Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રૂ. 18,700 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં રૂ. 18,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “આજે કોલકાતાની ધરતી પરથી પશ્ચિમ બંગાળ અને પૂર્વી ભારત માટે વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે.”

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે આ કાર્યક્રમમાં રોડ, રેલવે અને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ₹18,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને સમર્પણ કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળ અને પૂર્વી ભારતને નવી ગતિ આપશે, વેપાર અને ઉદ્યોગને વેગ આપશે અને લાખો લોકોને નવી તકો પૂરી પાડીને તેમનું જીવન સરળ બનાવશે. કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ખડગપુર-મોરેગ્રામ એક્સપ્રેસવે પૂર્ણ થવાથી પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપી બનશે. તેમણે દુબરાજપુર બાયપાસ અને કાંસબતી તથા શિલાબતી નદીઓ પર બનાવવામાં આવી રહેલા મોટા પુલોનો પણ ઉલ્લેખ કર્યો, જે કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “હું પશ્ચિમ બંગાળના લોકો અને સમગ્ર પૂર્વી ભારતને આ પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપું છું.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવેના આધુનિકીકરણ માટે દેશભરમાં જોરશોરથી અભિયાન ચાલી રહ્યું છે અને સરકારનો મક્કમ સંકલ્પ છે કે પશ્ચિમ બંગાળ આ મિશનમાં પાછળ ન રહે. તેમણે ધ્યાન દોર્યું કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિસ્તાર કરી રહી છે. આ પ્રસંગે કલાઈકુંડા-કાનીમાહુલી સેક્શન પર ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ પહેલો વ્યસ્ત રેલ માર્ગોની ક્ષમતામાં વધારો કરશે, મુસાફરીને સુરક્ષિત બનાવશે અને મુસાફરો માટે ઝડપ અને સુવિધામાં પણ વધારો કરશે.”

પ્રધાનમંત્રીએ કામાખ્યાગુરી, અનારા, તમલુક, હલ્દિયા, બારાભૂમ અને સ્યુરી એમ છ સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશનો તરીકે લોકાર્પણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે બંગાળની મહાન સંસ્કૃતિ હવે આ સ્ટેશનો પર વધુ તેજસ્વી રીતે ચમકી રહી છે અને અન્ય ઘણા સ્ટેશનો પુનઃવિકાસ હેઠળ છે. પુરુલિયા અને આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન સેવાનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. શ્રી મોદીએ પુષ્ટિ કરી હતી કે, “આ ટ્રેન સેવાથી માત્ર પશ્ચિમ બંગાળના લોકોને જ નહીં પરંતુ ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના લોકોને પણ ફાયદો થશે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્થિક પ્રગતિમાં રોડ અને રેલ કનેક્ટિવિટી જેટલી જ મહત્વની ભૂમિકા બંદરો અને જળ પરિવહન ભજવે છે. તેમણે અવલોકન કર્યું કે દાયકાઓ સુધી પૂર્વી ભારતની આ અપાર ક્ષમતાની અવગણના કરવામાં આવી હતી, પરંતુ આજે જળમાર્ગો વેપાર અને ઔદ્યોગિક પ્રગતિ માટે નવા માર્ગો ખોલી રહ્યા છે. આ દિશામાં મુખ્ય પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને સમર્પણ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું કે કોલકાતા અને હલ્દિયા બંદરો પૂર્વી ભારતમાં લાંબા સમયથી વેપારના મુખ્ય કેન્દ્રો રહ્યા છે અને હલ્દિયા ડોક કોમ્પ્લેક્સનું મિકેનાઈઝેશન કાર્ગો ઓપરેશનને વેગ આપશે, બંદરની ક્ષમતામાં વધારો કરશે અને વેપાર માટે નવી સુવિધાઓ પૂરી પાડશે. વધુમાં, કોલકાતા ડોક સિસ્ટમમાં બેસ્કુલ બ્રિજનું નવીનીકરણ અને કિડરપોર ડોક ખાતે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો કરવાનું કામ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્વી ભારતની લોજિસ્ટિક્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.”

તેમના સમાપન વક્તવ્યમાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રસ્તાઓ, રેલવે અને બંદરોને લગતા નવા પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળના આધુનિક ભવિષ્ય માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. તેમણે નોંધ્યું કે આ પ્રોજેક્ટ્સના ફાયદા ખેડૂતો, વેપારીઓ, સાહસિકો, વિદ્યાર્થીઓ અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે. પ્રવાસન જેવા ક્ષેત્રોમાં નવી તકો ઉભી થશે અને સ્થાનિક ઉદ્યોગો તથા સેવાઓને નવી ગતિ મળશે. પ્રધાનમંત્રીએ ભારતને માર્ગ બતાવવામાં બંગાળની ઐતિહાસિક ભૂમિકાને યાદ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે મજબૂત કનેક્ટિવિટી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત બંગાળનો પાયો બનાવશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમારો સંકલ્પ છે કે બંગાળ, જેણે હંમેશા ભારતને માર્ગ બતાવ્યો છે, તે ફરી એકવાર વિકસિત બંગાળબનીને તે ગૌરવ પ્રાપ્ત કરે.”

SM/NP/JD