પીએમઇન્ડિયા
આજે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વિશેષ કરીને દેશની માતાઓ-બહેનો અને દીકરીઓ સાથે વાત કરવા માટે આવ્યો છું! આજે ભારતનો દરેક નાગરિક જોઈ રહ્યો છે કે કેવી રીતે ભારતની નારી શક્તિની ઉડાનને રોકી દેવામાં આવી. તેમના સપનાઓને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યા છે. અમારા અથાક પ્રયત્નો છતાં અમે સફળ ન થઈ શક્યા, નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારો ન થઈ શક્યો! અને હું આ માટે તમામ માતાઓ-બહેનોની ક્ષમા માંગુ છું.
સાથીઓ, અમારા માટે દેશહિત સર્વોપરી છે, પરંતુ જ્યારે કેટલાક લોકો માટે પક્ષનું હિત (દલ હિત) સર્વસ્વ બની જાય છે, પક્ષનું હિત દેશહિત કરતા મોટું થઈ જાય છે, ત્યારે નારી શક્તિએ, દેશહિતે આનું પરિણામ ભોગવવું પડે છે. આ વખતે પણ એવું જ થયું છે. કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોની સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની નારી શક્તિએ ભોગવવું પડ્યું છે.
સાથીઓ, ગઈકાલે દેશની કરોડો મહિલાઓની નજર સંસદ પર હતી, દેશની નારી શક્તિ જોઈ રહી હતી, મને પણ એ જોઈને ખૂબ દુઃખ થયું કે જ્યારે આ નારી હિતનો પ્રસ્તાવ પડતો મુકાયો, ત્યારે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, સપા જેવા પરિવારવાદી પક્ષો ખુશીથી તાળીઓ વગાડી રહ્યા હતા. મહિલાઓ પાસેથી તેમના અધિકારો છીનવીને આ લોકો મેજ થપથપાવી રહ્યા હતા. તેમણે જે કર્યું તે માત્ર ટેબલ પર થાપ નહોતી, તે નારીના સ્વાભિમાન પર, તેના આત્મસન્માન પર પ્રહાર હતો અને નારી બધું ભૂલી જાય છે, પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી, તેથી સંસદમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓના તે વર્તનની ટીસ દરેક નારીના મનમાં હંમેશા રહેશે. દેશની નારી જ્યારે પણ પોતાના વિસ્તારમાં આ નેતાઓને જોશે, ત્યારે તે યાદ કરશે કે આ જ લોકોએ સંસદમાં મહિલા અનામતને રોકવાની ઉજવણી કરી હતી, ખુશીઓ મનાવી હતી. ગઈકાલે સંસદમાં નારી શક્તિ વંદન સુધારાનો જે પક્ષોએ વિરોધ કર્યો છે તેમને હું સ્પષ્ટ શબ્દોમાં કહીશ – આ લોકો નારી શક્તિને ‘ફોર ગ્રાન્ટેડ‘ લઈ રહ્યા છે, તેઓ એ ભૂલી રહ્યા છે કે 21મી સદીની નારી દેશની દરેક ઘટના પર નજર રાખી રહી છે, તે તેમના ઈરાદાઓને પારખી રહી છે અને સત્ય પણ સારી રીતે જાણી ચૂકી છે. તેથી મહિલા અનામતનો વિરોધ કરીને જે પાપ વિપક્ષે કર્યું છે, તેની સજા તેમને ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણ નિર્માતાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે અને જનતા દ્વારા અપાતી સજામાંથી તેઓ બચી શકશે નહીં.
સાથીઓ, સદનમાં નારી શક્તિ વંદન સુધારો કોઈની પાસેથી કંઈ છીનવી લેવા માટે નહોતો. નારી શક્તિ વંદન સુધારો દરેકને કંઈક ને કંઈક આપવા માટે હતો, આપવા માટેનો સુધારો હતો. આ 40 વર્ષથી લટકેલા નારીના હકને, 2029ની આગામી લોકસભા ચૂંટણીથી તેનો હક આપવા માટેનો સુધારો હતો.
નારી શક્તિ વંદન સુધારો 21મી સદીના ભારતની નારીને નવી તકો આપવા, નવી ઉડાન આપવા, તેની સામેના અવરોધો દૂર કરવાનો મહાયજ્ઞ હતો. દેશની 50% એટલે કે અડધી વસ્તીને તેનો અધિકાર આપવાનો સાફ દાનત સાથે, ઈમાનદારી સાથે કરવામાં આવેલો એક પવિત્ર પ્રયાસ હતો. નારીને ભારતની વિકાસ યાત્રામાં સહયાત્રી બનાવવા અને સૌને જોડવાનો પ્રયાસ હતો. નારી શક્તિ વંદન સુધારો સમયની માંગ છે. નારી શક્તિ વંદન સુધારો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ – તમામ રાજ્યોની, દરેક રાજ્યની શક્તિમાં સમાન વૃદ્ધિનો પ્રયાસ હતો. આ સંસદમાં તમામ રાજ્યોના અવાજને વધુ શક્તિ આપવાનો પ્રયાસ હતો. રાજ્ય નાનું હોય, રાજ્ય મોટું હોય, રાજ્યની વસ્તી ઓછી હોય કે રાજ્યની વસ્તી વધારે હોય – બધાની સમાન પ્રમાણમાં શક્તિ વધારવાની કોશિશ હતી. પરંતુ આ ઈમાનદાર પ્રયાસની કોંગ્રેસ અને તેના સહયોગીઓએ સદનમાં આખા દેશની સામે ‘ભ્રૂણ હત્યા‘ કરી દીધી છે, ભ્રૂણ હત્યા કરી દીધી છે. આ કોંગ્રેસ, ટીએમસી, સમાજવાદી પાર્ટી, ડીએમકે જેવા પક્ષો આ ભ્રૂણ હત્યાના ગુનેગાર છે. તેઓ દેશના બંધારણના અપરાધી છે, તેઓ દેશની નારી શક્તિના અપરાધી છે.
સાથીઓ, કોંગ્રેસ મહિલા અનામતના વિષય પ્રત્યે જ નફરત ધરાવે છે, તેણે હંમેશા મહિલા અનામતને રોકવા માટે ષડયંત્રો કર્યા છે. આ દિશામાં પહેલા જેટલી વાર પણ પ્રયાસો થયા, દરેક વખતે કોંગ્રેસે તેમાં રોડા નાખ્યા છે. આ વખતે પણ કોંગ્રેસ અને તેના સાથીઓએ મહિલા અનામતને રોકવા માટે એક પછી એક નવા જૂઠાણાનો સહારો લીધો. ક્યારેક સંખ્યાને લઈને, ક્યારેક અન્ય કોઈ રીતે, કોંગ્રેસ અને તેના સાથીઓએ દેશને ગુમરાહ કરવાની કોશિશ કરી. આવું કરીને આ પક્ષોએ ભારતની નારી શક્તિ સામે પોતાનો અસલી ચહેરો લાવી દીધો છે, પોતાનો મહોરો ઉતારી દીધો છે.
સાથીઓ, મને વ્યક્તિગત રીતે આશા હતી કે કોંગ્રેસ પોતાની દાયકાઓ જૂની ભૂલ સુધારશે. કોંગ્રેસ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરશે, પરંતુ કોંગ્રેસે ઇતિહાસ રચવાની, મહિલાઓના પક્ષમાં ઊભા રહેવાની તક ગુમાવી દીધી. કોંગ્રેસ પોતે દેશના મોટાભાગના હિસ્સામાં પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. કોંગ્રેસ પરજીવીની જેમ પ્રાદેશિક પક્ષોની પીઠ પર સવાર થઈને પોતાને જીવતી રાખી રહી છે. પરંતુ કોંગ્રેસ એ પણ નથી ઈચ્છતી કે પ્રાદેશિક પક્ષોની તાકાત વધે, તેથી કોંગ્રેસે આ સુધારાનો વિરોધ કરાવીને અનેક પ્રાદેશિક પક્ષોના ભવિષ્યને અંધકારમાં ધકેલવાનું રાજકીય ષડયંત્ર કર્યું છે.
સાથીઓ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી અને બીજી પાર્ટીઓ આટલા વર્ષોથી દરેક વખતે એ જ બહાના, એ જ કુતર્ક ગઢતી આવી છે, બનાવતી આવી છે. કોઈ ને કોઈ ટેકનિકલ પેંચ ફસાવીને તેઓ મહિલાઓના અધિકારો પર તરાપ મારતા રહ્યા છે. દેશ રાજનીતિના આ ખરાબ પેટર્નને બરાબર સમજી ચૂક્યો છે અને તેની પાછળનું કારણ પણ જાણી ચૂક્યો છે.
ભાઈઓ બહેનો, નારી શક્તિ વંદન અધિનિયમના વિરોધનું એક મોટું કારણ છે – આ પરિવારવાદી પક્ષોનો ડર. તેમને ડર છે કે જો મહિલાઓ સશક્ત થઈ જશે, તો આ પરિવારવાદી પક્ષોનું નેતૃત્વ ખતરામાં પડી જશે. તેઓ ક્યારેય નહીં ઈચ્છે કે તેમના પરિવારની બહારની મહિલાઓ આગળ વધે. આજે પંચાયતોમાં, લોકલ બોડીઝમાં જે હજારો-લાખો મહિલાઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે, જ્યારે તેઓ આગળ વધીને લોકસભા અને વિધાનસભાઓમાં આવવા માંગે છે, દેશની સેવા કરવા માંગે છે, ત્યારે પરિવારવાદીઓના મનમાં તેમના પ્રત્યે અસુરક્ષાની ભાવના બેઠેલી છે. પરિસીમન પછી મહિલાઓ માટે ઘણી વધારે બેઠકો હશે, મહિલાઓનું કદ વધશે, એટલા માટે જ આ લોકોએ નારી શક્તિ વંદન સુધારાનો વિરોધ કર્યો છે. દેશની નારી શક્તિ કોંગ્રેસ અને તેના સહયોગીઓને આ પાપ માટે ક્યારેય માફ નહીં કરે.
મારા પ્રિય દેશવાસીઓ, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ડીલિમિટેશન (પરિસીમન) પર સતત જૂઠું બોલી રહ્યા છે. તેઓ આ બહાને વિભાજનની આગ સળગાવવા માંગે છે. કારણ કે ‘ભાગલા પાડો અને રાજ કરો‘ની આ પોલિટિક્સ કોંગ્રેસ અંગ્રેજો પાસેથી વારસામાં શીખીને આવી છે અને કોંગ્રેસ આજે પણ તેના સહારે ચાલી રહી છે. કોંગ્રેસે હંમેશા દેશમાં તિરાડ પેદા કરનારી ભાવનાઓને હવા આપી છે. તેથી આ જૂઠ ફેલાવવામાં આવ્યું કે ડીલિમિટેશન એટલે કે પરિસીમનથી કેટલાક રાજ્યોને નુકસાન થશે! જ્યારે સરકારે પહેલા દિવસથી સ્પષ્ટ કર્યું છે કે ન તો કોઈ રાજ્યની ભાગીદારીનું પ્રમાણ બદલાશે, ન કોઈનું પ્રતિનિધિત્વ (representation) ઓછું થશે. ઊલટું, તમામ રાજ્યોની બેઠકો સમાન પ્રમાણમાં જ વધશે. છતાં કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષો આ માનવા તૈયાર ન થયા.
સાથીઓ, આ સુધારા બિલ તમામ પક્ષો અને તમામ રાજ્યો માટે એક તક હતી, એક અવસર હતો. આ બિલ પાસ થયું હોત તો તમિલનાડુ, બંગાળ, યુપી, કેરળ – દરેક રાજ્યની બેઠકો વધી હોત. પરંતુ પોતાની સ્વાર્થી રાજનીતિને કારણે આ પક્ષોએ પોતાના રાજ્યના લોકોને પણ છેતરી દીધા. જેમ કે, ડીએમકે પાસે તક હતી કે તે વધુ તમિલ લોકોને સાંસદ અને ધારાસભ્ય બનાવી શકતી હતી, તમિલનાડુનો અવાજ વધુ મજબૂત કરી શકતી હતી! પરંતુ તેણે તે તક ગુમાવી દીધી. ટીએમસી પાસે પણ બંગાળના લોકોને આગળ વધારવાની તક હતી, પરંતુ ટીએમસીએ પણ આ તક ગુમાવી દીધી. સમાજવાદી પાર્ટી પાસે પણ તક હતી કે તે મહિલા વિરોધી છબી હોવાના ડાઘને કંઈક અંશે ઓછો કરી શકે, પરંતુ સપા પણ તેમાં ચૂકી ગઈ. સમાજવાદી પાર્ટી લોહિયાજીને તો પહેલા જ ભૂલી ચૂકી છે. સપાએ નારી શક્તિ વંદન સુધારાનો વિરોધ કરીને લોહિયાજીના તમામ સપનાઓને પગ તળે રોળી નાખ્યા છે. સપા મહિલા અનામત વિરોધી છે, તે યુપીની અને દેશની મહિલાઓ ક્યારેય નહીં ભૂલે.
સાથીઓ, મહિલાઓના અનામતનો વિરોધ કરીને કોંગ્રેસે ફરી એક વાત સિદ્ધ કરી દીધી છે – કોંગ્રેસ એક ‘એન્ટી-રિફોર્મ‘ (સુધારા વિરોધી) પાર્ટી છે. 21મી સદીના વિકસિત ભારત માટે જે પણ નિર્ણયો, જે પણ રિફોર્મ્સ જરૂરી છે, જે પણ નિર્ણય દેશ લઈ રહ્યો છે, કોંગ્રેસ તે બધાનો વિરોધ કરે છે, તેને ફગાવી દે છે, તે કામમાં અડચણ ઉભી કરે છે. આ જ કોંગ્રેસનો ઇતિહાસ છે અને આ જ કોંગ્રેસની નેગેટિવ પોલિટિક્સ છે.
સાથીઓ, આ એ જ કોંગ્રેસ છે જેણે જનધન-આધાર-મોબાઈલની ત્રિશક્તિનો વિરોધ કર્યો. કોંગ્રેસે ડિજિટલ પેમેન્ટ્સનો વિરોધ કર્યો, કોંગ્રેસે જીએસટી (GST) નો વિરોધ કર્યો, કોંગ્રેસે સામાન્ય વર્ગના ગરીબો માટેના અનામતનો વિરોધ કર્યો, કોંગ્રેસે ટ્રિપલ તલાક વિરુદ્ધના કાયદાનો વિરોધ કર્યો. કોંગ્રેસે આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કર્યો. આપણું બંધારણ, આપણી કોર્ટ જે યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા – UCC) ને જરૂરી ગણાવે છે, કોંગ્રેસ તેનો પણ વિરોધ કરે છે. રિફોર્મનું નામ સાંભળતા જ કોંગ્રેસ વિરોધની તક્તી લઈને દોડી આવે છે. એવું કોઈ પણ કામ જેનાથી દેશ મજબૂત થાય છે, કોંગ્રેસ તેમાં અવરોધો ઉભા કરવા માટે પૂરી શક્તિ લગાવી દે છે. કોંગ્રેસ ‘વન નેશન વન ઇલેક્શન‘નો વિરોધ કરે છે, કોંગ્રેસ દેશમાંથી ઘૂસણખોરોને ભગાડવાનો વિરોધ કરે છે, કોંગ્રેસ મતદાર યાદીના શુદ્ધિકરણનો વિરોધ કરે છે, કોંગ્રેસ વક્ફ બોર્ડમાં રિફોર્મનો વિરોધ કરે છે.
સાથીઓ, કોંગ્રેસે શરણાર્થીઓને સુરક્ષા આપનારા સીએએ (CAA) કાયદા સુધીનો વિરોધ કર્યો. આના પર જૂઠ બોલીને અને અફવાઓ ફેલાવીને દેશમાં વંટોળ ઊભો કરી દીધો. કોંગ્રેસ માઓવાદી-નક્સલી હિંસાને સમાપ્ત કરવાના દેશના પ્રયાસોમાં પણ અડચણો નાખે છે. કોંગ્રેસની એક જ પેટર્ન રહી છે – કોઈ પણ રિફોર્મ આવે તો જૂઠ બોલો, ભ્રમ ફેલાવો. ઇતિહાસ સાક્ષી છે, કોંગ્રેસે હંમેશા આ નેગેટિવ રસ્તો પસંદ કર્યો છે.
સાથીઓ, જે પણ કાર્ય દેશ માટે જરૂરી નિર્ણય હોય છે, કોંગ્રેસ તેને કાર્પેટ નીચે દબાવી દે છે. કોંગ્રેસના આ વલણને કારણે ભારત વિકાસની તે ઊંચાઈ પર ન પહોંચી શક્યું જેનો ભારત હકદાર છે. આઝાદી સમયે તે ગાળામાં આપણી સાથે બીજા પણ ઘણા દેશો આઝાદ થયા હતા. મોટાભાગના દેશો આપણાથી ઘણા આગળ નીકળી ગયા અને તેની પાછળનું કારણ એ હતું કે કોંગ્રેસ દરેક રિફોર્મને રોકીને બેસી રહી. લટકાવવું-ભટકાવવું-અટકાવવું (લટકાના-ભટકાના-અટકાના), આ જ કોંગ્રેસનો સિદ્ધાંત રહ્યો છે, આ જ કોંગ્રેસનું વર્ક કલ્ચર રહ્યું છે. કોંગ્રેસે પાડોશી દેશો સાથેના સરહદ વિવાદોને લટકાવ્યા, કોંગ્રેસે પાકિસ્તાન સાથે પાણીની વહેંચણીના વિવાદોને લટકાવ્યા, કોંગ્રેસે ઓબીસી (OBC) અનામતના નિર્ણયને 40 વર્ષ સુધી લટકાવી રાખ્યો. કોંગ્રેસે સૈનિકો માટે ‘વન રેન્ક વન પેન્શન‘ને 40 વર્ષ સુધી રોકી રાખ્યું.
સાથીઓ, કોંગ્રેસના આ વલણે હંમેશા દેશનું બહુ મોટું નુકસાન કર્યું છે. કોંગ્રેસના દરેક વિરોધ, દરેક અનિર્ણય અને દરેક છળ-પ્રપંચનું પરિણામ દેશે ભોગવ્યું છે, દેશની પેઢીઓએ ભોગવ્યું છે. આજે દેશની સામે જેટલા પણ મોટા પડકારો છે, તે કોંગ્રેસના આ જ વલણમાંથી ઉદભવેલા છે. તેથી આ લડાઈ માત્ર એક કાયદાની નથી, આ લડાઈ કોંગ્રેસની તે એન્ટી-રિફોર્મ માનસિકતા સાથે છે જેમાં માત્ર નેગેટિવિટી છે, નકારાત્મકતા છે. અને મને એમાં કોઈ શંકા નથી કે દેશની તમામ બહેનો-દીકરીઓ કોંગ્રેસની આ માનસિકતાને જડબાતોડ જવાબ આપીને રહેશે.
સાથીઓ, કેટલાક લોકો દેશની મહિલાઓના સપના તૂટવાને સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યા છે. પરંતુ આ વિષય સફળતા કે નિષ્ફળતાના ક્રેડિટનો હતો જ નહીં. મેં સંસદમાં પણ કહ્યું હતું – અડધી વસ્તીને તેમનો હક મળી જવા દો, હું આની ક્રેડિટ જાહેરાતો છપાવીને વિપક્ષના તમામ લોકોને આપી દઈશ. પરંતુ મહિલાઓને જૂની રૂઢિચુસ્ત વિચારસરણીથી જોનારા લોકો છતાં પણ પોતાના જૂઠ પર અડગ રહ્યા, કાયમ રહ્યા!
સાથીઓ, નારી શક્તિને ભાગીદારી અપાવવાની લડાઈ દાયકાઓથી ચાલી રહી છે. વર્ષોથી હું પણ આ માટે પ્રયાસ કરનારાઓ પૈકીનો એક છું. કેટલીય મહિલાઓ આ વિષય મારી સમક્ષ ઉઠાવતી રહી છે. કેટલીય બહેનોએ પત્ર દ્વારા મને બધી વાતો કહી છે. મારા દેશની માતાઓ-બહેનો-દીકરીઓ, હું જાણું છું કે આજે તમે બધા દુઃખી છો. હું પણ તમારા આ દુઃખમાં દુઃખી છું. આજે ભલે બિલ પાસ કરાવવા માટે જરૂરી 66 ટકા વોટ આપણને ન મળ્યા હોય, પરંતુ હું જાણું છું કે દેશની 100 ટકા નારી શક્તિના આશીર્વાદ અમારી સાથે છે. હું દેશની દરેક નારીને વિશ્વાસ અપાવું છું કે અમે મહિલા અનામતના માર્ગમાં આવતા દરેક અવરોધને ખતમ કરીને રહીશું, હટાવીને રહીશું. અમારી હિંમત પણ બુલંદ છે, આપણી હિંમત પણ અતૂટ છે અને અમારો ઈરાદો પણ અડગ છે. મહિલા અનામતનો વિરોધ કરનારા પક્ષો દેશની નારી શક્તિને સંસદ અને વિધાનસભાઓમાં તેમની ભાગીદારી વધારતા ક્યારેય રોકી નહીં શકે, બસ સમયની રાહ છે. નારી શક્તિના સશક્તિકરણનો ભાજપ-એનડીએનો સંકલ્પ અખંડ છે. ગઈકાલે અમારી પાસે સંખ્યાબળ નહોતું, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે હારી ગયા. આપણું આત્મબળ અજેય છે. અમારો પ્રયાસ અટકશે નહીં, અમારો પ્રયાસ થંભશે નહીં. આપણી પાસે આગળ હજુ વધુ તકો આવશે, આપણે અડધી વસ્તીના સપનાઓ માટે, દેશના ભવિષ્ય માટે આ સંકલ્પ પૂરો કરવો જ છે.
આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.
SM/IJ/JD