Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના વાવ-થરાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ભારત માતાની જય. કેમ અવાજ આવો આવ્યો આજે, ભારત માતાની જય. ભારત માતાની જય.

કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ, ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ભાઈ, ગૃહ રાજ્યમંત્રી ભાઈ હર્ષ સંઘવી, ગુજરાત સરકારના તમામ મંત્રીગણ, ધારાસભ્ય સાથીઓ અને બનાસકાંઠા, વાવ, થરાદ, ઉત્તર ગુજરાતના મારા વહાલા ભાઈઓ અને બહેનો.

આજે, અહીં મારી માતાઓ આટલી મોટી સંખ્યામાં આવી છે, આ મારી માતાઓ અને બહેનોને મારા વિશેષ પ્રણામ.

હજુ થોડા દિવસ પહેલા જ પવિત્ર નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો છે. આ મા અંબાજીની કૃપા જ છે કે મને તેમના ચરણોમાં આજે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમની કૃપાથી આજે, આપ સૌના, મારા પોતાના પરિવારજનોના, આપ સૌના દર્શન કરવાનો મને આજે લાભ મળ્યો છે. હું મા અંબાજીના ચરણોમાં પ્રણામ કરું છું. આપણા વરાહ સ્વરૂપ ભગવાન શ્રી ધણીધર જી, હું તેમને પણ આજે શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. એ પણ એક સુખદ સંયોગ છે કે આજે આપણે ભગવાન મહાવીર જયંતી પણ ઉજવી રહ્યા છીએ. આપણો આ વિસ્તાર અનેક જૈન તીર્થોની ધરતી છે. હું ભગવાન મહાવીરને પ્રણામ કરું છું, અને આપ સૌને પવિત્ર મહાવીર જનકલ્યાણક દિવસની, મહાવીર જયંતીની વધામણી પણ આપું છું.

સાથીઓ, આજે મારું મન એક બીજી વાતથી પ્રસન્ન છે. જ્યારે હું અહીં આવ્યો, ત્યારે પહેલીવાર મારું વિમાન સીધું ડીસા એરબેઝ પર લેન્ડ થયું. ડીસાનું આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિલોમીટરના અંતરે છે. તમે સમજી શકો છો કે આ દેશની સુરક્ષા માટે પણ કેટલું મહત્વનું છે.

પરંતુ સાથીઓ, ડીસા એરપોર્ટના આ પ્રોજેક્ટનો, તેનો વિચાર આજથી પ્રારંભ નથી થયો. જ્યારે હું અહીં મુખ્યમંત્રી હતો, ત્યારથી આપણે જમીન એક્વાયર કરી, મારા ખેડૂત ભાઈ-બહેનોએ જમીન આપી, અને આપણે ઈચ્છતા હતા કે રાષ્ટ્રીય સુરક્ષા માટે, ભારતની પશ્ચિમ સરહદની સુરક્ષા માટે, આ ડીસા અત્યંત મહત્વનું સ્થાન છે, અહીં એરબેઝ હોવું ખૂબ જરૂરી છે. પરંતુ ખબર નહીં તે સમયે દિલ્હીમાં જે લોકો રાજ કરતા હતા, તેમને ગુજરાત પ્રત્યે ખબર નહીં શું નફરત હતી, રાષ્ટ્રની સુરક્ષાનો આ પ્રોજેક્ટ પણ વર્ષો સુધી ફાઈલોમાં દબાયેલો રહ્યો. તમે જ્યારે મને દિલ્હી મોકલ્યો ત્યારે મેં એ ફાઈલો બહાર કાઢી, અને આ આજે તેનું પરિણામ છે કે એરફોર્સનો એક બહુ મોટો બેઝ હવે આપણા ડીસા સાથે જોડાઈ ગયો છે. અને આ માત્ર હવાઈ પટ્ટી નથી હોતી, તેના કારણે ઘણી એક્ટિવિટી અહીં થવાની છે, બહુ મોટી માત્રામાં જવાનો અહીં રહેવાના છે. આ વિસ્તારના વિકાસમાં તેનો બહુ મોટો ફાળો રહેવાનો છે. પરંતુ આ જે વિલંબ થયો, તે દિલ્હીમાં તે સમયે કોંગ્રેસની સરકાર હતી તેના કારણે થયો, તેના વલણને કારણે થયો અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે આવી ઉદાસીનતા દેશ ક્યારેય માફ નથી કરતો. આ અમારી સરકાર છે, જેણે ડીસા એરપોર્ટના કામને પ્રાથમિકતા પર પૂરું કરાવ્યું અને આજે આ એરપોર્ટ, આ વિસ્તાર માટે વિકાસનો એક મોટો માઈલસ્ટોન (milestone) પણ બની રહ્યું છે, અને દેશની એક બહુ મોટી સ્ટ્રેટેજિક (strategic) તાકાત પણ છે. હું આ એરપોર્ટ માટે આ વિસ્તારના આપ સૌને ફરી અભિનંદન આપું છું.

સાથીઓ, વાવ-થરાદ, બનાસકાંઠાનો આ વિસ્તાર, આપ સૌ જાણો છો, અહીંથી મારો કેટલો લગાવ રહ્યો છે. અહીંનું કોઈ ગામ એવું નહીં હોય કે જેની સાથે મારી યાદો ન હોય. આજે હું આવ્યો તો ઘણા જૂના લોકોના ચહેરા જોવાનો મને અવસર મળ્યો. અને રોડ શો પણ એટલો ભવ્ય કર્યો કે તેના કારણે મને એક લાભ થયો. બહુ મોટી સંખ્યામાં જૂના લોકોને જેમને દૂરથી પણ મળવાનો મને મોકો મળી ગયો. અને જ્યારે હું સંગઠનનું કામ કરતો હતો, ત્યારે તો હું બહુ અહીં ફર્યો છું. સ્કૂટર પર ચક્કર લગાવતો હતો. આપ સૌને મળવાનો મોકો મળતો હતો, અને આપણા ઉત્તર ગુજરાતમાં આવતો હતો, તો માતાઓ અને બહેનો બહુ સરસ રોટલા બનાવીને ખવડાવતી હતી. બાજરીનો રોટલો, ઘી, ગોળ, લસણની ચટણી, માખણ તાજું. આપ સૌનો એ સ્નેહ, તમારો અપાર પ્રેમ, હું ક્યારેય ભૂલી શકીશ નહીં. અને જેટલો સ્નેહ આપ સૌએ મને આપ્યો છે, પરિવારના એક દીકરાની જેમ મોટો કર્યો છે મને, અને એટલા માટે જ, જ્યાં છું ત્યાંથી તમારા સ્નેહને વિકાસ કરીને વ્યાજ સાથે ચૂકવવાની મહેનત કરું છું. અહીં સંગઠનના ઘણા જૂના કાર્યકર્તાઓ છે, જેમની સાથે મને રાત-દિવસ કામ કરવાનો મોકો મળ્યો છે. ઘણા વડીલો અત્યારે રહ્યા નથી, પરંતુ તેમની સાથે મને ઘણું શીખવા મળ્યું છે. એવા તમામ સાથીઓ આજે ભાજપના કાર્યકર્તાઓની એક આખી નવી પેઢી મારી સામે છે. અને આવી સફળ પેઢી હોય ને, તો આપણને જીવનમાં કંઈક કરવાનો સંતોષ થાય છે. હું જોઈ રહ્યો છું, આજે આપણા યુવા કાર્યકર્તાઓ, સંગઠનના કામોને એટલી જ કુશળતાથી આગળ વધારી રહ્યા છે. આ કાર્યક્રમ, આ રેલી, તેનું આયોજન, આટલી મોટી સંખ્યામાં આપ સૌની અહીં ઉપસ્થિતિ, એ આનો પુરાવો છે. હું અહીં બંને ખૂણે ગયો, મને એવું લાગ્યું કે દૂર-દૂર એકવાર હાથ તો દેખાડું, પરંતુ મારી નજર જ્યાં પહોંચે તેનાથી પણ દૂર-દૂર સુધી લોકો બેઠેલા છે, અન્ય ઘણા બધા લોકો બહાર ઊભા છે. બનાસકાંઠા ઉપરાંત પાટણ, મહેસાણા સહિત ઘણા જિલ્લાના લોકોના પણ મને દર્શન કરવાનો મોકો મળ્યો, હું આપ સૌનું આના માટે ખૂબ-ખૂબ અભિનંદન કરું છું. ખાસ કરીને હું મારી માતાઓ અને બહેનોને ફરીથી એકવાર પ્રણામ કરું છું.

સાથીઓ, આજથી 25 વર્ષ પહેલા તમે મને બનાસકાંઠા અને આ વિસ્તારના વિકાસની જવાબદારી સોંપી હતી. હું જ્યાં સુધી ગુજરાતમાં રહ્યો, મેં આ કામને મિશન મોડમાં કર્યું, થઈ શકે એટલું ગુજરાતને આગળ વધાર્યું. દાયકાઓથી તમને જે મુશ્કેલીઓ થઈ રહી હતી, જે આ વિસ્તારની ઉપેક્ષા થઈ રહી હતી, તે તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો. વિકાસની અપેક્ષાઓ એક પછી એક પૂરી થતી ગઈ. મને ગર્વ છે, અહીં વિકાસનો જે સિલસિલો શરૂ કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું, તે અવિરત ચાલુ છે. અને 2014 પછીથી તો આમાં ડબલ એન્જિનની સરકારની તાકાત પણ સામેલ છે. આજે પણ અહીં કેન્દ્ર અને રાજ્યની આશરે 20 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ શરૂ થઈ રહી છે, 20 હજાર કરોડ રૂપિયા. આ પ્રોજેક્ટ્સથી આ આખા વિસ્તારની તસવીર બદલાશે. ઊર્જા, રસ્તા, રેલવે અને હાઉસિંગ સેક્ટર સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ્સ અહીંના જીવનને એક નવી ગતિ આપશે. હું આ તમામ વિકાસ કાર્યો માટે વાવ-થરાદ, બનાસકાંઠા અને આખા ગુજરાતને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ, આજે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા જે પ્રોજેક્ટનું શિલાન્યાસ થયું છે, તેનાથી આખા ઉત્તર ગુજરાતને ગતિ મળશે. અહીં નવી તકો ઊભી થશે. ઇડરથી વડાલી બાયપાસ સુધી 4 લેન હાઈવેનું નિર્માણ, અને ધોળાવીરાથી સાંતલપુર સુધી હાઈવેના અપગ્રેડેશનનું કામ, આ ગામડાઓને બજાર સાથે, ખેડૂતોને નવી તકો સાથે અને યુવાનોને રોજગાર સાથે જોડશે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે, આ આખો કોરિડોર આજે આ વિસ્તારને સમર્પિત કરવામાં આવ્યો છે. જ્યારે આટલી મોટી કનેક્ટિવિટી બને છે, તો તેની સાથે સાથે ઉદ્યોગો પણ આવે છે, અને રોકાણ પણ આવે છે. સાથે જ, આ વિસ્તારની રેલ કનેક્ટિવિટીને પણ બહેતર કરવામાં આવી છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીનું ગેજ કન્વર્ઝન, આપણા ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારને નેશનલ બ્રોડ ગેજ નેટવર્ક સાથે જોડે છે. આજથી ખેડબ્રહ્મા, હિંમતનગર અને અસારવાને જોડતી નવી ટ્રેન સેવા પણ શરૂ થઈ ગઈ છે.

ભાઈઓ બહેનો, બહેતર રોડ અને હાઈવેઝ, રેલવેના આ પ્રોજેક્ટ્સ, આ બધું ગુજરાતના સર્વાંગી વિકાસના પ્લાનનો હિસ્સો છે. આ પ્લાનને પૂરો કરવા માટે અમારું પૂરું ફોકસ અહીંની ઊર્જા જરૂરિયાતો પર પણ છે. કારણ કે, નવા ઉદ્યોગો, નવું રોકાણ, નવી તકો, એ ત્યારે જ આવે છે જ્યારે વીજળી હોય છે. એટલા માટે જ, આજે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક સાથે જોડાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ આટલા મહત્વના છે. અહીંથી સાડા ચાર ગીગાવૉટ વીજળી પેદા થશે. આ વીજળી નવા કારખાનાઓના પણ કામ આવશે, તમારા ઘરો સુધી પણ પહોંચશે, અને ખેડૂતોના ખેતર સુધી પણ ફાયદો પહોંચાડશે.

સાથીઓ, આજે સોલર પાવરમાં ગુજરાતનો પરચમ પૂરી બુલંદીથી લહેરાઈ રહ્યો છે. આજે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત એટલે આટલું આગળ છે, કારણ કે, ગુજરાતે તેની શરૂઆત ત્યારે કરી હતી, જ્યારે ભારતમાં આ તરફ બહુ ધ્યાન જ નહોતું. વર્ષ 2010માં, એટલે કે આજથી 15-16 વર્ષ પહેલા, મેં મુખ્યમંત્રી રહેતા ચારણકામાં રતનપુર પાસે દેશના પહેલા સોલર પાર્કનું કામ શરૂ કરાવ્યું હતું. જે 15-16 વર્ષના બાળકો છે, તેમનો તો જન્મ પણ નહીં થયો હોય. આ પોતાનામાં એક મલ્ટી-ટેકનોલોજી પાર્ક છે, જેણે સોલર એનર્જીનું મુવમેન્ટ શરૂ કર્યું. આજે ગુજરાતમાં જે પ્રકારે સોલર એનર્જીનું કામ થાય છે, સૂર્યશક્તિથી વીજળી પેદા કરવાનું કામ થઈ રહ્યું છે, જેમ આજે જ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક સાથે જોડાયેલી પરિયોજનાઓ શરૂ થઈ છે, તે દિવસ દૂર નથી જ્યારે ગુજરાત, રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું બહુ મોટું કેન્દ્ર બનીને ઉભરશે.

સાથીઓ, આજે જ્યારે દુનિયામાં ભારતના વિકાસની વાત થાય છે, આજે જ્યારે ભારતની ગ્રોથ સ્ટોરીની વાત થાય છે, તો ‘ગુજરાત મોડલ’ની પ્રશંસા થઈ જાય છે. અને, ગુજરાતે બતાવ્યું છે, વિકાસ માટે જેટલી જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પરિયોજનાઓ છે, એટલી જ જરૂરી જનકલ્યાણની યોજનાઓ પણ છે. એટલે કે, રસ્તાઓ, હાઈવેઝ, રેલવેઝનો વિકાસ તો થવો જ જોઈએ; ગામ, ગરીબ અને સામાન્ય માનવીનું જીવન સ્તર પણ સુધરવું જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આજે આપણે આ આપણી આંખો સામે જોઈ રહ્યા છીએ. આજે અહીં તમે વિચાર કરો, 40 હજાર પરિવારોને, ગુજરાતમાં 40 હજાર પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા ઘર મળ્યા, પાકા ઘર. હજારો પરિવારોને પાકા ઘરની સુવિધા, તેમના માટે એક સુરક્ષા હોય છે, જિંદગીની ઓળખ હોય છે અને નવા સપનાઓને સજાવવાનો એક હોંસલો તૈયાર થાય છે. અને આનાથી જીવનમાં કેટલા મોટા મોટા પરિવર્તનો આવે છે. જ્યારે પીએમ આવાસમાં જેમને પાકા ઘર મળ્યા છે, જેમના પાસે જિંદગીમાં આજ સુધી ઘર નહોતું, ફૂટપાથ પર જેમણે જિંદગી વિતાવી હતી, ઝૂંપડામાં જિંદગી વિતાવી હતી, કાચી માટીના મકાન બનાવીને જીવન વિતાવ્યું હતું, તેમને જ્યારે આ પાકા ઘર મળ્યા હોય તો આશીર્વાદ મળે કે ન મળે? આશીર્વાદ મળે કે ન મળે? આશીર્વાદ મળે કે ન મળે? પુણ્ય મળે કે ન મળે? આ પુણ્ય કોના નસીબમાં જાય છે? આ પુણ્ય કોના નસીબમાં જાય છે? કોના નસીબમાં જાય છે? આજે 40 હજાર લોકોને ઘર મળ્યા છે ને, તેમના આશીર્વાદ, તેમના પુણ્યના અધિકારી આપ સૌ છો, દેશના નાગરિકો છો, કારણ કે તમારા એક વોટની તાકાત, જેણે મને આ સેવા કરવાનો મોકો આપ્યો, અને અહીં 40 હજાર લોકોના પોતાના પાકા ઘર બની ગયા. આ પુણ્યના સાચા હકદાર આપ સૌ છો, હું તો માત્ર નિમિત્ત માત્ર છું. હું પીએમ આવાસના તમામ લાભાર્થી ભાઈ-બહેનોને આજે આના માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ, આજે તમારી વચ્ચે આવ્યો છું, તો અહીંનો દાયકાઓ જૂનો હાલ પણ યાદ આવી રહ્યો છે. તે દિવસો કોઈ ભૂલી શકતું નથી, જ્યારે ઉત્તર ગુજરાતનું નામ આવતા જ લોકોના મનમાં એક અલગ જ તસવીર બનતી હતી. સૂકો, દુષ્કાળ – અકાળ, પાણીની અછત, 10 વર્ષમાં 7 વાર અકાળ પડતો હતો. પાણી ભરવા માટે 3-4 કિલોમીટર બેડા લઈને જવું પડતું હતું. સંઘર્ષથી ભરેલું આ જીવન, અને કોંગ્રેસ સરકારો દ્વારા આપણી નિરંતર ઉપેક્ષા, આપણામાંથી કોણ ભૂલી શકે તે દિવસો, જ્યારે કેટલાય કિલોમીટર દૂરથી પાણી લાવવું પડતું હતું. ઘરની મહિલાઓ, બહેન-દીકરીઓનો ઘણો ખરો સમય પાણીની વ્યવસ્થા કરવામાં ખર્ચાઈ જતો હતો. પાણીની અછતના કારણે ખેડૂતોને પણ મહેનતનું સાચું મૂલ્ય નહોતું મળતું. પશુપાલકો પણ પોતાના પશુઓના પાણી અને ઘાસચારાની ચિંતામાં રહેતા હતા. આ સમસ્યા લાંબા સમયથી ચાલી આવતી હતી. આપણે ત્યાં પહેલા ઢોરના વાડા ચાલતા હતા. ગરમી આવતી હતી ત્યારે ઢોરના વાડા ચાલતા હતા. અને સરકાર ઘાસ પહોંચાડતી હતી. પીવાના પાણીની તકલીફ થતી હતી. બે-બે દાયકા થઈ ગયા, બધું બંધ થઈ ગયું. ક્યાંય દેખાતું નથી, જરૂર જ નથી. આ ગુજરાતના લોકોનો જજ્બો હતો કે આપણે મળીને આપણી મહેનતથી નિયતિને બદલવાનો સંકલ્પ લીધો. આપણે ‘સુજલામ સુફલામ યોજના’ દ્વારા પાણીની સમસ્યાનું સમાધાન કર્યું. નર્મદાના પાણી દૂર-દૂર સુધી પહોંચવા લાગ્યા. સિંચાઈની નવી વ્યવસ્થા બની.

સાથીઓ, આજે અહીંનો ખેડૂત એક પાક પર નિર્ભર નથી. તે પોતાના હિસાબે ખેતીની યોજના બનાવી રહ્યો છે. બનાસકાંઠાનું નામ આજે જે રીતે બટાકાના ઉત્પાદનમાં ઉભર્યું છે, તે પોતાનામાં એક મિસાલ છે. એવી જ રીતે ભાઈઓ બહેનો, આજે આપણે વિકાસના જે કામોને આગળ વધારી રહ્યા છીએ, તેનો લાભ આખા ઉત્તર ગુજરાતને થશે. વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, દરેક જિલ્લા માટે નવી તકો પેદા થશે, બહેતર જીવનના રસ્તા ખુલશે.

સાથીઓ, ગુજરાતની સૌથી મોટી તાકાત છે કે તેણે સતત 25 વર્ષથી વિકાસના મહાઅભિયાનને અટકવા દીધું નથી. ગુજરાતે નવા કીર્તિમાન બનાવ્યા. પોતાના કીર્તિમાનોને પોતે જ તોડ્યા. ફરી નવા કીર્તિમાન બનાવ્યા, ફરી કીર્તિમાનને તોડ્યા, ફરી કીર્તિમાન નવા બનાવ્યા. હમણાં ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ થયો, એવી જ રીતે આપણે આખા ગુજરાતમાં ગામે-ગામને સારા રસ્તાઓથી જોડ્યા. હાઈસ્પીડ હાઈવેઝ બનાવ્યા. વંદેભારત જેવી હાઈસ્પીડ ટ્રેનોની સુવિધા પણ ગુજરાતને મળી રહી છે.

ભાઈઓ બહેનો, 2005માં, મેં વિકાસને ગુજરાતના ખૂણેખૂણે સુધી પહોંચાડવા માટે ‘શહેરી વિકાસ વર્ષ’ની શરૂઆત કરી હતી. ત્યારે તેનું બજેટ આશરે સાડા છસો કરોડ રૂપિયા હતું. પરંતુ, વિકાસનું પૈડું એટલી ઝડપથી ફર્યું કે, આજે આ બજેટ 33 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આ જ દિશામાં 9 નવી મહાનગરપાલિકાઓ માટે 2300 કરોડ રૂપિયાના આશરે 300 પ્રસ્તાવો સ્વીકૃતિ માટે આવ્યા છે. 72 નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવી છે. ગુજરાત સરકારે આ વર્ષે પ્રદેશનું જે બજેટ રજૂ કર્યું છે, તે બજેટ પણ 4 લાખ કરોડથી વધુનું છે. આ પૈસા ગામ, કસબા અને શહેરોના કાયાકલ્પ માટે ખર્ચ થશે. ગામે ગામ બહેતર સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. ઘરે-ઘરે પાઈપથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ભાઈઓ બહેનો, પંચાયતથી પાર્લામેન્ટ સુધી જ્યાં સુધી તમારો ભરોસો બનેલો રહેશે, વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસ આવી જ રફ્તારથી ચાલતી રહેશે.

સાથીઓ, ભારતની હંમેશાથી મોટી તાકાત રહી છે- મુશ્કેલ સમય, કેટલોય કઠિન સમય કેમ ન આવે, મુશ્કેલના સમયે આપણો દેશ એકજુટ થઈને ઊભો રહે છે. છેલ્લા કેટલાક સમયથી તમે જોઈ રહ્યા છો, દુનિયાના ઘણા દેશો યુદ્ધ, અશાંતિ અને અસ્થિરતાથી ઘેરાયેલા છે. વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા) માં જે પરિસ્થિતિ બની છે, તેની અસર આખી દુનિયા પર છે. ઊર્જા જરૂરિયાતોની, ડીઝલ, પેટ્રોલ અને ગેસની તકલીફ આખી દુનિયામાં વધી ગઈ છે. આવા સંકટમાં પણ, ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં બનાવી રાખી છે. આની પાછળ દેશની સફળ વિદેશ નીતિ, અને દેશવાસીઓની એકજુટતાની સફળતાની તાકાત છે.

પરંતુ ભાઈઓ બહેનો, કમનસીબી જુઓ, આપણા દેશમાં કેટલાક રાજકીય પક્ષો વૈશ્વિક સંકટના સમયમાં પણ રાજકીય રોટલા શેકવાથી બાજ નથી આવતા! આ સિયાસી ષડયંત્રમાં સૌથી આગળ જો કોઈ હોય, તો કોંગ્રેસ પાર્ટી છે! આજે જ્યારે દેશને એકતા અને એકજુટતાની જરૂર છે, કોંગ્રેસના નેતાઓ દેશને વહેંચવામાં લાગેલા છે. આજે જ્યારે દેશને ભરોસાની જરૂર છે, કોંગ્રેસ ભય અને અફવા ફેલાવવામાં લાગેલી છે. આજે જ્યારે દેશને સંયમની જરૂર છે, કોંગ્રેસ લોકોને ઉકસાવવામાં લાગેલી છે. રાજકીય ગીધની જેમ કોંગ્રેસ આ રાહમાં છે કે ક્યારે દેશ પરેશાનીમાં વધે, અને તેના બહાને તેમને સિયાસી ફાયદો મળે!

ભાઈઓ બહેનો, આજે દુનિયાના નાનાથી લઈને મોટા સુપરપાવર દેશો સુધીમાં, ડીઝલ પેટ્રોલના ભાવ ક્યાંક 10 પર્સન્ટ, ક્યાંક 20 પર્સન્ટ, ક્યાંક 25 પર્સન્ટ ટકા સુધી વધ્યા છે. પરંતુ, ભારત આની અસર દેશની જનતા પર નથી પડવા દઈ રહ્યું. કોંગ્રેસને આ સહન નથી થઈ રહ્યું. એટલા માટે જ, તે સતત અફવાઓ ફેલાવી રહી છે, જેથી કરીને દેશમાં ડરનો માહોલ બને, અને લોકો પેટ્રોલ પંપો અને ગેસ એજન્સીઓ પર લાઈન લગાવીને ઊભા રહે, અવ્યવસ્થા ફેલાઈ જાય! તેને લઈને આ લોકો દુષ્પ્રચાર કરે, આ એમની મંશા છે!

સાથીઓ, સત્તાથી દૂરી કોંગ્રેસ પાર્ટીને બઘવાવી દે છે. હમણાં દિલ્હીમાં થયેલી ગ્લોબલ AI સમિટમાં પણ તમે જોયું છે, દુનિયાભરના મહેમાનો અહીં હતા, દિલ્હીની એઆઈ સમિટની આખા વિશ્વમાં પ્રશંસા થઈ રહી હતી, પરંતુ કેવી રીતે વિરોધ માટે કોંગ્રેસના લોકોએ પોતાના કપડાં સુધી ફાડી નાખ્યા, તેમની કોશિશ હતી કે દુનિયાની સામે ભારતની છબી ખરાબ થાય! આજની પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ ભારતથી નફરત કરનારી વિદેશી તાકાતોની ભાષા બોલી રહી છે. આપણે કોંગ્રેસના આ ષડયંત્રથી સાવધ રહેવાનું છે.

સાથીઓ, ભારત કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો મક્કમતાથી કરી શકે છે, આ આપણે કોરોનાકાળમાં પણ બતાવ્યું છે. તેવી જ રીતે, આ સમય પણ સાથે રહેવાનો છે. આપણને આ વાત પર ગર્વ હોવો જોઈએ, આજે જ્યારે આખી દુનિયા માત્ર પોતાના બચાવમાં લાગેલી છે, ભારત ન માત્ર સ્થિરતા જાળવી રહ્યું છે, પરંતુ વિકાસના રસ્તા પર પણ દરરોજ આગળ વધી રહ્યું છે. આજે ગુજરાતમાં થયેલા હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ આનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. હું એકવાર ફરી, આપ સૌને આ વિકાસ કાર્યો માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું દેશવાસીઓના સંયમ, સહયોગ અને અનુશાસન માટે તેમનો પણ ખૂબ-ખૂબ આભાર માનું છું.

એ આવજો રામ રામ આપ સૌને. એ આવજો રામ રામ. બહુ આનંદ થયો આપ સૌને મળીને. તમારા આશીર્વાદ લઈને હવે આગળ વધું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

SM/JY/JD