લેગ ઓફ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પરિવર્તનકારી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરવા માટે ત્રિચીના ઐતિહાસિક શહેરની મુલાકાત લીધી હતી. કુલ પાંચ હજાર છસો કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પહેલ સ્વચ્છ ઊર્જા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન અને હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ દ્વારા ઉન્નત મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીમાં ફેલાયેલી છે. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ્સ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.”

ટકાઉ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરતા, પ્રધાનમંત્રીએ ભારત પેટ્રોલિયમના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્ક માટે શિલાન્યાસ કર્યો. આ ₹3,700 કરોડનો પ્રોજેક્ટ લગભગ નવ લાખ પરિવારો અને અસંખ્ય વ્યાપારી સંસ્થાઓને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પૂરો પાડીને નીલગિરિ અને ઈરોડ જિલ્લાઓમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે. પર્યાવરણીય ફાયદાઓ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ નોંધ્યું કે “માત્ર આઠ વર્ષમાં આ પ્રોજેક્ટની સકારાત્મક પર્યાવરણીય અસર ચાર કરોડ વૃક્ષો વાવવા જેવી હશે.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ચેન્નાઈમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટનું રાષ્ટ્રને સમર્પણ એ મેક ઇન ઇન્ડિયાપહેલને મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે વિશ્વભરમાં તેના પ્રકારની સૌથી મોટી સુવિધાઓમાંની એક તરીકે, આ પ્લાન્ટ રાજ્યની અંદર અને બહારના વિવિધ ઉદ્યોગોની ઉચ્ચ માંગને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે. “લ્યુબ્રિકન્ટ્સના સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવાથી આયાત પણ ઘટે છે અને રાષ્ટ્ર માટે પૈસાની બચત થાય છે”, શ્રી મોદીએ નોંધ્યું.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્મિત 370 કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓનું ઉદ્ઘાટન કરીને ગ્રામીણ કનેક્ટિવિટીના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ રસ્તાઓથી ગ્રામીણ લોકોને આરોગ્ય, શિક્ષણ અને બજારો સુધી બહેતર પહોંચ મળવાની અપેક્ષા છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મુખ્ય પ્રવાહ સાથે જોડાશે. આ વિકાસ પર, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “દરેક રસ્તો ગ્રામીણ અર્થતંત્રને ઉપર લાવે છે અને ઈઝ ઓફ લિવિંગ‘ (જીવનની સરળતા) માં વધારો કરે છે.”

પ્રદેશના સાંસ્કૃતિક વારસા પર ચિંતન કરતા, પ્રધાનમંત્રીએ ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે એક નવા હાઈવે બાયપાસ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમ્રાટ રાજેન્દ્ર ચોલ દ્વારા બનાવવામાં આવેલા યુનેસ્કો માન્ય ભવ્ય મંદિરને બચાવવાનો છે, જે ભારે ટ્રાફિકને પવિત્ર સ્થળથી દૂર વાળીને, સ્મારક અને તેના મુલાકાતીઓ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે, શ્રી મોદીએ કહ્યું, “આનો અર્થ દરેક માટે વધુ સારી સુરક્ષા છે.”

પોતાના સંબોધનનું સમાપન કરતા, પ્રધાનમંત્રીએ અમૃત ભારત કાર્યક્રમ હેઠળ આઠ સ્ટેશનોના તાજેતરના આધુનિકીકરણ અને પુનઃવિકાસને પગલે રાજ્યના પરિવહન ક્ષેત્રના ઝડપી આધુનિકીકરણ પર પ્રકાશ પાડ્યો હતો. આજે નવી ટ્રેન સેવાઓને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે નાગરકોઈલ, કોઈમ્બતૂર, રામેશ્વરમ, તિરુનેલવેલી, મયિલાદુથુરાઈ, કારાઈકુડી જેવા મુખ્ય સ્થળોને અન્ય પ્રદેશો સાથે જોડે છે જેથી પ્રવાસન અને સ્થાનિક વેપારને પ્રોત્સાહન મળે. રાજ્યના ભવિષ્ય માટેના તેમના વિઝનનો પુનરોચ્ચાર કરતા, શ્રી મોદીએ ટિપ્પણી કરી, “અમે રાજ્યની પ્રગતિ માટે રાત-દિવસ કામ કરી રહ્યા છીએ અને અમે તેમ કરવાનું ચાલુ રાખીશું.”

SM/BS/JD